Opinion Magazine
Number of visits: 9547459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર

હરેશ ધોળકિયા|Opinion - Opinion|16 May 2022

કોરોના મહામાહી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકારો – સંપાદકો : રજની દવે, ડૉ. કિરણ સિંગ્લોત અને પારુલ દાંડીકર – પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, વડોદરા – કિંમત : રૂ. ૩૦૦

કોરોના! છેલ્લાં બે વર્ષથી જગત સામે, શેષનાગ પોતાની ફેણ ઊંચી કરી ફુત્કારતો હોય તેમ, ડાચું ફાડીને ઊભો છે. કરોડોને ડંખ મારી ભસ્મીભૂત કરી નાખ્યા છે. આજે પણ દરરોજ હજારોને ભરખી જાય છે. પહેલીવાર આધુનિક્તા વચ્ચે, અદ્‌ભુત વૈજ્ઞાનિક સંશોધનો અને મેડિકલ પ્રગતિ વચ્ચે, માનવજાત લાચારી અનુભવી રહી છે કે આ રાક્ષસથી કેમ છૂટકારો મેળવવો. આજે ભલે ઘટતો દેખાય છે, પણ અનેક દેશોમાં હજી તેની ફેણના ઝેરી લબકારાનો ભોગ હજારો લોકો બની રહ્યા છે.

કોરોનાએ તો જગતને સ્તબ્ધ કરી દીધું છે. તેણે જે નુકસાન કર્યું છે અને આજે પણ કરી રહ્યો છે, તેના રિપોર્ટો હચમચાવે છે. તે ચાલુ થયો ત્યારથી તેના પ્રભાવની નોંધો, ખાસ કરીને, પશ્ચિમના સંશોધકો કરી રહ્યા છે. ગુજરાતીમાં તેના વિશે છૂટક લેખો કે આંશિક માહિતી આપતાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે, પણ કોરોના વિશે સમગ્ર દર્શન કરાવતો કોઈ ગ્રંથ હજી પ્રકાશિત થયો હોય તેવું જાણમાં નથી.

સદ્‌ભાગ્યે, આ મહેણું હવે ટળ્યું છે. ગુજરાતમાં સર્વોદય ક્ષેત્રે કામ કરતી સંસ્થા અને ‘ભૂમિપુત્ર’ નામનું લોકોને જાગૃત કરવા મથતું સામયિક પ્રકાશિત કરતી સંસ્થા ‘યજ્ઞ પ્રકાશને’ કોરોનાનું સમગ્ર દર્શન કરાવતું એક અત્યંત સુંદર વિશ્લેષ્ણાત્મક પુસ્તક ‘કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર’ નામે પ્રકાશિત કર્યું છે. યજ્ઞ પ્રકાશને આગળ પણ કેન્સર, પર્યાવરણ, પ્લાસ્ટિક, ખેડૂતના પ્રશ્નો, માનવ અધિકાર જેવા મુદ્દાઓ પર પુસ્તકો પ્રકાશિત કરી લોકજાગૃતિું ગાંધીનિષ્ઠ કાર્ય કરેલ છો. એટલે તેના દ્વારા આ મુદ્દા પર વ્યાપક એ નિષ્પક્ષ દૃષ્ટિકોણ ધરાવતું પુસ્તક પ્રકાશિત થાય તે સ્વાભાવિક છે.

પહેલાં તેનો સ્થૂળ પરિચય કરીએ. આ કુલ ૬૦૮ પાનાં ધરાવતું દળદાર પુસ્તક છે. તેમાં અગિયાર વિભાગો પાડવામાં આવ્યા છે, જેમાં કુલ ૮૨ લેખોનો સમાવેશ કર્યો છે. આ લેખો ભારતના અને ગુજરાતના અભ્યાસી અને ખૂબ જ તટસ્થ લેખકોએ લખ્યા છે. એટલે તેની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા જળવાઈ છે. જે વિભાગો છે તેનાં શીર્ષકો છે તબીબી વિજ્ઞાન, આર્થિક પ્રવાહો, દલિતો, બહેનો, બાળકો, ગ્રામજનો અને કામદારોની સ્થિતિ, સામાજિક પ્રવાહો અને વલણો, કોરોના કાળમાં શિક્ષણ, પર્યાવરણ-ઈકોલોજીના સંબંધો અને અસરો, જનસ્વાસ્થય, સરકારની જવાબદેહી, વિવિધ લેખો, તેને લગતાં પ્રકાશિત થયેલાં પુસ્તકો. આ ઉપરાંત કાવ્યો અને ચિત્રો પણ આપેલ છે. એક એક લેખ વાચકને અસ્વસ્થ કરી શકવાની તાકાત ધરાવે છે.

સંપાદકીય વાંચતાં જ પુસ્તકનું મહત્ત્વ સમજાઈ જાય છે. તેમાં લખે છે, “મહામારીએ માનવીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત સામાજિક, આર્થિક, વ્યાવસાયિક, શૈક્ષણિક, ધંધારોજગાર અને જનજીવન પર વ્યાપક અસરો પેદા કરી છે … તેના કારણે એક નવું જ કલ્ચર ઊભું થયું છે … તેનો સામનો કરવામાં બુદ્ધિશાળી માનવજાતે થાપ ખાધી છે. સૌ એકબીજાને ડરથી જોતા જાય છે … સારવારમાં ઔષધો અને રસીઓના સંશોધનો કોની કેવી સ્વાર્થી દાનત હતી … તેણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવા પ્રકારની ભૌગોલિક અને રાજકીય તાણ ઊભી કરી છે … દુશ્મનોના ચહેરા માસ્ક પાછળ સંતાયેલા હોવાથી કોઈ કોઈનો ભાવ કળી શકતું નથી … ઑફિસ કામમાં હાઈબ્રીડ કલ્ચરનો ઉદય થયો છે … એટલે વિચારકો માને છે કે આને લીધે હવે નજીકના સમયમાં ભૂતિયાં શહેરો અસ્તિત્વમાં આવશે.”

દરેક વિભાગના લેખો વાંચવાથી પણ કોરોનાની વાસ્તવિક્તા ખ્યાલમાં આવે છે. કોરોનાની રસી વિશેના લેખોમાં ઘણે ઠેકાણે તેની અસરકારકતા વિશે ખુદ વિજ્ઞાનીઓ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે. તો આર્થિક પેકેટ બાબતે અર્થશાસ્ત્રી હેમંત શાહ જણાવે છે કે આ પૅકેટ જી.ડી.પી.ના માત્ર ૨.૯૫ ટકા છે. તેની જાહેરાતો મોટી છે, પણ વાસ્તવિક ખર્ચ તદ્દન ઓછું છે. વળી રાજકોષીય ખાદ્ય વધતી જાય છે. દેવું વધતું જાય છે. તેમાં વિદેશીઓને રાહત છે, ભારતીયોને નહીં, લોન મળે છે, રાહત નહીં. એટલે કે તે તેને મજાક ગણાવે છે.

કોરોના કાળમાં બહેનો, બાળકો, કામદારો કે ગ્રામજનોની હાલત બાબતના લેખો વાંચીએ તો તો હચમચી જ જવાય છે. બાળકોના શિક્ષણની ચર્ચા કરતાં એક લેખક કહે છે કે ચારે બાજુ ડિજિટલ અંધારું છે. બાળકો ભણવા માટે નિરંતર કમજોર થઈ રહ્યાં છે. દુનિયાભરમાં ૨૧.૪ કરોડ બાળકોના ભણવામાં ૭૫ ટકા ઘટાડો નોંધાયો છે. જ્યારે શાળાઓ ખુલશે પછી પણ કરોડો બાળકો શાળામાં નહીં આવી શકે.

કોરોનાની સામાજિક અસરો નોંધતાં ડંકેશ ઓઝા જાણીતા ઇતિહાસકાર યુવાલ હરારેનું વાક્ય નોંધે છે કે આવાં સમયમાં પ્રજા વધારે નમાલી બનશે. વધારે આદારિત બનશે. વધુ ડરપોક બનશે. દરેક દેશમાં રાજકીય સત્તા વધારે મજબૂત બનશે. તે વધારે ડર ફેલાવશે અને એકાધિકારવાદી બનશે. તો ક્યાંક હકારાત્મક અસરો પણ નોંધાઈ છે, જેવી કે, લોકો સ્વાવલંબન તરફ વળ્યા છે. પરસ્પર સહયોગ માટે તત્પરતા વધી દેખાય છે. પરસ્પર વિશ્વાસની ભાવના વિક્સી રહી છે. સર્જનાત્મકતાનાં દ્વાર ખૂલ્યાં છે. ચિંતન માટે સમય મળ્યો છે.

અન્ય લેખોનાં માત્ર શીર્ષકો જોઈએ તો પણ વિષયોનું વૈવિધ્યનો ખ્યાલ આવે છે. પર્યાવરણ પર બાયોમેડિકલનું જોખમ, ઝૂનોટિક રોગચાળો – માનવસર્જિત મહામારી, ધરતીને પડતી તકલીફો વગેરે. તો જાહેર આરોગ્ય વિભાગમાં ગુજરાતના અને દેશના આરોગ્ય માળખાની ચર્ચા છે. પ્રાણવાયુની કટોકટીની ચર્ચા છે. અન્ય રોગોની સારવાર વિશે ચર્ચા છે. સરકાર સંદર્ભના લેખોમાં પી.એમ. કેર્સ નિધિના દુરુપયોગની ચર્ચા, સરકારની કામ લેવાની ચર્ચા, મત અને મોતની ચર્ચા વગેરે વિષયો પર લેખો છે. તો વિવિધ લેખોમાં બાબા રામદેવ, આયુર્વેદ, હોમિયોપેથી, કોરોના અને માનસિક સવાલો, કોરોના અને કોમવાદ જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.

છેલ્લા વિભાગમાં કોરોના બાબતે વિશ્વમાં લખાયેલ પુસ્તકોનો પરિચય આપવામાં આવ્યો છે. તેમાં કોરોનાની માહિતી આપતાં પુસ્તકો સાથે અંગ્રેજીમાં લખાયેલ “કોરોના કાળમાં ભૂલોની હારમાળા”, “કોરોના મહામારી અને અકરાંતિયો મૂડીવાદ”, “પેન્ડેમિક–હાઉ ટુ સ્ટોપ નેકસ્ટ વન?”, ઉપરાંત હિન્દી પુસ્તકોનો પરિચય પણ આપ્યો છે.

કેટલાંક કાવ્યો પણ ધ્યાન ખેંચે છે. એક કાવ્યમાં કહે છે :

“માણસોએ
માણસોને પૂછ્યું,
ક્યાં ગયા
માણસો.”

બીજા એક કાવ્યમાં કહે છે :

“યે જો મિલાતે ફિરતે હો તુમ હર કિસીસે હાથ,
ઐસા ન હો કિ ધોના પડે જિંદગીસે હાથ.”

વગેરે.

સમગ્ર પુસ્તક વાંચીએ છીએ ત્યારે કોરોના વિશે અનેક દૃષ્ટિકોણો જોવા મળે છે. માનવ મર્યાદાઓ, સરકારી મર્યાદાઓ, માણસની સ્વાર્થી વૃત્તિ વગેરેની ચર્ચા છે, તો સમાંતરે ત્યારે થયેલાં ઉત્તમ અને હકારાત્મક કામો કે પગલાંઓ પણ જોવા મળે છે. આ દરમ્યાન જે પગલાં લેવાયાં તેની પણ સરસ માહિતી આપી છે. ભવિષ્યમાં શું પગલાં લેવાં જોઈએ તેનાં પણ સૂચનો છે. આમ, આ પુસ્તકમાં સ્થાનિકે, રાજ્યમાં, દેશમાં અને વિશ્વમાં કોરોના વિશે જે પણ કામગીરી થઈ છે કે ચિંતન થયું છે, તેના વિશે આપણને માહિતી મળે છે. આ ગ્રંથના મુદ્દાઓ પર માત્ર નજર પણ ફેરવીએ તો એક સંદર્ભ ગ્રંથ જેવો લાગે છે. જાણે પીએચ.ડી.નો થીસિસ હોય તેવું અનુભવાય છે. ગુજરાતીમાં એક જ ગ્રંથમાંથી આટલી બધી વ્યાપક, અભ્યાસી અને પ્રમાણભૂત માહિતી મળે તે તો આનંદજનક ઘટના ગણી શકાય. આ માટે પુસ્તકના સંપાદકો રજની દવે, ડૉ. કિરણ શિંગ્લોત અને પારુલ દાંડીકર તથા લેખકો ખૂબ અભિનંદનને પાત્ર છે.

આ ગ્રંથ સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, નીતિ ઘડનારી સંસ્થાઓને તે ઉપયોગી છે જ, પણ સાથે સાથે સામાન્ય વાચકને પણ માહિતી આપવા સાથે જાગૃત કરે છે કે આવી વૈશ્વિક કટોકટી આવે તો શું કરવું છે જ, પણ સાથે સાથે સામાન્ય વાચકને પણ માહિતી આપવા સાથે જાગૃત કરે છે કે આવી વૈશ્વિક કટોકટી આવે તો શું કરવું જોઈએ અને કેમ વિચારવું જોઈએ.

આશા રાખીએ કે પુષ્કળ વાચકોના હાથમાં આ પુસ્તક જાય અને તેનું અધ્યયન થાય.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 11 તેમ જ 10

Loading

16 May 2022 admin
← ભારતીય પ્રસાર-માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા
પિતા કે પતિનું નામ સ્ત્રીને કામનું કેટલું? →

Search by

Opinion

  • નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા?
  • ‘ટ્રુ સેક્યુલર’  સરદારે અયોધ્યામાં સોમનાથવાળી કેમ ન કરી, ભાઈ?
  • જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 
  • આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?
  • સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved