Opinion Magazine
Number of visits: 9451853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિવિલ સોસાયટીની અપ્રસ્તુતતા લોકતંત્રના હિતમાં નથી.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 June 2023

ચંદુ મહેરિયા

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કાઁગ્રેસના વિજયમાં કેટલાક સિવિલ સોસાયટી જૂથોનું પણ અલ્પ યોગદાન છે. બે એક વરસ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ભારતની સિવિલ સોસાયટીને યુદ્ધનો નવો મોરચો ગણાવી હતી. રાષ્ટ્રીય પોલીસ અકાદમી, હૈદરાબાદમાં ઇન્ડિયન પોલીસ સર્વિસના નવનિયુક્ત પોલીસ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડને સંબોધતા ડોભાલે નવાસવા પોલીસ અધિકારીઓને સિવિલ સોસાયટીથી સાવધાન કર્યા હતા. તેમના મતે દેશની સિવિલ સોસાયટીને ભારત વિરોધી દેશો પાસેથી નાણાં મળે છે અને તે રાષ્ટ્રનિર્માણમાં બાધક છે. ડોભાલની ચેતવણીનું રહસ્ય કદાચ હાલના કર્ણાટકના પરિણામમાં રહેલું છે.

સમાજ (સોસાયટી) અસંગઠિત સમૂહ છે તો નાગરિક સમાજ (સિવિલ સોસાયટી) સંગઠિત સમૂહ છે. બિનસરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કામદાર મંડળો, વેપારી મહાજનો, નેટવર્ક, અભિયાનો, ખેડૂત, મહિલા, યુવા, અધ્યાપક, કર્મચારી અને અન્ય વ્યવસાયી સંગઠનો, ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, નાગરિક આંદોલનો, બૌદ્ધિકો અને કર્મશીલોનો બનેલો નાગરિક સમાજ લોકતંત્રનો પ્રાણ છે. સરકાર કે સત્તાની ઉચિત બાબતનું સમર્થન અને અનુચિતનો વિરોધ કરતા નાગરિક સમાજની જરૂરિયાત સ્વયંસ્પષ્ટ છે.

ગાંધીજીનાં રચનાત્મક કામો સાથે સંકળાયેલી સંસ્થાઓ દેશી-વિદેશી સત્તાની અયોગ્ય બાબતોનો વિરોધ કરતાં અચકાતી નહોતી. દેશમાં એક તબક્કો વિદેશી સહાય પર નભતી એન.જી.ઓ.નો આવ્યો હતો. સરકારો તેમના વિદેશી અનુદાન પર ચાંપતી નજર રાખતી હતી. ફોરેન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એકટ(એફ.સી.આર.એ.)ની શરતો તેણે પાળવી પડે છે. કાઁગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકારે એફ.સી.આર.એ.ને કઠોર બનાવ્યો હતો. તે પછી ભા.જ.પ. સરકારે તેના આકરા નિયમો ઘડ્યા. અનેક એન.જી.ઓ.ની એફ.સી.આર.એ. હેઠળની મંજૂરી રદ્દ થતાં દેશની અડધોઅડધ એન.જી.ઓ.ના વાવટા સંકેલાઈ ગયા છે. તેની અસર નાગરિક સમાજની ભૂમિકા પર પડી છે. જાણે કે સિવિલ સોસાયટી નામમાત્રની જ રહી છે. દિનપ્રતિદિન સંકોચાતી સંકોચાતી અપ્રસ્તુત બની ગઈ હોય તેમ લાગે છે. સિવિલ સોસાયટીનું આ સંકોચન અને અપ્રસ્તુતતા લોકતંત્રના હિતમાં નથી.

નાગરિક સમાજની ભૂમિકા સંઘર્ષની છે તો સેતુની પણ છે. તે સરકાર અને સત્તાને બે-લગામ થવા દેતી નથી. લોકોને સરકારની કામગીરી અને યોજનાઓથી વાકેફ કરવાનું કામ અને લોકોની સમસ્યાથી સરકારને માહિતગાર રાખવાનું કામ તે કરતી હોય છે. સિવિલ સોસાયટીની ભૂમિકા સરકારી વહીવટમાં જનભાગીદારી વધારવાની છે. તે વંચિતો, ગરીબો અને અન્ય નબળા વર્ગોને સામાજિક-આર્થિક વિકાસ માટે સંગઠિત કરે છે અને જરૂર પડે સંઘર્ષ પણ કરે છે. વહીવટી તંત્રની મનમાની અને ભ્રષ્ટાચાર અટકાવવામાં, તંત્રને નિરંકુશ ના બનવા દેવામાં, જાહેર કલ્યાણનાં કામો સમાનતા પર આધારિત હોય તે જોવામાં નાગરિક સમાજની ભૂમિકા મહત્ત્વની છે. પંચાયતી રાજ અને ગ્રામસભાઓને સક્ષમ બનાવીને તે લોકશાહીનો પાયો મજબૂત બનાવે છે.

સિવિલ સોસાયટી હંમેશ સરકારની સાથે ના હોઈ શકે તેમ કાયમ સરકારની સામે પણ  ના હોઈ શકે. લોકોનું કલ્યાણ સમાનતા અને પારદર્શિતા ધરાવતા સુશાસનથી થાય તે માટેના તેના પ્રયાસો રહે છે. નાગરિકોના જીવનમાંથી રાજ્યનું આધિપત્ય ઘટાડી, રાજ્ય તથા સત્તાનો નાગરિક જીવનમાં બિનજરૂરી હસ્તક્ષેપ તે ઘટાડે છે. તે લોકોમાં ના માત્ર સામાજિક –આર્થિક,  રાજકીય ચેતના પણ જગાડે છે. સ્વાયત્ત છતાં રાજ્ય આધીન નાગરિક સમાજથી સરકારો હંમેશાં ડરતી હોય છે. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી, અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન, નિર્ભયા બળાત્કાર કાંડ, વૃક્ષો અને પર્યાવરણ બચાવ માટેનું ચિપકો આંદોલન, પરમાણુ મથકો વિરોધી આંદોલન, શરાબબંધી માટેનાં આંદોલન, આતંકવાદની આડમાં કશ્મીર, પૂર્વોત્તર અને નકસલપ્રભાવિત વિસ્તારોમાં લોકદમન, મોટા બંધોના વિરોધથી માંડીને હજુ હમણાના કિસાન આંદોલનમાં નાગરિક સમાજની સક્રિયતા જોવા મળી હતી. નાગરિક અધિકારો,  પર્યાવરણ, દલિત-આદિવાસી અધિકારો, મહિલાઓના હક, બાળ અને વેઠિયા મજૂરી, સામાજિક આર્થિક ભેદભાવ અને અસમાનતા જેવા મુદ્દા નાગરિક સમાજના વિશેષ છે.

વર્તમાન કેન્દ્ર સરકાર હોય કે રાજ્યોની કેન્દ્રના સત્તાપક્ષના વિરોધી પક્ષોની સરકારો હોય – કોઈને નાગરિક સમાજનો સત્તા વિરોધ ગમતો નથી. તેથી નાગરિક સમાજ-ખાસ કરીને તેના મુખ્ય ઘટક એવા બિનસરકારી સંગઠનોની –ભૂમિકા સીમિત કે તેના મુખ્ય લક્ષથી પીછેહઠની થઈ ગઈ છે. રાજ્ય, સત્તાપક્ષ કે મુખ્યધારાના નેરેટિવથી વિરુદ્ધની કોઈ વાત શાસકોને પચતી નથી. આમ કરનારાને રાષ્ટ્રવિરોધી માનવામાં આવે છે. તેને કારણે નાગરિક સમાજ વ્યાપક અર્થના રાજકીય કામો કરી શકતો નથી. બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારોના સંરક્ષણનું કામ રાજસત્તાની પ્રાપ્તિ જેવું રાજકીય કામ નથી પણ સરકારોને તે રાજકીય લાગે છે તેથી તેના પર અંકુશ લાદીને અંતે સિવિલ સોસાયટીને અપ્રસ્તુત કે નબળી બનાવી દે છે.

તાનાશાહોને નમાવવાનું અને સત્તાને પડકારવાનું કામ સિવિલ સોસાયટીએ કરવાનું છે અને કર્યું પણ છે. લોકો શાસનથી કંટાળ્યા હોય, તેમની વાજબી માંગણીઓ ન સ્વીકારાતી હોય, તેમનો શ્વાસ રૂંધાતો હોય ત્યારે નાગરિક સમાજ ચૂપ ના રહેવો જોઈએ. બે-જબાનોની જબાન તે નહીં બને તો કોણ બનશે ? પરંતુ તેના પર દેશદ્રોહનો એવો તો થપ્પો લગાવી દેવાયો છે કે તે બોલી શકતો નથી. વળી જે વૈવિધ્ય, ભેદભાવ અને અસમાનતા સમાજમાં છે તે નાગરિક સમાજમાં પણ છે. ખુદ નાગરિક સમાજ પણ એકજૂથ નથી રહી શકતો. અનામત નીતિ અને બિનસાંપ્રદાયિકતાના મુદ્દે નાગરિક સમાજનું વિભાજના તુરત જણાઈ આવે છે. દલિત-આદિવાસી અત્યાચાર જેમ સરકારને તેમ નાગરિક સમાજને પણ કોઠે પડી ગયા છે. તેને કારણે તેની સર્વસ્વીકાર્યતા સામે પ્રશ્નચિહ્ન ઊઠે છે.

નાગરિક સમાજની અસરકારતા ઘટી છે તે માટે તે પોતે પણ મહદઅંશે જવાબદાર છે. તાકતવર સત્તાથી જાણે કે તે ડરે છે. અજિત ડોભાલને લોક્તંત્રમાં લોકો નહીં રાજ્યતંત્ર સર્વોપરિ લાગે કે લોકતંત્રનું હાર્દ મતપેટી ને બદલે તેના દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા ઘડાયેલા કાયદા લાગે ત્યારે તો તે અપ્રસ્તુત જ નહીં નામશેષ થઈ ગયો લાગે છે.

જે સાથે નહીં તે સામે છે અને સત્તા સાથેની અસહમતીને દુ:શ્મની માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના છઠ્ઠી માર્ચ ૨૦૨૦ના ચુકાદામાં ભારતના લોકતંત્રને પાંગરવામાં નાગરિક સમાજની કાયદેસરની અને આલોચનત્મક ભૂમિકા છે અને તેમાં રાજકીય કામગીરી પણ સામેલ છે તેમ રોકડું જણાવ્યા પછી પણ સરકારોનું વલણ બદલાયું નથી.

લોકતંત્રમાં નાગરિક સમાજનું હોવું પ્રખર ધખતી ધરામાં શીતળ સરોવર સમું છે. રાષ્ટ્રીય કે પ્રાદેશિક સત્તા જ્યારે લોકોનો શ્વાસ રૂંધે ત્યારે તેની વહાર કરતી સિવિલ સોસાયટી તાજી હવાની લહેરખી છે. સ્વસ્થ લોકશાહી માટે જીવંત નાગરિક સમાજ આવશ્યક જ નહીં અનિવાર્ય છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

16 June 2023 Vipool Kalyani
← ગાતો વરસાદ
हिन्दू राष्ट्रवाद और अखंड भारत →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved