Opinion Magazine
Number of visits: 9504402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 December 2019

હૈયાને દરબાર

ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે
અડધી ભાતે રે મારો સાયબો રીસાયો
કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે …

મેઘધનુ રંગની ભાતે વચ્ચોવચ્ચ
કોઇ અજબ રંગ સાંપડ્યો જી રે
જોતા પડ્યો તે પગ વાલમનો આંગણિયે
લોક કહે સાથિયો બગડ્યો જી રે
પથ પથરાઈ મારો જીવડો પુકાર્યો
કે પિયુ કેમ રૂઠ્યો સાહેલડી જી રે …

કોઈ જાણભેદુ ને પાછળ દોડાવિયો
કે આવ્યો સંદેશ લઈ સોગિયો જી રે
પરદેશ પહોંચી વ્હાલે રંગ મોકલાવ્યો
તે લાલ નહીં નીકળ્યો જોગિયો જી રે
અંગે અંગે તે મારે રોમ રોમ લાવ્યો
કે આગ થઈ ફૂટ્યો સાહેલડી જી રે

•   ગીતકાર-સંગીતકાર : નિનુ મઝુમદાર    •   ગાયિકા : કૌમુદી મુનશી

—————————-

સુગમ સંગીત અથવા કાવ્યસંગીતમાં શબ્દ અને સૂરની અભિવ્યક્તિ છે. ગુજરાતી સંગીતનો પોતાનો હૃદયોદ્વાર છે. તેમાં લોકપરંપરા તો છે જ, સાથે સંતવાણી, દુહા, ભજન, રાસ-ગરબા તથા અર્વાચીન-આધુનિક સુગમ સંગીત પણ ખરું. સામ ગાનથી લઈને હવેલી સંગીત, શાસ્ત્રીય સંગીત તેમ જ સુગમ સંગીતના ઉચ્ચ કોટિના કલાકારો ગુજરાતે અને મુંબઈએ આપ્યા છે. સાહિત્યના તમામ પ્રકારોમાં ‘ગીત’ હજારથી વધુ વર્ષનો દીર્ઘ ઇતિહાસ ધરાવે છે. ગવાય તે ગીત એમ સાદો અર્થ કરી શકાય. ગુજરાતી ગીત-ગઝલોનું માધુર્ય આગવું છે, અનોખું છે.

ગુજરાતી સુગમ સંગીતના અગ્રગણ્ય નામોમાં કૌમુદી મુનશી પ્રથમ પંક્તિનાં કલાકાર છે. એમના કંઠની મીઠાશને લીધે એમને ‘નાઈન્ટિન્ગલ ઓફ ગુજરાત’નું બિરુદ મળ્યું છે.

છેલ્લાં ૭૫ વર્ષથી કાર્યરત કૌમુદી મુનશી સંગીતજગતનું એવું નામ છે જેમણે સંગીતને માત્ર પચાવ્યું જ નથી, સંગીતમગ્ન રહીને આનંદમય જીવન જીવવાની ચાવી પણ આપી છે. સ્ત્રીની ઉંમર આમ તો જાહેર ન કરાય, પણ કૌમુદી મુનશી વિશે ગૌરવપૂર્વક કહી શકાય કે એ નાઈન્ટી (૯૦) નહીં, નાઈન્ટીન (૧૯) યર્સનાં નાઈન્ટિંગલ છે. જે ઉંમરે સામાન્ય રીતે માણસ ખખડી જાય એ ઉંમરે તેઓ આપણે એમને ઘરે જઈએ તો સ્મિત સાથે આવકારે, હાર્મોનિયમની પેટી લઈને આપણને નવી નવી રચનાઓ સંભળાવે, ઠૂમરી કેવી રીતે ગવાય એની સમજ આપે, ગાતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણ તથા અનુસ્વારની અગત્યતા કેટલી છે એ સમજાવે ને વચ્ચે વચ્ચે એમણે પોતે બનાવેલી વાનગીઓ ચખાડે તથા નિતનવી રેસિપી શેર કરે એ નફામાં. સ્વચ્છ-સુઘડ સાડી અને નાજુક આભૂષણોનાં શોખીન કૌમુદીબહેનને ભાગ્યે જ કોઈએ હતાશ કે નિરાશ જોયા હશે.

જો કે, અમૂલ્ય આભૂષણ તો એમનું હાર્મોનિયમ. કૌમુદી મુનશી સાથે કેટલાંક ગીતો અનિવાર્યપણે જોડાઈ ગયાં છે, જેમ કે, તમે થોડું ઘણું સમજો તો સારું, વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે, હે કોઈ આઘે આઘેથી વેણુ વાય રે, મને જાતી રહું જાતી રહું થાય રે, લાખનો ચૂડલો ઘડાવી દે ઓ માણીગર, વાંકાબોલી વરણાગી વાંસળી, આ રંગ ભીના ભમરાને, મને છેડી ગયો રે નંદલાલા તથા આજનું આ ગીત ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો …! કૌમુદી મુનશીએ જવાહર બક્ષીની ગઝલો ખૂબ સરસ ગાઈ છે તથા ઠૂમરી અને ઉત્તર પ્રદેશનાં લોકગીતોમાં તો એમની માસ્ટરી છે જ.

આવતા ફેબ્રુઆરીમાં ૯૧ વર્ષ પૂરાં કરીને ૯૨માં વર્ષમાં પ્રવેશનાર કૌમુદી મુનશીનો જીવનમંત્ર પોતે જ આ શેર દ્વારા અભિવ્યક્ત કરે છે; ઉમ્ર કા બઢના તો દસ્તૂર-એ-જહાં હૈ, મેહસૂસ ન કરો તો બુઢાપા કહાં હૈ?

સાચે જ, જીવન જીવવાની કલા કૌમુદી મુનશી પાસેથી શીખવા જેવી છે. એમનાં દરેક ગીત ઉપર એક એક આર્ટિકલ થઈ શકે એવાં સુંદર ગીતો એમણે ગાયાં છે.

આજે જે ગીત વિશે વાત કરવી છે એ નિનુ મઝુમદાર રચિત ગીત છે, ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે, અડધી ભાતે રે મારો સાયબો રિસાયો કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે …!

ગીતકાર-સંગીતકાર અને ગાયક એ ત્રણે કળાનું કોમ્બિનેશન ભાગ્યે જ કોઈમાં એક સાથે જોવા મળે, એ નિનુ મઝુમદારમાં હતું એટલે જ અવિનાશ વ્યાસે એમને ‘બિલિપત્ર’નું બિરુદ આપ્યું હતું. ઉસ્તાદ ફૈયાઝખાં તથા ઉસ્તાદ ઇમામ અલીખાંના શિષ્ય નિનુ મઝુમદાર વડોદરાના જમીનદાર નાગર કુટુંબનું સંતાન હતા. તેમનું મૂળ નામ નિરંજન મઝુમદાર હતું.

નિનુ મઝુમદારે લખેલું અને સ્વરબદ્ધ કરેલું આ ગીત વિરહનું ગીત છે. નાયિકાએ ચોર્યાસી રંગનો સાથિયો તો પૂર્યો પણ સાથિયાનો મુખ્ય લાલ રંગ જ ન હોવાથી સાથિયો અધૂરો રહી જાય છે. આ અધૂરપ અધવચ્ચે છૂટી ગયેલા સંબંધની, મનગમતા સાથની છે. જે વ્યક્તિની સાથે રતુંબલ જીવનનાં સપનાં જોયાં હતાં એ જીવન કસુંબલ રંગમાં ફેરવાઈ ગયું!

સ્ત્રી કોઈને ચાહે છે ત્યારે સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. એના મનોજગતમાં કલ્પનાના અનેક રંગો પૂરતી હોય છે. એના ભાવ વિશ્વમાં માત્ર એક જ છબિ હોય છે, પોતાના પ્રિયતમની. જેના દર્શનની એકમાત્ર ઝાંખીથી પણ એ પરિતૃપ્ત થઈ જતી હોય એ સાયબો સદાને માટે વિખૂટો થઈ જાય ત્યારે એ સ્ત્રીની પરિસ્થિતિ કેવી વિકટ થઈ જાય એ દર્શાવતું આ ગીત હૃદયસ્પર્શી રાગ ભૈરવીમાં કમ્પોઝ કરવામાં આવ્યું છે. પ્રેમ તૂટી જાય ત્યારે પ્રેમિકા સાવ તૂટી જાય છે. પ્રેમ પાછો મેળવવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

વ્હાલો સાયબો ક્યાં ચાલી ગયો છે એ શોધવા જાણભેદુને દોડાવવામાં આવે છે, પરંતુ એ ય સોગિયો સંદેશ લઈને પાછો ફરે છે. છેલ્લી પંક્તિઓમાં તો કવિએ જબરજસ્ત પરાકાષ્ઠા દર્શાવી છે. ‘પરદેશ’ પહોંચીને વ્હાલાએ ખૂટતો રંગ તો મોકલાવ્યો પણ એ રંગ નીકળ્યો જોગિયો એટલે કે વિરક્તિનો રંગ ભગવો. આ રંગ પછી તો જાણે વિરહિણીના અંગે અંગ આગ થઈને ફૂટ્યો! આ ગીતમાં કહેવાયેલી કથા કેટલી ય અધૂરી પ્રેમકહાણીનો વિષય બની ચૂકી છે પરંતુ, કવિએ આખી વાત એકમાત્ર રંગના માધ્યમે રજૂ કરીને અનોખી ભાત પાડી છે.

સ્ત્રી સંવેદનાનું આ અદ્દભુત ગીત છે. છિછરાં ગીતોથી દૂર રહી માત્ર ગરિમાપૂર્ણ ગીતોને જ પ્રાધાન્ય આપતાં કૌમુદી મુનશી આ ગીત વિશે કહે છે, "મારાં ગમતાં ગીતોમાંનું આ એક ગીત છે. સુગમ સંગીતમાં ફક્ત ત્રણ-ચાર મિનિટમાં જ આખા ગીતને ન્યાય આપવાનો હોય છે. ગીત ભાવપૂર્ણ ન હોય તો એની મજા જ ન આવે. હું હંમેશાં કહેતી હોઉં છું કે ગીતમાં કહન હોવું જોઈએ. આ ગીતમાં વિરહનો ભાવ શ્રોતાના ભાવજગતને હૃદયના મર્મસ્થાન સુધી ઢંઢોળે છે. પ્રેમી અને પ્રેમિકા વચ્ચે જનમોજનમની પ્રીત હોય એવો પ્રેમ છે. ચોર્યાસી લાખ ફેરાની વાત આમાં કવિએ વણી લીધી છે. કવિનું અનુભવવિશ્વ વિશાળ હોય છે. સમાજમાં અનેક પ્રકારની પ્રણયઘટનાઓ બનતી હોય છે જેમાં એકતરફી પ્રેમની વાત બહુ સ્વાભાવિક છે.

પ્રિયજન છોડીને જાય એ વ્યથા જેણે અનુભવી હોય એ જ જાણે. ગીતમાં આ અધૂરા પ્રેમની વાત જ કહેવાઈ છે. પ્રિયતમાનો ત્યાગ કરીને પિયુ પરદેશ ચાલી જાય છે ત્યારે અત્યંત વ્યથિત થયેલી નાયિકા એના સગડ મેળવવા જાણભેદુને મોકલે છે તો એ ય સોગિયો એટલે કે શોક સંદેશ લઈને જ આવે છે. પ્રેમના જે લાલ રંગની અપેક્ષા હતી એને બદલે એ ત્યાગ-વિયોગ-વિરક્તિનો ભગવો રંગ મોકલે છે. સ્ત્રી એવી આશામાં છે કે મેઘધનુ ભાતની રંગોળીમાં પ્રેમનો લાલ રંગ ઊડીને આંખે વળગે એવો હોવો જોઈએ જ્યારે અહીં તો આખેઆખો એ લાલ રંગ જ ખૂટે છે.

મેં આ વ્યથાને મારા કંઠ દ્વારા વ્યક્ત કરી છે. ગાયકે ગીતના શબ્દોની પાંખો બનવાનું હોય, કવિની અભિવ્યક્તિને ઉજાગર કરવાની હોય છે. દરેક ગાયકને ઉપયોગી એવી બહુ સાચી વાત કહી છે કૌમુદીબહેને.

કૌમુદી મુનશીના ચાહકો અને સુગમ સંગીતના ભાવકો આ ગીતથી પરિચિત હશે જ. યુટ્યુબ ઉપર તમને આ ગીત ફરી સાંભળવું ગમશે. ગો ફોર ઈટ!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 19 ડિસેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=616603  

Loading

20 December 2019 admin
← ભારતનાં બંધારણના ઘડવૈયા ન ગાંધીવાદી હતા, ન નહેરુવાદી
નદી →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved