Opinion Magazine
Number of visits: 9449011
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાઇનીઝ ચીજોનો બહિષ્કાર : હોંશ અને હકીકત

બીરેન કોઠારી|Opinion - Opinion|7 July 2020

“અરે! આ શું? આને તું આલુ પરાઠા કહે છે? આમાં તને ક્યાં ય આલુ દેખાય છે?”

“કેવી વાહિયાત વાત કરો છો? કશ્મીરી પુલાવમાં તમને કશ્મીર દેખાય છે કદી? ચૂપચાપ ખાઈ લો.”

પતિ-પત્ની વચ્ચેના સંવાદનો આ છે તો સાવ ઘસાઈ ગયેલો ટુચકો, પણ ટુચકા વાસ્તવિકતા બને એના જેવી કરુણતા બીજી એકે નહીં. ચીન દ્વારા સરહદે કરાતી અવળચંડાઈઓને પગલે ચીની બનાવટની ચીજ-વસ્તુઓના બહિષ્કારનું મોજું આવ્યું. લદ્દાખના સંશોધક ઈજનેર સોનમ વાંગચૂકનો, પોતાના ફોનમાંથી તમામ ચીની એપ તેમ જ અન્ય કાર્યક્રમોને કાઢી નાખવાની અપીલનો વીડિયો સંદેશ ફરતો થયો. તેમણે બહુ તાર્કિક રીતે તબક્કાવાર ચીની ચીજવસ્તુઓનો ઉપયોગ બંધ કરતા જવાની અપીલ કરી. ચીન સાથેની તંગદિલી વધી, ભારતીય જવાનો શહીદ થયા. એ વખતે અતિ ઉત્સાહમાં આવી ગયેલા એક કેન્દ્રીય પ્રધાને ‘ચાઈનીઝ ફૂડ’નો બહિષ્કાર કરવાની અપીલ કરી. આવા તંગ, કંઈક અંશે ચિંતાજનક વાતાવરણમાં પણ તેમણે ઠીક રમૂજ પૂરી પાડી.

કોઈ રમૂજ અને એ પણ આવી સરળ, બાળબોધી રમૂજ, આમ તો સમજાવવી પડે તો એમાંનું તત્ત્વ ગાયબ થઈ જાય. છતાં વર્તમાન સમયની તાસીર ધ્યાનમાં રાખીને એ જણાવવું જરૂરી બની રહે છે કે ‘ચાઈનીઝ ફૂડ’ તરીકે ઓળખાતી ચીની વાનગીઓ ખરેખર તો સ્થાનિક હોય છે. તેનું એટલી હદે સ્થાનિકીકરણ કરવામાં આવેલું હોય છે કે જે પ્રાંત કે દેશના નામે તેની ઓળખ હોય ત્યાંના લોકો પણ એને ઓળખી ન શકે. આપણે ત્યાં બનતી ઈટાલિયન, ચાઈનીઝ, મેક્સિકન કે એવી અન્ય દેશીય નામધારી વાનગીઓ શું ખરેખર જે તે દેશમાંથી મંગાવવામાં આવે છે? પણ હોય, દેશપ્રેમના પ્રદર્શનના અતિરેકમાં આવું બોલાઈ જાય ! આપણે મંત્રીશ્રીના શબ્દોને નહીં, તેની પાછળ રહેલા ભાવને સમજવાનો છે. અલબત્ત, બેએક મહિના અગાઉ આ જ મંત્રી મહાશયે એક સભામાં ‘ગો કોરોના, ગો!’ મંત્રનો જાપ કર્યો ત્યારે ય તે હાંસીને પાત્ર બન્યા હતા. ત્યાં પણ તેમના શબ્દો પાછળ રહેલા ભાવને જ પકડવો રહ્યો.

ચીનને સબક શીખવવા માટે આપણા નેતાઓ જનતાને પાનો ચડાવે અને ચીની ચીજવસ્તુઓના બહિષ્કારની અપીલ કરે ત્યારે કેટલીક વાસ્તવિકતાઓ નાગરિક તરીકે આપણે જાણી લેવી જોઈએ. અગાઉ 2017માં, એક નવી, દેશી કંપની ‘એસ.એમ.પી.પી. લિમિટેડ’ને કુલ 1.86 લાખ બુલેટપ્રૂફ જૅકેટ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. એ માટેનો કાચો માલ ચીનથી આયાત કરવાનો હતો. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સંસદમાં જણાવ્યું હતું કે ચીનથી આયાત કરવામાં આવતા કાચા માલ પર કોઈ પ્રતિબંધ નથી. અલબત્ત, હવે બદલાયેલી પરિસ્થિતિમાં આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે એમ નીતિ આયોગના સભ્ય અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના ભૂતપૂર્વ વડા વી.કે. સારસ્વતે જણાવ્યું હતું. રક્ષણાત્મક સાધનો બનાવવામાં તેમ જ ટેલીકોમ જેવા ક્ષેત્રે આની ખાસ જરૂર હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.

બુલેટપ્રૂફ જેકેટ માટે સામાન્ય રીતે વપરાતું ‘હાઇ પરફોર્મન્સ પોલિઇથિલીન’ (એચ.પી.પી.ઇ.) ચીનથી મંગાવવામાં આવે છે. રક્ષાત્મક ઉપકરણો બનાવતા તમામ ઉત્પાદકો મોટે ભાગે ચીનથી જ તેની આયાત કરે છે. આ ઉપરાંત બોરોન કાર્બાઇડ તેમ જ અન્ય જરૂરી સામગ્રી પણ ચીનથી આયાત કરવામાં આવે છે. આનું મુખ્ય કારણ કિફાયતી કિંમત છે. કાનપુરસ્થિત ‘એમ.કે.યુ.’ના મેનેજિંગ ડિરેક્ટર નીરજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, અન્ય આંતરરાષ્ટ્રીય દરની સરખામણીએ ચીની બનાવટનો કાચો માલ 60થી 70 ટકા સસ્તો હોય છે. આ તમામ આયાત બંધ કરવી હોય તો સૌ પહેલાં દેશમાં તેનો સબળ વિકલ્પ વિકસાવવો પડે.

‘કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ’ દ્વારા ચીની બનાવટની પાંચસો ચીજોની યાદી બહાર પાડવામાં આવી છે કે જે બહિષ્કારને લાયક છે. આ યાદીમાં કપડાં, રમકડાં, પગરખાં, રસોડાની ચીજોથી લઈને વિવિધ પ્રકારની ચીજોનો સમાવેશ થાય છે. ભારત સરકારે વિવિધ કામો માટે ચીની કંપનીઓને કંત્રાટ આપ્યા હોય એ અલગ. સરકારના વાણિજ્ય વિભાગના આંકડા અનુસાર રમતગમતનાં સાધનોમાંની અડધા કરતાં વધુ આયાત ચીનથી થાય છે અને તેનું કારણ માત્ર કિફાયત કિંમત નથી, બલકે ગુણવત્તા પણ ખરી. આથી સૌ પ્રથમ આવાં ઉત્પાદનો દેશમાં બનાવવા માટે, તેની ગુણવત્તા જાળવવા માટે માળખું ઊભું કરવું પડે. આવેશ કે દેશપ્રેમના નામે કરાયેલા બહિષ્કારથી એ થઈ ન શકે. આવા ટાણે નાગરિકોને દેશપ્રેમનો પાનો ચડાવનાર નેતાઓ પોતે શેનો બહિષ્કાર કરે છે એ તેઓ જણાવતા નથી.

એ હકીકત છે કે સૈનિકો, શહીદો અને સૈન્ય આપણા નેતાઓના પ્રિય મુદ્દા રહ્યા છે. આ બાબતે રાજનીતિ ન રમવાની અપીલ તેઓ વખતોવખત કરતા રહે છે, પણ આ મુદ્દે તેમનાથી વધુ રાજનીતિ બીજું કોણ રમતું હશે એ મોટો સવાલ છે. દેશવાસીઓની ભાવનાને દેશપ્રેમ કે રાષ્ટ્રવાદના ઓઠા હેઠળ ભડકાવવી એક વાત છે અને ખરેખરાં, નક્કર પગલાં લેવાં એ બીજી વાત છે. ભલે આવેશમાં, પણ આ રીતે કરાયેલા બહિષ્કારથી ચીની અર્થતંત્રને વિપરીત અસર થતી હોય તો, પોતાને સોંપાયેલા વધુ એક ટાસ્ક લેખે પણ મોટા ભાગના નાગરિકો એ હોંશે હોંશે કરશે. તેની સામે, જેમણે ખરેખર કરવાનું છે એવા નેતાઓ જ્યાં અને જે કરવાનું છે એ યોગ્ય રીતે કરે એ અપેક્ષિત છે. અત્યાર સુધી તો એવાં કોઈ લક્ષણ કળાયાં નથી. હવે તો એમ લાગે છે કે બીજું કશું કરવામાં ન આવે અને વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં આવે તો એ પણ નાગરિકો પર કરાયેલો મોટો ઉપકાર હશે. ઉત્સાહના અતિરેકમાં ‘ચાઈનીઝ ફૂડ’ની લારીઓ કે રેસ્તોરાં તે પરાણે બંધ ન કરાવે તો એ પણ દેશસેવા જ ગણાશે.

એટલું ખરું કે હવે સત્તાધારી પક્ષ પોતાની જૂની રીતરસમ મુજબ ‘સરહદ પર સૈનિકો મરતા હતા ત્યારે તમે ક્યાં હતા?’ એમ કોઈને પૂછીને ચૂપ કરી શકે એમ નથી.

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 04-05 

Loading

7 July 2020 admin
← ભારતમાં બેડરૂમથી લઇને બોર્ડરૂમ સુધી કાળી ચામડી પ્રત્યે ભેદભાવ એકદમ સ્પષ્ટ છે
‘ધ લાસ્ટ એક્ઝિટ’ … ધાર્મિક સંદર્ભે મૃત્યુ વિષયક વિચારણા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved