Opinion Magazine
Number of visits: 9446896
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીન દરેક પ્રકારની ‘બનાવટ’માં નામચીન છે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 June 2020

૧૫ જૂને ગલવાન ખીણમાં ચીન સાથેની અથડામણમાં ભારતના ૨૦ જવાનો માર્યા ગયા એ હકીકત છે. એની આસપાસ સરકાર અને વિપક્ષ અત્યારે દાંડિયા રાસ રમી રહ્યાં હોય એવું લાગે છે. સરકાર કહે છે કે સ્થિતિ પૂર્વવત છે – ચીને ઘૂસણખોરી કરી નથી અને ભારતીય ચોકી પર ભારતનો જ કબજો છે. વિપક્ષનું કહેવું છે કે સ્થિતિ પૂર્વવત્‌ છે તો ૨૦ સૈનિકો મર્યા કેમ કરતા? વિપક્ષ તો ત્યાં સુધી કહે છે કે સરકારે ગલવાન ખીણ પરનો કબજો પણ જતો કર્યો છે. એ સાચું હોય તો તે ગંભીર ગણાય. હવે આ સમય વાદ-વિવાદનો નથી. વિપક્ષે સરકારની સાથે હોવાની ખાતરી આપી હોય તો સરકારે પણ વિપક્ષને વિશ્વાસમાં લઈને સાચી હકીકત જણાવવી જોઈએ. આપણે દેશની અખંડતા અને એકતાની છાશવારે દુહાઈઓ દેતા હોઈએ ત્યારે આ સમય એકતા અને અખંડતા સિદ્ધ કરવાનો છે. અનેક મતભેદો જ કેમ ન હોય, અત્યારની યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દેશ એક અને અખંડ છે એની શત્રુને ભારતે પ્રતીતિ કરાવવી જ જોઈએ. આ સમય ખોખલાં સૂત્રોનો કે બનાવટી જાહેરાતોનો નથી. કશુંક નક્કર અને વિશ્વસનીય હોય તે અત્યારના સમયમાં અત્યંત જરૂરી છે.

આપણી કમનસીબી એ છે કે આપણને પડોશીઓ નિર્લજ્જ અને સ્વાર્થી મળ્યા છે. પાકિસ્તાન જન્મ્યું ત્યારથી ભારત સાથે નાનામોટા સંઘર્ષોમાં જ રત રહ્યું છે. તેની આતંકી પ્રવૃત્તિથી તે જગત આખામાં વખોડાયેલું છે. તાજેતરમાં જ ભારતે પાકિસ્તાનનું એક ચાઈના મેઈડ હથિયાર ભરેલું ડ્રોન તોડી પાડ્યું છે. પાકિસ્તાને ભારતને પજવવામાં જેટલો સમય કાઢ્યો છે એટલો સમય તે પોતાના વિકાસમાં ગંભીરતાથી સક્રિય રહ્યું હોત તો અમેરિકા કે ચીનની ભીખ પર ટકવાનો વારો ન આવ્યો હોત, પણ તે પરોપજીવી જ છે ને બીજાનાં મૂળિયાં ચૂસીને જ તે જીવે છે. આમ તો તેનું નામ પાક છે, પણ તે બધી રીતે નાપાક છે તે દુનિયા જાણે છે. આપણું બીજું પડોશી તે ચીન. પહેલા વડાપ્રધાન નહેરુએ ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’નો સંનિષ્ઠ પ્રયત્ન કરેલો, પણ ૧૯૬૨માં ચીને ભારતનો વિશ્વાસઘાત કરીને તેને ખરાબ રીતે હરાવ્યું અને ત્યારથી તેની સરહદી મામલે કનડગત વધતી જ રહી છે. સરહદી સંઘર્ષો ન વધે એટલે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ નક્કી કરવામાં આવી ને બંને દેશોએ તે માન્ય પણ રાખી, છતાં ચીન વારંવાર તેની જાત બતાવતું જ રહ્યું છે. તેણે અરુણાચલ, ડોક્લામ અને હવે ગલવાનને ચર્ચામાં આણ્યા છે. તેની નજર અંદામાન ટાપુ પર પણ છે. તેની દાનત ટાપુઓ પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાની છે. તેનું એક માત્ર લક્ષ્ય જમીન હડપીને હરામનું સામ્રાજ્ય વિસ્તારવાનું છે ને તેની ભયંકર ઈચ્છા મહાસત્તા બનવાની છે જે પાર પાડવા ગમે તે હદે તે જઈ શકે તેમ છે. તેને મોરલ સિવાય બધું જ છે. જ્યાં તે સરહદોમાં ઘૂસી શકે તેમ નથી, ત્યાં તે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘૂસ્યું છે ને બીજો ખતરનાક વેપલો તેણે કોરોનાને વિશ્વભરમાં ફેલાવીને વૈશ્વિક ઇકોનોમીને તોડવાનો કર્યો છે. અમેરિકાએ તો તેને ચેતવણી આપી જ છે કે તેણે વૈશ્વિક પડકાર ઝીલવા તૈયાર રહેવાનું છે. આજે આખું વિશ્વ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે તેને માટે કેવળ ને કેવળ ચીન જ જવાબદાર છે.

આખું વિશ્વ મહામારીમાં સપડાયું છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી, એવામાં ચીને ગલવાન વિસ્તારને છંછેડીને ભારતને હેરાન કરવાનો નિષ્ઠુર પ્રયત્ન કર્યો છે. ચીન સીધું યુદ્ધ કરી શકે એમ નથી. કારણ કોરોના કાળની અસરોથી તે પણ મુક્ત નથી. આવામાં તે યુદ્ધનું જોખમ ઉઠાવે તો આર્થિક રીતે તે પણ પાયમાલ થાય ને મહાસત્તા બનવાનું તેનું સ્વપ્ન રોળાય. તે અત્યારે આર્થિક રીતે સમૃદ્ધ રહેવા માંગે છે. એવામાં તે યુદ્ધ છેડે તો તેણે આર્થિક પછડાટ પણ અનુભવવાની આવે ને એ તેને મંજૂર ન જ હોય, એટલે તે છમકલાંઓ કરીને જે હાથ લાગે તે ગજવે ઘાલવામાં માને છે. ચીન મેલી મુરાદવાળો ભેદી દેશ છે. કશું પણ તેની વિરુદ્ધ જાય એવું લાગે તો તેનો તે તરત નિકાલ કરે છે. કોરોનાની વાત બહાર લઈ જનાર પત્રકારોને તેણે કાયમી ધોરણે ગુમ કરી દીધા છે એટલે ચીન વિશ્વથી ચામડી કેમ બચાવાય તે બરાબર જાણે છે. તે પોતાની ઉપર જ કુંડળી મારીને એવી રીતે બેઠું છે કે તેની કોઈ વાત બહાર ન જાય.

ચીન ભારત સાથે સરહદે બગાડે છે, તેટલું તે બજારોમાં બગાડી શકે એમ નથી. તે ભારતના બજારોમાં નસેનસમાં ફેલાયેલું છે. ભારતનું બજાર ગુમાવવાનું ચીનને પરવડે એમ નથી, એટલે પણ તે સીધું યુદ્ધ ન જ કરે. કોઈ પણ દેશને ભારતનું બજાર ગુમાવવાનું પરવડે એમ નથી, કારણ આટલું મોટું બજાર બીજા કોઈ દેશને નથી. ચીનનું બજાર ખરું, પણ તે વેચવામાં વધારે ને ખરીદવામાં ઓછું જ માને છે. ભારતે વિદેશી રોકાણને આવકાર્યું છે એટલે વિદેશી કંપનીઓ અહીં વસ્તુઓ બનાવે છે ને અહીં જ વેચે પણ છે. મેઈડ ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ મેઈક ઇન ઇન્ડિયામાં બદલાયેલો છે. આ બધામાં આત્મનિર્ભર ભારતનો વિચાર તો છેક લોકડાઉન ૪માં પ્રચારમાં આવ્યો. ત્યાં સુધીમાં તો ચીનને રમકડડે, ટી.વી.એ ભારત તો ક્યારનું ય રમતું થઈ ગયું છે ને અત્યારે તો ભારતીયો મન્ચૂરિયનથી મોબાઈલ સુધીનું ઘણુબધું ચીન બાથમાં લઈને બેઠા છે.

આવામાં ગલવાનની ઘટના બની છે.

લોકોને એકાએક ભાન થયું છે કે જે ચીનની આટલી બધી વસ્તુઓ અમે ભારતીયો વાપરીને તેની હોજરી ભરીએ છીએ એ જ અમારા ૨૦ સૈનિકોનો ભોગ લે? યે તો બહુત ના ઈન્સાફી હૈ. ને કેટલાકે તો માળ પરથી ચીની ટી.વી.ના નીચે ઘા કરી દીધા. કેટલાકે ચીની મોબાઈલની, માલસામાનની રસ્તા પર હોળી કરી દીધી. કેટલાકે ચીની આઇટેમ ખાવાનું બંધ કરી દીધું. આ બધું હજી ચાલશે. સચિનની એક કંપનીએ ચીન સાથેનો અગિયાર વર્ષથી ચાલતો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો. ભારતીય રેલવેએ ચીન સાથેના કરારનો અંત આણ્યો. રાજકોટ બિલ્ડર્સ એસોસિયેશને ચીની બનાવટનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. એવો અંદાજ છે કે ચીની વસ્તુનાં બહિષ્કારથી ચીનને ૧૭ અબજ ડોલરનો ફટકો પડશે. તો, આ એક સારી વાત છે, પણ અધૂરી છે ને એમાં વિચારની ગંભીરતા ઓછી છે. આ બહિષ્કારમાં ઉતાવળ ને ઉશ્કેરાટ વધારે છે એટલે એ ઝાઝું ન ટકે.

ભારત ગુલામ હતું ત્યારે વિદેશી કાપડની હોળી થતી ને એ રીતે વિદેશી શાસનનો વિરોધ પ્રજા કરતી. એમાં પણ વિદેશી કાપડનો ધૂમાડો યોગ્ય નો’તો જ. કારણ એ કાપડ મફત તો આવતું નો’તું. એના પૈસા તો આ દેશના વ્યાપારીઓએ ચૂકવ્યા જ હતા. એને બાળવાથી નુકસાન અંગ્રેજ સરકારને નહીં, પણ ભારતીય નાગરિકોને જ થતું હતું, પણ પ્રજામાં ઉશ્કેરાટ હતો. ઉશ્કેરાટનું કારણ દેશભક્તિ હતું, પણ તેનું પરિણામ આર્થિક હાનિમાં આવતું હતું. એ એક મુદ્દે રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી વચ્ચે મતભેદો હતા. ટાગોર વિદેશી કાપડની હોળી કરવાના મતના ન હતા. એ વાત હું ભૂલતો ન હોઉં તો ટાગોરે તેમની નવલકથા ‘ઘરેબાહિરે’માં કરી છે.

એક વાત સાફ છે કે ચીની ચીજવસ્તુઓનો બહિષ્કાર જો ભારત ગંભીરતાથી કરે તો તેનું રૂડું પરિણામ મળે જ મળે. ચીનને પાઠ ભણાવવાની જરૂર છે જ, પણ આપણો વિરોધ આપણું નુકસાન કરનારો તો ન જ હોયને! ગલવાનની ઘટના તો ૧૫ જૂને થઈ ને ટી.વી. મેં ગયા ડિસેમ્બરમાં લીધું હોય તો તે તોડવાથી નુકસાન ચીનનું નહીં, ભારતનું થાય છે, કારણ પૈસા તો મેં ચૂકવી દીધા છે ને ચીને જે કમાણી કરવાની હતી તે તો મારા પૈસામાંથી કરી જ લીધી છે. મન્ચૂરિયનનો બહિષ્કાર સારી વાત છે, પણ એનો બહિષ્કાર કરીને હું બહિષ્કાર તો ભારતનો જ કરું છું. કારણ એ બનાવનાર ભારતીય છે. એમાં વપરાતી સામગ્રી ભારતીય છે. એટલે આવા બહિષ્કારનો અર્થ નથી.

ખરેખર તો ભારત સરકારે ચીની આયાત પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી ચીની આઇટેમ ભારતમાં પ્રવેશે જ નહીં. ભારત તેની કુલ આયાતમાંથી ૨૬ ટકા આયાત ચીનથી કરે છે. એ આયાત પર પ્રતિબંધ મૂકાય તો તે બહિષ્કાર યોગ્ય ઠરે અને તેનું પરિણામ પણ મળે. બીજો માર્ગ છે તે બીજા દેશો દ્વારા ચીનનો બહિષ્કાર.જે દેશો ભારતના મિત્રો છે તેમને ચીની વસ્તુઓના બહિષ્કાર માટે ભારતે તૈયાર કરવા પડે. આમ પણ ઘણા દેશો કોરોનાને કારણે ચીનથી વાજ આવી ગયા છે એમને ભારત સહેલાઈથી સમજાવી શકે. જો એટલું થાય તો ચીનની હાલત ખરાબ થયા વિના ન રહે. ચીનને પાઠ ભણાવવાનો આ એક ઉત્તમ માર્ગ છે ને ભારતે એ દિશામાં ગંભીરતાથી વિચારવું જોઈએ એવું નથી લાગતું?

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામે લેખકની કટાર, “ધબકાર”, 22 જૂન 2020

Loading

22 June 2020 admin
← પુરુષોએ સ્ત્રીઓને પોતાની મિત્ર સમજવી જોઈએ
મુશ્કેલ સમયમાં (26) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved