Opinion Magazine
Number of visits: 9449441
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—74

દીપક મહેતા|Opinion - Opinion|12 December 2020

પહેલું ગુજરાતી અખબાર અને સામયિક શરૂ થયેલાં મુંબઈમાં

મુંબઈમાં ત્રણ ગુજરાતી અખબાર શરૂ થયા પછી શરૂ થયું પહેલું મરાઠી છાપું

પહેલું મરાઠી અખબાર છપાયું હતું એક ગુજરાતીના પ્રેસમાં

૧૮૧૨માં શરૂ કરેલું છાપખાનું દસ વરસમાં તો આખા મુંબઈ શહેરમાં જાણીતું થઇ ગયું હતું અને ધમધોકાર ચાલતું હતું. પણ ફરદુનજી શેઠનો જીવ બેચેન. હવે નવું શું કરવું? અને પારસીઓ કહે તેમ ફરદુનજીના ભેજામાં એક નવો કીડો ચવડી આયો, ગુજરાતી છાપું કાઢવાનો. આપણા દેશમાં અખબારની શરૂઆત બંગાળથી થઇ. ૧૭૮૦ના જાન્યુઆરીની ૨૯મી તારીખે શરૂ થયેલ ‘બેન્ગાલ ગેઝેટ’ એ આપણા દેશનું પહેલવહેલું અખબાર. તેમાંથી પ્રેરણા લઈને ૧૭૮૫ના ઓક્ટોબરની ૧૨મી તારીખે મદ્રાસ(આજનું ચેન્નાઈ)થી શરૂ થયું ‘મદ્રાસ કુરિયર’. મુંબઈનો નંબર ત્રીજો. ૧૭૮૯માં શરૂ થયું ‘બોમ્બે હેરાલ્ડ.’ ૨૦મી સદીના બીજા દાયકા સુધી તે ચાલતું હતું. આ અખબારના બધા સ્થાપકો અંગ્રેજ હતા. તેમાં એક બાજુથી પત્રકાર અને બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય જેમ્સ મેકેન્ઝી મેકક્લીનનો સમાવેશ થતો હતો તો બીજી બાજુથી બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ ફ્રેંક બિમન(પછીથી સર બિમન)નો પણ સમાવેશ થતો હતો. કોઈ પણ અદાલાતના કોઈ પણ ન્યાયાધીશ આવી કોઈ જાહેર પ્રવૃત્તિ સાથે જોડાય એવી આજે તો કલ્પના પણ ન થઇ શકે. પણ એ જમાનામાં એવો બાધ નહોતો. ૧૭૯૧માં તેનું નામ બદલાયું. નવું નામ ‘બોમ્બે ગેઝેટ.’ ૧૯૧૧માં સર ફિરોઝશાહ મહેતા અને બેન્જામિન હોર્નિમેને આ છાપું ખરીદવાનો પ્રયત્ન કરેલો પણ સર ફ્રેંક બિમને એ પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો. એટલે પછી એ બન્નેએ ૧૯૧૩માં ‘બોમ્બે ક્રોનિકલ’ શરૂ કર્યું.

મુંબઈ ઈલાકાનું પહેલવહેલું અખબાર ‘ધ બોમ્બે ગેઝેટ’ 

અંગ્રેજી અખબારો જોઇને ‘દેશી’ ભાષાઓમાં પણ અખબાર નીકળવા લાગ્યાં. ૧૮૧૮માં સિરામપુરથી શરૂ થયેલું બંગાળી ભાષાનું ‘સમાચાર દર્પણ’ એ ‘દેશી’ ભાષાઓમાં પહેલવહેલું છાપું. તે પછી ઊર્દૂ, હિન્દી, તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ, વગેરે ભાષાઓમાં અખબાર પ્રગટ થયાં. ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખથી ફરદુનજીએ શરૂ કર્યું ‘શ્રી મુમબઈનાં શમાચાર.’ ગુજરાતી ભાષાનું તે પહેલવહેલું અખબાર. એ પછી છેક દસ વરસે મરાઠી ભાષાનું પહેલું અખબાર ‘દર્પણ’ મુંબઈથી શરૂ થયું. પણ આમ થવાનું કારણ શુ? પહેલું કારણ એ કે એ વખતે મુંબઈમાં મરાઠી કરતાં ગુજરાતી છાપકામ માટેની સગવડો વધુ હતી. એ ક્ષેત્રે પારસીઓએ પહેલ કરેલી એટલું જ નહિ, પછીનાં વારસોમાં છાપકામનો સારો એવો વિકાસ કર્યો હતો. બીજું કારણ એ કે એ વખતે પણ મુંબઈમાં સારા એવા પ્રમાણમાં ગુજરાતી વેપારીઓ હતા, જે વાંચી-લખી શકતા હતા. તેમને દેશના અને દેશાવરોના વેપાર અંગેના સમાચારો જાણવામાં રસ હતો. આથી જ ૧૯મી સદીનાં બધાં ગુજરાતી છાપાંમાં વેપાર-ધંધા અંગેના સમાચારોને ખાસ મહત્ત્વ અપાતું. ૧૯મી સદીમાં શરૂ થયેલાં લગભગ બધાં ગુજરાતી છાપાં અંગ્રેજીમાં મજકૂર ભાગ્યે જ છાપતાં. જ્યારે ૧૮૩૨માં  બાળશાસ્ત્રી જાંભેકરે શરૂ કરેલું ‘દર્પણ’ દ્વિભાષી હતું, તેમાં મજકૂર બે કોલમમાં સામસામે અંગ્રેજી અને મરાઠીમાં છપાતો. તેનો પહેલો અંક ૧૮૩૨ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે પ્રગટ થયો. અને એ છપાયો ક્યાં હતો, ખબર છે? કાવસજી નામના ગુજરાતીના કાલબાદેવી રોડ પર આવેલા ‘મેસેન્જર પ્રેસ’માં! એ પછી પણ તે ‘બોમ્બે કુરિયર’ પ્રેસમાં છપાતું હતું.

૧૮૩૨માં શરૂ થયેલું પહેલું મરાઠી અખબાર ‘દર્પણ’

બાળશાસ્ત્રી જાંભેકરનો જન્મ ૧૮૧૨માં. માત્ર ૩૪ વરસની ઉંમરે ૧૮૪૬ના મે મહિનાની ૧૭મી તારીખે અવસાન. જન્મ રત્નાગિરિ જિલ્લાના એક ગામડામાં. મુંબઈ આવીને અંગ્રેજી, સંસ્કૃત અને બીજી ભાષાઓ શીખ્યા. તેઓ મરાઠી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, કન્નડ, બંગાળી, ગ્રીક, લેટિન, અંગ્રેજી, અને ફ્રેંચ જેવી ભાષા જાણતા હતા. એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઇ ત્યારે તેના બધા અધ્યાપકો અંગ્રેજ હતા, પણ તેમને મદદ કરવા માટે મરાઠી-ગુજરાતી આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક થઇ હતી. જાંભેકાર પહેલા મરાઠી આસિસ્ટન્ટ પ્રોફેસર. મરાઠી ભાષાનું પહેલવહેલું સામયિક ‘દિગ્દર્શન’ પણ તેમણે જ ૧૮૪૦માં શરૂ કર્યું હતું. એ વખતે પશ્ચિમ ભારતમાં ચાલી રહેલી સમાજ સુધારાની ચળવળના તેઓ સમર્થ ટેકેદાર હતા. બાળશાસ્ત્રીની જન્મ તારીખ તો કોઈને ખબર નથી, પણ ‘દર્પણ’ પત્ર તેમણે છઠ્ઠી જાન્યુઆરીએ શરૂ કરેલું એટલે છેલ્લાં ઘણાં વર્ષોથી મહારાષ્ટ્ર સરકાર એ દિવસને ‘મરાઠી પત્રકારિત્વ દિવસ’ તરીકે ઉજવે છે.

બાળશાસ્ત્રી જાંભેકર

એ જમાનાના મુંબઈની આજે તો કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. એ વખતે લોકલ ટ્રેન, બસ, મોટર, કે ટ્રામ જેવાં વાહનો નહોતાં. નહોતી તાર, ટપાલ કે ટેલિફોનની સગવડ. હજી ઈલેક્ટ્રીસિટી જ આવી નહોતી એટલે વીજળીથી ચાલતાં કોઈ યંત્રો નહોતાં. રસ્તાઓ ધૂળિયા અને સાંકડા હતા. નહોતી યુનિવર્સિટી કે નહોતી કોલેજો. આજે તો જોતજોતામાં હજારો નકલ છપાઈ જાય એવાં યંત્રો આપણાં છાપાં વાપરે છે. પણ તે વખતે તો છાપવા માટે હાથ વડે ચલાવવાનું લાકડાનું દાબ-યંત્ર વપરાતું. એક-એક પાનાની એક-એક નકલ હાથ વડે છાપવી પડતી. દરેક નકલ છાપતાં પહેલાં બ્રશ વડે ટાઈપના બાંધેલા પાના પર શાહી લગાડવાની. પછી સંભાળીને તેના પર કાગળ મૂકવાનો. પછી લાકડાનો દાબ – પ્રેસ કાગળ પર ફેરવવાનો. છાપખાના માટે અંગ્રેજીમાં ‘પ્રિન્ટીંગ પ્રેસ’ શબ્દ વપરાય છે તેના મૂળમાં આ લાકડાનો દાબ પ્રેસ રહેલો છે. આજે વપરાય છે તેવી તાબડતોબ સૂકાઈ જતી શાહી ત્યારે નહોતી. એટલે એક બાજુ છાપેલા કાગળ પરની શાહી પૂરેપૂરી સુકાઈ જાય પછી તેની બીજી બાજુ પર છાપી શકાતું. આપણા દેશનો ઇતિહાસ ઘણો લાંબો છે, પણ કદાચ એટલે જ ઇતિહાસની ઉપેક્ષા આપણા સ્વભાવમાં વણાઈ ગઈ છે. એટલે એ જમાનામાં વપરાતા દાબ-પ્રેસ તો આપણે ક્યાંથી સાચવ્યા હોય? પણ જર્મનીમાં આવેલા મુદ્રણ અંગેના ગટેનબર્ગ મ્યુઝિયમમાં ૧૯મી સદીના આરંભે વપરાતા યંત્રના નમૂના જોવા મળે છે તેવું જ કોઈ યંત્ર એ વખતે વપરાતું હશે.

લાકડાનો દાબ પ્રેસ

એક ૧૫-૧૬ વરસની ઉંમરનો છોકરડો. નામ હતું નવરોજજી દોરાબજી ચાનદારૂ. છોકરો હતો હોંશીલો અને હોંશિયાર. પહેલાં ફરદુનજી પાસેથી કામ શિએખ્યો. થોડો વખત બોમ્બે ગેઝેટ છાપખાનામાં કામ કરી અંગ્રેજીનો અનુભવ લીધો. પછી ૧૮૩૦માં પોતાનું છાપખાનું શરૂ કર્યું. અને એ જ વરસના સપ્ટેમ્બરની પહેલીથી પોતાનું ‘મુંબઈ વરતમાંન’ નામનું ગુજરાતી અઠવાડિક શરૂ કર્યું. પછી તેનું નામ બદલીને ‘મુંબઈનો હલકારુ અને વરતમાંન’ રાખ્યું. અને ૧૮૩૩ના નવેમ્બરની પહેલી તારીખથી ફરી નામ બદલ્યું, ‘મુંબઈનાં ચાબુક.’ ગુજરાતી ભાષાનું આ બીજું અખબાર, અને તે પણ શરૂ થયું મુંબઈથી. ૧૮૫૯ના મે મહિનાની ૨૭મી તારીખે બાવન વરસની ઉંમરે અવસાન થયું ત્યાં સુધી નવરોજજીએ આ છાપું સંભાળ્યું.

૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખે મુંબઈથી ત્રીજું ગુજરાતી અખબાર શરૂ થયું, ‘શ્રી મુમબાઈનાં જામે જમશેદ.’ એ વખતે મુંબઈમાં પારસી પંચાયત અંગે ઊહાપોહ ચાલી રહ્યો હતો. પંચાયતની વાત પણ લોકો પાસે મૂકવી જોઈએ એમ સર જમશેદજી જીજીભાઈને લાગ્યું. એટલે શરૂ થયું ‘જામે જમશેદ’. જો કે સરસાહેબ પોતે પડદા પાછળ જ રહ્યા, અને પારસી પંચાયતના સેક્રેટરી પેસ્તનજી માણેકજી મોતીવાળાને જ પહેલા તંત્રી તરીકે આગળ કર્યા. એ જમાનામાં અખબારોની માલિકી વખતોવખત બદલાતી રહેતી. એ રીતે આ ત્રણેની માલિકી બદલાતી રહી.

આપણી ભાષાના પત્રકારત્વની વાત કરતી વખતે ઘણુંખરું અમદાવાદથી ૧૮૫૪માં શરૂ થયેલા ‘બુદ્ધિપ્રકાશ’ને પહેલવહેલું માસિક ગણવાનો ચાલ છે. અને અમદાવાદથી પ્રગટ થયેલું એ પહેલું માસિક એની પણ ના નહિ. વળી આજ સુધી તે ચાલુ રહ્યું છે. પણ ગુજરાતી ભાષાનું એ પહેલું માસિક નહિ. એ શરૂ થયું એ પહેલાં પણ મુંબઈથી ગુજરાતી સામયિકો (જેને માટે એ જમાનામાં ‘ચોપાનિયાં’ શબ્દ વપરાતો) પ્રગટ થતાં હતાં. ખુદ ‘બુદ્ધિપ્રકાશ’ના પહેલા અંકમાંથી આ વાતનો આડકતરો પુરાવો મળી રહે છે. પહેલા અંકમાં ‘પ્રસ્તાવના અથવા દીબાચો’ મથાળા નીચે પ્રગટ થયેલા લખાણમાં કહ્યું છે: ‘જેટલાં મુંબઈનાં વરતમાન અથવા ચોપાનિયાં આવે છે, તેને લોકો ગપાઊંસ કહે છે.’ એટલે કે ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું એ પહેલાં પણ મુંબઈમાં ગુજરાતી સામયિકો (ચોપાનિયાં) પ્રગટ થતાં હતાં અને રેલવે વગરના એ જમાનામાં અમદાવાદ સુધી પહોંચતાં હતાં. મુંબઈથી જ ગુજરાતીનું પહેલું સામયિક પ્રગટ થયું, ૧૮૪૦માં. એનું નામ ‘વિદ્યાસાગર’. અને એ શરૂ કર્યું હતું નવરોજી માસ્તરે. પણ એ જ પહેલું સામયિક એમ ખાતારીપૂર્વક કઈ રીતે કહી શકાય? એ જમાનાના અગ્રણી પત્રકાર અને સમાજ સુધારક સોરાબજી શાપુરજી બંગાળીએ લખ્યું છે: ‘ગુજરાતી જબાનમાં વિદ્યા અને હુન્નર સંબંધી માસવારી ચોપાનિયાં અગાઉ પ્રગટ થતાં નહોતાં. એ કારણસર મિ. નવરોજીનું ‘વિદ્યા સાગર’ ચોપાનિયું પહેલવહેલું જ નીકળ્યું હતું.’ (સરળતા ખાતર ભાષા-જોડણી સુધારી લીધાં છે.)

નવરોજી માસ્તર

પણ આ નવરોજી હતા કોણ? ૧૮૧૭ના માર્ચની ૧૦મી તારીખે ભરૂચમાં જન્મ. ભરૂચમાં થોડું ભણ્યા પછી સુરત જઈ લંડન મિશનરી સોસાયટીની સ્કૂલમાં ભણ્યા. ૧૮૩૦માં મુંબઈ આવી નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં ભણ્યા. ભણી લીધા પછી એ જ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. બાળશાસ્ત્રી જાંભેકર એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં નિમાયા ત્યારે નવરોજ બન્યા તેમના મદદનીશ. બાળશાસ્ત્રીના અવસાન પછી તેમની જગ્યાએ નવરોજી નિમાયા. આમ, મુંબઈમાં પ્રોફેસર બનનાર તેઓ પહેલવહેલા ગુજરાતી. છોકરાઓ તેમને ‘નવરોજી માસ્તર’ તરીકે ઓળખાતા. ટૂંકી માંદગી ભોગવીને ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે નવરોજીનું મુંબઈમાં અવસાન થયું. તેમણે લગભગ આખી જિંદગી લોકોપયોગી કામોમાં કાઢી હોવા છતાં ૧૮૮૪માં જાહેર માનપત્ર આપવા મળેલી સભામાં તેમણે કહ્યું હતું: ‘મેં કોઈ બહુ મોટી સેવા કરી છે એમ હું પોતે માનતો નથી. પણ મેં જો થોડી ઘણી સેવા પણ કરી હોય તો તેમ કરીને મેં કોઈ દેશના લોકો પર ઉપકાર કર્યો નથી. સમાજના એક નાચીઝ સભ્ય તરીકે મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.’ 

આમ, ૧૯મી સદીના મધ્ય ભાગ સુધીમાં તો મુંબઈમાં ગુજરાતી અખબારો અને સામયિકોનું કામકાજ ધમધોકાર ચાલતું હતું, પણ આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં? છેક ૧૮૪૯ સુધી ત્યાં એક પણ અખબારનું નામનિશાન સુધ્ધાં નહોતું! ૧૮૪૯માં ‘વરતમાન’ નામનું અઠવાડિક શરૂ થયું. તે દર બુધવારે પ્રગટ થતું એટલે લોકો તેને ‘બુધવારિયું’ તરીકે ઓળખતા. અને એ શરૂ કરનાર હતા એક ગુજરાતપ્રેમી અંગ્રેજ અમલદાર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. તેમણે ૧૮૪૮માં સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ દ્વારા તે શરૂ કર્યું. એ વખતે આ સોસાયટીનો બધો કારભાર અંગ્રેજોના હાથમાં હતો. અને છતાં મુંબઈ સરકારને આ ‘વરતમાન’માં છપાતાં લખાણો સામે વાંધો પડ્યો. એટલે કોઈ પણ સરકારી અમલદારે તેની સાથે સંબંધ રાખવો નહિ એવો હુકમ સરકારે કર્યો. એટલે એ છપાતું હતું તે પ્રેસના માલિક બાજીભાઈ અમીચંદે તે પોતાના હાથમાં લઇ લીધું. પણ ૧૮૬૪ પછી તે ચાલુ રહ્યું હોય તેવું જાણવા મળતું નથી. અને છતાં આપણાં ભાષા, સાહિત્ય, પત્રકારત્વના ઇતિહાસ અને વિવેચનમાં એવા વિરલાઓ પણ જોવા મળે છે કે જે છેક ૧૮૪૯માં શરૂ થયેલા ‘વરતમાન’ને આપણી ભાષાનું પહેલું અખબાર ગણાવે છે! કેમ? કારણ એ અમદાવાદથી શરૂ થયું હતું.

મુંબઈમાં ગુજરાતી છાપખાનાં આવ્યાં તેને પગલે છાપેલાં પુસ્તકો, અખબારો, અને સામયિકો આવ્યાં. અને એની મદદથી અને એની પાછળ પાછળ આવ્યું બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ. પણ એ અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 ડિસેમ્બર 2020

Loading

12 December 2020 admin
← સાહેબની વિદાય
માણસ તરીકેની સંવેદના વિકસાવીએ તો ખેડૂતોની પીડા સમજાશે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved