ખુદામાં યકીન રાખનારા ‘મોમીન’ અઢારમી સદીમાં ગુજરાતથી આવ્યા મુંબઈ
ગઈ કાલનો દિવસ, ૧૦મી એપ્રિલનો દિવસ, મુંબઈમાં વસતી એક જમાત માટે ખાસ દિવસ હતો. કઈ જમાત માટે? અને માત્ર મુંબઈમાં જ શા માટે? આખી દુનિયામાં જ્યાં જ્યાં આ જમાતના લોકો વસે છે ત્યાં બધે જ તેમણે ખુશાલીપૂર્વક ગઈ કાલનો દિવસ ઉજવ્યો. માથું ખંજવાળવાનું રહેવા દો. ગઈ કાલનો દિવસ હતો ‘વિશ્વ મેમણ દિવસ’. આપણા દેશ ઉપરાંત પાકિસ્તાન, યુ.એસ.એ., જાપાન, અને તુર્કસ્તાનમાં તેમની સારી એવી વસતી. ત્યાં બધે તેમણે આ દિવસ ઉજવ્યો. અસલ વતની હતા સિંધ અને કચ્છના, અને ધર્મે હતા હિંદુ. જાતે લોહાણા.
સંવત ૧૪૭૮ અથવા હિજરી સન ૮૨૪માં હિન્દુ લોહાણા જાતિનાં સાતસો કુટુંબોએ દીને-ઈસ્લામ કબૂલ કર્યો. આ પરિવારોની કુલ સંખ્યા ૬,૧૭૮ બયાન કરવામાં આવે છે. લોહાણાની મુખ્ય વસતી નિરૂણ કોટ (આજનું હૈદરાબાદ, સિંધ) હેબલ, સમા અને લાખાગઢમાં હતી. આ પ્રદેશ લોહાણા દેશ તરીકે ઓળખાતો હતો. સન ૧૪૨૨માં ઈસ્લામના પ્રચારાર્થે અબુ ઝકરિયા યાહિયા યુસુફુદ્દીન બગદાદથી સિંધ આવ્યા. દસ વર્ષના પ્રયત્નો પછી આ સાતસો લોહાણા પરિવારો મુસ્લિમ બન્યા અને એમને ‘મોમીન’ નામ આપવામાં આવ્યું ‘મોમીન’ એટલે ખુદામાં યકીન રાખનારા. વખત જતાં ‘મોમીન’નું બન્યું મેમણ.
આ પછીનો મોમીન ઇતિહાસ સંઘર્ષ અને ખાનાબદોશીનો છે. સૈયદ યુસુફુદ્દીનની સલાહથી આ સાતસો પરિવાર થટ્ટા પાસેના વટિયા પ્રદેશમાં ચાલ્યા ગયા. થોડાં વર્ષો ત્યાં રહ્યા પછી જીવન મુશ્કેલ થતું ગયું અને છસો કબીલા કાઠિયાવાડના હાલાર તરફ સ્થળાંતર કરી ગયા. જે વખત જતાં હાલારી કે હાલાઈ મેમણ તરીકે ઓળખાયા. સો વરસ પછી બાકીના સો કબીલા કચ્છના ભૂજમાં હિજરત કરી ગયા, જે કચ્છી મેમણ તરીકે ઓળખાયા. કેટલાક કચ્છી મેમણ ઓખા બેટમાં ચાલ્યા ગયા જે આજે ઓખાઈ મેમણ કહેવાય છે. જે મેમણ ખેડૂતો દક્ષિણ સિંધમાં જ રહ્યા એ સિંધી મેમણ તરીકે ઓળખાય છે.

૧૯મી સદીમાં મુંબઈનાં મેમણ પુરુષો અને સ્ત્રીઓ
મેમણ કબીલાઓ કચ્છ, કાઠિયાવાડ અને સિંધથી ૧૮મી અને ૧૯મી સદીમાં મુંબઈ આવીને વસ્યા. એકંદરે વેપારી કોમ. પણ પૈસા કમાઈ જાણે તેમ સખાવતમાં વાપરી પણ જાણે. મિનારા મસ્જિદ અને ઝકરિયા મસ્જિદ આ જમાતે બંધાવેલી. સાબુ સીદિક એન્જિનિયરિંગ કોલેજ પણ તેમણે શરૂ કરેલી. નૂર હોસ્પિટલ અને અસલ હાજી સાબુ સીદિક મુસાફરખાના આ જમાતની સખાવતને આભારી. બાવીસ માળનું હજ હાઉસ બાંધવામાં પણ આ જમાતનો ઘણો મોટો ફાળો. મેમણવાડા મસ્જિદ એ આ કોમનું એક મહત્ત્વનું ઠેકાણું. કારણ ત્યાં માત્ર નમાઝ પઢવામાં નથી આવતી, જમાતને લગતી બહસ પણ થાય, અને ફેંસલા પણ લેવાય.
સુએઝની કેનાલ શરૂ થયા પછી હિન્દુસ્તાનનો ગ્રેટ બ્રિટન સાથેનો અને યરપના બીજા દેશો સાથેનો વેપાર ઘણી ઝડપથી વધવા લાગ્યો. મુંબઈ આવીને વસેલા મેમણોએ આ તક ઝડપી લીધી અને જુદા જુદા દેશો સાથેના આયાત-નિકાસના વેપારમાં નામ કાઢ્યું. એક જમાનામાં બંદર નજીક આવેલા વિસ્તારમાં તેમની ઝાઝી વસતી. એટલે એ વિસ્તાર ઓળખાયો ‘મેમણવાડા’ તરીકે. શરૂઆતમાં કાપડ, અનાજ, અને હાર્ડવેરના વેપારમાં જાતમહેનતથી પોતાનું સ્થાન જમાવ્યું. દરવેશ, આગબોટવાલા, અલ્લાના જેવી અટકો અપનાવી.

મેમણ સમાજની એક ખાસિયત: નીચે દુકાન, ઉપર ઘર
અગાઉના વખતમાં હિંદુઓમાં જેમ ‘પંચાયત’નું જોર, એમ મેમણ સમુદાયમાં ‘જમાત’નું જોર. પોતાના જાત ભાઈઓ માટે એ રહેણાકનાં મકાન બાંધે અને પરંપરાગત રીતે જમાતની મંજૂરી વગર કોઈ નિકાહ થઈ ન શકે. સમાજની બહાર શાદી ભાગ્યે જ થાય. તો વેપારમાં વિશ્વાસ અને શાખ એ તેમની મોટી મૂડી. મોટા ભાગના વેપારી વ્યવહારો લેખિત કરાર વગર ચાલતા. એક વાર આપેલો બોલ ‘ફોક’ ન કરાય એવી માન્યતા. છતાં ક્યારેક મતભેદ થાય, ઝગડો પણ થાય તો અદાલતનાં બારણાં નહિ ખખડાવવાનાં. તેનો ઉકેલ ‘જમાત’ આપે, અને તે બંને પક્ષ માથે ચડાવે. આને કારણે મેમણ વેપારીઓની એક આગવી ઓળખ ઊભી થઈ. મેમણ વેપારીનો બોલ હોય પછી ચિંતા કરવાનું કોઈ કારણ નહિ, એમ એ સમાજના જ નહિ, મુંબઈના બધા વેપારીઓ માને.

૧૯મી સદીનું ભીંડી બજાર
આ જમાતના લોકોની વધારે વસતી જોવા મળે ડોંગરી, ભીંડી બજાર, મહંમદ અલી રોડ, અને નળ બજાર જેવા વિસ્તારોમાં. આ વિસ્તારોમાં રહેતા મેમણોની એક ખાસિયત: તેમનાં ઘરો એવાં, કે ભોંયતળિયે દુકાન, અને ઉપર રહેણાક. તેના બે ફાયદા: એક, રોજનો વાહનવ્યવહારનો ખર્ચ અને સમય બચે. અને વેપારની પ્રવૃત્તિ પર માલિકની સતત નજર રહે, ઘરમાં બેસીને પણ. કચ્છથી આવીને મુંબઈમાં વસેલા મેમણ ઘરમાં અને અરસપારસના વ્યવહારમાં કચ્છી બોલે. જ્યારે કાઠિયાવાડથી આવેલા ગુજરાતીની પોતીકી બોલી બોલે.
મેમણ મનોવૃત્તિ વિશે એક રમૂજ ચાલે છે. કયામતને દિવસે ખુદાના દરબારમાં હિસાબ થયો. મેમણનાં પાપ-પુણ્યનો પણ હિસાબ થયો. ત્રાજવાનાં બંને પલ્લાં સરખાં જ રહ્યાં! ખુદાતાલા વિચારમાં પડી ગયા. મેમણને સવાલ કર્યો : ‘હવે તને ક્યાં મોકલું – જન્નતમાં કે જહન્નમમાં?’
મેમણે તરત હાજરજવાબી વાપરી: ‘જેડા બો પઈસે જો ફાયદો હોય. ઉડા મોકલ!’ (જ્યાં બે પૈસાનો ફાયદો થતો હોય ત્યાં જ મોકલો ને!) જહન્નમ હોય કે જન્નત હોય કે જહાન હોય, મેમણ ફાયદો નાકથી સૂંઘી લે છે! પૂરી પૃથ્વી પર એ ફેલાયો છે. પૈસા કમાયો છે, ઉડાવ્યા છે, સખાવતોનો દરિયો વહાવ્યો છે, ‘બો પઈસે જો ફાયદો’ એને માટે ડાબા હાથનો ખેલ છે.
પહેલાંના જમાનામાં મેમણોમાં એક કહેવત પ્રચલિત હતી: ‘જિજો પળે સે જિજો ખરે!’ મતલબ કે જે વધારે ભણે છે એ વધારે ખુવાર થાય છે! પણ પછી બદલાતા સમય સાથે આ માન્યતા બદલાઈ અને મેમણ યુવાનોએ શિક્ષણનું મહત્ત્વ સમજીને શિક્ષણ હાસિલ કર્યું. દેશમાં, અને દેશની બહાર, જુદી જુદી જગ્યાએ ફેલાઈને વેપાર ઉપરાંત બીજાં ક્ષેત્રોમાં પણ નામના મેળવી.
પણ એક મેમણ એવો છે જેને આજ સુધી ગુજરાત ભૂલ્યું નથી. તેની સાથે સંકળાયેલી એક ગોઝારી ઘટના વિષે લોકગીત જોડાયાં છે, નવલકથા લખાઈ છે, નાટક અને ફિલ્મ બન્યાં છે. આ મેમણ તે હાજી કાસમ. હા, જી. ‘હાજી કાસમ તારી વીજળી રે, મધ દરિયે વેરણ થઈ’ વાળી વીજળી નામની આગબોટનો એ માલિક. એમનુ આખું નામ હતું હાજી કાસમ યુસુફ આગબોટવાલા! જન્મ સૌરાષ્ટ્રના કુતિયાણામાં. કહે છે કે એક જમાનામાં એમની પાસે ૯૯ વહાણો હતાં. વરાળથી ચાલનારી બોટ આવી ત્યારે એમનાં વહાણો લગભગ આખા પશ્ચિમ કિનારા પર ફરતાં. માણસ દાનવીર અને સખાવતી એવો કે દંતકથામાં નામ રહે! પણ એમના જીવનમાં એક ઘટના બની ગઈ. એમની એક બોટ ‘વીજળી’ કરાંચીથી મુંબઈ જવાની હતી. એ એની પહેલી સફર હતી. મધદરિયે એકાએક ‘વીજળી’ આગબોટ ડૂબી ગઈ, સાથે પરણવા આવતી જાનોએ પણ જળસમાધિ લીધી! પૂરા કાઠિયાવાડમાં હાહાકાર મચી ગયો અને પેલું લોકગીત બહુ મશહૂર બની ગયું : ‘હાજી કાસમ તારી વીજળી રે, મધદરિયે વેરણ થઈ…!’
આ ‘વીજળી’ તો લોકોએ પાડેલું હુલામણું નામ. કારણ આ જહાજમાં પહેલી વાર વીજળીના દીવા મૂકવામાં આવ્યા હતા. તેનું ખરું સત્તાવાર નામ ‘વૈતરણા.’ મુંબઈ નજીકની નદી પરથી આ નામ પાડેલું. સ્કોટલેન્ડની ગ્રેન્જમાઉથ ડોકયાર્ડ કંપનીમાં બંધાએલી તે પહેલી સ્ટીમર. એને બાંધતાં ત્રણ વરસ લાગેલાં. ૧૮૮૫માં તેને તરતી મૂકવામાં આવી. ત્રણ માળવાળી આ સ્ટિમરમાં ૨૫ કેબીન. સ્ટિમરનું વજન ૨૯૨ ટન. લંબાઈ ૧૭૦.૧ ફૂટ, વધુમાં વધુ પહોળાઈ ૨૬.૫ ફૂટ, અને ઊંડાઈ ૯.૯ ફૂટ. આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપના રસ્તે તેને કરાચી લાવવામાં આવી. તે વખતના કચ્છના દેશી રાજ્ય માંડવી અને મુંબઈ વચ્ચે મુસાફરો અને માલસામાનની ખેડ માટે તેને ખરીદવામાં આવી હતી. માંડવીથી મુંબઈ સુધીનું અંતર કાપતાં તેને ત્રીસ કલાક લાગતા, અને ડેક પરની મુસાફરી માટેનું ભાડું હતું આઠ રૂપિયા!

મેમણ હાજી કાસમની વીજળી
એ વખતે દેશના પશ્ચિમ કાંઠાની મુસાફરી ખેડતાં ઘણાંખરાં જહાજ ચોમાસા દરમ્યાન સફર ખેડતાં નહિ. એટલે દરિયાઈ તોફાન ઝીલી શકે એટલાં એ મજબૂત રહેતાં નહિ. ૧૮૮૮ના નવેમ્બરની આઠમી તારીખે આ વૈતરણા ઉર્ફે વીજળી માંડવીથી મુંબઈ જવા નીકળી. તે વખતે તેમાં ૫૨૦ પેસેન્જર. દ્વારકાથી બીજા વધુ પેસેન્જર ચડ્યા. હવે કુલ આંકડો થયો ૭૦૩. રસ્તામાં હવામાન બગડતું ગયું એટલે પોરબંદર રોકાવાને બદલે વીજળી સીધી મુંબઈ જવા નીકળી. છેલ્લે માંગરોળ નજીકના દરિયામાં દેખાયેલી. માધવપુર (ઘેડ) પહોંચતાં ભયંકર વાવાઝોડામાં સપડાઈને ૭૦૩ મુસાફરો અને ૪૩ ખલાસીઓને લઈને દરિયામાં ડૂબી. મુસાફરોમાં ૧૩ જાન હતી. એ વખતે મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાતી, અને માત્ર મુંબઈમાં જ લેવાતી. એટલે એ પરીક્ષા આપવા માટે ઘણા વિદ્યાર્થીઓ પણ આ વીજળીમાં મુસાફરી કરી રહ્યા હતા.
વીજળીની દુર્ઘટના પછી જામનગરના કવિ દુર્લભરાય શ્યામજી ધ્રુવે ‘વીજળી વિલાપ’ નામનો કાવ્ય સંગ્રહ પ્રગટ કરેલો. એ જ નામનો બીજો કાવ્ય સંગ્રહ ભીખારામ સવજી જોશીએ પણ પ્રગટ કરેલો. ઝવેરચંદ મેઘાણીએ ‘રઢિયાળી રાત’ના એક ભાગમાં ‘હાજી કાસમ તારી વીજળી રે, મધદરિયે વેરણ થઇ’ લોકગીતનો સમાવેશ કરેલો. આપણી ભાષાના અગ્રણી સર્જક ગુણવંતરાય આચાર્યની આ જ ઘટના પર આધારિત નવલકથા ‘હાજી કાસમ તારી વીજળી’ ૧૯૫૪માં પ્રગટ થયેલી.
પચરંગી વસતીથી ઊભરાતા મુંબઈ શહેરના રંગમંચ પર મેમણો એકંદરે ‘લાઈમ લાઈટ’માં ભલે દેખાતા ન હોય, તો ય તેમનો પ્રભાવ ઉવેખવા જેવો તો નથી જ. વેપાર, પરોપકાર અને વિશ્વાસ—આ ત્રણ સ્તંભો પર ઊભેલો મેમણ સમાજ આજે પણ મુંબઈની ઓળખનો એક અગત્યનો ભાગ બની રહ્યો છે.
હવે આવતે શનિવારે? મુંબઈની આવી જ બીજી એક જમાત વિષે વાત.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 11 એપ્રિલ 2026
![]()

