મુંબઈના અસલ વતની ‘દર્યાચા રાજા’ કોળી માછીમારો
वल्हव रे नाखवा हो वल्हव रे रामा (४)
मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा
मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा
घर पान्यावरी बंदराला करतो ये जा
मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा
મરાઠીના મોટા ગજાના કવિ શાંતા શેળકેનું આ પ્રખ્યાત ગીત આજ સુધી મરાઠી માણુસનાં હોઠે અને હૈયે રમતું રહ્યું છે. હૃદયનાથ મંગેશકરનું સંગીત અને લતા મંગેશકર અને હેમંતકુમારનો કંઠ. સાંભળીએ ત્યારે આખેઆખા ડોલવા લાગીએ, દરિયાનાં પાણીમાં ડોલતા મછવાની જેમ. અને આ કાંઈ મરાઠીનું એકલ-દોકલ કોળી ગીત નથી. ઢગલાબંધ કોળી ગીતો લખાયાં અને ગવાયાં છે મરાઠીમાં. અને એ દરેકમાં ભાષા, ભાવ, લય, તાલ-ઠેકો, કોળી જીવનની ભાત ઉપસાવે તેવાં.

૧૯મી સદીમાં મુંબઈના કોળી માછીમાર
હા, સુજ્ઞ વાચકના મનમાં કૌતુક થતું હશે કે આજે આ મરાઠી કોળી ગીત કેમ યાદ આવ્યાં? કારણ આજે વાત કરવી છે મુંબઈના મૂળ, અસલ, વતનીઓ એવા કોળીઓ વિષે. ૨૦૨૪-૨૦૨૫ની છેલ્લામાં છેલ્લી ગણતરી પ્રમાણે આપણા દેશનો દરિયા કિનારો કુલ ૧૧,૦૯૮.૮૧ કિલોમીટર લાંબો છે. અને જ્યાં દરિયો છે ત્યાં માછીમારીનો વ્યવસાય ચાલે છે. પણ કોળીઓની વસતી દેશના આખા દરિયા કિનારા પર નથી. કોળી જમાતની વસતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, અને ગોવાના દરિયા કાંઠાના પ્રદેશોમાં જોવા મળે છે. અને લગભગ આ બધા પ્રદેશોમાં ભીલ જાતિની વસતી પણ જોવા મળે છે, મુખ્યત્વે ડુંગરાળ પ્રદેશોમાં. રેવરન્ડ જોન વિલ્સન જેવા હિન્દુસ્તાનના, અને ખાસ કરીને પશ્ચિમ હિન્દુસ્તાનના, કેટલાક અભ્યાસીઓ માને છે કે અસલમાં ભીલ અને કોળી એ એક જ જાત હતી. પણ પછી સમય વિતતો ગયો તેમ તેમાંની કેટલીક ટોળીઓ ડુંગર છોડી દરિયાકિનારે આવીને વસી, અને તે ‘કોળી’ તરીકે ઓળખાઈ. જે ટોળીઓ ડુંગરાળ પ્રદેશોમાં કે જંગલોમાં રહી તે ‘ભીલ’ તરીકે ઓળખાઈ.

૧૯મી સદીના પ્રખ્યાત ચિત્રકાર ધુરંધરની પીછી વડે કોળી દંપતી
જો કે આજના કેટલાક અભ્યાસીઓ જરા જુદી વાત કરે છે. ૧૧મી સદીમાં કોળીઓ બુદ્ધ ધર્મ પાળતા હતા અને મુંબઈથી થોડે દૂર વૈતરણા નદીને કાંઠે વસતા હતા. એ વખતે તેમનો મુખ્ય વ્યવસાય ગુફાઓ કોતરવાનો અને હોડી બનાવવાનો હતો. પણ બારમી સદીમાં તેમના પર થયેલા આક્રમણથી બચવા તેઓ મુંબઈ આવીને મુખ્યત્વે કોલાબા અને માહિમના ટાપુઓ પર વસ્યા. તેની પાછળનું મુખ્ય કારણ એ કે એ વખતે મુંબઈના સાતે ટાપુ એક બીજાથી અલગ હતા, વચમાં દરિયાનાં પાણી હતાં, એટલે મુંબઈ આવી તેમના પર આક્રમણ કરવાનું સહેલું નહોતું. પણ ૧૬મી સદીમાં પોર્ટુગીઝોએ મુંબઈ પર આક્રમણ કર્યું, ધર્મસ્થાનો તોડ્યાં, લૂંટ-ફાટ કરી, પણ આ બધા સામે કોળીઓ ટકી ગયા. હા, એ વખતે તેમાંના કેટલાકે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ખરો. સત્તરમી સદીના અંત પહેલાં તો મુંબઈમાં જુદી જુદી જગ્યાએ ‘કોળીવાડા’ ઊભા કરી કોળીઓ પાક્કા મુંબઈવાસી બની ગયા હતા.
૧૮મી સદીમાં અંગ્રેજોએ મુંબઈનો કોટ બાંધ્યો તો સાથોસાથ નાનાં-મોટાં બંદરો પણ ઊભાં કર્યાં. પરિણામે કોળીઓનો વ્યવસાય વધુ ફૂલ્યોફાલ્યો. પણ જેમ જેમ આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો મુંબઈ આવી વસવા લાગ્યા તેમ તેમ કોળીવાડાઓ પરની ભીંસ વધવા લાગી. નવા નવા રસ્તાઓ, ઇમારતો, પૂલો વગેરે બનતા ગયા તેમ તેમ કોળીઓને માટે માછલી પકડવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું. એક જ દાખલો લઈએ : બાંદ્રા-વરલી સિ-લિંક બનતાં મારા-તમારા જેવાને આવન-જાવનની ઘણી સગવડ થઈ. પણ બાંદ્રા-માહિમ અને વરળી એ બંને છેડા પાસે માછીમારી કરતા કોળીઓના ધંધા પર કેટલી માઠી અસર પડી એનો આપણે વિચાર કર્યો?
તો બીજી બાજુ જૂનાં મકાનો તોડી, તેની જગ્યાએ ગગનચુમ્બી ઇમારતો બાંધનારા ‘ડેવલપરો’ કોળીવાડાની જમીન હડપ કરવા જાતજાતના નુસખા અપનાવે છે. પરંપરાગત રીતે કોળીવાડાઓ ‘પ્રોટેક્ટેડ એરિયા’ ગણાય છે. પણ એક યા બીજી રીતે પહેલાં કોઈ કોળીવાડાને ‘સ્લમ’ (ઝૂંપડપટ્ટી) જાહેર કરાય છે. થોડા વખત પછી એના ‘રિડેવલપમેન્ટ’ની યોજના ઘડાય છે. અને પછી કોઈક વગવાળો રિડેવલપર કોળીઓનાં ઘરની જગ્યાએ ઊંચાં ઊંચાં મકાનો બાંધી દઈને કોળીઓને બીજે ક્યાંક દૂર દૂર ધકેલી દે છે. આમ થવાનું એક કારણ એ પણ ખરું, કે મહારાષ્ટ્ર અને મુંબઈના રાજકારણમાં કોળી જમાતનો અવાજ ન-જેવો છે. હા, ગણેશ નાખવા, દેવેન્દ્ર ટંડેલ, વંદના કોળી, ગાયત્રી પાટિલ, જેવા કેટલાંક નેતાઓ કે વકીલો કોળીઓના હક્ક માટે લડવાનો પ્રયત્ન કરે છે ખરા.
આ બધું હોવા છતાં કેટલાક કોળીવાડા હજી તેમની અસલિયત જાળવીને ઊભા છે. જેમ કે, ખાર-દાંડા, સાયન, જુહુ, ચારકોપ, કોલાબા, વરળી, વરસોવા, ધારાવી, માહિમ વગેરે સ્થળોએ આવેલા કોળીવાડા. મુંબઈના સાત ટાપુઓમાંના એકનું નામ કોલાબા. (ગુજરાતીમાં નર્મદ, અને એના જમાનાના ઘણા લેખકો ‘કોલાબા’ને બદલે ‘કુલાબો’ લખતા.) હજી સુધી ‘કોલાબા’ નામ જળવાઈ રહ્યું છે એટલું જ નહિ, એ વિસ્તારમાં આવેલ કોળીવાડો પણ હજી ઊભો છે. મુંબઈની ગ્રામદેવી ‘મુંબાદેવી’ પણ અસલમાં તો કોળીઓની કુલ દેવી. આ દેવીનું અસલ મંદિર હતું બોરી બંદરને કાંઠે. પછીથી અંગ્રેજોએ કોટ બાંધ્યો ત્યારે તેને આજની જગ્યાએ ખસેડ્યું.
કોળીઓનો મુખ્ય વ્યવસાય માછલી પકડવાનો અને વેચવાનો. વરસના આઠ મહિના પુરુષો દરિયો ખેડે. વહેલી સવારથી નીકળી પડે. મોડી સાંજે પાછા આવે ત્યારે થાકીને લોથ થઈ ગયા હોય. એક-બે બાટલી ખાલી કરીને ખાટલામાં ઢળી પડે. દરિયો ખેડીને માછલી પકડવા સિવાયની બીજી બધી જવાબદારી કોળણની. નાની-મોટી કે અલગ અલગ જાતની માછલીઓ જુદી તારવવી, ખુલ્લી જગ્યામાં સૂકવવી, તાજી માછલી સુંડલામાં ભરીને વેચવા લઇ જવી. કરકસરથી ઘર ચલાવવું અને થોડા પૈસા ભેગા થાય કે તરત સોનું ખરીદી લેવું. (એટલે જ કોઈ પણ કોળીવાડાની નજીક સોનીની બે-ચાર દુકાન ન હોય એવું બને જ નહિ.) છોકરાંને ભણાવવાં-પરણાવવાં, અને બધા સામાજિક વ્યવહારો સાચવવાનું પણ કોળી સ્ત્રીને માથે.

માછલીની સુકવણી
આપણે અગાઉ જેમને વિષે ઘણી વાર વાત કરી છે તે કર્નલ મેકિનટોશે નોંધ્યું છે કે કોળી સ્ત્રીઓ મોટે ભાગે પાતળી, સુડોળ, ઘણુંખરું દેખાવડી હોય છે. જ્યારે કોળી પુરુષો દેખાવમાં કેટલેક અંશે રાજપુત પુરુષોને મળતા લાગે છે. સતત દરિયો ખેડતા હોવાથી, અને કુદરત સાથે સંઘર્ષ કરતા હોવાથી, કોળી પુરુષો સુદ્રઢ અને મજબૂત બાંધાના હોય છે. પુરુષો હોડી કે વહાણ હંકારવામાં, જાળ બીછાવવામાં, માછલી પકડવામાં પાવરધા હોય છે. અને સાધારણ રીતે કુદરતી આફતોથી ડરતા નથી. કોળીઓનો વ્યવસાય માછલી મારવાનો, એટલે કે જીવહત્યાનો હોવાથી, કેટલાક પ્રદેશોમાં બ્રાહ્મણો તેમને ‘અસ્પર્શ્ય’ ગણે છે. પણ જન્મ, લગ્ન, મરણ, વગેરે પ્રસંગો માટે કોળીઓના પોતાના ‘ગોર’ હોય છે જે આવે વખતે બધી વિધિઓ કરાવે છે. આ બધી જ વિધિઓમાં હિંદુ ધર્મની વિધિઓ અને આદિવાસીઓની ધર્મવિધિઓનું મિશ્રણ જોવા મળે છે.

સાસૂન ડોક પર નાંગરેલી માછીમારોની હોડીઓ
પહેલી નજરે ભૂતકાળમાં જીવતો લાગે એવો કોળી નવી સગવડો, રીતિઓ, વગેરે સહેલાઈથી અને ઝડપથી અપનાવી શકે છે. આજે મુંબઈનો કોઈ કોળી એવો નહિ હોય જે હલેસાંવાળી હોડી લઈને એકલો નીકળી પડે. બધા જ મોટર બોટ વાપરે છે. દરિયામાં દૂર અને ઊંડે સુધી જાળ ફેલાવવા માટે આધુનિક સાધનો વાપરે છે. કોળીવાડામાં માછલી સૂકવવા માટે અને વહાણ નાંગરવા માટે ખુલ્લી જગ્યા તો રાખવી જ પડે. એટલે કોળીનાં ઘર મુંબઈની બીજી વસ્તીઓના ઘર જેવાં સાંકડાં, અંધારિયાં, નથી હોતાં. હવે કોળી સમાજમાં માત્ર છોકરાઓ જ નહિ, છોકરીઓ પણ ભણતી થઈ છે. તેથી એ સમાજ જૂની રીતરસમમાં જકડાઈ રહ્યો નથી. તો બીજી બાજુ ભણ્યા પછી ઘણા છોકરા કોળીનું જીવન જીવવાને બદલે બીજા વ્યવસાયો કે નોકરીઓ તરફ વળે છે. પછી બે પાંદડે થતાં કોળીવાડો છોડી બીજે રહેતા પણ થાય છે.
કોળી સમાજમાં ભલે ધીમું, પણ મક્કમપણે કેવું પરિવર્તન આવ્યું છે એનો દાખલો લગભગ રોજ જોવા મળે છે. આ લખનાર રહે છે તે સોસાયટીમાં રોજ સવારે બે માછણો માથે ટોપલા મૂકી માછલી વેચવા આવે છે. એક મોટી, આધેડ ઉંમરની, બીજી તેના કરતાં ઉંમરમાં નાની. બનતાં સુધી સાસુ-વહુ. આજથી દસેક વરસ પહેલાં રોજ બંને સ્ત્રીઓ માછણોની પરંપરાગત રીતે કછોટો મારીને સાડી પહેરીને આવતી. થોડા વખત પછી બેમાંથી નાનીએ પંજાબી પહેરવાનું શરૂ કર્યું. મોટી સ્ત્રી હજી પંજાબી પહેરતી નથી. સાડી જ પહેરે છે, પણ માછણોની પરંપરાગત રીતે નહિ. ‘બંગાળી’ ઢબે પહેરે છે. અને પરિવર્તન માત્ર પોશાકમાં જ આવ્યું હોય તેવું ન બને. તેમના જીવનમાં બીજી બાબતોમાં પણ આવ્યું જ હોય.
ગુજરાત અને મહારાષ્ટ્ર, બંનેને લાંબો દરિયા કાંઠો. પણ કોળી, માછીમાર, ખલાસી વગેરે વિષે મરાઠીમાં જેટલાં ગીતો લખાયાં છે તેના દસમા ભાગનાં પણ ગુજરાતીમાં લખાયાં નહિ હોય. તેમાં એક અપવાદ તે રાજેન્દ્ર શાહનાં કેટલાંક કાવ્યો. તેમણે વનવાસીનાં ગીત લખ્યાં છે તેમ સાગરખેડુનાં ગીત પણ લખ્યાં છે. અને તેમાનું એક ગીત તો આપણા એક મોટા ગજાના સ્વરકાર-ગાયક અજીત શેઠ અને નિરુપમા શેઠે ગાયું છે. અજીતભાઈએ બાંધેલી ગીતની બંદિશ અને બંને કલાકારોની ગાયકી ગીતના શબ્દોને જ નહિ, ગીતના મિજાજને પણ આબેહુબ ખડો કરી દે છે. જો સાંભળવું હોય તો યુટ્યૂબ પર શોધતાં મળી જશે. એ ગીતના થોડા શબ્દો સાથે મુંબઈના માછીમારોને કહીએ ‘રામ, રામ, મંડળી.’
હે ઈ ચાંગા, શુકર, બોમાન, શાની!
… ભરતી આવી ભૂર, હો ભૂરાં અલબેલાનાં ઉછળે પાણી,
હેઈ રે હેલા આ…ય ભરકાંઠાનાં જળ તે આપણ જાળમાં બાંધ્યાં જાય.
ખારનો સાગર ખેડીએ, માછી! રોજ ઋતુ, રોજ મોલ;
આજની મ્હેનત આજ ફળે, નહિ કાલનો લેવો કોલ.
રે હેલા હે ઈ રે હેલા આ…ય,
ભરકાંઠાનાં જળ તે આપણ જાળમાં બાંધ્યાં જાય.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે’; 28 ફેબ્રુઆરી 2026
![]()

