Opinion Magazine
Number of visits: 9448973
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—306

દીપક મહેતા|Opinion - Opinion|14 September 2025

કમાન્ડર નાણાવટીના કેસ અંગે પંડિત નેહરુએ પાર્લામેન્ટમાં શો ખુલાસો આપ્યો?      

“In exercise of the powers conferred on me by Article 161 of the Constitution of India, I, Shri Prakasha, Governor of Bombay, am pleased hereby to suspend the sentence passed by the High Court of Bombay on Commander K. M. Nanavati …”

બોમ્બે પોલીસની ટીમ બોમ્બે હાઈ કોર્ટના જજમેન્ટની નકલ અને વોરંટ સાથે આઈ.એન.એસ. કુન્જાલીમાં આવેલી નેવલ પોલીસની જેલને બારણે પહોંચી ગઈ. અને અદાલતનો હુકમ તથા વોરંટ બતાવી કમાન્ડર નાણાવટીને પોતાના તાબામાં સોંપવા નેવલ પોલીસને તાકીદ કરી. ત્યારે તેના જવાબમાં નેવલ પોલીસના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીની સોંપણી કરવાને બદલે બોમ્બે પોલીસના હાથમાં એક કાગળ મૂક્યો. એ કાગળના શરૂઆતના શબ્દો ઉપર પ્રમાણે હતા. ભારતના બંધારણની કલમ ૧૬૧ દ્વારા ગવર્નરને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ગવર્નર શ્રીપ્રકાશે બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ‘સસપેન્ડ’ કર્યો હતો. ક્યાં સુધી? નાણાવટી તરફથી સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી અપીલ દાખલ ન થાય ત્યાં સુધી. અને સાથોસાથ ત્યાં સુધી કમાન્ડર નાણાવટીને આઈ.એન.એસ. કુન્જાલીમાં આવેલી નેવલ જેલમાં રાખવાનો આદેશ ગવર્નરે આપ્યો હતો.

ગવર્નર શ્રી શ્રીપ્રકાશ

ગવર્નર શ્રીપ્રકાશનો જન્મ ૧૮૯૦ના ઓગસ્ટની ત્રીજીએ, વારાણસીમાં. અવસાન, ૧૯૭૧ના જૂનની ૨૩મી તારીખે. ઉચ્ચ અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. આઝાદી પછી તરત, ૧૯૪૭થી ૧૯૪૯ સુધી, તેઓ પાકિસ્તાન ખાતેના ભારતના હાઈ કમિશનરના પદે રહ્યા. ત્યાર બાદ આસામ અને મદ્રાસ રાજ્યોના ગવર્નર બન્યા. ૧૯૫૬માં તે વખતના બોમ્બે સ્ટેટના ગવર્નર બન્યા. ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તે પછી તેઓ ૧૯૬૨ સુધી મહારાષ્ટ્રના ગવર્નરપદે રહ્યા.     

બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો જાહેર થયો એ પછી બીજી જ મિનિટથી ઇન્ડિયન નેવીનાં ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં. આ અંગે નેવીના વડા નામદાર ગવર્નરને અપીલ કરવા માગે છે એમ સૌથી પહેલાં મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણને જણાવવામાં આવ્યું. તેમણે તો મંજૂરી આપી, પણ તાકડો એવો થયો કે એ વખતે ગવર્નર મુંબઈમાં નહોતા, ગુજરાતના પ્રવાસે ગયા હતા. એટલે ગોધરામાં તેમનો સંપર્ક કરીને બધી વિગતો જણાવાઈ અને ગવર્નરે વટહુકમ પર સહીસિક્કા કર્યા. અને કમાન્ડર નાણાવટીની ધરપકડ કરવા આવેલી બોમ્બે પોલીસના હાથમાં આ વટહુકમની નકલ પકડાવી દેવામાં આવી. 

આઈ.એન.એસ. કુન્જાલી

આઈ.એન.એસ. કુન્જાલીની બહાર અને આર્થર રોડ જેલના દરવાજા બહાર લોકોની જબરદસ્ત ભીડ જામી હતી. તેમને આશા હતી એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવાતા નાણાવટીનાં અલપઝલપ ‘દર્શન’ કરવાની. અખબારોના રિપોર્ટર ‘સાચા’ સમાચાર મેળવવા દોડાદોડી કરી રહ્યા હતા અને ફોટોગ્રાફરો કેમેરાનું નિશાન બન્ને જેલોના દરવાજા પર તાકીને ઊભા હતા. પણ મુંબઈ પોલીસ, મુંબઈ સરકાર, અને ઇન્ડિયન નેવીના બધા જ અફસરો મોઢે તાળાં મારીને બેસી ગયા હતા. આ ઘટના અંગે બોલવાનો અધિકાર કેવળ નેવીના રિયર એડમિરલ બી.એસ. સોમણને જ આપવામાં આવ્યો હોવાની જાણ થતાં રિપોર્ટરોએ તેમની ઓફિસ તરફ દોટ મૂકી. પણ પત્રકારોના ઢગલાબંધ સવાલોના જવાબમાં રિયર એડમિરલ સોમણ માત્ર એક જ વાક્ય બોલ્યા : “આ અંગે અત્યારે તમને આપવા માટે મારી પાસે કશી જ માહિતી નથી.”

પંડિત જવાહરલાલ નેહરુ, પાર્લામેન્ટમાં

પણ બીજે દિવસે વિરોધ પક્ષના સભ્યોએ પાર્લામેન્ટમાં ‘દેકારો બોલાવ્યો’ (એ જમાનાનાં છાપાંનો પ્રિય પ્રયોગ) અને વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પોતે જવાબ આપવા ઊભા થયા. તેમણે જણાવ્યું કે આવું પગલું લેતાં પહેલાં મુંબઈના ગવર્નર દ્વારા કેન્દ્ર સરકારનાં લાગતાંવળગતાં ખાતાંનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. એ ખાતાંએ તે અંગે મને જણાવ્યું હતું અને મારો અભિપ્રાય માગ્યો હતો. મુંબઈ રાજ્યના ગવર્નરને કેન્દ્ર સરકાર દ્વારા જે સલાહ આપવામાં આવી, અને એ સલાહને અનુસરીને ગવર્નરે જે અધ્યાદેશ પર સહી કરી, તે અંગેની પૂરેપૂરી જવાબદારી દેશના વડા પ્રધાન તરીકે હું સ્વીકારું છું. ગવર્નરે જે અધ્યાદેશ બહાર પાડ્યો તે બંધારણની દૃષ્ટિએ પૂરેપૂરો વાજબી છે, તેમાં કશું જ અજુકતું થયું નથી, અને આવો અધ્યાદેશ જારી કરવાથી ન્યાયતંત્રનો કોઈ રીતે અનાદર થયો નથી. આવું પગલું શા માટે ભરવાનું જરૂરી બન્યું હતું એ સમજાવતાં વડા પ્રધાન નેહરુએ જણાવ્યું કે જો થોડા દિવસ માટે પણ કમાન્ડર નાણાવટીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે તો ઇન્ડિયન નેવીના નિયમોને કારણે કમાન્ડર નાણાવટીની નેવીની નોકરી પર ઘણી માઠી અસર થાય. આ અંગે ઇન્ડિયન નેવીના વડા એડમિરલ કટારીએ, અને નહિ કે કમાન્ડર નાણાવટીના કોઈ સંબંધીએ, મુંબઈ રાજ્યના ગવર્નરને દખલ કરવાની અપીલ કરી હતી. કેન્દ્ર સરકાર સાથે વાતચિત કર્યા પછી મુંબઈના ગવર્નરે અધ્યાદેશ પર સહી-સિક્કા કર્યા હતા જેની નકલ બને તેટલી જલદી લાગતાવળગતા સૌને પહોંચાડવામાં આવી હતી. પંડિત નેહરુએ ઉમેર્યું કે મુંબઈના ગવર્નરને જવાબ આપતાં પહેલાં મેં કાયદા પ્રધાન શ્રી અશોક સેન સાથે ચર્ચા કરી હતી. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ થાય ત્યાં સુધી બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને કામચાલાઉ ધોરણે સ્થગિત કરવામાં ભારતના બંધારણની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. વળી ગવર્નરને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અધ્યાદેશ પર સહી કરતાં પહેલાં તેમણે એ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણ સાથે વાતચીત કરવી. ગવર્નરે આ પ્રમાણે કર્યું હતું અને મુખ્ય પ્રધાને ગવર્નરને આપવામાં આવેલી સલાહ સ્વીકારવાનું સૌજન્ય બતાવ્યું હતું. છેવટે પંડિત નેહરુએ કહ્યું કે આ આખા મામલા અંગે ભારત સરકારે અને વડા પ્રધાન તરીકે મેં જે કાંઈ કહ્યું તે મુંબઈ રાજ્યના ગવર્નર અને મુખ્ય પ્રધાનને ‘સલાહ’ આપવાના રાહે, અને નહિ કે આદેશ આપવાના રાહે કહ્યું હતું. અને એ બન્નેએ અમારી સલાહ સ્વીકારવાનું સૌજન્ય બતાવ્યું હતું. તેમને જે સલાહ આપવામાં આવી તે ‘અનૌપચારિક’ હતી. અને એટલે એ સલાહને બંધારણની કલમ ૨૫૬ લાગુ પડતી નથી, અને એટલે વિરોધ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી સભામોકૂફીની દરખાસ્ત દાખલ થઈ શકે તેમ નથી. મુંબઈ રાજ્યના ગવર્નરે અમારી સલાહથી જે અધ્યાદેશ જારી કર્યો તેની પાછળ બોમ્બે હાઈ કોર્ટનો, તેના માનનીય ન્યાયાધીશોનો, કે દેશના ન્યાય તંત્રનો અનાદર કરવાનો હેતુ મુદ્દલ નથી. 

ચીફ મિનિસ્ટર યશવંતરાવ ચવ્હાણ

ગવર્નરના વટહુકમ અંગે વધુ સ્પષ્ટતા કરતાં પંડિત નેહરુએ કહ્યું કે હાઈ કોર્ટના હુકમની અમલબજાવણીને સ્થગિત કરવામાં આવી છે તે માત્ર કમાન્ડર નાણાવટી તરફથી કરવામાં આવનાર અપીલ સુપ્રિમ કોર્ટમાં દાખલ થાય ત્યાં સુધીની મુદ્દત માટે જ છે. એ પછી આ આખા પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટ અથવા બોમ્બે હાઈ કોર્ટ યોગ્ય નિર્ણય લેશે. 

વિરોધ પક્ષના કેટલાક સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે કમાન્ડર નાણાવટીને વડા પ્રધાન નેહરુ અને તેમના કુટુંબ સાથે અંગત સંબંધો હોવાને કારણે ભારત સરકારે અધ્યાદેશ જારી કરવાની સલાહ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન અને ગવર્નરને આપી હતી. આ વાતનો રદિયો આપતાં વડા પ્રધાન નેહરુએ કહ્યું કે હું અંગત રીતે કમાન્ડર નાણાવટીને નહિ જેવું ઓળખું છું. બીજા સિનિયર ઓફિસરોને મળવાનું થાય તેમ હું કમાન્ડર નાણાવટીને પણ મળ્યો છું. તેમના વિશેના જે અહેવાલો મને મળ્યા છે તે ઉપરથી મારા મનમાં એવી છાપ ઊભી થઈ છે કે તેઓ એક કાર્યદક્ષ અને વફાદાર અફસર છે. પણ તેમને મદદરૂપ થવાનો નથી મારો આશય કે નથી એવી કોઈ જરૂર. મેં અને ભારત સરકારે જે કાંઈ કર્યું તેને કદાચ ‘અસાધારણ’ કહી શકાય, પણ કોઈ રીતે ‘અયોગ્ય’ કે ‘અવૈધ’ કહી શકાય એમ નથી. 

વિરોધ પક્ષના સભ્યોને, વડા પ્રધાન નેહરુને, અન્ય પ્રધાનોને તથા અન્ય સભ્યોને સાંભળ્યા પછી સ્પીકરે વિરોધ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી સભા મોકૂફીની દરખાસ્ત ખારીજ કરી હતી. 

પણ પાર્લામેન્ટમાં ચર્ચા થઈ ગઈ એટલે વાત પૂરી થઈ એમ ન માની લેવું. બોમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ શેલત અને જસ્ટિસ નાયકની ડિવિઝન બેન્ચે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો અને કમાન્ડર નાણાવટીને આજીવન કારાવાસની સજા કરી હતી. ઉપરાંત તેમને નેવલ જેલમાંથી કાઢીને આર્થર રોડ જેલમાં ખસેડવા માટે વોરંટ જારી કર્યું હતું. પણ ઇન્ડિયન નેવીના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીનો કબજો બોમ્બે પોલીસને સોંપવાની ના પાડી એટલે ન તો હાઈ કોર્ટે કરેલી સજાની કે ન તો જારી કરેલા વોરંટની અમલબજાવણી થઈ શકી. કોઈ ‘કોમ્પિટન્ટ ઓથોરિટી’એ બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ‘ઓવર રૂલ’ કર્યો ન હતો. પરિણામે  હાઈ કોર્ટનો ચુકાદો અને હાઈ કોર્ટે લીધેલા નિર્ણયો ‘અધ્ધર લટકતા’ રહ્યા હતા. આ સંજોગોમાં હવે શું થઈ શકે એ અંગે બોમ્બે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચના બંને નામદાર ન્યાયાધીશોએ બોમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી તેમની સલાહ માગી. પરિણામે સુપ્રીમ કોર્ટમાં જતાં પહેલાં નાણાવટી મર્ડર કેસ ફરી પહોંચ્યો બોમ્બે હાઈ કોર્ટ પાસે. પણ આ વખતે ડિવિઝન બેંચ પાસે નહિ, પણ ફુલ બેંચ પાસે. 

એ વખતે શું થયું? એ અંગે વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 સપ્ટેમ્બર 2025

Loading

14 September 2025 Vipool Kalyani
← રૂપ, કુરૂપ
ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved