તાતા સ્ટીલ: આફત આવે છે ત્યારે એકલી નથી આવતી
કવિ કલાપીએ ભલે ગયું હોય કે ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’ પણ ઉદ્યોગ-ધંધા માટે તો ઘણી વાર એનાથી ઊલટું બનતું હોય છે : ‘જે મારતું તે પોષતું, એવો દીસે ક્રમ કુદરતી.’ પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સલ્તનતને જરૂરી માલસામાન પૂરો પાડવા માટે આપણા દેશનાં કારખાનાં રાત-દિવસ ધમધમતાં હતાં. પણ ૧૯૧૮ના નવેમ્બરની ૧૧મી તારીખે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. અને માત્ર હિન્દુસ્તાનમાં જ નહિ, દુનિયાના અનેક દેશોમાં રાતોરાત કેટલાંયે કારખાનાં બંધ થવા લાગ્યાં. મજૂરો બેકાર થવા લાગ્યા. લાખો સૈનિકો યુદ્ધના મેદાન પરથી પોતપોતાને દેશ પાછા ફરવા લાગ્યા. અને પાછા ફર્યા પછી બેકાર બનવા લાગ્યા. ૧૯૧૮માં અમેરિકામાં સૈનિકોની સંખ્યા હતી ૨૯ લાખ. ૧૯૧૯મા તેમાંથી સૈનિક તરીકેની નોકરી પર રહ્યા ૧૫ લાખ. અને ૧૯૨૦માં તો એ આંકડો ઘટીને થયો ૩.૮ લાખ. મોંઘવારી વધવા લાગી. અને આજની ભાષામાં કહીએ તો અનેક દેશો reseesionમાં સપડાયા.
પહેલા વિશ્વયુદ્ધ પછી સ્વદેશ પાછા ફરેલા અમેરિકન સૈનિકો
હિન્દુતાનના ધંધા-ઉદ્યોગોને પણ ઝાળ લાગી. જમશેદપુરમાં પણ મજૂરોના વિરોધનો ગણગણાટ શરૂ થયો. લડાઈ દરમ્યાન ટ્રેનના પાટા અને બીજો લોખંડી સરંજામ પૂરો પાડવાનું કામ રાતદિવસ ચાલતું હતું તે એકાએક બંધ.
આફત આવે છે ત્યારે એકલી નથી આવતી. ગ્રેટ બ્રિટન પછી તાતા સ્ટીલનો બીજો મોટો ઘરાક દેશ હતો જાપાન. ૧૯૨૩ના સપ્ટેમ્બરની પહેલી તારીખે જાપાનમાં ભયંકર ભૂકંપ થયો. લગભગ દોઢ લાખ લોકોએ જાન ગુમાવ્યો. ઉદ્યોગ-ધંધા, કારખાનાં ઢળી પડ્યાં. અર્થતંત્ર ખાડે ગયું. પોલાદની આયાત લગભગ બંધ. કોઈ લેવાવાળું ન હોય તો તાતાના કારખાનામાં પોલાદ બનાવ્યે રાખીને ફાયદો શું? પણ ઉત્પાદન બંધ થાય, વેચાણ ન જેવું થાય, તો મજૂરોને દર મહીને પગાર ચૂકવવો કઈ રીતે? ચાલો, બેંક પાસેથી લોન લઈને પગાર ચૂકવીએ. વર્ષોથી ઈમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા (આજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) સાથે તાતા સ્ટીલને સારો સંબંધ. પણ આવા કપરા કાળમાં એ બેન્કે પણ લોન આપવાની ના પાડી દીધી! મજૂરોમાં અને લોકોમાં અફવા ઊડી કે તાતા સ્ટીલ દેવાળું કાઢીને બંધ થાય છે.
પછી દોરાબજીએ બાજી પોતાના હાથમાં લીધી. પોતાની અંગત માલિકીની મિલકત વેચવા માંડી. પત્ની મેહેરબાઈને પોતાના દાગીના, ઝવેરાત, વગેરે ગીરવે મૂકવા સમજાવ્યાં. આ બધું કરીને એક કરોડ રૂપિયા (એ જમાનાના એક કરોડ એટલે આજના કેટલા?) તો ય હજી બીજા એક કરોડ ખૂટતા હતા. અને ત્યારે મદદે આવ્યા ગ્વાલિયરના મહારાજા. એમના દીવાન હતા એક પારસી, અવટંકે દિનશાહ. તાતા સ્ટીલની કંપની શરૂ થઈ ત્યારે પણ ગ્વાલિયરના મહારાજાએ તેના શેરમાં પોતાના પૈસા રોક્યા હતા. આ વખતે ખૂટતી રકમની લોન આ મહારાજાએ જ આપી. એ વખતે દોરાબજીના મનમાં એક જ વાત ઘુમરાયા કરતી હતી : કોઈ પણ મજૂરનો પગાર એક દિવસ પણ મોડો ન થવો જોઈએ. કાકા રતન (આર.ડી.) તાતા પણ ખભે ખભો મેળવીને ઊભા રહ્યા. ૧૯૨૪માં શેર હોલ્ડર્સની મીટિંગમાં કેટલાક શેર હોલ્ડરોએ જોરદાર માગણી કરી કે આવી ખોટમાં જતી અને લોન પર જીવતી કંપનીને વેચી નાખવી જોઈએ. આર.ડી. તાતા ઊભા થયા અને ત્રાડ પાડી કહ્યું : “હું જીવતો છું ત્યાં સુધી આ કંપની વેચવાની કોની મગદૂર છે?” અને પછી ટેબલ પર જોરથી મુઠ્ઠી પછાડી મીટિંગ છોડીને ચાલતા થયા.
પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું તે પછી જે જે મુશ્કેલીઓ ઊભી થઈ એનો સામનો કરીને કંપનીનો શ્વાસ હજી તો માંડ બેઠો હતો. ત્યાં વળી નવી આફત. બીજા ઘણા દેશોની જેમ ગ્રેટ બ્રિટન પણ આર્થિક રીતે પાયમાલ થયું હતું. પોતાના ઉદ્યોગોને બેઠા કરવા સરકારે ઠરાવ્યું કે જે જણસ દેશમાંથી જ મળતી હોય તે પરદેશથી મગાવવી નહિ. એ વખતે આર.ડી. તાતાના બે મિત્રો મદદે આવ્યા. તેમાંના એક તે પંડિત જવાહરલાલ નેહરુ અને બીજા તે મહમ્મદઅલી ઝીણા. બંને આર.ડી. તાતાના મિત્રો. તેમણે ગ્રેટ બ્રિટનની સરકારને સમજાવી કે હિન્દુસ્તાનના ઉદ્યોગો પડી ભાંગશે તો છેવટે નુકસાન તો તમને જ થશે. એટલે ગ્રેટ બ્રિટનથી હિન્દુસ્તાન થતી નિકાસ પર ડ્યૂટી નાખો. અને કોણ જાણે કેમ, બ્રિટિશ સરકારને ગળે આ વાત ઊતરી ગઈ.
બહારની આફત ટળી ત્યાં અંદરની આફત ઊભી થઈ. એ વખતે તાતા સ્ટીલમાં ૫૫ હજાર મજૂરો કામ કરતા હતા. તેમાંના ૨૩ હજાર ખાણોમાં કામ કરે. આ બધા કામદારોએ ભેગા મળીને યુનિયન બનાવ્યું, અને જાતજાતની માગણીઓ કરવા લાગ્યા. ગાંધીજીના નિકટના સાથી દિનબંધુ સી.એફ. એન્ડ્રુઝ આ યુનિયનના પહેલા સેક્રેટરી બન્યા. બીજી બાજુ સુભાષ ચંદ્ર બોઝે પણ તાતા સ્ટીલનો વિરોધ શરૂ કર્યો. એમની મુખ્ય ફરિયાદ એ હતી કે કંપની ઊંચા હોદ્દાઓ પર પરદેશીઓની જ નિમણૂક કરે છે. ‘દેશી’ઓને એવી તક આપતી નથી. વખત જતાં બોઝ પોતે સેક્રેટરી બન્યા. એક બાજુથી ડાબેરીઓ અને બીજી બાજુથી અસામાજિક તત્ત્વો કંપનીને રોજેરોજ પજવવા લાગ્યાં. જમશેદપુરનો ચરુ ઉકળવા લાગ્યો.
‘ઇન્ડિયન ઓપીનિયન’માં આર.ડી. (રતન) તાતાને ગાંધીજીએ આપેલી અંજલી
અને ત્યારે વહારે ધાયા મહાત્મા ગાંધી પોતે. મોટા ઉદ્યોગોના વિરોધી હોવા છતાં ગાંધીજીને જમશેદજી તાતા માટે ઘણું માન. કારણ જમશેદજી ‘સ્વદેશી’ના હિમાયતી હતા. જમશેદજીના અવસાન પછી ગાંધીજીએ તેમના સામયિક ‘ઇન્ડિયન ઓપિનિયન’માં લખેલું : “જમશેદજી જે કોઈ કામ કરતા તે પૂરેપૂરા નિ:સ્વાર્થ ભાવે કરતા. સરકારી માન કે ખિતાબોની અપેક્ષા તેમણે કદી રાખી નહોતી. તેઓ જ્યારે સખાવત કરતા ત્યારે ન્યાત-જાત-ધર્મ, કશાયનો ભેદભાવ મનમાં ન રાખતા. ધનવાન હોવા છતાં તેમનું જીવન સાદું અને પવિત્ર હતું. હિન્દુસ્તાનને આવા બીજા ઘણા ‘તાતા’ની જરૂર છે.”
જમશેદપુરમાં ગાંધીજી અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ
જમશેદપુરમાં ભાષણ કરતા ગાંધીજી
દોરાબજીના ભાઈ આર.ડી. તાતા સાથે પણ ગાંધીજીને સારા સંબંધો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ગાંધીજીના ‘ઇન્ડિયન ઓપીનિયન’ અખબારને અને સત્યાગ્રહની ચળવળને મદદ કરવા માટે આર.ડી. તાતાએ ૨૫ હજાર રૂપિયાના પાંચ હપ્તે સવા લાખ રૂપિયા (એ વખતના, હોં!)ની મદદ કરી હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા ત્યારે તેમને હિન્દુસ્તાનથી દાન મોકલનારા આર.ડી. તાતા પહેલા હતા. આ દાનનો બીજો હપતો મળ્યા પછી ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’માં આર.ડી. તાતાની પ્રશંસા કરતો લેખ પણ લખ્યો હતો. તાતા સ્ટીલના મજૂરો અને તાતા ગ્રૂપ વચ્ચે સમજૂતી સાધવાના ઈરાદે ગાંધીજી ૧૯૨૪માં જમશેદપુર આવ્યા. પછીથી આઝાદ હિન્દુસ્તાનના પહેલા પ્રમુખ બન્યા તે બાબુ રાજેન્દ્ર પ્રસાદ મૂળ બિહારના. એટલે ગાંધીજીએ તેમને પણ સાથે લીધા. પહેલાં તેમણે સ્ટીલ ફેક્ટરીની મુલાકાત લીધી. થોડાક મજૂરો સાથે વાતચીત કરી. પછી કંપનીના ડિરેક્ટરના બંગલે આર.ડી. તાતા અને બીજા કેટલાક અધિકારીઓ સાથે ગાંધીજીએ વાટાઘાટ કરી અને મજૂરોની મુખ્ય ત્રણ માગણીઓ અંગે સમાધાન કરાવ્યું. સાંજે ટીસ્કો ઇન્સ્ટિટ્યૂટ પાછળ આવેલા મેદાનમાં લગભગ વીસ હજાર મજૂરોની મેદની આગળ ભાષણ કર્યું. ભાષણને અંતે ગાંધીજીએ કહ્યું : “તમે સૌ જ્યારે તાતાની સેવા કરો છો ત્યારે સાથોસાથ આપણા દેશની પણ સેવા કરો છો. કારણ આ કોઈ સામાન્ય કારખાનું નથી. તમે અહીં દેશસેવાનું વધુ ઊંચું અને મહત્ત્વનું કામ કરી રહ્યા છો.”
*
વેણીભાઈ પુરોહિતના એક કાવ્યની શરૂઆત આમ થાય છે :
ખજૂરની કવિતા કહો તો લખી દઉં,
મજૂરની કવિતા મારાથી લખાય ના.
પણ આપણે તો આજે હિંમત કરીને કવિતા નહિ, તો મજૂરોની થોડી વાત લખી નાખી. હવે પછી વાત કરશું પરીકથા જેવી એક ઘટનાની, જે અલબત્ત, તાતા કુટુંબમાં બની હતી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 ડિસેમ્બર 2024