Opinion Magazine
Number of visits: 9454578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—211

દીપક મહેતા|Opinion - Opinion|26 August 2023

ડંકનના નામના સિક્કા પડાવો : ડંકન રોડ, કોઝ વે, ડોક, માર્કેટ

જ્યારે મુંબઈમાં રોજ સવારે ગાડામાં આવતાં તાજાં શાકભાજી    

સ્થળ : મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય, દાદર, મુંબઈ 

પાત્રો : ગોવિંદ નારાયણ માંડગાંવકર, સ.ગં. માલશે, નાચીઝ દી.મ.

દી.મ. (એક પાટિયું વાંચે છે) 

“આ માર્કેટ શાકભાજી, ફળફલાદિ, ફૂલ-પાન વગેરે વેચવા માટે બાંધવામાં આવી છે. આ જાતનો માલસામાન વેચનારા હર કોઈ જાત-જમાતના લોકો અહીં બેસીને પોતાનો ધંધો કરી શકે છે. આમ કરવા માટે તેમણે કોઈ પણ જાતનો કર, ફી, દસ્તૂરી, અથવા બીજી કોઈ પણ રીતે કશી જ રકમ કોઈને પણ ચૂકવવાની રહેતી નથી. 

– લિ. ધ ઓનરેબલ જોનાથન ડંકન.” 

તે હેં ગોવિંદરાવજી! આ જોનાથન ડંકન હતા કોણ? મ્યુનિસિપાલિટીના કોઈ મોટા અફસર?

ગવર્નર જોનાથન ડંકન

ગોવિંદરાવ : હોય કંઈ? તેઓ તો મુંબઈના ગવર્નર હોતા. અને એ પણ પૂરાં સોળ વરસ સુધી. ઈ.સ. ૧૭૯૫ના ડિસેમ્બરની ૨૭મી તારીખે ગવર્નર બન્યા. અને ૧૮૧૧ના ઓગસ્ટની ૧૧મી તારીખે પરલોક સિધાવ્યા ત્યાં સુધી ગવર્નર રહ્યા. 

માલશે : એ જમાનામાં આવા નાના નાના હુકમ પણ ગવર્નરની સહીથી જાહેરમાં મૂકાતા. સરકારી નોકરોના નામે નહિ. મુંબઈના જૂનામાં જૂના રોડમાંના એક રોડની સાથે આ ડંકનનું નામ જોડવામાં આવેલું. એ રોડ બેલાસિસ રોડ અને અર્સ્કિન રોડને જોડતો હતો. આ ઉપરાંત એક જમાનામાં સાયન કહેતાં શિવમાં ડંકન કોઝવે હતો, કોટ વિસ્તારમાં ડંકન ડોક હતો. અને શેખ મેમણ સ્ટ્રીટ પરની આ માર્કેટને પણ પછીથી ડંકન માર્કેટ નામ આપવામાં આવ્યું હતું. 

ગોવિંદરાવ : આ માર્કેટ વિષે બીજા કેટલાક વાત પણ જાણવા જેવા છે. અહીં થોડે થોડે અંતરે પાકા ઓટલા બાંધેલા હતા. જે વહેલો તે પહેલોના ધોરણે રોજ સવારે વેચવાવાળા અહીં બેસતા. માંસ, મચ્છી, ઈંડા વગેરે અહીં વેચવાની મનાઈ હતી. એ જમાનામાં મુંબઈમાં નાની મોટી અઢાર માર્કેટ આવેલી હતી. જુમ્મા મસ્જિદ પાસે આવેલી આ માર્કેટ સહુથી મોટા હતા. સવારના ત્રણ-ચાર વાગ્યા સુધીમાં વાંદરા, સાંતાક્રુઝ, વિલે પાર્લે, અંધેરી, ગોરેગાંવ વગેરે જગ્યાએથી ગાડાં ભરી ભરીને અહીં શાકભાજી અને ફળફૂલ ઠલવાતાં.

દી.મ. : ગાડાંમાં કેમ? લોકલ ટ્રેનમાં નહિ?

ગોવિંદરાવ : કારણ એ વખતે હજી બી.બી.સી.આ.ઈ.(આજે તમે જેને વેસ્ટર્ન રેલવે કહો છો)ની લોકલ ટ્રેન તો શરૂ જ નહોતી થઈ. એ તો શુરુ થયા છેક ૧૮૬૭ના એપ્રિલની ૧૨મી તારીખે. એટલે બધા માલની હેરફેર ગાડામાં જ થતી. મુંબઈનાં પરાંમાંથી સમી સાંજે માલ ભરીને ગાડાં નીકળતાં અને સવારના ત્રણ-ચાર વાગ્યા સુધીમાં આ માર્કેટ પહોંચી જતાં. અને હા. આ કિરકોળ માર્કેટ ન હતી, ઠોક માર્કેટ હતી.

દી.મ. : એટલે?

માલશે : મહેતા, કિરકોળ એટલે છૂટક, અને થોક એટલે જથ્થાબંધ. 

દી.મ. : અરે! આ થોક શબ્દ તો અમે ગુજરાતીમાં વાપરીએ છીએ. અને અમારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના બહુ જાણીતા કાવ્ય ‘કોઈનો લાડકવાયો’માં પણ આ શબ્દ આવે છે :

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને;

અને ખબર છે? આ ગીતને મથાળે શું લખ્યું છે?

માલશે : શું લખેલા છે?

દી.મ : લખ્યું છે : ‘મરાઠી સાખીનો ઢાળ.’ એટલે કે ‘સૌરાષ્ટ્રની રસધાર’ વહેવડાવનાર આ કવિ મરાઠી ભાષાની કવિતા અને એના ઢાળથી પરિચિત હતા. 

ગોવિંદરાવ : ગાડાં આવે એ પહેલાં આખા શહેરના શાકભાજી વેચવાવાળા અહીં પહોંચી ગયા હોય. ગાડાંમાંથી માલ ઉતરે કે તરત પોતાને જોઈતી જણસો ખરીદીને ચાલતા થાય. અને પછી જુદે જુદે જગ્યાએ જઈ પોતાની નાની હાટડી માંડે. સવારના છ-સાત વાગ્યા સુધીમાં તો આખી માર્કેટ ખાલીખમ્મ.

દી.મ. : અને ખાલી ગાડાં પાછાં પોતાને રસ્તે?

આવાં ગાડાંમાં આવતાં શાકભાજી

ગોવિંદરાવ : ના, મહેતા. અહીંથી નીકળીને એ જતાં દાણા બજાર. પરાંના દુકાનદારોએ ઘઉં, ચોખા, જવાર, બાજરી વગેરે મગાવ્યાં હોય તે ભરીને પછી નીકળતાં. બપોર સુધીમાં પહોંચે. અને સાંજે પાછાં શાકભાજી ભરીને આ માર્કેટ તરફ. એ વખતે ઘણાંખરાં પરાંઓમાં દાણાવાળાની દુકાનો નહોતી. રસ્તાની ધારે બેસીને ફેરિયા એ બધું વેચતા. પાસે પિત્તળ કે તાંબાનું એક વાસણ રાખે. એને પાલી કહેતાં. એમાં ભરીને વેચે. ભાવ પણ વજનથી નહિ, પણ પાલી દીઠ!

માલશે : એ જમાનામાં વજન કરવા માટે જાતજાતનાં માપ હતાં. તેમાં મુખ્ય બે, શેર અને રતલ. 

દી.મ. : અચ્છા! એટલે કેટલીક કહેવતોમાં આ શબ્દો આવે છે : શેરને માથે સવા શેર. ઘરમાં શેર માટીની ખોટ. કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે. અને તમને એક ગમ્મત કહું. એક સ્કૂલમાં નવાસવા શિક્ષક કવિતા શીખવતા હતા. તેમાં એક લીટી આવી : ‘પીઠે બાંધ્યા મણ મણ તણા બોજ, ને ચાલવાનું’. બિચારા કિલો ને ગ્રામના જમાનામાં જન્મેલા એટલે ‘મણ’ એટલે શું એની એ બચાડાને ખબર નહિ. એટલે એમણે તો બેધડક કહી દીધું. ‘ચોપડીમાં છાપ ભૂલ છે. મન મન તણા બોજ એમ વાંચવાનું છે’. આપણે કેટલા બધા માણસોનાં મનનો બોજ પીઠ પર ઊંચકીને ચાલવું પડે છે!

ગોવિંદરાવ : જુઓ. અમારા જમાનામાં તોલ-માપના જાતજાતના રીત હતા. એટલે નિશાળિયાઓને આંક કે પલાખાં મોઢે કરાવતા. જેથી ફટાફટ હિસાબ કરી શકે. મરાઠી નિશાળો કરતાં ય આ પલાખાંને ગુજરાતી સ્કૂલોમાં વધુ મહત્ત્વ અપાતા. કારણ એ વખતે મોટા ભાગના ગુજરાતીઓ વેપારી હતા. જુઓ, તમને તોલ-માપનાં કેટલાક કોષ્ટક કહું. ૪૦ વાલ = ૧ તોલો. પોણા બે તોલા = ૧ અધોળ. ૨ અધોળ = ૧ નવટાંક. ૨ નવટાંક = પા શેર. ૪ પા શેર = ૧ શેર. ૪૦ શેર = ૧ મણ. 

દી.મ. : અહો! આ બધા શબ્દો તો અમારા રૂઢિપ્રયોગોમાં પણ વપરાતા : સવા શેરના માથામાંથી નવટાંકનું નાક જાય તો બાકી શું રહે? અને બહુ મોટા કામની શરૂઆત થાય ત્યારે કહેતાં કે આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે. 

ગોવિંદરાવ : બીજા એક વાત એ હતા કે શેરની સાથે સાથે રતલનું વજન પણ ચાલતું. અને ૪૦ શેર અથવા ૨૮ રતલનો એકનો એક મણ થતો. વળી ઘઉં-ચોખા જેવાં ધાન્ય બે રીતે વેચાતાં, શેરના વજનથી અથવા ટીપરીના માપથી. અને પાછાં એ બંને માપ એકબીજા સાથે જોડાતાં : અડધો શેર = ૧ ટીપરી. ૪ શેર = ૧ પાલી. 

માલશે : અને ઘણા વખત સુધી તો ‘ડઝન’ પ્રમાણે ભાવ થતા જ નહોતા. 

દી.મ. : તો? 

એક રૂપિયાનાં કેટલાં નંગ એ પ્રમાણે ભાવ થતા. જેમ કે એક રૂપિયાની બે કેરી, ચાર દાડમ, આઠ અંજીર, દસ કેળાં. 

દી.મ. : એક રૂપિયાનાં દસ કેળાં? અત્યારે તો દસ રૂપિયાનું એક કેળું મળે!

ગોવિંદરાવ : અરે મહેતા, તમે કેળીની વાત ક્યાં કરો છો? અમારા જમાનામાં સોનાનો ભાવ કેટલો હતો, ખબર છે? ૧૮-૧૯ રૂપિયે એક તોલો.

માલશે : અને ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં સોનાનો ભાવ વધીને તોલાનો ૮૮ રૂપિયા થયો ત્યારે તો લોક બોમ્બાબોમ્બ કરવા લાગ્યા : ‘મોંઘવારી કેટલી વધી ગઈ, લડાઈ પછી?

મુંબઈ પોલીસ ૧૮૫૫-૧૮૬૨

ગોવિંદરાવ : અને આ ડંકન માર્કેટથી થોડે દૂર આવેલા હતા ઘોડા બાજાર. મુંબઈમાં બીજા બે-ચાર આવા બાજાર હતા, પણ આ સૌથી મોટા. આરબ વેપારીઓ અહીં ઘોડા વેચતા. અમીરો અને અંગ્રેજો ઘોડા ખરીદવા આવતા. ઉમદા નસ્લના ઘોડા તો પાંચ-પાંચ હજાર રૂપિયામાં વેચાતા. ત્યાંથી આગળ વધીને કાંપનાં મેદાન (આજનું આઝાદ મેદાન) તરફ જઈએ તો ખજૂર, ખારેક, ટોપરું, બદામ, કિસમિસ વગેરેની દુકાનો આવે. તેના વેપારીઓ ભારે તોછડા. ઘરાક ભાવ કરવા જાય તો તરત કહી દે : ‘લેવું હોય તો લે. નહિતર ચાલતી પકડ.’ અમારા જમાનામાં આદુ-કોથમીરથી માંડીને સોનું-રૂપું વેચનારા બધા વેપારી ઘરાકને છેતરવા જાતજાતની તરકીબ કરતા. ગરજ અને ખિસ્સું જોઈને ભાવ કરવો, સારો માલ બતાવીને હલકો પધરાવી દેવો, વજનમાં ધોકાદડી કરવા, વગેરે સામાન્ય બાબત ગણાતી. ઘરાકને છેતરવાનો પોતાનો જન્મસિદ્ધ હક્ક છે એમ વેપારીઓ માનતા. 

ચાર્લ્સ ફોર્જેટ

માલશે : પણ પછી ચાર્લ્સ ફોર્જેટ મુંબઈના પોલીસ કમિશનર બન્યા. તેમણે મુંબઈની બધી મોટી બજારોમાં પોલીસ બંદોબસ્ત મૂકી દીધો. અને ચટ મંગની પટબ્યાહ જેવો ન્યાય. કોઈ ઘરાક ફરિયાદ કરે એટલે દુકાનદારની પીઠ પર દંડૂકો વિંઝાય જ. 

દી.મ. : આ ફોર્જેટ સાહેબનો જન્મ ૧૮૦૮માં, અવસાન ૧૮૯૦માં. ૧૮૫૫થી ૧૮૬૪ સુધી બોમ્બેના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હતા. હા, એ વખતે પોલીસ કમિશનરને પોલીસ સુપરિન્ટેન્ડન્ટ કહેતા. ગોવાળિયા ટેન્ક્થી તારદેવ રોડ જતા રસ્તા સાથે તેમનું નામ જોડવામાં આવેલું તે આજે ય લોકજીભે તો વસેલું જ છે: ફોર્જેટ સ્ટ્રીટ. 

ગોવિંદરાવ : તમને એક બીજા વાત કહું. અમારા જમાનાના લોકોને પણ લાગતું કે આ મુંબઈ શહેરની વસતી બહુ વધી ગઈ છે. ૧૮૫૧માં વસતી ગણતરી થઈ ત્યારે મુંબઈની (એટલે કે માહિમ સુધીના વિસ્તારની) કુલ વસતી કેટલી હતી, ખબર છે? ૫,૧૪,૭૧૩. હા, એ વખતે વસતી ગણતરીમાં બાળકોની ગણતરી થતી નહિ. સૌથી વધારે લોકો – ૧,૦૪,૯૨૧ – ધોબી તળાવ વિસ્તારમાં રહેતા હતા. તો સૌથી ઓછી વસતી મહાલક્ષ્મી વિસ્તારમાં હતી. ત્યાં ફક્ત ૧,૪૯૨ લોક રહેતા હતા!

દી.મ. : આખા મુંબઈની વસતી છ લાખ પણ નહિ! ત્યારે તો એ વખતે મુંબઈ ગામડા જેવું લાગતું હશે.

માલશે : ના. મુંબઈ ક્યારે ય ગામડું હતું નહિ, ક્યારે ય ગામડું થશે નહિ. બીજાં ઘણાં શહેરો પહેલાં ગામડાં હતાં. ધીમે ધીમે વિકસીને શહેર બન્યાં. પણ મુંબઈના તો શ્રીગણેશ જ એક શહેર તરીકે થયા હતા. અને મુંબઈના શહેરના વિકાસનો સ્વપ્નદૃષ્ટા હતો ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆર. સુરતથી આવીને જે દિવસે તેમણે મુંબઈના ગવર્નર તરીકેનો અખત્યાર સંભાળ્યો તે જ દિવસે તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા : “જો પરમકૃપાળુ પરમાત્માના આશીર્વાદ હશે તો આ મુંબઈ શહેરનું નામ એક દિવસ આખા દેશમાં ગાજતું થશે.” 

દી.મ. : ગોવિંદરાવજી, માલશે સર, મુંબઈ વિશેની અનેક અવનવી વાતો કહેવા બદલ આપ બંનેનો આભાર. પુસ્તક પંઢરીમાં હવે પછી થશે મુંબઈ વિશેના એક અંગ્રેજી પુસ્તકની વાત. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx x

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 26 ઓગસ્ટ 2023)

Loading

26 August 2023 Vipool Kalyani
← વિદ્યાર્થી તરીકે જાપાનમાં ત્રણ મહિના
ત્રણ ગઝલ →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved