Opinion Magazine
Number of visits: 9449760
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 16

દીપક મહેતા|Opinion - Opinion|3 November 2019

આપણા દેશનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક પ્રગટ થયું હતું ૧૮૫૭માં ગુજરાતીમાં, મુંબઈથી

૧૮૫૭ની એક મહત્ત્વની ઘટના તે યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના. તેને વિષે આપણે અગાઉ વાત કરી. આજી ૧૮૫૭ના વર્ષની બીજી એક મહત્ત્વની ઘટના વિષે વાત. જો કે આ બીજી ઘટના આજે તો સાવ ભુલાઈ ગઈ છે. મુંબઈ અને તેના ગુજરાતીઓએ જે ઘટના પોતાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખી રાખવી જોઈએ, તે ઘટના આજે સાવ ભુલાઈ ગઈ છે. કારણ તવારીખમાં, ઇતિહાસની ઝીણી વિગતોમાં આપણને બહુ ઓછો રસ છે. આ ઘટના તે ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’ નામનું માસિક.  આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું આ માસિક. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં, અને  મુંબઈથી. બીજાં અનેક ક્ષેત્રોમાં પહેલ કરનાર પારસીઓએ આ પહેલ પણ કરેલી. સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજ સુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહિ બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહિ શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ ‘સ્ત્રીબોધ’ જેવું માસિક શરૂ કર્યું. આ માસિક શરૂ કરવા માટે પહેલાં તો એક મંડળી સ્થાપી. તેના સભ્યો હતા ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી અને બેહરામજી ખરશેદજી ગાંધી. પહેલા સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા અને પછી જજ નાનાભાઈ હરિદાસ.

સ્ત્રીબોધ જાન્યુઆરી ૧૮૫૭ના અંકનું મુખપૃષ્ઠ

જરા વિચાર કરો : હજી મુંબઈની યુનિવર્સિટી શરૂ થવાને થોડા મહિનાની વાર હતી. આપણા દેશમાં એ વખતે માંડ એક ટકો સ્ત્રીઓ વાંચી-લખતી શકતી. દેશમાં નહોતી વીજળી આવી, વાહન વહેવાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. એવે વખતે સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો સવાલ જ નહોતો, ખોટ જશે એની ખાતરી હતી. એ ખોટ કેમ કરી પૂરવી? ડોસાભાઈ ફરામજી કામાજીએ કહ્યું કે ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું (મેગેઝીન માટે એ વખતે વપરાતો શબ્દ) ચલાવવા માટે પહેલાં બે વર્ષ હું દર વર્ષે ૧,૨૦૦ રૂપિયા આપીશ. ૧૮૫૭ના બાર સો એટલે આજના નહિ નહિ તો ય બાર લાખ. અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે ‘સ્ત્રીબોધ’નો પહેલો અંક બહાર પડ્યો. તેમાં લખાણનાં વીસ પાનાં. કેટલાંક લખાણો સચિત્ર – એ વખતે ચિત્રો લંડનમાં તૈયાર કરાવવાં પડતાં હતાં, છતાં. તે ચિત્રો કાગળની એક જ બાજુ છાપેલાં છે અને એ પાનાંનો કુલ પાનાંની ગણતરીમાં સમાવેશ કર્યો નથી. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકે એ હેતુથી વરસના બાર અંકનું લવાજમ રાખ્યું હતું માત્ર એક રૂપિયો! પહેલા અંકની ૧,૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. લવાજમ મેળવવા માટેની રીત પણ અવનવી હતી. અંકમાં જણાવેલું કે જો લવાજમ ભરવા ન ચાહતા હો તો આ નકલ પાછી મોકલવી. જે લોકો પાછી નહિ મોકલે તેમને ગ્રાહક ગણી લેવામાં આવશે અને તેમણે લવાજમનો એક રૂપિયો મોકલી આપવો. લવાજમ બીજા અંકથી શરૂ થયેલું ગણાશે. એટલે કે પહેલો અંક તો તેમને મફતમાં મળશે.

પહેલા અંકના દિબાચા(પ્રસ્તાવના માટે એ વખતે વપરાતો શબ્દ)માં લખ્યું છે: “એ ચોપાંનીઊં વાંચનારીઓને લાએકનું તથા દીલપશંદ કરવા શારૂ તેમાં ગનાનનો વધારો કરનારી તથા નીરદોશ રમૂજ આપનારી બાબદો શાદી એબારતમાં અને કવેતોમાં લખવામાં આવશે અને તે બીના વધારે શારી પઠે શમજ પડવા શારૂં તેમની શાથે કેટલાએક અછા ચિતારો દર વેલા એ ચોપાંનીઆમાં દાખલ કરવામાં આવશે. અને તે શોભઈતું તથા શદગુણોનું વધારનારૂં કરવાને મેહનતની કશી ક્શુર કરવામાં આવશે નહીં. (જોડણી મૂળ પ્રમાણે.)

આ પહેલા અંકમાં શું શું હતું? સૌથી પહેલાં બે પાનાંનો દિબાચો. પછી પાંચ પાનાંનો લેખ,  મા દીકરાની અરસપરસની ફરજો. પહેલા જ અંકથી એક લેખમાળા શરૂ થઇ હતી : લાયકીવાળી ઓરત. જેમાં જાણીતી સ્ત્રીઓનો પરિચય અપાતો. પહેલા અંકના લેખમાં રાણી વિક્ટોરિયાનો પરિચય લગભગ ત્રણ પાનાંમાં આપ્યો છે. ઉપરાંત એક પાનાનું તેમનું રેખાંકન પણ મૂક્યું છે. પછી એક કથા છાપી છે, મારા દોસ્તારની બાયડી. પછીનો લેખ છે માહોમાહેના ફિસાદથી થતી ખરાબી : પંજાબનું રાજ. તેની સાથે મહારાજા દુલિપસિંહનું એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછીનો લેખ છે રેતીનાં રણ, અને તેની સાથે પણ એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછી પરચૂરણ બીનાઓ એવા મથાળા નીચે ઉપદેશાત્મક ફકરાઓ છાપ્યા છે. કોઈ લેખ સાથે તેના લેખકનું નામ છાપ્યું નથી, પણ એ જમાનામાં ઘણાંખરાં સામયિકો તેમ કરતાં. છેલ્લે કવિ દલપતરામે ‘સ્ત્રીબોધ’ માટે ખાસ લખેલા ગરબા/ગરબી છાપ્યાં છે. તેમાંની પહેલી કૃતિમાં મુંબઈ શહેર અને તેના વિકાસમાં પારસીઓએ આપેલ ફાળાની પ્રશંસા કરી છે અને પારસીઓ માટે કહ્યું છે : “એ તો હેમ જડેલા હીરા છે.”

પહેલી ગુજરાતી ધારાવાહિક નવલકથા – ભોલો દોલો, ઓગસ્ટ ૧૮૭૧

પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી ૧,૨૦૦ રૂપિયાનું દાન મળવાનું નહોતું. અને તે વગર માસિક ચાલી શકે તેમ હતું નહિ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. તેના માલિકો બહેરામજી ફરદુનજીની કંપનીને ‘સ્ત્રીબોધ’ સોંપી (વેચી નહિ) દેવામાં આવ્યું. આ દફતર આશકારા પ્રેસ એટલે માત્ર ગુજરાતી છાપકામ કરતા પહેલવહેલા પ્રેસની ૧૮૧૨માં મુંબઈમાં સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીના ત્રણ દીકરાઓનું ૧૮૪૧માં શરૂ થયેલું છાપખાનું. તેની શરૂઆત તો નાને પાયે થઇ હતી, પણ વખત જતાં તે મુંબઈનું એક અગ્રણી છાપખાનું બન્યું હતું. ‘સ્ત્રીબોધ’ના પહેલા તંત્રી બેહરામજી ખરશેદજી ગાંધી. પછી થોડા થોડા વખત માટે સોરાબજી શાપુરજી બંગાળી, જાંગીરજી બરજોરજી વાચ્છા, જજ નાનાભાઈ હરિદાસ, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રૂસ્તમજી રાણીના તંત્રી બન્યા. પણ ‘સ્ત્રીબોધ’ને એક આગવું સામયિક બનાવ્યું તે તો કેખુશરૂ કાબરાજી (૧૮૪૨-૧૯૦૪)એ. ૧૮૬૩થી જિંદગીના અંત સુધી (વચમાં થોડાં વર્ષો બાદ કરતાં) તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. ૧૯૦૩માં તેમણે દફતર આશકારા પાસેથી ‘સ્ત્રીબોધ’ ખરીદી લીધું. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શિરીન, તેમના પછી પુત્રવધૂ પુતળીબાઈ, અને પુતળીબાઈના અવસાન પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં.

૧૮૫૭માં શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’ તેનું નામ જ સૂચવે છે તેમ સ્ત્રીઓને બોધ, જ્ઞાન, માહિતી આપવાના ઉદ્દેશ સાથે શરૂ થયું હતું. પણ કેખુશરો કાબરાજીએ પણ શરૂઆતમાં તો અગાઉની રીતે જ ‘સ્ત્રીબોધ’ ચલાવ્યું. પણ પછી તેમના ધ્યાનમાં આવ્યું કે માત્ર લુખ્ખાં બોધ, માહિતી, ઉપદેશ આપવાથી ધારી અસર પડતી નથી અને વાચક વર્ગ પણ મર્યાદિત રહે છે. માસિકમાં મનોરંજનનું તત્ત્વ પણ ઉમેરવું જોઈએ. એટલે તેમણે પહેલાં તો શેક્સપિયરનાં ત્રણેક નાટકોના કથાસાર હપ્તાવાર છાપ્યા. અને પછી ઓગસ્ટ ૧૮૭૧ના અંકથી શરૂ કરી પોતાની નવલકથા ‘ભોલો દોલો.’ ગુજરાતીમાં પ્રગટ થયેલી આ પહેલવહેલી ધારાવાહિક નવલકથા. હા, એ મૌલિક નહોતી, એક અંગ્રેજી નવલકથા પર આધારિત હતી અને તે હકીકત પહેલા જ હપ્તામાં જાહેર કરવામાં આવી હતી. આજે તો આપણા દૈનિકો, સાપ્તાહિકો, માસિકો વગેરે માટે ધારાવાહિક નવલકથાનું પ્રકાશન લગભગ અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. પણ આ ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી કેખુશરૂ કાબરાજીએ. ભોલો દોલો (૧૨૦ પ્રકરણ) ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન ‘સ્ત્રીબોધ’માં ધારાવાહિક રૂપે પ્રગટ થઇ હતી.

કેખુશરુ કાબરાજી અને પુતળીબાઈ કાબરાજી

ત્યાર બાદ પરણવું કે નહિ પરણવું, આગલા વખતની બાયડીઓ અને હાલના વખતની છોકરીઓ, પાતાલ પાણી ચલાવે, મિજાજી હોસ્નઆરા કેમ ઠેકાણે આવી, પૈસા! પૈસા! પૈસા!, દુખિયારી બચુના દુઃખનાં પહાડ, સોલીને સુધારનાર સુની, ગુમાસ્તાની ગુલી ગરીબ, વેચાયલો વર, ભીખો ભરભરિયો, હોશંગ બાગ, ખોહવાયલી ખટલી, મીઠી મીઠ્ઠી, ચાલીસ હજારનો ચાનજી, અને ખૂનનો બદલો ફાંસી, જેવી કાબરાજીની નવલકથાઓ ‘સ્ત્રીબોધ’માં હપ્તાવાર પ્રગટ થઇ. છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં. આમ, ૧૮૬૩થી ૧૯૦૪ સુધી, સતત ૪૧ વર્ષ સુધી ‘સ્ત્રીબોધ’ કાબરાજીની ધારાવાહિક નવલકથાઓ પ્રગટ કરતું રહ્યું.

કેખુશરૂ કાબરાજી

કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પુતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત ‘સ્ત્રીબોધ’ને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ તેના તંત્રી રહ્યાં, અને તેમણે પણ ‘સ્ત્રીબોધ’ માટે પુષ્કળ લખ્યું, પણ તેમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું.

પુતળીબાઈ કાબરાજી

લગ્ન પહેલાનું નામ પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. અંગ્રેજી વાર્તાઓના અનુવાદના પુસ્તક ‘ટૂંકી કહાણીઓ’ માટે ૧૯ વર્ષની ઉંમરે ઇનામ મેળવ્યું. અદરાયા પછી બન્યાં પુતળીબાઈ જાંગીરજી કાબરાજી. ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પુતળીબાઈનો જન્મ. જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણીજોઇને ગેરહાજર. કેમ? અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’માં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. ‘ટૂંકી કહાણીઓ’ને મળેલા ઇનામના સમાચાર લંડનના ‘ઇન્ડિયન મેગેઝીન’માં છપાયા. કેપ્ટન આર.સી. ટેમ્પલે એ સમાચાર વાંચ્યા. ડો. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નામના પ્રતિષ્ઠિત માસિકના ડો. જે.એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી. ટેમ્પલને પુતળીબાઈને મળવાની ઈચ્છા થઇ. સર જ્યોર્જ કોટનની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. તે વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પુતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’માં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પુતળીબાઈ.

‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નાં બારણાં એક વાર ખુલી ગયાં એટલે પુતળીબાઈની કલમ અંગ્રેજીમાં ચાલવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી એન્ડ ગુજરાતી હિંદુ ન્યુપિટલ સોંગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયાં. તેની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરી લિપીમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ .. પણ પુતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને મહત્ત્વનો અનુવાદ તે તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. તે પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને તે અનુવાદની સાથે પણ આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરી લિપીમાં છાપ્યો હતો. અનુવાદ શરૂ કરતાં પહેલાં પ્રાસ્તાવિક લખાણમાં પુતળીબાઈએ નરસિંહ મહેતાના જીવન અને કવનનો પરિચય આપ્યો છે. અનુવાદમાં પણ અનેક સ્થળે જરૂરી પાદટીપો ઉમેરી છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાના કોઈ પણ અભ્યાસી-સંશોધકને છાજે તેવો આ અનુવાદ છે. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય, અને તે પણ મુંબઈમાં રહેતી એક પારસી સ્ત્રીને હાથે થાય, એ એક અસાધારણ ઘટના ગણાય.

૧૮૫૭માં ‘સ્ત્રીબોધ' શરૂ થયું ત્યારથી આજ સુધીમાં આપણે કેટલી પ્રગતિ કરી છે? જ્યારે ભણેલી સ્ત્રીઓનું પ્રમાણ માંડ એક ટકો હતું ત્યારે આવું સ્ત્રીઓ માટેનું સામયિક શરૂ થયું અને સારી રીતે લાંબુ જીવ્યું. આજે સ્ત્રી-સાક્ષરતાનું પ્રમાણ ૭૧ ટકા જેટલું હોવાનું કહેવાય છે. ત્યારે આપણી ભાષા પાસે સ્ત્રીલક્ષી સામયિકો કેટલાં છે? ‘સ્ત્રીબોધ’ના પહેલા જ અંકથી તેના માસ્ટ હેડ નીચે નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય છપાતું : “દેશની હાલત સુધારવાની સરવેથી સરસ રીત એ કે માતાઓ જ્ઞાની થાએ તેમ કરવું.”

૧૬૨ વર્ષ પછી આજે પણ આપણે ઠેર ઠેર સૂત્રો લખવાં પડે છે : બેટી પઢાવ, બેટી બચાવ, મુલગી શીકલી, પ્રગતિ ઝાલી. સમાજમાં ખરેખર સ્ત્રી-બોધ થયો છે ખરો?

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 02 નવેમ્બર 2019]

Loading

3 November 2019 admin
← આવા અણસરખા વાતાવરણમાં વિવાદો, મતમતાન્તરો, આવેશો કે પક્ષાપક્ષી સંભવે જ શી રીતે?
હું ગૃહિણી →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved