મુંબઈમાં ક્રેસન્ટ નામની જગ્યા ક્યાં હતી?
બ્રિટનના રાજકુમારની મુલાકાતની યાદમાં બંધાયું મ્યુઝિયમ
મ્યુઝિયમના મકાનમાં પહેલાં કરવી પડી હોસ્પિટલ
ઓલ ઇન્ડિયા રેડિયોની વાત જરા બાજુએ મૂકીને આજે આપણે ક્રેસન્ટ ફરવા જવાનાં છીએ. તમે કહેશો કે મુંબઈમાં આવું નામ તો સાંભળ્યું નથી. કોઈ બીજા શહેરની વાત હશે. ના, સાહેબ. શનિવારની સવારે મુંબઈની બહાર આપણે પગ જ ક્યાં મૂકીએ છીએ! આજના મુંબઈમાં મકાનોનાં ઝુંડો વચ્ચે ક્યાંક ક્યાંક ખુલ્લી જગ્યા હોય છે. પણ સો-સવાસો વરસ પહેલાં મુંબઈમાં ખુલ્લી જગ્યાઓ વચ્ચે થોડાં થોડાં મકાનો હતાં. આવી એક ખુલ્લી જગ્યા તે ‘ક્રેસન્ટ.’ અંગ્રેજીના આ શબ્દનો અર્થ થાય છે અર્ધચંદ્ર. એટલે અર્ધ ગોળાકાર ખુલ્લી જગ્યાને પણ ક્રેસન્ટ કહેવાય. કોટ કહેતાં ફોર્ટ વિસ્તારમાં આવી હતી આ ક્રેસન્ટ નામની જગ્યા. ક્યાં?
એની વાત જરા પછી. ૧૯૦૫માં પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવવાના છે એવી જાહેરાત થઈ. તે પહેલાંથી મુંબઈમાં એક સારા મ્યુઝિયમની જરૂર જણાતી હતી. આ અંગે શું કરી શકાય એ અંગે વિચાર કરવા માટે મુંબઈ સરકારે એક કમિટી બનાવી. તેના સભ્યોમાં સર ફિરોઝશાહ મહેતા, ઈબ્રાહિમ રહીમતુલ્લા, વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસી, અને કેટલાક અંગ્રેજ અધિકારીઓનો સમાવેશ થતો હતો. આ સમિતિએ મુંબઈમાં એક નવું મ્યુઝિયમ ઊભું કરવાની ભલામણ કરી. કદાચ આ ભલામણ કાગળ પર જ રહી હોત. પણ લગભગ એ જ વખતે પ્રિન્સ ઓફ વેલ્સની મુલાકાતની જાહેરાત થઈ. તેમના આગમન વખતે શું શું કરી શકાય તે અંગે વિચાર કરવા માટે ટાઉન હોલમાં એક પબ્લિક મિટિંગ મળી. તેમાં હાજર રહેલામાં સર ફિરોઝશાહ મહેતા, જસ્ટિસ ચંદાવરકર, જસ્ટિસ બદરુદ્દીન તૈયબજી, નરોત્તમદાસ ગોકુળદાસ, ડેવિડ સાસુન, સર જમશેદજી જીજીભાઈ, કિકાભાઈ પ્રેમચંદ, વગેરે હાજર રહ્યા હતા. પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ મેરી ઓફ વેલ્સની મુલાકાતની ઉજવણીના ભાગ રૂપે એક કાયમી સ્મારક ઊભું કરવું જોઈએ એવું સૌને લાગ્યું. અને આવા સ્મારક તરીકે મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરતાં વધુ સારું બીજું શું હોઈ શકે? સૌને આ વાત પસંદ પડી ગઈ. અને એ કામ માટે એક સમિતિ પણ બની ગઈ. મ્યુઝિયમ બાંધવા માટે ફાળો ઉઘરાવવાનું શરૂ થયું. કરીમભાઈ ઈબ્રાહિમે ત્રણ લાખ રૂપિયા, જૂનાગઢના નવાબે બાર હજાર, સર કાવસજી જહાંગીરે પચાસ હજાર રૂપિયા આપ્યા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ૩ લાખ ૫૮ હજાર રૂપિયાની કિંમતની ગવર્નમેન્ટ સિક્યોરીટીઝ ભેટ આપી. અને મુંબઈ સરકારે ૩ લાખ રૂપિયા આપ્યા. પણ આ મ્યુઝિયમ માટેનું મકાન બાંધવું ક્યાં? સરકારે આ માટે ‘ક્રેસન્ટ’ની જગ્યા ફાળવવાનું નક્કી કર્યું. એટલે કે આજે જ્યાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ – સોરી, છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય – ઊભું છે એ જગ્યા તે જ ક્રેસન્ટ. એ જગ્યા પર બાંધવાના મકાનની ડિઝાઈન માટે સરકારે જાહેર હરીફાઈ યોજી. તેમાં જી. વિટેટની ડિઝાઈન પાસ થઈ હતી. તેમાં બહુ કુશળતાપૂર્વક સ્થાપત્યની જુદી જુદી શૈલીઓનો સમન્વય થયો છે. આઠ માળના મકાન જેટલી ઊંચાઈ ધરાવતો તેનો મહાકાય ઘુમ્મટ બીજાપુરના ગોળ ગુંબજની પ્રતિકૃતિ જેવો છે. તો અમુક અંશો માઉન્ટ આબુ પરના વિમલસહિ દેરાસર પરથી લેવામાં આવ્યા છે. નાશિકના વાડાઓ(હવેલીઓ)ની અસર પણ અહીં જોવા મળે છે.
પ્રિન્સ ઓફ વેલ્સ, ૧૯૦૩માં
૧૯૦૫ના ઓક્ટોબરની ૧૯મી તારીખે શાહી કાફલો લંડનથી રવાના થયો. ૨૦મી ઓક્ટોબરે સાંજે પાંચ વાગે જિનોઆથી એચ.એમ.એસ. રિનાઉન નામની સ્ટીમર દ્વારા પ્રવાસ શરૂ થયો. રસ્તામાં જુદી જુદી જગ્યાએ રોકાયા પછી ૨૯ ઓક્ટોબરને રવિવારે બપોરે બાર વાગ્યે શાહી સ્ટીમર સુએઝથી મુંબઈ આવવા નીકળી. ગુરુવાર, ૯મી નવેમ્બરે સ્ટીમર મુંબઈ આવી પહોંચી. બ્રિટિશ નેવીના કમાન્ડર ઇન ચીફ એડમિરલ પો, વાઈસરોય લોર્ડ કર્ઝન, ગવર્નર લોર્ડ લેમિંગટન વગેરેએ સ્ટીમર પર જઈ પ્રિન્સ અને પ્રિન્સેસનું સ્વાગત કર્યું હતું. બપોરે ચાર વાગ્યે શાહી મહેમાનો એપોલો બંદર પર ઊતર્યાં હતાં. બીજાં ઘણાં રોકાણો પછી શનિવાર, ૧૧મી નવેમ્બરે બપોરે સાડા ચાર વાગ્યે મહેમાનોએ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ માટેના મકાનનો પાયો નાખ્યો.
પ્રખ્યાત ફોટોગ્રાફર રાજા દીનદયાળે લીધેલો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના શિલારોપણ વિધિનો ફોટો
પ્રિન્સ ઓફ વેલ્સ વખત જતાં બન્યા સમ્રાટ પાંચમા જ્યોર્જ. ૧૯૧૧માં દિલ્હી દરબાર માટે આવ્યા ત્યારે એ જ એપોલો બંદર પર ઉતરેલા. પણ એ વખતે હજી મ્યુઝિયમના મકાનનું બાંધકામ ચાલુ હતું. એ બાંધકામ શરૂ થયું છેક ૧૯૦૯માં સરકારે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ એક્ટ પસાર કર્યો તે પછી. બાંધકામ પૂરું થાય એ પહેલાં આલ્બર્ટ ડેવિડ સાસુને કાળા પથ્થરના ઘોડા પર બેઠેલા પ્રિન્સ ઓફ વેલ્સનું પૂતળું ભેટ આપ્યું જે મ્યુઝિયમની બંધાઈ રહેલી ઈમારત સામેના બગીચામાં મૂકવામાં આવ્યું હતું. તેને કારણે આ વિસ્તાર આજે પણ કાળા ઘોડા તરીકે ઓળખાય છે. ૧૯૬૫માં બ્રિટિશ સમયનાં બીજાં પૂતળાં સાથે કાળા ઘોડાને પણ ત્યાંથી દૂર કરીને વિક્ટોરિયા ગાર્ડન મોકલી દેવામાં આવ્યું. ૨૦૧૭માં કાળા ઘોડાનું નવું પૂતળું એ જ જગ્યાએ મૂકવામાં આવ્યું છે, પણ તેના પર કોઈ અસવાર નથી! મ્યુઝિયમના મકાનનું બાંધકામ શરૂ તે સાથે જ તેમાં મૂકવા માટેની વસ્તુઓ ભેગી કરવાનું કામ પણ શરૂ થયું. એ વખતે એ બધી વસ્તુઓ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના ભંડકિયામાં રખાઈ હતી.
મ્યુઝિયમની બંધાઈ રહેલી ઈમારત
૧૯૧૪માં મકાનનું બાંધકામ તો નવ લાખ રૂપિયાના ખર્ચે પૂરું થયું. પણ એ મકાનમાં મ્યુઝિયમ શરૂ થયું નહિ. કેમ એમ? કારણ પહેલું વિશ્વાયુદ્ધ! એ લડાઈમાં ઘવાયેલા સૈનિકો માટેની લશ્કરી હોસ્પિટલ એ મકાનમાં શરૂ કરવી પડી. એટલું જ નહિ, તાજ મહાલ હોટેલને પણ લશ્કરી હોસ્પિટલ બનાવી દેવામાં આવી. જો કે એ વરસો દરમ્યાન પણ મ્યુઝિયમમાં મૂકવા માટેની વસ્તુઓ ભેગી કરવાનું કામ તો ચાલુ જ હતું. ૧૯૧૫માં શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીના સંગ્રહનો મોટો ભાગ મ્યુઝિયમ માટે મેળવ્યો. આ સંગ્રહ મૂળ તો નાના ફડણવિસ પાસે હતો. છેવટે ૧૯૨૧ના એપ્રિલમાં સરકારે મ્યુઝિયમના ટ્રસ્ટીઓને મકાન પાછું આપ્યું. નાનું મોટું સમારકામ કરવામાં, એકઠી કરેલી વસ્તુઓ ગોઠવવામાં થોડો સમય ગયો. છેવટે ૧૯૨૨ના જાન્યુઆરીની ૧૦મી તારીખે સાંજે સવા પાંચ વાગ્યે બોમ્બેના ગવર્નર લોર્ડ લોયડનાં પત્ની લેડી લોયડના હાથે મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું. આ સોમવારે, ૧૦મી તારીખે, એ ઘટનાને એક સો વરસ પૂરાં થશે. ૧૯૯૮માં આ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય રાખવામાં આવ્યું. આ મ્યુઝિયમમાં લગભગ પચાસ હજાર વસ્તુઓ આકર્ષક રીતે ગોઠવવામાં આવી છે. તેને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી નાખવામાં આવી છે: આર્ટ, આર્કિયોલોજી, અને નેચરલ હિસ્ટ્રી. આપણા દેશના વહાણવટાનો ઇતિહાસ આલેખતી ‘મેરીટાઈમ હેરિટેજ ગેલેરી’ આપણા દેશમાંની આવી સૌથી પહેલી ગેલેરી છે. ૨૦૦૮માં બે નવી ગેલેરી ખુલ્લી મૂકાઈ. એક, ‘કાર્લ એન્ડ મેહેરબાઈ ખંડાલાવાલા કલેક્શન’, અને બીજી, ‘ધ કોઇન્સ ઓફ ઇન્ડિયા’.
મ્યુઝિયમની સામે આવેલ અસલ કાળા ઘોડા
શતાબ્દીના અવસરને ધ્યાનમાં રાખીને ૨૦૧૯થી આ મ્યુઝિયમની ઈમારતને સમીનમી કરીને જાળવવાનું કામ છેક ૨૦૧૯થી શરૂ થયું. યુનેસ્કો તરફથી એવોર્ડ મેળવનાર કન્ઝર્વેશન આર્ચિટેકટ વિકાસ દિલાવરીને આ કામ સોંપવામાં આવ્યું. નવ લાખમાં બંધાયેલી ઈમારતને સમીનમી કરવાનો ૨૫ કરોડનો ખર્ચ થયો. આ કામ હવે પૂરું થવાને આરે છે. અલબત્ત, હાલના સંજોગોમાં શતાબ્દીની ઉજવણી ધામધૂમથી કરવાનું શક્ય નહિ બને એ દેખીતું છે.
ક્રેસન્ટની જગ્યાએ બંધાયેલું મ્યુઝિયમ એ મુંબઈનું સૌથી મોટું અને જાણીતું મ્યુઝિયમ ખરું, પણ એ સૌથી જૂનું મ્યુઝિયમ નહિ. એ માન તો મળ્યું છે વિક્ટોરિયા ગાર્ડનની અંદર આવેલા મ્યુઝિયમને. મુંબઈમાં મ્યુઝિયમ બાંધવાનો સૌથી પહેલો વિચાર છેક ૧૮૫૦માં આવ્યો હતો. ૧૮૫૧માં લંડનના ક્રિસ્ટલ પેલેસ ખાતે દુનિયા આખીના ઉદ્યોગ-વ્યવસાયો, કળાકારીગરી અંગેનું પ્રદર્શન ભરવા માટેની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. એ વખતે મુંબઈમાં પણ એક મ્યુઝિયમ હોવું જોઈએ એવો વિચાર આવ્યો. પછી ૧૮૫૫માં પેરિસમાં યુનિવર્સલ એક્ઝીબિશન ભરાયું ત્યારે તેમાં મોકલેલી વસ્તુઓની ‘કોપી’ મુંબઈમાં ‘ટાઉન બેરેકસ’ ખાતે રાખવામાં આવી, અને તેને નામ અપાયું ‘સેન્ટ્રલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, ઈકોનોમી, જિયોલોજી, ઇન્ડસ્ટ્રી, એન્ડ આર્ટ્સ.’ પણ બે જ વરસમાં, ૧૮૫૭માં તે બંધ થયું અને તેમાંની વસ્તુઓને ટાઉન હોલમાં રાખવામાં આવી. સાથોસાથ મ્યુઝિયમ માટે નવું મકાન બાંધવા માટે એક સમિતિ બનાવાઈ. ડો. ભાઉ દાજી લાડ અને જગન્નાથ શંકરશેઠ એ બે અગ્રણી ‘દેશી’ઓ તેના સભ્યો. ૧૮૬૨માં મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ મકાનનો પાયો નાખ્યો, વિક્ટોરિયા ગાર્ડનની નજીક. આ મકાનનું બાંધકામ ૧૮૬૨માં શરૂ થયું અને ૧૮૭૧માં પૂરું થયું. ૧૮૭૨ના મે મહિનાની બીજી તારીખે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું. વખત જતાં મુંબઈનાં ઘણાં જાહેર સ્થળોનાં નામ બદલાયાં, અંગ્રેજોનાં નામ કાઢીને આપણા દેશના અગ્રણીઓનાં નામ અપાયાં. એ રીતે ૧૯૭૫માં આ મ્યુઝિયમને નવું નામ આપવામાં આવ્યું : ડો. ભાઉ દાજી લાડ મુંબઈ સિટી મ્યુઝિયમ. ૨૦૦૩થી પાંચ વરસ મ્યુઝિયમ લોકો માટે બંધ રહ્યું કારણ તેનું સમારકામ મોટે પાયે કરવાનું અનિવાર્ય બન્યું હતું. ૨૦૧૬માં આ મ્યુઝિયમને ‘ઇન્ટરનેશનલ ક્વોલીટી ક્રાઉન એવોર્ડ ઇન ધ ગોલ્ડ કેટેગરી’ મળ્યો હતો.
ખેર, ઓલ ઇન્ડિયા રેડિયોની વાત અધૂરી મૂકીને શતાબ્દીને કારણે આજે મ્યુઝિયમ જવું પડ્યું. પણ એ જ તો એ જમાનાના રેડિયોની ઓળખ હતી – જ્યાં જરૂર હોય ત્યાં હાજરાહજૂર થઈ જાય. સમાચારો એકઠા કરે. અને પછી ઘરેઘરમાં સંભળાય : “This is All India Radio. Here is the news read by Melville de Mellow.” પણ હવે આવતે શનિવારે ફરી મળીશું ઓલ ઇન્ડિયા રેડિયોની કેટલીક યાદગાર વ્યક્તિઓને.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2022