કવિ નાનાલાલ, નરસિંહરાવ દિવેટિયા, ઝવેરચંદ મેઘાણી, મંજુલાલ મજમુદાર જેવા ચાર ચાર અગ્રણી સાક્ષરોએ એક જ પુસ્તકની પ્રસ્તાવના લખી હોય, અને તે પણ માત્ર ‘શુભેચ્છા’ દર્શાવતી, એક-બે પાનાંની નહિ, પણ પુસ્તકના વિષયની તલસ્પર્શી ચર્ચા કરતી, એવું બને? હા, એક પુસ્તકની બાબતમાં તો બન્યું જ છે. એ પુસ્તક તે શાંતિ ચૂનીલાલ બરફીવાળા સંપાદિત ‘રાસકુંજ.’
ગુજરાતના રાસ-ગરબાનો આટલો મોટો, આટલો વ્યાપક, આટલો વ્યવસ્થિત સંચય તેનાથી પહેલાં પ્રગટ થયો નહોતો અને તેના પછી પણ પ્રગટ થયો નથી. આ પુસ્તકના પહેલા ભાગની કુલ ત્રણ આવૃત્તિ પ્રગટ થઇ હતી, અને ત્રણે આવૃત્તિની પ્રસ્તાવના જુદા જુદા સાક્ષરોએ લખી હતી. રાસકુંજની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઇ હતી, અને એ જમાનામાં તેની ૨,૦૦૦ નકલ છપાઈ હતી, જે માત્ર છ મહિનામાં વેચાઈ ગઈ હતી. તેમાં કુલ ૬૪ કવિઓની ૧૭૩ કૃતિઓ સમાવવામાં આવી હતી.
આ સંપાદનની એક આગવી વિશિષ્ટતા છે તેમાં કરેલી કૃતિઓની ગોઠવણી. પહેલી પંક્તિ કે લેખકના નામના અકારાદિ ક્રમે નહિ, પણ જુદા જુદા ઢાળોના ગુચ્છ બનાવીને તેમાં કૃતિઓને ગોઠવી છે. જેમ કે ‘વહેલા આવજો હો લાલ’ એ ગીતના ઢાળની છ કૃતિઓ અહીં છે. આવા લગભગ ૭૫ જુદા જુદા ઢાળ સંપાદકે તારવ્યા છે. આ આવૃત્તિમાં સૌથી વધુ કૃતિઓ – ૨૮ – કવિ નાનાલાલની છે. પુસ્તકના આરંભે તેમનો ફોટો મૂક્યો છે. તેના મથાળે લખ્યું છે: ‘રાસયુગના અધિષ્ઠાતા’ અને નીચે લખ્યું છે: ‘મહાકવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ.’ આ આવૃત્તિમાં લગભગ વીસ પાનાંની કવિ નાનાલાલની પ્રસ્તાવના છે. તેમાં કવિએ કહ્યું છે: “રાસ એટલે ગુજરાતણની સર્વોત્તમ રસકલા. રાસમાં તો ગુજરાતણનો સકલ રસાત્મા છે.” પછી તેમણે નરસિંહ મહેતાથી શરૂ કરી ૧૯૧૦માં પોતાનો પહેલો રાસ સંગ્રહ છપાયો ત્યાં સુધીના મુખ્ય મુખ્ય કવિઓના રાસની અછડતી ચર્ચા કરી છે. નાનાલાલ માટે સહજ નહિ એવી નમ્ર રીતે તેઓ કહે છે: “સુંદર મનોહારી રાસોનો ઉમંગ ઉછાળતો ઉપાડ એમાં નથી. મારા રાસથી મારી રસભાવના હજી તો પરિતર્પાઈ નથી.”
‘રાસકુંજ’ પહેલાં પ્રગટ થયેલા બીજા કેટલાક રાસસંગ્રહો વિષે પણ તેમણે લખ્યું છે. આ આવૃત્તિ માટે નાનાલાલે માત્ર પ્રસ્તાવના જ લખેલી એવું નહોતું. બીજી ઘણી રીતે પણ સંપાદકને તેઓ મદદરૂપ થયા હતા. પોતાની પ્રસ્તાવનામાં સંપાદક લખે છે: “શ્રી ન્હાનાલાલ કવિએ કરેલા ઉપકારો યોગ્ય શબ્દોમાં દર્શાવવા અશક્ય છે. પ્રસ્તાવના લખી રાસકુંજને અલંકૃત કરી છે એ મદદ તો સૌ કોઈ જાણે એવી છે. પણ રાસકુંજની હસ્તપ્રત બારીકાઈથી તપાસી જઈ છપાવવામાં કાળજીપૂર્વક અથઇતિ દેખરેખ રાખી, સંગ્રાહિકાની ખામીઓ ને તેની હઠીલાઈ ભણી દુર્લક્ષ કરી, નિઃસ્વાર્થ મદદ તેમણે આપી ન હોત તો જે સ્વરૂપે રાસકુંજ પ્રગટ થાય છે તે સ્વરૂપે એ કદાપિ પ્રગટ થાત નહિ.”
હવે જુઓ આ જ પુસ્તકના આ જ ભાગની ૧૯૩૪માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિ. અહીં કવિ નાનાલાલની પ્રસ્તાવના તો નથી જ, પણ તેમની એક પણ કૃતિ પુસ્તકમાં જોવા મળતી નથી. સંપાદકે પ્રસ્તાવના ન છાપવા અંગે કશો ખુલાસો કર્યો નથી, પણ પહેલી આવૃત્તિમાં નાનાલાલની ૨૮ કૃતિઓ હતી અને આ બીજી આવૃત્તિમાં એક પણ કૃતિ નથી તે અંગે પ્રસ્તાવનામાં એક ફૂટનોટમાં આટલું જ કહ્યું છે: “મહાકવિ શ્રી ન્હાનાલાલના રાસો એમની રજા ન મળવાથી આ આવૃત્તિમાં લઇ શકાયા નથી.” (પા. ૫૧)
૧૯૨૮થી ૧૯૩૪ વચ્ચેના છ વર્ષમાં એવું તે શું બન્યું હશે કે નાનાલાલ આ સંપાદકથી અને તેમની ‘રાસકુંજ’થી આટલી હદે વિમુખ થઇ ગયા હશે? ચોક્કસ જવાબ મળવો અઘરો છે, પણ એક અનુમાન થઇ શકે. રાસકુંજના સંપાદક શાન્તિબહેન અને તેમના પતિ ચૂનીલાલ બરફીવાળા બંને તે વખતની મુંબઈની કૉન્ગ્રેસની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા હતા. (મુંબઈના અંધેરી પરામાં જે રસ્તા પર ‘બરફીવાળા લોજ’ નામના મકાનમાં તેઓ રહેતાં એ રસ્તાને પાછળથી ‘ચૂનીલાલ બરફીવાળા રોડ’ નામ અપાયું છે.) ૧૯૬૩માં પ્રગટ થયેલા રાસકુંજના બીજા ભાગની પ્રસ્તાવનામાં શાન્તિબહેન લખે છે: “રાસકુંજની બીજી આવૃત્તિ છેક ૧૯૩૪માં પ્રગટ થઇ શકી. કારણ કે રાષ્ટ્ર ચળવળમાં અંધેરીમાં અને પાર્લાની છાવણીમાં કૈંક આગળ પડતો ભાગ લીધો. તેની અસર તબિયત પર થઇ; વળી જેલયાત્રા કરી, તેથી તબિયત વધારે બગડી.” એટલે કે ૧૯૩૦ની ચળવળ વખતે શાન્તિબહેન ગાંધી રંગે પૂરેપૂરા રંગાઈ ગયાં હતાં. એ પહેલાં ગાંધીજી અને નાનાલાલ વચ્ચે ‘દૂઝણી ગાય’વાળો પ્રસંગ બની ગયો હતો અને નાનાલાલ માત્ર ગાંધીજીના જ નહિ, ‘ગાંધીવાળાઓ’થી પણ વિમુખ થઇ ગયા હતા. એવી મનોદશામાં ગાંધી રંગે રંગાયેલાં શાંતિબહેનને પોતાનાં પ્રસ્તાવના અને કૃતિઓ છાપવા માટે નાનાલાલે પરવાનગી ન આપી હોય તેમ બને?
આ સંદર્ભમાં બીજી એક વાત પણ સૂચક બને તેવી છે. રાસકુંજના પહેલા ભાગની બીજી આવૃત્તિની પ્રસ્તાવના લખવા માટે સંપાદકે પસંદગી કરી છે ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપેલું તે ઝવેરચંદ મેઘાણીની. ‘રાસકુંજ’ની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઇ તેની સાથે જ તેનું જોડિયું પુસ્તક ‘રાસકુંજની સરિગમ’ પણ પ્રગટ થયું હતું. તેમાં બધાં જ ગીતોનાં નોટેશન્સ આપવામાં આવેલાં. હવે, ‘રાસકુંજની સરિગમ’ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના લખી છે નરસિંહરાવ દીવેટિયાએ. શાસ્ત્રીય સંગીતની તેમની જાણકારી જોતાં તેમની પસંદગી યોગ્ય જ ગણાય, પણ તેમાંના કેટલાક વિચારો નાનાલાલના વિચારોનો વિરોધ કરનારા છે. આ વાતથી નાનાલાલ નારાજ થયા હોય એમ બને? રાસકુંજની બીજી આવૃત્તિમાં મેઘાણીની પ્રસ્તાવના ઉપરાંત ‘આશીર્વાદ’ શીર્ષકથી નરસિંહરાવભાઈનું લખાણ પણ છપાયું છે. તેમાં તો તેમણે નાનાલાલનો સ્પષ્ટ રીતે વિરોધ કર્યો છે. લખે છે: “ગુજરાતના ગરબાને ‘રાસ’ સંજ્ઞા કાંઇક અર્ધદર્શનથી જ અપાઈ છે, અને તે પણ ગુજરાતી સાહિત્યમાં તો પાછલાં થોડાં વર્ષોથી જ. રા. ન્હાનાલાલ કવિયે પોતાના ગરબીસંગ્રહ ‘ન્હાના ન્હાના રાસ’ એ સંજ્ઞાથી પ્રથમ છપાવ્યા તે પૂર્વે રાસગરબો અથવા ગરબી એ સમીકરણ ગુજરાતી સાહિત્યમાં જાણવામાં આવ્યું નહોતું.”
રાસકુંજના પહેલા ભાગની ૧૯૫૪મા પ્રગટ થયેલી ત્રીજી આવૃત્તિમાંથી મેઘાણીની પ્રસ્તાવના કાઢી નાખવામાં આવી છે, પણ તેમની દસ કૃતિઓ પુસ્તકમાં સમાવી છે. એ આવૃત્તિની પ્રસ્તાવના મંજુલાલ મજમુદારે લખી છે. ૧૯૬૩માં પ્રગટ થયેલા બીજા ભાગની પ્રસ્તાવના પણ તેમણે જ લખી છે. પુસ્તકના બંને ભાગમાં મળીને કુલ ૬૪૫ કૃતિઓ સમાવવામાં આવી છે. નાનાલાલ, નરસિંહરાવ, મેઘાણી જેવા સાક્ષરો તો આ પુસ્તકને આવકારે, પણ અગેય અને વિચારપ્રધાન કવિતાના પ્રખર પુરસ્કર્તા બલવન્તરાય ઠાકોરે પણ તેને આ શબ્દોમાં આવકાર આપ્યો હતો: ”સૌ. શાન્તિબહેન બરફીવાળાએ જે જાતની કવિતાઓ સંગ્રહી છે તે એ જાતમાંની ઉત્તમ કવિતાઓ. ભાગ્યે કોઈ એ જાતની ખરેખર સારી કવિતા રહી ગઈ હોય એટલો મોટો સંગ્રહ એમણે કર્યો છે.”
e.mail : deepakbmehta@gmail.com
![]()


આ અડધા અક્ષરની ખોટ પુરાવા સ્વાનુભૂત સંવેદનોના સર્જક ભગવતીકુમાર શ,ર્મા આપણા માટે સ્મરણોનું રાજપાટ છોડી, અનંતની યાત્રાએ નીકળી પડ્યા. જો કે તેઓને ખબર છે કે – 'હું નહિ હોઉં ને દુનિયા ચાલશે, જો કે મારી થોડી ચર્ચા ચર્ચા ચાલશે.’ આપણે પણ એ જ ઉપક્રમ રાખી આ ચર્ચા માંડી છે.

ગાંધીજીએ બીજી એક રીતે પણ ગુજરાતી ભાષાને દેશ અને વિદેશમાં અનેક સ્થળે ગુંજતી કરી છે. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાનું પદ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાંધીજીનું અત્યંત પ્રિય ભજન હતું. સાબરમતી આશ્રમની સવારની પ્રાર્થનામાં તે નિયમિત રીતે ગવાતું. તેનું પહેલવહેલું રેકોર્ડિંગ ૧૯૦૭માં બહાર પડ્યું હતું. તે પછી આજ સુધીમાં એમ.એસ. શુભલક્ષ્મી અને લતા મંગેશકર, પંડિત જસરાજ, કૌશિકી ચક્રવર્તી, અનુપ જલોટા, બોમ્બે જયશ્રી, શ્રેયા ઘોષાલથી માંડીને અનેક અજાણ્યા, ઓછા જાણીતા, જાણીતા, અને વિખ્યાત ગાયક-ગાયિકાએ આ ભજન ગાયું છે. વિદેશના પણ અનેક કલાકારો આ ગીત ગાઈ ચૂક્યા છે. અનેક સભા, સમારંભ, કાર્યક્રમમાં તે ગવાતું રહે છે. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જુદા જુદા ૧૨૪ દેશના કલાકારોએ ભેગા મળીને આ ગીત ગાઈને રેકોર્ડ કર્યું છે. ગાંધીજીને કારણે આ ગીત લોકપ્રિય થયું તે પહેલાં ગુજરાતમાં – ખાસ કરીને કાઠિયાવાડમાં – નરસિંહનાં બીજાં પદોની સાથે તે પણ ગવાતું. પણ ગાંધીજીએ આ ગુજરાતી ગીતને અને નરસિંહ મહેતાને એક અનન્ય ઓળખ આપી. તેમણે ગુજરાતી ભાષાના શબ્દોને આ ગીત દ્વારા અનેક દેશોમાં ગુંજતા કર્યા.
પણ ગાંધીજીની પ્રેરણાથી, તેમના આગ્રહથી, તેમની દેખરેખ નીચે ગુજરાતી ભાષા અંગે જે એક મોટું કામ થયું તે તો જોડણીની એકવાક્યતા સિદ્ધ કરવા માટે તૈયાર થયેલ ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ.’ ૭ એપ્રિલ ૧૯૨૯ના ‘નવજીવન’માં ગાંધીજીએ લખ્યું હતું: “નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ, તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું”. આ અર્થમાં ગાંધીજીએ આપણી ભાષાનું નાક રાખ્યું. અલબત્ત, ગુજરાતી જોડણીમાં એકવાક્યતા લાવવા માટેનો તેમનો પ્રયત્ન પહેલો નહોતો. ૧૯મી સદીમાં મુદ્રણ અને છાપેલાં પુસ્તકો, સામયિકો, અખબાર, આવ્યાં ત્યારથી એ દિશામાં વખતોવખત પ્રયત્નો થયા હતા. પણ તેમાંના કોઈ પ્રયત્નને ઝાઝી સફળતા મળી નહોતી. પરિણામે કેપ્ટન જર્વિસ, સર થિયોડોર હોપ, રેવરન્ડ જે.એસ.વી. ટેલર, કવિ નર્મદાશંકર, વગેરેના પ્રયત્નો અમુક નાનકડા વર્ગ પૂરતા જ મર્યાદિત રહ્યા હતા. જ્યારે ગાંધીજી પ્રેરિત ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશને ધીમે ધીમે વ્યાપક માન્યતા મળી. ૧૯૨૯માં તેની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે તે માત્ર ‘જોડણીકોશ’ હતો, ‘શબ્દકોશ’ નહિ. એટલે કે તેમાં શબ્દોના અર્થ આપ્યા નહોતા, માત્ર સાચી-જોડણી જાણવા માટે જ તેનો ઉપયોગ થઇ શકે તેમ હતું. પછી જ્યારે ૧૯૩૧માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે તેમાં શબ્દોના અર્થ ઉમેરવામાં આવ્યા, અને એટલે તે ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ બન્યો. પણ વિદ્યાપીઠના આ કોશને વ્યાપક માન્યતા મળી તે તો ૧૯૪૦માં તે વખતની મુંબઈ સરકારે લીધેલા એક નિર્ણયને પ્રતાપે. એ નિર્ણય અનુસાર સરકારે એવો હુકમ બહાર પાડ્યો કે ભવિષ્યમાં ‘જોડણીકોશ’માં નક્કી કરાયેલી જોડણીને અનુસરે એવાં જ પુસ્તકોને પાઠ્યપુસ્તકોની મંજૂર થયેલી યાદીમાં મૂકવામાં આવશે.” એ વખતે સરકારે પાઠ્યપુસ્તકો તૈયાર અને પ્રગટ કરવાનું અવિચારી સાહસ કર્યું નહોતું. ખાનગી પ્રકાશકોનાં મંજૂર થયેલાં પુસ્તકો શાળાઓમાં વપરાતાં. કોઈ પણ પુસ્તક પાઠ્યપુસ્તક બને તો તેનું વેચાણ ઘણું વધી જાય. એટલે કોઈ પ્રકાશકને આ હુકમની અવગણના કરવી પાલવે તેમ નહોતું. એટલે ‘જોડણીકોશ’ની જોડણી અપનાવ્યા સિવાય તેમનો છૂટકો નહોતો. અંગ્રેજીમાં જેને રિપલ ઈફેક્ટ કહે છે તેની કારણે પછી અખબારો, સામયિકો, વગેરેએ પણ જોડણીકોશની જોડણી અપનાવી.
ગાંધીજીના તંત્રીપણા નીચે બે ગુજરાતી સામયિકો પ્રગટ થયાં – નવજીવન અને હરિજનબંધુ. એ બેમાંથી એકે આજે આપણે જેને ‘સાહિત્યનું સામયિક’ કહીએ તેવું નહોતું. ગાંધીજીની વિચારણામાં સાહિત્યનો નિષેધ નહોતો જ, પણ તે સાહિત્ય પૂરતી મર્યાદિત નહોતી. એ જીવનલક્ષી હતી. અને છતાં આજે આપણે જે લેખકોનાં નામ આપણા સાહિત્યની પહેલી હરોળમાં મૂકીએ છીએ તેવા કેટલા બધા લેખકો આ બે સામયિકોમાં નિયમિત રીતે લખતા હતા! થોડાંક જ નામ : મહાદેવ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ, નરહરિ પરીખ. ગાંધીજીનાં જે પુસ્તકો (સંચયો, ભાષણો વગેરે નહિ) પ્રગટ થયાં છે તે પણ પહેલાં ‘નવજીવન’ કે ‘હરિજનબંધુ’માં હપ્તાવાર પ્રગટ થયાં હતાં. ‘આત્મકથા’ ઉપરાંત તેમનાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, ગીતાવિચાર, મંગલપ્રભાત, જેવાં પુસ્તકો પહેલાં આ રીતે પ્રગટ થયાં હતાં.