
ધીમન્ત પુરોહિત
ભારતની ટપાલ-પ્રણાલીના 2,700 જેટલા સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો અંદાજ આપતું એક અનોખું ઇનૉવેટિવ પ્રદર્શન માણવાની આજે (રવિવારે) સાંજે છેલ્લી તક છે. પુરાવસ્તુ સંગ્રાહક અને પત્રકાર ધીમંત પુરોહિતે વર્ષોથી સેવેલી અનેક પૅશન્સમાંથી એક પૅશનનું આ સુફળ છે. પ્રદર્શનનું નામ છે चिठ्ठी आयी है : Postal Heritage of India
અહીં ત્રણ-ચાર સદીઓ પહેલાંનાં પરબીડિયાં, લિફાફા, એન્વેલપ્સ અને પોસ્ટકાર્ડ મૂળ સ્વરૂપે જોવા મળે છે. તેને ચાર વિભાગોમાં ગોઠવવામાં આવ્યાં છે.
રૉયલ પ્રિન્સલી સ્ટેટ્સ અથવા રજવાડાંના પહેલા વિભાગમાં જામનગર-નવાનગર, વડોદરા, નાંદોદ, રેવાકાંઠા બિકાનેર જેવાં રાજ્યો છે. ધીમંતભાઈ માહિતી આપે છે કે આ ટપાલસેવા રાજવી કૂળો માત્ર પોતાનાં માટે ચલાવતાં અને તેમાંથી કેટલાંક કાર્ડસ પર જે મુદ્રા અથવા સુશોભન માટેનું સ્ટિકર છે તે સાચા સોનાનું છે.
બ્રિટિશ ઇન્ડિયા શીર્ષક હેઠળ જોવા મળતાં અનેક નમૂનાઓમાં 1 જુલાઈ 1879ની તારીખનું પહેલું પોસ્ટકાર્ડ છે. બ્રિટિશ તેમ જ ફ્રેન્ચ સરકારે બહાર પાડેલાં કાર્ડસના નમૂના પણ મળે છે. ગાંધીજીને લગતો એક વિભાગ છે, અને તેમાં એક પોસ્ટકાર્ડમાં ગાંધીજીનું ‘જાણીતું’ સરનામું છે.
રિપબ્લિક ઑફ ઇન્ડિયા વિભાગમાં આઝાદીથી સાંપ્રત સુધીના નમૂનાઓ છે. જેમાં કાર્ડ, કવર, આંતર્દેશીય, એર-મેઇલ અને રાખડી માટેના કવર સુદ્ધાં છે.
સિનેસ્ટાર્સને દરરોજના સેંકડો પત્રો આવતા – મીનાકુમારી તેમને આવેલા પત્રોના ઢગલાની સામે બેઠાં હોય તેવો રંગીન ફોટોગ્રાફ છે. ભારતના ભાતીગળ વારસાની ઝલક આપતો ‘સુરભી’ નામનો પ્રસન્નતાકારક અઠવાડિક કાર્યક્રમ દૂરદર્શન પર 1990થી એક દાયકા સુધી આવતો હતો. એક ફોટામાં કાર્યક્રમના સદા પ્રફુલ્લિત સંચાલકો રેણુકા શહાણે અને સિદ્ધાર્થ કાક પત્રોના ઢગલાની સામે બેઠેલાં દેખાય છે. ‘સુરભી’ના દરેક એપિસોડમાં આખા ભરતમાંથી આવતા લાખો પત્રો એક વિશ્વવિક્રમ ગણાય છે.
જાતભાતની માહિતી આપતાં પોસ્ટર્સમાં છે – ગાંધીજીને દરરોજ 31 હજાર પત્રો મળતા, ભારતની પહેલી પોસ્ટ ઑફિસ 1774માં કોલકાતામાં બની, અંગ્રેજો ભારતના હલકારાઓ-ટપાલીઓ પર અમાનુષ જુલમ ગુજારતા.
કેટલાક નમૂના વિશિષ્ટ છે. પ્રદર્શનના પ્રવેશ દ્વારે જ ટપાલીનો ગણવેશ છે જેનું મથાળું છે – કિશોર કુમારે ગાયેલું ‘ડાકિયા ડાક લાયા’ નામનું ગુલઝારે લખેલું અદ્દભુત ગીત (ફિલ્મ ‘પલકોં કી છાંવ મેં’, 1977). પ્રદર્શન ખંડની વચ્ચે મૂકવામાં આવેલી ટપાલ પેટી અર્થાત પોસ્ટ ઑફિસનો અસલ ડબ્બો અને કાળા રંગનો ડાયલવાળો ફોન.
તેની બાજુમાં છે મોર્સ કોડ દ્વારા કામ કરતાં ઓરિજિનલ ટેલિગ્રામ મશીન્સ, જેના દ્વારા, સામે રિસિવર હોય તો અત્યારે પણ ટેલિગ્રામ થઈ શકે, એમ ધીમંતભાઈએ જણાવ્યું.
ફિલ્મી ગીતોની પહેલી પક્તિઓની રૂપકડી પટ્ટીઓ છે : ‘યે મેરા પ્રેમપત્ર પઢકર …’(ફિલ્મ: સંગમ, 1964), ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં …’ (સરસ્વતીચન્દ્ર, 1968), ‘ચિઠ્ઠી આઈ હૈ વતન સે ચિઠ્ઠી આઈ હૈ …’ (નામ, 1986) અને ‘કબૂતર જા જા જા …’ (મૈને પ્યાર કિયા, 1989).

ભારતના પહેલવહેલા ટપાલીએ આપેલી ભાવસેવાની અદ્દભુત કલાકૃતિ ‘મેઘદૂત’નો પાંચ ભાષાઓમાં અનુવાદ આપતો વાસુદેવ સ્માર્તનાં ચિત્રો સાથેનો રમણીય ગ્રંથ, રેડિયો તેમ જ ટેલિવિઝન માટે 1980ના દાયકા સુધી મેળવવા પડતાં લાયસન્સના નમૂના અને પિન કોડની માહિતી આપતું પુસ્તક છે. અભ્યાસીઓ અને રસિકો પ્રદર્શનમાંથી ઘણું પામી શકે.
પ્રદર્શનમાં મુલાકાતીએ એક મજાની પ્રવૃત્તિ પણ કરવાની છે. એક પોસ્ટકાર્ડ છે. તેની એક બાજુ કોરી છે, બીજી બાજુ અરધા હિસ્સામાં ધીમંતભાઈના ફોટા સાથે પ્રદર્શનની વિગત છે અને બાકીનામાં સરનામાં માટેની જગ્યા છે.
મુલાકાતીને અનુરોધ કરવામાં આવે છે કે તે પોતાના કોઈ પણ પ્રિય વ્યક્તિને પોસ્ટકાર્ડ લખીને, તેની બીજી બાજુ એ વ્યક્તિનું સરનામું લખીને તે પોસ્ટકાર્ડને પ્રદર્શનની વચોવચ ગોઠવેલી ટપાલ પેટીમાં નાખે. તે વખતે તેનો ફોટો લેવામાં આવે. ધીમંતભાઈ જણાવ્યું કે એ પોસ્ટકાર્ડ આવતા દિવસોમાં સરનામે પહોંચી જશે !
કેટલાંક મુલાકાતીઓએ વીસ-પચીસ વર્ષ પછી પત્ર લખવાની અનુભૂતિ માણી હતી, તો થોડાંએ વળી પહેલી વારની ! એક કિશોરે તો પોસ્ટકાર્ડ જ પહેલી વાર જોયું હતું. જેન-ઝીમાં પણ આવાં સ્વાભાવિક રીતે જ નીકળવાનાં !
પોસ્ટકાર્ડ લખવાની આ અનુભૂતિ માણવા જેવી છે, વારંવાર માણવા જેવી છે. જો સરકાર માણવા દે તો, કેમ કે ગયા એકાદ દાયકામાં કેન્દ્ર સરકારે ટપાલ સેવાઓને લોકવિરોધી પગલાંથી નુકસાન કર્યું છે.
ગયાં વર્ષે 17 સપ્ટેમ્બરના દસેક દિવસ પહેલાં પોસ્ટકાર્ડ ખરીદવા જનારાને જી.પી.ઓ. સહિતની ત્રણ પોસ્ટ ઑફિસોમાં ખબર પડી કે તેનો સ્ટૉક નથી. કારણ ? એ વખતે આપણા વડાપ્રધાનશ્રીને શુભેચ્છા લખી/લખાવી મોકલીને ભક્તિ કરવા/કરાવવા માટે પક્ષના લોકોએ પોસ્ટકાર્ડ જથ્થાબંધમાં ખરીદી લીધાં હતાં.
રોજના હજારો પત્રો મેળવનાર અને અનેક પત્રોનો જવાબ લખનાર ગાંધીજીએ શું કર્યું હોત ? એક સદીના કૃતાર્થ આયુષ્યમાં હજારો પોસ્ટકાર્ડ લખનાર એવા વાચનના જ્યોતિર્ધર મહેન્દ્રભાઈ મેઘાણીએ શું કર્યું હોત ?
ધીમંતભાઈના પુરાવસ્તુ સંગ્રહનું આ ત્રીજું પ્રદર્શન છે. પહેલું ગાંધીજીના વારસા પરના સંગ્રહનું અને બીજું વીસમી સદીના પોણા ભાગના સમયગાળાને લગતી વસ્તુઓનું હતું.
સંગ્રહઘેલા અને અતીતરાગી ધીમંતભાઈ પાસેથી હવે ચોથું પ્રદર્શન શેનું મળી શકે ? કદાચ દુર્લભ હસ્તપ્રતો, સામયિકોના અંકો, ગ્રંથો અને પુસ્તકોનું ? શુભેચ્છા સાથે પ્રતિક્ષા પણ છે.
ડિજિટલ કમ્યુનિકેશનના સમયમાં અસલના જમાનાની ટપાલની દુનિયાના જજબાતનો પયામ આપણી સુધી પહોંચાડનારા ધીમંત डाकियाને ધન્યવાદ !
डाकिया ના ગીતની લિન્ક https://www.youtube.com/watchv=7M0mSb5vT9c
(કોલાજ માટે ખૂબ આભાર : પરીક્ષિત મેઘના મુકેશ)
——————————-
આ પ્રદર્શન આજે (રવિવારે) તેના ત્રીજા છેલ્લા દિવસે પાંજરાપોળ ચાર રસ્તા પાસે આઈ.આઈ.એમ. રોડ આવેલા એ.એમ.એ.ના સંકુલમાં સાંજે 4.00 થી 7.00 વાગ્યા સુધી જોવા મળશે.
20 સપ્ટેમ્બર 2026
e.mail : sanjaysbhave@yahoo.com
![]()




