Opinion Magazine
Number of visits: 9446154
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભ્રષ્ટાચાર: ચાય-પાનીનું જંગલ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 January 2017

વર્ષના અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશામાં, તેમના અગાઉના ભાષણની સરખામણીમાં, પહેલીવાર, ભ્રષ્ટાચાર ઉપર જોરશોરથી બોલવાને બદલે નોટબંધીને કારણે સર્જાયેલા અવ્યવસ્થામાંથી કંઇક રસ્તો કાઢવા ઉપર જોર રાખ્યું. નોટબંધીનો હેતુ પણ ભ્રષ્ટાચારની નાબૂદીનો જ હતો, કારણ કે આ સરકાર એ જ મુદ્દા ઉપર ચૂંટાઈને આવી હતી. નોટબંધી પછી એ ઉદ્દેશ પાર પડ્યો ખરો? આનો જવાબ અઘરો છે તે પ્રધાનમંત્રીને હવે ખબર પડશે, કારણ કે દેશ ભ્રષ્ટાચારમુક્ત છે એ કેવી રીતે પુરવાર થાય?

હકીકતમાં, ભ્રષ્ટાચાર એક એવો ડ્રામા છે, જેના ઉપર ક્યારે ય પરદો પડ્યો નથી. મંચ ઉપર ભજવાતા ડ્રામામાં તો ઇન્તિકામ કે ઇન્સાફની મદદથી ડ્રામાનો અંત આવતો હોય છે, પરંતુ ભારતમાં ભ્રષ્ટાચારને લઈને જ શુદ્ધિની વાતો થઈ છે તે અંતત: કોરી વાતો જ રહી છે. ભ્રષ્ટાચાર દરિયાના ભરતીના પાણી જેવો છે. એ ધસમસતો આવે છે, અને કિનારે અથડાઈને પાછો પાણીમાં જાય છે. એને રોકવાના કે ખતમ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહે છે, અને ઇન્તિકામ કે ઇન્સાફની હર કોશિશ અંતત: એક નવી ભરતીને જોર બક્ષે છે.

એવું નથી કે સરકારની (કે મોદીની) દાનત નથી. ભારતમાં દરેક સરકાર અને દરેક પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર દૂર કરવાની કસમ ખાધેલી છે, અને નેક પ્રયાસો કર્યા છે. છેક 1930માં મહાત્મા ગાંધીએ કૉંગ્રેસમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર માટે પીડા વ્યક્ત કરી હતી, અને સંગઠનની સમગ્ર વ્યવસ્થા બદલી નાખવાનું સૂચન કર્યંુ હતું. રાજકારણ જ નહીં, રાજા-રજવાડાઓમાં પણ ભરપૂર ભ્રષ્ટાચાર હતો. ભારતમાં સ્થિર થવા અંગ્રેજીઓએ અનેક રજવાડામાં અનેક કૌભાંડ કર્યાં હતાં. ત્રણ યુદ્ધો પછી ટીપુ સુલતાન સાથેનું ચોથું યુદ્ધ અંગ્રેજો જીત્યા તેની પાછળ ટીપુના સરદાર મીર સાદીકની ગદ્દારી હતી, જેણે અંગ્રેજીને ‘ફેવર’ કરવા મૈસુરના સૈનિકોને પગાર લેવાના બહાને લડાઈના મેદાનની બહાર મોકલ્યા હતા.

એનાથી ય આગળના ભૂતકાળમાં જઇએ તો છેક વેદમાં ભ્રષ્ટાચારની વાતો થઈ છે. સામવેદ ભ્રષ્ટાચારને નવ માથાવાળા રાક્ષસ તરીકે ઓળખાવે છે અને કહે છે કે માણસની પાંચ ઇન્દ્રિયો મારફતે નવેનવ પ્રકારના ભ્રષ્ટાચાર અંદર આવે છે. રામાયણમાં આ જ નવ માથાના રાક્ષસ ઉપરથી રાવણનું ચરિત્ર લખાયું હતું. મહાભારતમાં અંધ રાજા ધૃતરાષ્ટ્રના 99 પુત્રોના માધ્યમથી 99 પ્રકારના ભ્રષ્ટાચારની વાત છે. ઋગ્વેદમાં 99 પ્રકારના વૃત(દુષ્ટ આત્મા)નો ઉલ્લેખ છે. યજુર્વેદમાં એવું સૂચન છે કે ભ્રષ્ટ વ્યક્તિને રાજાએ ચતુર્વર્ણમાં ભેગો થવા ન દેવો જોઇએ. મહાભારત અને રામાયણની કથા જ ભ્રષ્ટાચાર અને એનાં પરિણામો અંગેની છે.

મુદ્દો એ છે કે માનવ સમાજની બે વાસ્તવિકતા, લાલચ અને જરૂરિયાત, ભ્રષ્ટ આચારના મૂળમાં છે. લાલસા એ માનવવૃત્તિ છે અને કેટલાક લોકો લાલસાને નિયંત્રણમાં રાખી શકે છે તો કેટલાક લોકો માટે લાલસાની પરિપૂર્તિ ક્યારે ય થતી નથી. પુરાણથી લઈને આધુનિક સમયમાં પણ ભ્રષ્ટાચારનો ડ્રામા અનંત ચાલતો રહે છે, તેનું કારણ એ છે કે, આપણે જે હોહા કરીએ છીએ તેનાથી વિપરીત, ભ્રષ્ટાચાર બહુ જ સાધારણ અને સહજ વ્યવહાર છે.

આમ જનતા ભ્રષ્ટાચારને જિંદગીનો એક ભાગ માને છે. ભ્રષ્ટાચાર સામર્થ્ય અને પ્રતિભા પણ ગણાય છે. આ લખનારને બીજા પત્રકાર-તંત્રીઓનાં ઉદાહરણ આપીને કહેવાયું હતું કે, ‘તને કંઈ આવડતું નથી.’ ભારતમાં ભ્રષ્ટાચાર કરીને આગળ વધેલા ઉદ્યોગપતિઓ સફળતા અને ક્ષમતાના ઉદાહરણ બન્યા છે. ‘દીવાર’ ફિલ્મ જે મુખ્યત્વે નૈતિકતા અને ન્યાયોચિતતાની વકાલાત કરે છે, તેમાં સૌથી વધુ પ્રશંસા અને સહાનુભૂતિ અચ્છા બેટાને નહીં, પણ બગડેલા બેટાને મળે છે. અમિતાભના રિયલ લાઇફ બેટા અભિષેકની ‘ગુરુ’ ફિલ્મ જ સરકારી નિયમો તોડીને કેવી રીતે સફળ થવાય તેવી ‘શિખામણ’ આપતી હતી, અને લોકોએ તેને વધાવી પણ હતી.

ભ્રષ્ટાચારને લઈને જે ઉમદા હેતુઓની અભિવ્યક્તિ થાય છે તેમાં લાગણીઓ ભડકાવ્યા સિવાય કશું થતું નથી. કોઈ ભાગ્યે જ એ હકીકતનો એકરાર કરે છે કે આધુનિક મૂડીવાદી અર્થવ્યવસ્થા અને વિકાસનું મૉડલ જ ભ્રષ્ટાચાર માટેની ફળદ્રુપ જમીનનું કામ કરે છે. ઉદાહરણ તરીકે ગામનો એક યુવાન નોકરી કે વ્યવસાયની તલાશમાં શહેરમાં આવે છે. એને પહેલા જ દિવસથી ‘ચાય-પાની’ સમજમાં આવી જાય છે. શહેર આવવા માટે ટ્રેનમાં બેસવા-સૂવાની જગ્યા માટે એજન્ટને કમિશન આપવું પડે છે. શહેરમાં એક રાત બગીચામાં કે પ્લેટફોર્મ ઉપર સૂવા માટે કોન્સ્ટેબલ કે લોકલ દાદાના હાથ ‘ગરમ’ કરવા પડે છે. ઑફિસમાં ઘૂસવા માટે વચેટિયાને રાજી રાખવો પડે છે.

વયસ્ક થયેલા દરેક યુવાનને ખબર છે કે રોજગારીની પહેલી સફળતામાં ક્લાર્ક કે બાબુની, પોલીસની કે એજન્ટની ભૂમિકા કેટલી મોટી હોય છે. સરકારમાં નોકરી લેનાર દરેક કર્મચારીને ખબર છે કે ગમતી જગ્યા કે શહેરમાં પોસ્ટિંગ લેવા માટે ઉપરી અધિકારીને કેવી રીતે ‘ખુશ’ રાખવા પડે છે. પોલીસમાં ભરતી થનાર દરેક જવાન પાસે એ ટાઇમટેબલ નક્કી જ હોય છે, જેની અંદર એણે નોકરી માટે ખર્ચેલા રૂપિયા ‘રિકવર’ કરવાના હોય છે. દરેક નવા ઉત્તીર્ણ ડૉક્ટરને ખબર છે કે એણે ભણવા માટે જે લાખો રૂપિયા ખર્ચ્યા છે એ કેવી રીતે દર્દીઓ પાસેથી વસૂલવા.

તરક્કીના આપણા મૉડલમાં આગળ વધવું એ ચમત્કારથી કમ નથી અને દરેકને ચમત્કાર કરતા આવડી પણ જાય છે. અહીં બધા જ નિયમોનો અર્થ ઊલટો થાય છે. અમિતાભની ‘અગ્નિપથ’ ફિલ્મમાં વિજય કહે છે, ‘કહને કો યેહ શહેર હૈ, સિર્ફ કહને કો, પર ઇધર જંગલ કા કાનૂન ચલતા હૈ માલૂમ … ચીંટી કો બિસ્તુિરયા ખા જાતા હૈ, બિસ્તુિરયા કો મેઢક, મેઢક કો સાંપ નિગલ જાતા હૈ, નેવલા સાંપ કો મારતા હૈ, ભેડિયા નેવલે કા ખૂન ચૂસ લેતા હૈ, શેર ભેડિયે કો ચબા જાતા હૈ … ઇધર હર તાકાતવર અપને સે કમ કો મારકર જીતા હૈ.’ આવા શહેરમાં રહેવા અને તરક્કી કરવા એના આંતરિક ‘કાયદા-કાનૂન’ સમજવા પડે છે.

અચ્છે દિન એટલે શું? અચ્છે દિન એટલે આધુનિકતા, તરક્કી અને શહેરીકરણ. આ ત્રણેયમાં રમત કેમ રમાય તેના નિયમો છે. જે તમને આવડવા જોઇએ. આ ત્રણેયમાં દ્વિવિધતા પણ છે: નિયમ છે અને નિયમ વગરનું પણ છે. બ્લેક છે અને વ્હાઇટ પણ છે. સત્તાવાર છે અને બિનસત્તાવાર પણ છે. સીધી રીત છે અને આડી રીત પણ છે. શહેરની આ દ્વિવિધતા એ જ્ઞાનની અર્થવ્યવસ્થા છે. કોની પાસે કેટલું જ્ઞાન છે તેના પર એની સફળતાનો આધાર છે. જેને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ એ આ જંગલ કા કાનૂન છે. તમને સત્તાવાર અને બિનસત્તાવાર, વૈધ અને અવૈધ વચ્ચેના સામાજિક સંબંધની ખબર પડે તો તરક્કી આસાન થઈ જાય છે. નોટબંધી પાછળ જે બ્લેક ઇકોનોમીને ખતમ કરવાનો ઇરાદો છે, તે બ્લેક ઇકોનોમી શહેરની આ દ્વિવિધતામાંથી આવી છે.

આ દ્વિવિધતા અથવા આ બેઇમાની, ચોરી ક્યાંથી આવી? એ ઇમાનદારીમાંથી, નૈતિકતામાંથી આવી છે. દરેક કાનૂન કે નિયમનો જન્મ જે કમજોર છે, પછાત છે અથવા અક્ષમ છે, તેને સશક્ત થવાની, તરક્કી કરવાની તક મળે તે માટે થયો છે. થયું છે ઊલટું દરેક ઇમાનદારીમાંથી બેઇમાની અને દરેક કાનૂનમાંથી ગેરકાનૂન પેદા થયાં છે. ભ્રષ્ટાચાર દૂર કરવા દરેક સરકારે શપથ લીધા છે અને એ પૂરા થયા નથી કારણ કે દરેકને એવું લાગે છે કે કાનૂન બનાવવાથી, નિયમ બનાવાથી, સજા કરવાથી આ દ્વિવિધતા ખતમ થઈ જશે. પ્રશ્ન કાનૂનનો કે નિયમનો છે જ નહીં. પ્રશ્ન શુદ્ધતા અને સચ્ચાઈનો છે. અને કોઈ પણ સરકાર વ્યક્તિની શુદ્ધતા પર આંગળી મૂકીને એને પારખી શકતી નથી એટલે એ નિયમ બનાવીને સંતોષ માને છે. આપણે ભલે જંગલમાંથી નીકળીને રહેવાનું શરૂ કર્યું હોય, આપણી અંદરથી જંગલ હજુ નીકળ્યું નથી, અને એ જંગલ જ કોઈ પણ સરકાર કે પ્રધાનમંત્રીની ખરી ચેલેન્જ હશે. સવાલ એ છે કે એ અસલી ચેલેન્જ ઉપાડવામાં રસ કોને છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 08 જાન્યુઆરી 2017

Loading

9 January 2017 admin
← Gita is a Not National book, its Hindu Scripture!
સર્જકોત્સવ અને ભાવકોત્સવ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved