Opinion Magazine
Number of visits: 9446694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત-ચીન સંઘર્ષઃ મથાળાં નહીં, સરહદ મૅનેજ કરવાનો તકાદો

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|30 June 2020

અર્થતંત્રમાં ધબડકો, કોરોનામાં આરોગ્યતંત્રની કટોકટી અને શ્રમિકોની કારુણી પછી વર્તમાન સરકારની આબરૂ આડે રહેલું આક્રમક રાષ્ટ્રવાદનું છેલ્લું પાંદડું પણ ખસી ગયું છે. અલબત્ત, સાક્ષાત્કારની આવી ક્ષણો સાચા પડ્યાનો આનંદ નહીં, ઊંડો ખેદ અને ચિંતા પ્રેરે છે. કેમ કે, તેની કિંમત સમગ્ર દેશને ચૂકવવાની આવે છે.

વાત લદ્દાખ સરહદે ચીનની ઘૂસણખોરીની છે. લદ્દાખના પૂર્વી હિસ્સામાં ૧૩ હજારથી ૧૬ હજાર ફીટ જેટલી ઊંચાઈ પર સરહદ અંકાયેલી નથી – નકશામાં નહીં અને જમીન પર પણ નહીં. અંકાયા વિનાની એ સરહદ વાસ્તવિક અંકુશ રેખા-લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ (એલ.એ.સી.) તરીકે ઓળખાય છે. ત્યાં પેટ્રોલિંગ દરમિયાન એકબીજાના વિસ્તારોમાં જવાના બનાવોની નવાઈ નથી. પરંતુ એપ્રિલના ત્રીજા સપ્તાહથી ત્યાં શરૂ થયેલી ચીની હિલચાલ ગંભીર હતી. એપ્રિલના અંતમાં એ વિસ્તારમાં ચાઇનીઝ હેલિકોપ્ટરની ‘એક્ટિવિટી’ હોવાનું ભારતના એર ચીફ માર્શલ ભદૌરિયાએ સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે ભારતીય વાયુદળ ‘જરૂરી કાર્યવાહી’ કરી રહ્યું છે.

મે માસના પહેલા સપ્તાહથી અજય શુક્લ જેવા ભૂતપૂર્વ ફૌજી અને સંરક્ષણવિશેષજ્ઞ પત્રકારો ચીનના દુષ્ટ ઇરાદા અને તેની ઘૂસણખોરી તરફ ધ્યાન દોરી રહ્યા હતા. પરંતુ સરકારની ભૂમિકા વાસ્તવિકતાના અસ્વીકારની જ રહી. મે પ, ૨૦૨૦ના રોજ લદ્દાખના ગલવાન નદી અને ગલવાન ખીણના પ્રદેશોમાં આશરે પાંચેક હજાર ચીની સૈનિકો ઘૂસી આવ્યા. સરકારી નિવેદનોમાં ઇનકાર છતાં, અજય શુક્લની માહિતી પ્રમાણે તે ભારતની હદમાં ત્રણ-ચાર કિલોમીટર અંદર આવી ગયા. અગાઉની સરખામણીમાં આ વખતે ત્રણ બાબતો નવી અને ચિંતાજનક હતીઃ

૧) ગલવાન વિસ્તાર ઘણાં વર્ષોથી ચીની દાવા અને છેડછાડથી મુક્ત હતો. તે આ વખતે ચીની સૈન્યના નિશાન પર આવ્યો. ૨) સૈનિકોની સંખ્યા. આશરે પાંચ હજાર સૈનિકો. ૩) ચીની સૈનિકોએ ખાઈઓ ખોદવાનું અને બંકરો બનાવવાનું શરૂ કર્યું. એટલે કે લાંબા ગાળાના સંરક્ષણ માટેની તૈયારી. સાથોસાથ, ચીની કબજાના વિસ્તારોમાં ભારે વાહનો અને તોપો પણ તહેનાત કરી. (બંને દેશો વચ્ચેની સમજૂતી પ્રમાણે, એલ.એ.સી. નજીકના વિસ્તારોમાં પણ મોટા પાયે સૈન્ય કે સાધનો ખડકી શકાતાં નથી.)

ત્યાર પછીના એકાદ સપ્તાહમાં પેનગોન્ગ લેક વિસ્તારમાં હજારો (આશરે પાંચેક હજાર) ચીની સૈનિકો આવી ગયા. ‘થ્રી ઇડિયટ્‌સ’ને કારણે જાણીતા બનેલા પેન્ગોન્ગ લેક પાસે પણ બરફીલી પહાડી છે, જેમનાં જુદાં જુદાં ટોપકાં ફિંગર-૧થી માંડીને ફિંગર-૮ સુધીનાં નામે ઓળખાય છે. ભારતીય સૈન્ય ફિંગર-૧થી ફિંગર-૪ સુધીના વિસ્તાર પર કબજો ધરાવે છે, પરંતુ ભારતનો દાવો છેક ફિંગર-૮ સુધીના વિસ્તાર પર છે. ભારતીય સૈન્યના જવાનો ફિંગર-૮ સુધી પેટ્રોલિંગ પણ કરતા રહ્યા છે. પરંતુ મેના બીજા સપ્તાહ સુધીમાં (૧૨-૧૩ મે આસપાસ) ચીની સૈનિકો આવી ગયા અને ફિંગર ૮થી લઈને ફિંગર ૪ સુધીના આશરે આઠ કિલોમીટર વિસ્તાર પર કબજો જમાવી દીધો. ત્યાર પછી એ વિસ્તારોમાં ભારતીય સૈનિકોનું પેટ્રોલિંગ ફિંગર ૪ સુધી મર્યાદિત બન્યું. મે ૩૦ સુધીમાં ગલવાન વિસ્તારમાં ચાર ઠેકાણે અને પેન્ગોન્ગ લેકના ઉત્તરી કાંઠે ભારતની હદમાં ચીની સૈન્ય કૉંક્રીટનાં બંકર બનાવતું હોવાનું સેટેલાઇટ તસવીરો થકી જાણવા મળ્યું. ઉપરાંત, પેન્ગોન્ગ લેકના ઉત્તરી કાંઠે ફિંગર પાંચથી ફિંગર આઠ વચ્ચેનો આશરે ત્રણેક કિલોમીટરનો રસ્તો પણ ચીની સૈન્યે બનાવી દીધો અને પોતાની હદમાં બખ્તરિયાં વાહનો અને તોપો ગોઠવ્યાં, જે ભારતની હદમાં ઘૂસેલા ચીની સૈનિકોને મદદ પૂરી પાડી શકે.

દરમિયાન, ભારતના સરકારી બયાનમાં સરહદે શાંતિ સ્થાપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી અને સૈન્ય નેતાઓ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે વર્તી રહ્યું હોવાનું જણાવાયું. સાથોસાથ, ભારતના સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સલામતી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. અહેવાલો પ્રમાણે, પરિસ્થિતિ તેનાથી વિપરીત હતી. જૂન ૩ના રોજ સંરક્ષણ પ્રધાન તરીકે રાજનાથસિંઘે સી.એન.એન. ન્યૂઝ-૧૮ને આપેલી એક મુલાકાતમાં સરહદી સ્થિતિને અત્યાર સુધી થયેલી અનેક તંગદિલી જેવી ગણાવી અને વર્તમાન સ્થિતિ વિશે કહ્યું, “ફિલહાલકી જો ઘટના હૈ, યહ બાત સચ હૈ કિ ચીનકે લોગ ભી, ઉનકા દાવા હૈ કિ હમારી સીમા યહાં તક હૈ. ભારતકા યહ દાવા હૈ કિ હમારી સીમા યહાં તક હૈ. ઔર ઉસકો લેકર એક મતભેદ હુઆ હૈ ઔર અચ્છીખાસી સંખ્યામેં ચીનકે લોગ ભી આ ગયે હૈં. લેકિન ભારતને ભી અપની તરફસે જો કુછ ભી કરના ચાહિયે, ભારતને ભી કિયા હૈ.’

‘અચ્છીખાસી સંખ્યામેં ચીનકે લોગ ભી આ ગયે હૈં.’ — આ વિધાન રાજનાથસિંઘના એકરાર તરીકે લેખાતાં, તેને સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો — ‘તેને’ એટલે પરિસ્થિતિને નહીં, વિધાનને. દરમિયાન, ભારત-ચીનના ફોજી અધિકારીઓ વચ્ચે ૬ જૂનના રોજ મંત્રણાઓ થઈ. તેમાં ચીને ગલવાન નદીનો વિસ્તાર પોતાનો ગણાવ્યો. ચીને ગલવાન ખીણ પ્રદેશમાં કેટલાંક એવાં ઊંચાં સ્થળો પર કબજો જમાવ્યો હતો કે ત્યાંથી ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ૨૫૫ કિલોમીટર લાંબા ડિ.એસ.ડી.બી.ઓ. રોડ પર નજર અને જાપતો રાખી શકાય. લેહને ભારત-ચીન સરહદના છેલ્લા ભારતીય લશ્કરી મથક દૌલતબેગ ઓલ્ડી ડિ.બી.ઓ. સાથે જોડતો ડિે.એસ.ડી.બી.ઓ. રોડ એલ.એ.સી.ની લગભગ સમાંતરે ચાલે છે અને આ વિસ્તારમાં તેનું મહત્ત્વ ધોરી નસ જેવું છે.

બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચેની પહેલી મંત્રણાના એક અઠવાડિયા પછી, ૧૩ જૂનના રોજ સૈન્ય વડા જનરલ નરવણેએ કહ્યું કે ગલવાન વિસ્તારમાંથી ભારતીય અને ચીની સૈન્યના તબક્કાવાર ડિસ-એન્ગેજમેન્ટની (સામસામે આવી ગયેલાં સૈન્યોની અળગાં થવાની) પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બંને દેશો વચ્ચેની લશ્કરી મંત્રણાઓ ઘણી ફળદાયી રહી અને સમય જશે તેમ સ્થિતિ સુધરતી જશે. આ પ્રક્રિયા માટે તેમણે બંનેમાંથી એકેય પક્ષ માટે ‘પીછેહઠ’ શબ્દ વાપરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે ‘ડિસ-એન્ગેજમેન્ટ’ (અળગા થવું) એ શબ્દ જ યોગ્ય છે. તેની શરૂઆત ઉત્તરે ગલવાન વિસ્તારમાંથી થઈ છે. પેન્ગોન્ગ લેકના ઉત્તરી પ્રદેશ વિશે તેમણે કશી ટિપ્પણી કરી નહીં.

આ બધી મંત્રણાઓ છતાં ૧૬ જૂનની સવારે ભારતીય સૈન્યે જાહેર કર્યું કે, “ગલવાન વૅલી વિસ્તારમાં ડીએસ્કેલેશન પ્રોસેસ (સૈન્યોની સામસામી મુકાબલાની સ્થિતિમાંથી પાછા હટવાની પ્રક્રિયા) દરમિયાન ગઈ કાલે રાત્રે હિંસક સંઘર્ષ થયો હતો. તેમાં બંને પક્ષને હાનિ પહોંચી છે. ભારતીય પક્ષે થયેલી જાનહાનિમાં એક અફસર અને બે જવાનનો સમાવેશ થાય છે. બંને પક્ષના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ હાલમાં સ્થળ પર વાટાઘાટો દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે.” એ દિવસે મોડી સાંજે ભારતીય સૈન્ય તરફથી બીજું નિવેદન જારી કરવામાં આવ્યું. તેમાં જણાવાયું હતું કે “સંઘર્ષના સ્થળે ફરજ અદા કરતી વેળા ૧૭ ભારતીય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઊંચાઈ પર શૂન્યથી પણ ઓછા તાપમાનના સંપર્કમાં આવતાં, તે ઇજાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા છે. આ સાથે સંઘર્ષમાં માર્યા ગયેલાઓની કુલ સંખ્યા ૨૦ થઈ છે … પગલવાન ખાતે, જ્યાં ૧૫/૧૬ની રાત્રે સંઘર્ષ થયો હતો ત્યાં, ભારતીય અને ચીની સૈન્યો ડિસએન્ગેજ (અળગાં) થઈ ચૂક્યાં છે.” (લશ્કરી નિવેદનોમાં જવાનો માટે ‘માર્ટિયર્ડ’ નહીં, ‘કિલ્ડ’ જ લખાયેલું હતું અને એ અંગ્રેજી નિવેદનનો આ અનુવાદ છે.)

ધીમે ધીમે ચીની સૈનિકોના ઘાતકીપણાની વિગતો બહાર આવી. ભારતીય સૈનિકો કરતાં ચીની સૈનિકોની સંખ્યા ઘણી વધારે હતી. બંદૂક વિનાની હિંસક લડાઈમાં ચીની સૈનિકોએ ખીલા બાંધેલા સળિયા વડે ભારતીય સૈનિકો પર હુમલા કર્યા અને તેમને નદીના ઠંડાગાર પ્રવાહમાં ફેંકી દીધા હોવાના અહેવાલો પણ આવ્યા. મૃતકો ઉપરાંત બીજા ઘણા ભારતીય સૈનિકોને ગંભીર નહીં એવી ઇજાઓ પણ પહોંચી. દરમિયાન ખંધા ચીને આક્રમણખોરને બદલે આક્રમણનો ભોગ બનનાર તરીકેનો અભિનય ચાલુ રાખ્યો.

આ સંઘર્ષમાં ચીનના સૈનિકો પણ માર્યા ગયાના સમાચાર પણ આવ્યા. સવાયા રાષ્ટ્રવાદીઓ તેમાંથી આશ્વાસન જ નહીં, ગૌરવ ફેલાવવાનો પ્રયાસ કર્યો. દરમિયાન, જીવલેણ સંઘર્ષ પછી પણ અગાઉની સ્થિતિમાં ફરક પડ્યો નહીં. ૨૦ જૂને જાહેર કરવામાં આવ્યું કે હિંસક ઝપાઝપી દરમિયાન દસ ભારતીય જવાનો કેદ પકડાયા હતા. તેમને સંઘર્ષ પછીની લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોના પરિણામે ૧૮ જૂનના રોજ પાછા સોંપવામાં આવ્યા.

વીસ સૈનિકોની શહીદીને કારણે મોટો હોબાળો થતાં નબળા વિપક્ષોને પણ ટાઢા પાડવા પડે એવી સ્થિતિ પેદા થઈ. એટલે વડાપ્રધાને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઑલ પાર્ટી મિટિંગ યોજી. મિટિંગનું સમાપન કરતાં તેમણે કહ્યું, ‘સાથીયોં, પૂર્વી લદ્દાખમેં જો હુઆ ઉસકો લેકર આપને રક્ષામંત્રીજી ઔર વિદેશમંત્રીજીકો સુના ભી ઔર પ્રેઝન્ટેશનકો ભી દેખા. ન વહાં કોઈ હમારી સીમામેં ઘુસ આયા હૈ, ન હી કોઈ ઘુસા હુઆ હૈ, ન હી હમારી કીસી પોસ્ટ કોઈ દૂસરે કે કબજેમેં હૈ, લદ્દાખમેં હમારે બીસ જાંબાઝ શહીદ હુએ પર જિન્હો ને ભારતમાતાકી તરફ આંખ ઉઠાકર દેખા થા ઉનકો સબક સીખા કર ગયે.’

વડાપ્રધાનના દાવા પ્રમાણે આપણી સીમામાં કોઈ ઘુસી આવ્યું ન હોય કે હજુ ઘૂસેલું ન હોય, તો હિંસક ઝપાઝપીમાં ભારતના વીસ જવાનો શહીદ થયા હોય – દસ જવાનો પકડાઈને પછી છૂટ્યા હોય એવું શી રીતે બને? તેમ છતાં વડાપ્રધાન આવું કહેતા હોય તો તેના બે સંભવિત અર્થ થાયઃ  ૧) ચીની સૈન્ય ભારતીય સીમામાં નહીં, ભારતીય સૈન્ય ચીની સીમામાં ઘૂસ્યું હતું. ૨) ચીન હાલમાં જે વિસ્તારોનો કબજો ધરાવે છે તે ભારતીય હદમાં નથી. એટલે કે એ વિસ્તારો ચીની હદમાં હોવાનો દાવો ભારતને માન્ય છે.

વડાપ્રધાનના જુમલાનાં અર્થઘટનો મોટા પાયે ચર્ચાનો અને ચિંતાનો વિષય બન્યાં. એટલે વક્તૃત્વકળા માટે વખણાતા વડાપ્રધાનના આ નિવેદન પછી સરકારે બે પાનાંનો ખુલાસો જારી કરવો પડ્યો. તેમાં ભારતની સરહદની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી. સાથોસાથ એવું પણ કહેવામાં આવ્યું કે કેટલાક લોકોએ વડાપ્રધાનના  નિવેદનનું અવળચંડું (મિશ્ચિવિયસ) અર્થઘટન કર્યું છે. હકીકતમાં, અર્થઘટન અવળચંડું નહીં, વિધાન બડાઈભર્યું હતું.

૧૯૬૨માં પંડિત નેહરુએ કરેલી ભૂલની વાતો કરી કરીને આટલે પહોંચેલા ભા.જ.પ. અને નરેન્દ્ર મોદી પોતે જ એ ભૂલનો બોધપાઠ ભૂલી જાય, તે ઇતિહાસની વક્રતા અને વડાપ્રધાનની વાસ્તવિકતા છે. બોધપાઠ લેવા માટે ૧૯૬૨ દૂર પડતું હોય તો ૨૦૧૭માં દોકલામમાં જે બન્યું, તે પણ પૂરતું હતું.

ભૂતાનમાં આવેલા પણ ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા દોકલામમાં ચીની સૈનિકો ઘૂસી આવ્યા ત્યારે ભારતનું સૈન્ય પણ ભૂતાનના – અને સાથોસાથ ભારતના – હિતની જાળવણી માટે દોકલામ પહોંચ્યું. બંને સૈન્યો ૭૨ દિવસ સુધી યુદ્ધ કર્યા વિના, આમનેસામને મંડાયેલાં રહ્યાં. છેવટે, ચીને પોતાનું સૈન્ય પાછું ખસેડ્યું. ભારતે પણ પોતાનું સૈન્ય પાછું ખસેડી લીધું. ત્યારે, ભારતમાં એ મતલબનો પ્રચાર કરવામાં આવ્યો કે ચીનને આપણે હંફાવી દીધું. હકીકતમાં ચીને ચોક્કસ પોઇન્ટ પરથી સૈન્ય પાછું ખસેડ્યું, પણ બંને સૈન્યો પાછાં હઠી ગયા પછીથી, બાકીના દોકલામ વિસ્તાર પર કાયમી વર્ચસ્વ જમાવી દીધું. બાંધકામો બનાવ્યાં, રસ્તા બાંધ્યા, હેલિપેડ તૈયાર કર્યાં અને દોકલામ ચીનના સકંજામાં આવી ગયું.

નિષ્ણાતોના મતે, ખંધા ચીને આ ઘટના પરથી એવો બોધપાઠ લીધો હશે કે ભારતના પ્રચારઘેલા વડાપ્રધાનને પ્રચારયુદ્ધમાં જીતનો સંતોષ આપી દેવામાં આવે, તો વાસ્તવિક જમીન પર ધાર્યું કરી શકાશે. દોકલામમાં ભારત માટેનો બોધપાઠ એ હતો કે ચીનની ‘પીછેહઠ’ની વાતો સાંભળીને, આખું ચિત્ર જોયા વિના કદી ઉત્સાહમાં ન આવી જવું. એ અચૂક તપાસી લેવું કે ચીનની નાની પીછેહઠની સામે આપણને વધુ મોટું નુકસાન તો નથી ને? પરંતુ વડાપ્રધાને દોકલામમાંથી કશો બોધપાઠ લીધો હોય એવું લદ્દાખના ઘટનાક્રમમાં જણાયું નહીં. ઊલટું, વડાપ્રધાને લદ્દાખમાં બિહાર રેજિમેન્ટના (બિહાર અને એ સિવાયનાં રાજ્યોના જવાનોની) શહીદીને બિહારના ચૂંટણીપ્રચારમાં વટાવી ખાવાનો પ્રયાસ પણ કર્યો.

*  *  *

આ લખાય છે ત્યારે, ૨૫ જૂને સમાચાર આવ્યા છે કે ચીને ભારત-ચીન સરહદના છેલ્લા ભારતીય લશ્કરી મથક દૌલતબેગ ઓલ્ડીથી ૩૦ કિલોમીટર દૂર, ડેસ્પાંગ પાસે વાય-જંક્શન તરીકે ઓળખાતા હિસ્સામાં સૈનિકો અને ભારે વાહનો સાથે ઘૂસણખોરી કરી છે. (સુશાંત સિંઘ, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’) વાય-જંક્શન એલ.એ.સી.થી ભારતીય હદમાં આવેલું છે. ધોરી નસ જેવા ડિ.એસ.ડી.બી.ઓ. રોડ પર આવતા એક લદ્દાખી ગામથી તે સાત કિલોમીટર દૂર છે અને ભારતીય સરહદની ૧૮ કિલોમીટર અંદર. પહેલાં ગલવાનમાં અને હવે વાય-જંક્શનમાં ચીની ઘૂસણખોરી ભારત પર ભીંસ વધારવાનું જ કારસ્તાન લાગે છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા પછી ચીનના કબજામાં રહેલા અક્સાઈ ચીનને ભારતમાં સામેલ કરી દેવાની હોંશીલી-જોશીલી વાતો ચીનની વર્તમાન કનડગત પાછળનું એક મુખ્ય કારણ ગણાય છે. સવાલ ચીનથી ડરી જવાનો નથી, પણ પૂરતી તૈયારી વિના, કેવળ રાજકીય પાનો ચડાવવા માટે મોટાં નિવેદનો ગબડાવી દેવાં ને પછી તેના પ્રત્યાઘાત આવે ત્યારે બઘવાઈને રેતીમાં માથું ખોસી દેવું, એ સારા શાસકોનું લક્ષણ નથી.

આવા સમયે દેશભક્તિના બહાને વડાપ્રધાનને અને સરકારને છાવરતા સરકારપ્રેમીઓની કે ધંધાદારીઓની કે એ બંને લક્ષણ ધરાવનારાની શી વાત કરવી? પરંતુ એક નાનો વર્ગ એવો પણ છે, જે વડાપ્રધાનની ગફલતો બરાબર સમજતો હોવા છતાં, તેમની પ્રગટ ટીકા કરવા ઇચ્છતો નથી. તે ભક્તો નથી, પણ તેમને લાગે છે કે આવા વખતે સરકાર સાથે ઊભા રહેવું જોઈએ. તેમણે પોતાની જાતને એક જ સવાલ પૂછવાનો છેઃ તેમની આ ભાવના બીજા કોઈ સરકાર હોત, તો પણ આવી જ હોત?

છેલ્લે, કેટલાક નોંધવાલાયક મુદ્દા અને પૂછવાલાયક સવાલઃ 

૧. દોકલામમાંથી સરકાર-વડાપ્રધાન કશો બોધપાઠ કેમ ન શીખ્યાં?

૨. જાસૂસી તંત્ર અને સેટેલાઇટ મોનિટરિંગ છતાં ભારતીય સૈન્ય કેમ અસાવધ ઝડપાયું? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલની આ ઘટનાક્રમમાં શી ભૂમિકા રહી?

૩. ડિસએન્ગેજમેન્ટ (અળગા થવું) અને ડિસઅગ્રીમેન્ટ (મતભેદ) જેવા શબ્દોથી ચેતવું. હિંસક સંઘર્ષ થયો તેના ઘણા વખત પહેલાંથી ‘ડિસએન્ગેજમેન્ટ’નો દાવો કરવામાં આવતો હતો. એવી જ રીતે, ‘સરહદ બાબતે ભારત અને ચીન વચ્ચે મતભેદ છે’ — એમ કહેવાનો મતલબ થાયઃ ‘ચીન એનો દાવો કરે છે, અમે અમારો કરીએ છીએ. જોઈએ શું થાય છે.’ હકીકતમાં, ભારતના પ્રદેશ પર ચીન દાવો કરે તો તેને ‘મતભેદ’ નહીં, ‘ઘૂસણખોરીનો પ્રયાસ’ ગણવાનો હોય.

૪. બંને દેશો વચ્ચે સરહદી તનાવને કાબૂમાં રાખવાના ભાગરૂપે થયેલી સંધિ મુજબ, હિંસક અથડામણ વખતે બંને દેશોના સૈનિકોએ બંદૂકો ન વાપરી. (બાકી બધી શરતો ધોઈ પીધી હોય ત્યાં આવા પાલનનો શો મતલબ? પણ એ જુદો સવાલ છે) બંદૂક કરતાં પણ વધારે ઘાતકી સ્તરની મારામારી થઈ. હવે સરકારે સૈન્યને અસામાન્ય સંજોગોમાં યથાયોગ્ય કાર્યવાહીની છૂટ આપી છે. સારી વાત છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં આવું કંઈ ન થાય. પણ જો થાય તો સરકાર નૈતિક જવાબદારી લેશે? કે પછી ‘સૈન્યને બધી છૂટ આપેલી છે’ એમ કહીને છૂટી પડશે?

૫. ચીન ફક્ત ‘ડિસએન્ગેજ’ થાય એટલું પણ પૂરતું નથી એ દોકલામના દાખલા પરથી તો સમજાઈ જ જવું જોઈએ. એ પીછેહઠ કરીને કયા પોઇન્ટ સુધી પાછું જાય છે, તેનું ધ્યાન રાખવાનું અને તે બે ડગલાં આગળ આવ્યું હોય તો તેને એક નહીં, બે ડગલાં પાછળ પાછું મોકલવાનું વધારે મહત્ત્વનું છે.

૬. કેટલાક લોકો ટેકનિકલ મુદ્દો આગળ ધરીને એવી દલીલ કરે છે કે ફિંગર ૪થી ફિંગર ૮ સુધીના વિસ્તારો પર ચીનનો કબજો એ ભારતની જમીન પર ઘૂસણખોરી ન કહેવાય. કેમ કે, એ વિસ્તારોમાં ભારતના કબજામાં ન હતા. આ દલીલ માન્ય રાખીએ તો પણ એ હકીકત છે કે ભારતીય સૈનિકો ફિંગર ૮ સુધી પેટ્રોલિંગ માટે જતા હતા. મતલબ, ફિંગર ૪થી ફિંગર ૮ સુધીનો વિસ્તાર ભારતના કબજામાં નહીં, તેમ ચીનના કબજામાં પણ ન હતો. એ બફર જેવો હતો. વર્તમાન ઘટનાક્રમથી એ બફર જતું રહ્યું છે અને ચીનનો કબજો ફિંગર ૪ સુધી વિસ્તર્યો છે.

૭. રામચંદ્ર ગુહાએ માત્ર ચોક્કસ મુદ્દા પૂરતી જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદીની સરખામણી કરીને લખ્યું કે બંને નેતાઓ ચીની શાસકો સાથેનાં વ્યક્તિગત સંબંધોથી સમીકરણો બદલાઈ શકશે, એવા ભ્રમમાં રહ્યા. વડાપ્રધાન મોદીનો એ ભ્રમ હવે દૂર થઈ ચૂક્યો હશે. ફક્ત ચીન સાથે જ નહીં, અમેરિકા કે બીજા કોઈ પણ દેશના વડા સાથે ભેટંભેટી કરવાથી પ્રચારમોરચે જયજયકાર થઈ જાય છે, પણ વાસ્તવમાં તેની કશી અસર થતી નથી. અમેરિકાના મામલે પણ તે એકથી વધુ પ્રસંગે પુરવાર થયેલું છે.

૮. ચીન તો બદમાશ છે ને ચીન તો દુષ્ટ છે – એવા બખાળા કાઢવાનું પૂરતું નથી ને એના આર્થિક બહિષ્કારના ચીપિયા પછાડવાથી પણ ઝાઝો અર્થ સરવાનો નથી. ચીન તો આ જ છે. તેની સામે વડાપ્રધાનના અત્યાર લગીના દાવા અને વાસ્તવિક દેખાવ કેવાં રહ્યાં, એની પણ વાત થવી જોઈએ. વડાપ્રધાનની કથિત મહાનતાને ગોખલામાં સલામત મૂકીને ચીનને ઝાટકનારા માટે સમજવું કે તેમને દેશ કરતાં વડાપ્રધાન અને સરકાર વધારે વહાલાં છે.

(તા. ૨૫-૦૬-૨૦)

નકશા અને પૂરક વિગતો સાથે વિસ્તૃત સ્વરૂપે આ લેખ વાંચવા માટેની લિંક : inyurl.com/y7ggvqt3 

Email : uakothari@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 03-05

Loading

30 June 2020 admin
← બાગ છે …..
વસંત-રજબ, ગાંધીજી અને મોરારજી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved