Opinion Magazine
Number of visits: 9448738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભલે તમે શિક્ષિત હોવ કે શિક્ષિત પરિવારમાં જન્મ્યા હોવ, અસ્પૃશ્યતાની ઓળખ જન્મથી મળે છે અને મૃત્યુ સુધી તમારી સાથે રહે છે

સુમન શાહ|Opinion - Literature|8 December 2018

ઈચ્છીએ કે કોઇપણ સાહિત્યકારને કે મનુષ્યમાત્રને દેશવટો ભોગવવાના દિવસો ન આવે. લોકશાહીને વરેલી સરકારો પાસે એટલા શાણપણની આશા તો રખાય જ નિષ્ઠાવાન સાહિત્યકારોને સાચા રસિકો અને હૃદયવાન લોકો તરફથી હંમેશાં હૂંફ મળે છે

આપણી ચતુર્વર્ણવ્યવસ્થાનું દુષ્ટતમ પરિણામ તે એક વર્ણ પરના ત્રણેય વર્ણના આધિપત્યથી જન્મેલો અને ખ્રિસ્તીઓ લગી પ્રસરેલો અસ્પૃશ્યતાવાદ. એ માનવીય કલંકનાં અવાન્તર રૂપો તે, દક્ષિણ આફ્રિકાની રંગભેદનીતિ અને અમેરિકાનું રેસિઝમ. માનવજાતનો એક આખો સંવિભાગ નાનમ અને નાલેશી અનુભવે, મૂળિયાં ઊખડી ગયાની વેદના વેઠે, એટલું જ નહીં, સ્વદેશેથી બીજે હિજરતો કરી જાય, દેશવટો વેઠે, એ તે શી ક્રૂર વ્યવસ્થાઓ ! ત્રણેય વ્યવસ્થાઓ આજે ક્ષીણકાય છે છતાં વર્તમાનમાં એના ભણક-ભણકારા સંભળાતા રહે છે.

આપણો વિષય સાહિત્ય છે એટલે આ સંદર્ભે હું ત્રણ સાહિત્યકારોનાં દૃષ્ટાન્ત રજૂ કરું છું :

દેશવટો ભોગવનારા મહાન સાહિત્યકારોમાં આફ્રિકન-અમેરિકન નવલકથાકાર નિબન્ધકાર જેમ્સ બાલ્ડવિનનું (1924-1987) નામ હંમેશાં લેવાય છે. ન્યૂ યૉર્કના હાર્લેમમાં જન્મેલા. અશ્વેત હતા. એક વાર કહેલું 'હા, મને ખબર છે કે હું બ્લૅક છું પણ મને એ પણ ખબર છે કે હું સ્માર્ટ છું'. ૧૯૪૮માં એક વાર એક રેસ્ટોરાંમાં જમવા ગયેલા તો ગોરી વેઇટ્રેસ કહે – અમે તમને સર્વ નથી કરી શકતા કેમ કે તમે આફ્રિકન-અમેરિકન છો. બાલ્ડવિને એના પર પાણીનો છૂૂટ્ટો ગ્લાસ ફૅંકેલો તે રેસ્ટોરાંના બાર પાછળનો કાચ તૂટીને ટુકડે ટુકડા થઈ ગયેલો. ૧૦ વર્ષના હતા ત્યારે ન્યૂ યૉર્ક પોલીસે એમને ચીડવેલા ને સતાવેલા. પોલીસ દ્વારા ઘટેલી રેસિસ્ટ હૅરેસમૅન્ટની એ ઘટના એમનાં ઊગતી જુવાનીનાં વર્ષોમાં પણ ઘટેલી. ૧૯૪૩માં 'હાર્લેમ રાયટ્સ' શરૂ થયેલાં એ જ દિવસે બાલ્ડવિનનો ૧૯મો જન્મદિવસ હતો. અશ્વેતો અને ગોરાઓ વચ્ચે હુલ્લડ ફાટી નીકળેલાં કેમ કે એક ગોરા પોલીસે એક આફ્રિકન-અમેરિકન સૈનિકને ગોળી મારેલી અને અફવા વહેતી થયેલી કે એ મરી ગયો છે. એ હુલ્લડ અશ્વેતો અને ગોરાઓ વચ્ચે અમેરિકાના જુદાં જુદાં શહેરોમાં પ્રગટેલાં છ હુલ્લડોમાંનું એક હતું. એ દિવસની કથા બાલ્ડવિને એમના સુખ્યાત નિબન્ધ 'નોટ્સ ઑફ અ નેટિવ સન'-ના પ્રારમ્ભે કરી છે. બાલ્ડવિનને ધર્મમાં શ્રદ્ધા હતી પણ કહેલું કે – ઈશ્વર એને જ કહેવાય જે આપણને વધારે વિશાળ, વધારે મુક્ત અને વધારે પ્રેમાળ બનાવે.

અશ્વેતો પ્રત્યેના અમેરિકન પૂર્વગ્રહથી હેરાનપરેશાન બાલ્ડવિન સ્ટેટ્સ છોડીને ૨૪-ની વયે ફ્રાન્સ ચાલી જાય છે ને પૅરીસમાં સૅટલ થાય છે. કેમ કે એમને એક સારા અને વિશિષ્ટ લેખક થવું હતું. કહેલું : હું નથી ઈચ્છતો કે હું નીગ્રો તરીકે અથવા તો નીગ્રો રાઈટર તરીકે વંચાઉં : એમની એક અધૂરી હસ્તપ્રતને આધારે 'આઈ ઍમ નૉટ યૉર નીગ્રો' ડૉક્યુમૅન્ટરી બનાવાયેલી અને ઍકેડેમી અવૉર્ડ માટે નૉમિનેટ પણ થયેલી. પૅરીસમાં બાલ્ડવિન 'લૅફ્ટ બૅન્ક'-ના કલ્ચરલ રૅડિકાલિઝમ સાથે જોડાય છે અને પોતાનાં લેખન-પ્રકાશનની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ જાય છે. અમેરિકા પાછા ફરેલા ખરા પણ પાછલાં વરસોમાં પણ ફ્રાન્સમાં તેમ જ સ્વિત્ઝર્લૅન્ડ અને ટર્કિમાં વસ્યા હતા. અવસાન પણ ફ્રાન્સમાં થયેલું.

બાલ્ડવિન એક સિવિલ રાઈટ્સ ઍક્ટિવિસ્ટ પણ હતા. એમનું દઢ મન્તવ્ય હતું કે સત્તાધીશોને સત્ય તો કહેવું જ. ૧૯૬૧માં 'ન્યૂ યૉર્ક હૅરોલ્ડ ટ્રિબ્યુન'-માં ઍફ.બી.આઈ.-ના ડિરેક્ટરની ટીકા કરતાં લખેલું કે તેઓ ખાલી લૉ-ઍન્ફોર્સમૅન્ટ કરી જાણે છે; કાયદાના પાલક-રક્ષક નથી. મનુષ્યપ્રકૃતિ શું છે એ પણ શીખ્યા નથી. એટલું જ નહીં, અતિશય સત્તા અને પ્રતિષ્ઠાના જોરે પ્રતિકારક ટોળાંઓની આંધળી અને હલકટ વૃત્તિઓને બહેકાવી રહ્યા છે. પણ ઍફ.બી.આઈ. બાલ્ડવિનનો પીછો કરી રહેલી. ૧૯૬૧-થી ૧૯૭૪ સુધી એના સકંજામાં હતા. સામ્યવાદ પ્રત્યે સહાનુભૂતિ, શાસન સામે વિદ્રોહી વાણીવર્તન જેવા વાંકગુના સબબ એમનું નામ 'સિક્યૉરિટી ઈન્ડેક્ષ'-માં, એટલે કે, સ્ટેટ-ઈમરજન્સી જેવી ઘટના ઘટે ત્યારે પકડીને ડીટેઈન કરી દેવાય એવી યાદીમાં, ઉમેરવામાં આવેલું. ડિરેક્ટરની ટીકાના અનુસન્ધાનમાં ઍફ.બી.આઈ.-એ એમનાં પુસ્તકોની ઝીણવટભરી જાંચપડતાલ માટે નિષ્ણાતો રોકલા. જો કે, 'અનધર કન્ટ્રી' (૧૯૬૨) માટે નિમાયેલા નિષ્ણાતે કહેલું કે નવલકથામાં તો મનોવિજ્ઞાન અને સામાજિક વર્તનના વિદ્યાર્થી માટે મૂલ્યવાન નીવડે એવી સાર્થક સાહિત્યિક ગુણવત્તા ભરી પડી છે. ડિરેક્ટરે કહેવરાવેલું – ભલે, ચૉપડીને ઍફ.બી.આઈ.-ની લાઇબ્રેરીની અભરાઈએ પાછી મૂકી દો.

માનવતાના હિતચિન્તક રૂપે બાલ્ડવિને વીસમી સદીના પશ્ચિમી સમાજોમાં, ખાસ તો અમેરિકામાં, કલર, જેન્ડર, રેસ વગેરે ભેદભાવોએ કેવી કેવી વિષમતાઓ અને મનોયાતનાઓ સરજી હતી તેનું હૃદયદ્રાવક નિરૂપણ કર્યું છે. નવલોમાં એમણે અંગત અનુભવોમાંથી જન્મેલા પાયાના પ્રશ્નોને વાચા આપી છે. ખાસ તો એ કે -અમારો સ્વીકાર શા માટે નથી? એક સર્જક તરીકે એમણે એ શુભાશય સેવ્યો હતો કે આફ્રિકન-અમેરિકનો માટે સર્વથા મુક્ત અને સર્વસંવાદી સમાજ જન્મે બલકે ભર્યુંભર્યું માનવીય વાતાવરણ પ્રગટે. સદીના ઉત્તરાર્ધમાં તો બાલ્ડવિન સત્ય અને ન્યાયશોધક જીવનવીર તરીકે છવાઈ ગયેલા.

એક બીજા સાહિત્યકાર છે, જૉહ્ન મૅક્સવેલ કુત્ઝીય (1940- ). દક્ષિણ આફ્રિકામાં જન્મેલા. ગોરા છે. પણ એટલે જ ભેદભાવનો, ખાસ તો, તે સમયની આફ્રિકન સૅન્સરશિપનો, ભોગ બનેલા. ૨૦૦૩માં એમને નોબેલ પ્રાઈઝ અપાયું છે. દક્ષિણ આફ્રિકાની રંગભેદનીતિથી હેરાનપરેશાન થઇ દેશવટો ભોગવતા કુત્ઝીયની દેશદેશાન્તરમાં વીતેલી કારકિર્દીના ચડાવઉતાર જાણવા જેવા છે. આફ્રિકાના કૅપ ટાઉનથી ૧૯૬૨માં યુનાઇટેડ કિંગ્ડમ ગયેલા અને ત્યાં ત્રણ વર્ષ રહીને અમેરિકા પીએચડી કરવા ગયેલા. એમને આફ્રિકા જવું ન્હૉતું પણ અમેરિકામાં રહેવા માટેની એમની રૅસિડેન્સી ઍપ્લિકેશન ફગાવી દેવાયેલી. છેલ્લે હાલ ઑસ્ટ્રેલિયાના ઍડલેઈડમાં વસે છે. ત્યાંના સિટીઝન થઈ ગયા છે.

કુત્ઝીય લખે છે : હું ૫૦ની ઉમ્મરે પ્હૉંચ્યો ત્યાં લગી મારા સાઉથ આફ્રિકન બાંધવોને મારાં પુસ્તકો સૅન્સર થયા પછી જ વાંચવા મળતાં : જો કે, ૨૦૦૮ના અરસામાં કોઇ સંશોધકે કુત્ઝીયની કેટલીક ફાઈલો શોધી કાઢેલી ને એમને બતાવેલી. એમની સાહિત્યકૃતિઓમાં રંગભેદનીતિ અંગેનાં એમનાં મન્તવ્યોની તપાસની એ ફાઈલોમાં એમ જોવા મળેલું કે કુત્ઝીય જો પક્ષકાર હોય તો માત્રસાહિત્યકલાના પક્ષકાર છે. એ પણ ખરું કે સર્જક કુત્ઝીય પર દોસ્તોએવસ્કી કાફ્કા અને બૅકેટનો પ્રભાવ હતો.

એ વર્ષોમાં રંગભેદનીતિનો વ્યાપક પ્રસાર હતો. એક 'ઈમ્મૉરાલિટી ઍક્ટ' નામનો કાયદો ઘડી કાઢવામાં આવેલો અને એનો સખત અમલ ચાલુ થયેલો. જુદી જુદી રેસની વ્યક્તિઓ ભેગી થાય, એમના સહ-વાસ થાય, એમની વચ્ચે પ્રેમ જાગે, જાતીય ભોગસમ્બન્ધે જોડાય, લગ્નો થાય, એ આખી વસ્તુ તે વખતની પાર્લામૅન્ટને મંજૂર ન્હૉતી. ખાસ તો, ગોરાઓ સાથે બીજી રેસના લોકો જોડાય એ જરાપણ મંજૂર ન્હૉતું. લોકો ક્યાં રહે છે, શું કામ કરે છે, ક્યાં જન્મેલા, ક્યાં દફનાવાયેલા, ક્યાં ક્યાં પ્રવાસ કરેલા, કોને કોની જોડે પ્રેમસમ્બન્ધ ભોગવેલા, વગેરે વગેરે તમામ વ્યક્તિગત બાબતોની માહિતી મેળવવામાં આવતી.

એ ભયાવહ કાયદાની જોગવાઈ રૂપે 'સૅન્સર્સ'-ની રચના કરવામાં આવેલી. લાગે હિતકારી પણ રંગભેદનીતિના વિરોધીઓ માટે ઘાતક હતી. એણે હિંસા તેમ જ ખૂનખરાબાને પણ પોષેલા. સૅન્સરે જોયું છે કે કુત્ઝીયની ૧૯૭૭ની રચના 'ઈન ધ હાર્ટ ઑફ ધ કન્ટ્રી'-માં જાતીય સમ્બન્ધોનું નિરૂપણ કલર લાઈનની સામેનું છે પણ બૌદ્ધિકો માણી શકે એવું છે. (એટલે, વાંધો નહીં). ૧૯૮૦ની રચના 'વેઇટિન્ગ ફૉર ધ બાર્બેરિયન્સ'-માં ૨૨ જેટલા પ્રસંગો અનિચ્છનીય છે છતાં વાસનાને ઉત્તેજે એવા નથી (માટે, વાંધો નહીં). ૧૯૯૩ની રચના 'લાઈફ ઍન્ડ ટાઈમ્સ ઑફ મિશેલ કે.'-માં રાજ્યને અને પોલીસને ઉતારી પાડનારા નિર્દેશો છે – એમ કે પોતાની ફરજો બજાવવામાં એઓ જે રીતભાત અપનાવે છે એ બરાબર નથી. આમ, સૅન્સરે તો આડકતરી રીતે કુત્ઝીયની તરફદારી કરેલી.

કુત્ઝીયને જાણવા મળેલું કે આ સૅન્સરના કેટલાક સભ્યો તો મોઝાર્ટની સિમ્ફની સાંભળનારા કલારસિકો હતા, ઑસ્ટિન અને ટ્રોલોપના વાચકો હતા. એક બાનુએ એમને ચા-પાણી માટે બોલાવેલા. એની સાથે લાંબી લાંબી સાહિત્યચર્ચાઓ ચાલેલી. કુત્ઝીય કહે છે, મને લેશ માત્ર પણ ખ્યાલ નહીં આવેલો કે એ મારી એક સૅન્સર હતી ! ત્યારે કુત્ઝીય કૅપ ટાઉનમાં અંગ્રેજી ભાષા-સાહિત્યના પ્રૉફેસર હતા. કહે છે, રોજબરોજની જિન્દગીમાં લોકો જોડે હળવામળવાનું થતું ત્યારે હું જોતો કે ખાનગીમાં એ લોકો મને પ્રકાશનોની પરવાનગી મળે ને હું સાઉથ આફ્રિકામાં વંચાઉં એ ઘડીની રાહ જોતા'તા.

કુત્ઝીયના દૃષ્ટાન્તથી મને એ સમજાયું છે કે નિષ્ઠાવાન સાહિત્યકારોને સાચા રસિકો અને હૃદયવાન લોકો તરફથી હમેશાં હૂંફ મળે છે -સૅન્સરની ઍસીતૅસી !

હવે, ખ્રિસ્તી અસ્પૃશ્યોના પરિવારમાં જન્મેલી અને હાલ અમેરિકામાં વસતી ભારતીય યુવતી સુજાતા ગિડ્લાનાં આ વીતક વચનો સાંભળો :

'સામાન્યત: એમ મનાતું હતું કે એ લોકો આપણાથી ચડિયાતા છે અને આપણે કદ્દીપણ એમનાં જેવાં થઇ શકીશું નહીં. મારા પિતા અંગ્રેજીના લૅક્ચરર હતા. એક બ્રાહ્મણ વિદ્યાર્થીને ભણાવવા જતા, ત્યારે હું નાની હતી, હું પણ એમની જોડે જતી. અમારે અસ્પૃશ્યોને હંમેશાં આઘે બેસવાનું હોય. વિદ્યાર્થીની માને પસંદ ન્હૉતું પડતું કે હું એમના હાથમાં માચિસનું બાકસ પણ પકડાવી શકું. કહેતાં – મૂક નીચે. મારા અડેલાને એ અડે તો અભડાઇ જાય. ત્યારે હું ૧૪ વર્ષની હતી. કોઈ બેનપણીને ત્યાં જતી, તો ત્યાં પણ મારે ઘરની બહારના ખાટલામાં સૂવાનું કેમ કે એ અસ્પૃશ્યો માટેની મુકરર જગ્યા હતી. ત્યારે મારી ઉમ્મર ૨૦ હતી. દુકાનદારો પણ પૈસા કાઉન્ટર પર મૂકી દેવાનું કહેતા.'

૨૬ વર્ષની ઉમ્મરે આ સુજાતા ભારતથી ૧૯૯૨માં અમેરિકા પહોંચી જાય છે અને ત્યાં જ વસે છે. હાલ ન્યૂયૉર્કમાં સબવે-ની કન્ડક્ટર છે. એને આશ્ચર્ય થયેલું કે અહીં તો સ્ત્રીઓ પણ ટ્રેન ચલાવે છે; તો હું શું કામ નહીં !

સુજાતા મોટી કોઈ સાહિત્યકાર નથી. પણ એણે 'ઍન્ટ્સ ઍમન્ગ ઍલિફન્ટ્સ : ઍન અનટચેબલ ફૅમિલિ ઍન્ડ ધ મેકિન્ગ ઑફ મૉડર્ન ઇન્ડિયા' નામનું પુસ્તક લખ્યું છે. (ફરાર, સ્ટ્રૉસ ઍન્ડ ગિરો, 2018). 'હાથીઓની વચ્ચે કીડીઓ' શબ્દપ્રયોગ જ કેટલો સૂચક છે ! અમેરિકામાં સ્થિર થવા છતાં પ્રશ્નો એને કોરી ખાતા'તા. આ સંસ્મરણોમાં એણે પોતાના કુટુમ્બની ચાર પેઢીઓની વાત માંડી છે. એમાં એણે ભારતીય સમાજમાં ગરીબી, જેન્ડર ડીફરન્સિસ અને રાજકારણ કેવાં તો પેચીદાં છે એની વાતો કરી છે. ગિડ્લાએ બે તીવ્ર પ્રશ્નો ચર્ચ્યા છે. અસ્પૃશ્ય કેમ થઇ જવાય છે, શી રીતે? અસ્પૃશ્યતાનિવારણનો કાયદો થયા પછીયે, આજે, બધું શા માટે દુષ્કર છે?

સુજાતાના ઉછેર દરમ્યાન ભારતમાં અસ્પૃશ્યોનો સામાજિક દરજ્જો નીચામાં નીચા હતો. વર્ણવ્યવસ્થા અટપટી હતી એટલી જ દમનકારી હતી. એને અમેરિકામાં રહ્યે રહ્યે પોતાનું બચપણ યાદ આવે છે. ભારત આઝાદ થયું એ દરમ્યાનનો ઐતિહાસિક માહોલ યાદ આવે છે. મા ઘણા સમયથી બીમાર હતી. કાકા કવિ હતા, રાજકીય બાબતો માટે ચળવળ ચલાવતા'તા. પુસ્તકમાં એણે કાકાનાં તેમ જ કુટુમ્બના અનેક સભ્યોનાં વીતક વર્ણવ્યાં છે.

સુજાતાને ઘણું સાંભરે છે. એ જણાવે છે કે દલિતો નિમ્ન સ્તરે અને બ્રાહ્મણો ઉચ્ચ સ્તરે, એ પ્રકારની વર્ણવ્યવસ્થાને પશ્ચિમના લોકો હિન્દુધર્મનો સંવિભાગ સમજે છે ! પણ વાત ધર્મથી આગળ વધેલી છે, હકીકતમાં એ ભારતીય 'સંસ્કૃતિ' છે. ઊંચનીચતા જ સિસ્ટમ છે, જે પ્રકારે અમેરિકામાં રેસિઝમ છે. એનું ખાસ કહેવું તો એ છે કે અસ્પૃશ્યતા વ્યક્તિના જીવન જોડે અકાટ્યપણે વણાઇ જાય છે. ભલે તમે શિક્ષિત હોવ કે શિક્ષિત પરિવારમાં જન્મ્યા હોવ, અસ્પૃશ્યતાની ઓળખ જન્મથી મળે છે અને મૃત્યુ સુધી તમારી સાથે રહે છે.

ઈચ્છીએ કે કોઇપણ સાહિત્યકારને કે મનુષ્યમાત્રને દેશવટો ભોગવવાના દિવસો ન આવે. લોકશાહીને વરેલી સરકારો પાસે એટલા શાણપણની આશા તો રખાય જ …

= = =

"સાહિત્ય સાહિત્ય" : લેખક્રમાંક : 222 : શનિવાર તારીખ ૮ ડિસેમ્બર ૨૦૧૮

https://www.facebook.com/suman.shah.94/posts/2239818776049023 

Loading

8 December 2018 admin
← Cartoonspace
Rahul Gandhi’s ‘Hinduism on Display’ and RSS–BJP’s Hindutva →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved