Opinion Magazine
Number of visits: 9445929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેહરૉઝ બૂચાની: જેલની કાંટાળી વાડ પાછળના શબ્દો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 July 2019

બેહરૉઝ બૂચાનીનું નામ તમે ના સાંભળ્યું હોય એવું સંપૂર્ણપણે શક્ય છે. એ મૂળ ઈરાનિયન કુર્દીશ પત્રકાર, માનવાધિકાર કાર્યકર, કવિ અને ફિલ્મ મેકર છે. એને ૨૦૧૯નું ઓસ્ટ્રેલિયાનું સાહિત્યનું (અંદાજે ૬૫ લાખ રૂપિયાનું) સૌથી પ્રસિદ્ધ વિક્ટોરિયા પારિતોષિક એનાયત થયું છે. બેહરૉઝ બૂચાની એમાં હાજર રહી ન શક્યો. કારણ? છેલ્લા ૬ વર્ષથી એ ઓસ્ટ્રેલિયાના લોસ નીગ્રોસ આઈલેન્ડ પર આવેલા માનુસ ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. બૂચાની પશ્ચિમ ઈરાનના કુર્દીશ અલગતાવાદીઓનો એક શક્તિશાળી અવાજ છે, જે ઈરાની સરકાર સાથે ૨૦૧૮થી શિંગડાં ભરાવી રહ્યા છે.

બૂચાનીએ એક કુર્દીશ સામાયિક 'વેર્યા' શરૂ કર્યું હતું અને એમાં આવતાં લખાણોનાં કારણે ૨૦૧૩માં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ પોલીસે દરોડો પાડીને ૧૧ લોકોની ધરપકડ કરી હતી. બૂચાની ભાગીને છુપાઈ ગયો હતો અને ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયા દરિયો ક્રોસ કરતો હતો, ત્યારે એને પકડી લેવામાં આવ્યો હતો અને શરણાર્થી જેલમાં પૂરી દેવાયો હતો. એની પાસે ટ્રાવેલ ડોકયુમેન્ટ નથી એટલે એ ક્યાં ય જઈ શકે તેમ નથી. ઓસ્ટ્રેલિયામાં દરિયો ક્રોસ કરીને આવતા અનેક શરણાર્થીઓને રોકવા માટે એમને આ માનુસ ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે.

બૂચાની જેવા હજારો શરણાર્થીઓ આ સેન્ટરમાં છે.

બૂચાનીએ આ સેન્ટરમાં રહીને છેલ્લા ૬ વર્ષમાં એની કહાણી લખી છે. એનું નામ છે ‘નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ: રાઈટિંગ ફ્રોમ માનુસ પ્રિઝન’. રસપ્રદ વાત એ છે કે બૂચનીએ આ પુસ્તક મોબાઈલ પર લખ્યું છે. એ પણ ટેક્સ્ટ મેસેજના ફોર્મમાં. બૂચાની રોજ એક નાનકડી ટેક્સ્ટ કમ્પોઝ કરે અને એની પી.ડી.એફ. ફાઈલ બનાવીને વોટ્સએપ પર, સિડની યુનિવર્સિટીના ફિલોસોફીના શિક્ષક મિત્ર, ડો. ઓમીદ તોફિઘીઅનને ફોરવર્ડ કરે. એ મિત્ર એનો પર્શિયન ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કરે. આવી હજારો પી.ડી.એફ. ફાઈલ પરથી આ પુસ્તક તૈયાર થયું છે. એમાં બે વાર તો એનો ફોન પણ જપ્ત કરી દેવામાં આવ્યો હતો.

જેલમાં પુસ્તકો લખાયાં હોય એવા કિસ્સા નવા નથી, પણ આધુનિક સમયમાં જેલમાં મોબાઈલમાં લખાયું હોય, વોટ્સએપ પર એ લખાણ બહાર સ્મગલ થયું હોય, અંગ્રેજીમાં એનો અનુવાદ થયો હોય અને એ પ્રગટ થયા પછી એને સાહિત્યનું પારિતોષિક મળ્યું હોય, એવો આ સૌ પ્રથમ કિસ્સો છે. પુસ્તકની પ્રસ્તાવનામાં અનુવાદક ડો.ઓમીદ લખે છે, "નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ પુસ્તક ઓસ્કાર વાઈલ્ડના ડે પ્રોફન્ડીસ, અન્તોનીઓ ગ્રામ્સીની પ્રિઝન નોટબુક્સ, રે પાર્કિન્સના ઇનટુ ધ સ્મોધર, વોલ સોયંકાના ધ મેન ડાયઝ અને માર્ટીન લ્યુથર કિંગ જુનિયરના લેટર્સ ફ્રોમ બર્મિંગહામ જેલ જેવાં જેવાં જેલ-સાહિત્ય સાથે ગોઠવાય તેવું છે. "

જેલમાંથી સ્કાઈપ (વીડિયો કોન્ફરન્સિંગ) મારફતે બૂચાનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મેં આ પુસ્તક ફોન ઉપર લખ્યું, તેનું મુખ્ય કારણ એ હતું કે મને જેલના ગાર્ડ્સ અને સત્તાવાળાઓનો ભરોસો ન હતો. એ ગમે ત્યારે અમારા રૂમમાં ઘૂસી આવે અને અમારી ચીજ-વસ્તુઓ લઇ જાય. ૨૯૧૪માં અહીં ધમાલ થઇ હતી ત્યારે તમામ શરણાર્થીઓનો સમાન જતો રહ્યો હતો. સાત મહિના પહેલાં અમને બીજી જગ્યાએ ખસેડ્યા ત્યારે પણ વસ્તુઓ ખોવાઈ ગઈ હતી. મેં જો કાગળ પર લખ્યું હોત તો એ કાગળો સો ટકા ગાયબ થઇ ગયા હોત."

ગદ્ય અને પદ્યમાં લખાયેલી ‘નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ’ નવલકથામાં, બેહરૉઝ બૂચાની ઇન્ડોનેશિયાથી બોટમાં બેઠો ત્યાંથી શરૂ કરીને માનુસ ડિટેન્શન સેન્ટરમાં એનો જેલવાસ અને એમાં એને થયેલા અનુભવોની કહાણી છે. એ જેલમાં જે અત્યાચારની જિંદગી એણે જોઈ-અનુભવી હતી, તેનું દર્દ તો આ નવલકથામાં છે, સાથે જ એમાં વૈશ્વીકરણના પડછાયામાં ગરીબી અને શરણાર્થીઓની જે કટોકટી પેદા થઇ છે, તેની પણ વાર્તા છે.

ઓસ્ટ્રેલિયાના સાપ્તાહિક અખબાર, ‘સેટરડે પેપર’માં, એક લેખમાં બૂચાની લખે છે, "આટલાં વર્ષોમાં મેં જોયું છે કે કેવી રીતે કૈદોબંધ અનેક શરણાર્થીઓએ આ ઉજ્જડ આઈલેન્ડ પર દેશનિકાલ અને અત્યાચાર સામે વિરોધ કર્યો છે. મેં લોકોને જીવ ગુમાવતાં જોયા છે. મેં નિયમિતપણે શારીરિક અને માનસિક યાતનાઓ જોઈ છે. અત્યાર સુધી માનુસ જેલની સ્થિતિ વિષે કશું લખાયું નથી."

૩૧મી તારીખે જ્યારે વિક્ટોરિયા પારિતોષિક આપવાનો કાર્યક્રમ હતો, ત્યારે બૂચાની એમાં હાજર ન હતો. એણે સ્વિડીઓ કોન્ફરન્સિંગ મારફતે એનું આભાર-પ્રવચન આપ્યું હતું. એમાં એણે કહ્યું, "છ વર્ષ પહેલાં હું અહીં આવ્યો, ત્યારે એક ઈમિગ્રેશન ઓફિસરે બોલાવીને કહ્યું હતું કે, મને પેસિફિક મહાસાગરમાં આવેલા માનુસ આઈલેન્ડ પર દેશનિકાલ કરવામાં આવશે. મેં એને કહ્યું'તું કે, હું એક લેખક છું. એ માણસ હસ્યો અને મને લઇ જવા ગાર્ડને કહ્યું. હું આ નવલકથા લખતો હતો ત્યારે અને અત્યારે – આ ભાષણ આપું છું ત્યારે પણ – એ દ્રશ્ય મેં યાદ રાખ્યું હતું. એ એક અપમાન હતું. હું જ્યારે માનુસ પર આવ્યો ત્યારે એક સુદૂર જેલમાં લેખક કેવો હોય, તેનું એક ચિત્ર ખડું કર્યું હતું, જે જેલની કાંટાળી વાડો પાછળ, અર્ધનગ્નવસ્થામાં લખતો હોય. વર્ષો સુધી મેં મારા મનમાં આ ચિત્ર રાખ્યું હતું. માણસ તરીકેની મારી ગરિમા અને ઓળખને જાળવી રાખવામાં મને આ ચિત્ર મદદરૂપ બન્યું હતું.

"એનાથી એ સાબિત થાય છે કે અમાનવીય વ્યવસ્થાને પડકારવામાં શબ્દો કામ આવે છે. હું હંમેશાં કહેતો આવ્યો છું કે હું શબ્દો અને સાહિત્યમાં વિશ્વાસ રાખું છું. હું માનું છું કે સત્તાની વ્યવસ્થાને પડકારવા અને બદલવાની સાહિત્યમાં તાકાત છે. સાહિત્યમાં આપણને આઝાદી આપવાની તાકાત છે.

"વર્ષોથી હું જેલમાં છું અને એ દરમ્યાન મારું મગજ શબ્દો પેદા કરતું રહ્યું છે. આ શબ્દો મને સરહદો પાર, દરિયા પાર, અજાણી જગ્યાઓએ લઇ ગયું. હું ખરેખર માનું છું કે શબ્દોની તાકાત આ અહીં, આ જેલની વાડો કરતાં વધુ છે. આ કોઈ સ્લોગન નથી. આ કોઈ આદર્શવાદી માણસનો મત નથી. હું આદર્શવાદી નથી. છ વર્ષથી અહીં આઈલેન્ડમાં કેદ એક માણસના આ શબ્દો છે.”

Loading

4 July 2019 admin
← ‘એક રાષ્ટૃ, એક ચૂંટણી’ના લાભાલાભ
સો વરસના પ્રગતિશીલ કૉલમિસ્ટ નગીનદાસ સંઘવી એટલે માત્ર તડનું ફડ નહીં, પ્રકાંડ વિદ્વત્તા પણ ખરી →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved