Opinion Magazine
Number of visits: 9448805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાજપેયી : કવિહૃદયના આસામી અને ધીટ રાજકારણી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 December 2024

આજે ભારતરત્ન પંડિત અટલબિહારી નેહરુની 100મી જન્મજયંતી છે. એવું નથી કે કશીક ટાંકચૂકથી અહીં વાજપેયીને બદલે નેહરુનું નામ લીધું છે. માત્ર, સન બયાલીસના ‘હિંદ છોડો’ વારાથી એ (ભલે ત્યારે ખાસ કોઈ નોંધપાત્ર કામગીરી વગર પણ) જાહેર જીવન ભણી ખેંચાયા ત્યારે હિંદુત્વ સ્કૂલના કંઈક સંપર્કપૂર્વકનાં અને એસ.એફ.આઈ. – સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે પણ સંપર્કપૂર્વકનાં એમ મીલીજૂલી તાસીરનાં એ પ્રારંભિક વર્ષો હતાં.

પ્રકાશ ન. શાહ

જો કે, એ અઢળક ઢળિયા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભણી. પણ જેમ આ છેડાનો તેમ પેલી મેરનોયે રાષ્ટ્રીય સંસ્કાર એમને આજીવન પ્રસંગોપાત ખેંચતો, પજવતો, મૂંઝવતો ને સંસ્કારતો રહ્યો. એટલે સ્તો પેલાં રામજન્મભૂમિ આંદોલનનાં એક વીરનાયિકા શાં સાધ્વી ઋતંભરાને વાજપેયી માટે હોઠે ચડેલી ઓળખ જરી તુચ્છકારની રાહે ‘આધા કાઁગ્રેસી’ એવી રહી હતી.

આ લખું છું ત્યારે મને કુલદીપ નાયર સાથેની વાજપેયીની એક મર્મોક્તિ સાંભરે છે. 1990-92ના ગાળામાં સંઘ પરિવારી એક બડું રાવણું અયોધ્યામાં મળ્યું ત્યારે વાજપેયી બીજે ક્યાંક હતા. કુલદીપ નાયરે એમને પૂછ્યું : ‘તમે અહીં ?’ વાજપેયીએ કહ્યું, ‘રામભક્તો ત્યાં છે, અને દેશભક્તો અહીં!’ લાલકૃષ્ણ અડવાણીએ ‘માય કન્ટ્રી, માય લાઈફ’ એ આત્મકથામાં સંભાર્યું છે કે અયોધ્યા આંદોલન વખતે મારી ને વાજપેયી વચ્ચે મતભેદ હતો, પણ એ ઉદારમતિ ઉર્ફે લિબરલ અને હું ઉગ્રમતિ ઉર્ફે હાર્ડલાઈનર એવા કોઈ જાથુકી મતભેદ ઘણીખરી બાબતોમાં નહોતા. અલબત્ત, અમારે અંગેની આ જાહેર છાપના બેઉ છેડા ઝોકફેરે મળીને ભા.જ.પ.ની અપીલને સર્વવર્ગી બનાવવા સારુ ઉપયોગિતાની રીતે ઠીકઠાક છે. વિનય સીતાપતિએ ભારતીય રાજકારણની આ દમદાર જોડી વિશે ‘જુગલબંદી’ પુસ્તકમાં અચ્છી નુક્તેચીની કીધી છે.

અહીં વાજપેયીની કહેવાતી (કેમ કે એના સ્રોત અંગે હું ચોક્કસ નથી) એક મજબૂત ઉક્તિ સહજભાવે સંભારી લઉં કે કારસેવકો યાદ રાખે કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે, નહીં કે લંકા! આ આંદોલન સંદર્ભે સર્વોદયી સાથીઓએ શાંતિમય ધરણાનું આયોજન કર્યું ત્યારે એમના પર હુમલો કરી એમને ખદેડી મૂકવામાં આવ્યા હતા. ગાંધીજીનાં પુત્રવધૂ નિર્મળા ગાંધીએ ત્યારે વાજપેયી વગેરેને પત્ર લખીને કહ્યું હતું કે ભિન્નમતને ધોરણે આવી હિંસક પ્રતિક્રિયા બરાબર નથી. નારાયણ દેસાઈ પાસે આ લખનારે સાંભળ્યું છે કે વાજપેયીએ નિર્મળાબહેનને લખ્યું હતું કે એમ કરનારા અમારા જ મિત્રો હશે એમાં શંકા નથી, લેકિન સબ મેં આપકે સ્વર્ગીય શ્વસુર કી તરહ ઈતના નૈતિક સાહસ કહાં કિ આંદોલન કો વિડ્રો કર સકે : (દેખીતી રીતે જ તેઓ ચૌરીચોરાની ઘટના વખતે ગાંધીજીએ આંદોલન પાછું ખેંચેલું એ બીનાનો કદરભેર ઉલ્લેખ કરવા માગતા હતા.)

બે કવિનું મિલન

ગમે તેમ પણ, કોઈ મોટા કવિ નહીં તો પણ સહૃદય હોઈ શકતા કહો કે કવિહૃદયના આસામી વાજપેયી ખસૂસ હતા. એમના નેતૃત્વમાં, પ્રસંગે ઋજુતા જરૂર પ્રગટ થતી રહી. પાકિસ્તાન ગયા ત્યારે ઘરઆંગણાની પ્રતિક્રિયા તેમ યજમાન મુલકના પ્રોટોકોલની પરવા વિના એ ક્રાંતિકારી કવિ ફૈઝને મળવા દોડી ગયા હતા. 1999માં એમણે યોજેલી દિલ્હી-લાહોર બસયાત્રા એક રીતે આઉટ ઓફ બોક્સ ડિપ્લોમસીનો શાયરાના અંદાજ હતો. લાહોરનું એમનું ઉર્દૂ-હિંદુસ્તાની ઝાંયનું ભાષણ, ભાગલા પછી નેહરુની પહેલી લાહોર મુલાકાતના બરનું હતું.

વડા પ્રધાન નવાઝ શરીફ અનુકૂળ હોઈ શકતા હતા, પણ લશ્કરી વડા મુશર્રફે ખેલ બગાડ્યો એ ઇતિહાસવસ્તુ છે. એમનું નિર્ણાયક કદમ તો ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાતનું હતું. જે સ્થળે 1940માં પાકિસ્તાનની માગણીનો અધિકૃત ઉદ્દઘોષ થયો હતો ત્યાં જવું સારા પાડોશી તરીકે માનવતાની સહૃદય અપીલ અને કવિહૃદયનો ધક્કો એમને એ માટે ખેંચી ગયો હશે જે અંગે દિલ્હીનાં રાજદ્વારી વર્તુળો દ્વિધાવિભક્ત હશે, અને નાગપુરના આકાઓ આકરા ટીકાકાર. મુદ્દે, 1999માં 1977-78ની મોરારજી સરકારના વિદેશ મંત્રી તરીકે એમની ભૂમિકાનું આ અનુસંધાન હતું. ‘અખંડ ભારત’વાદી જનસંઘ ગોત્રના તમને અહીં આવવું કેવું લાગે છે એવા પ્રશ્નના ઉત્તરમાં પાકિસ્તાની પત્રકારોને એમણે કહ્યું હતું કે હું એ ઇતિહાસબોજ ભૂલી જવાની કોશિશમાં છું. તમે પણ એવી કોશિશ કરો. 

બોજ અને બોધ વચ્ચેની આ કશ્મકશ એક કવિહૃદય ને ધીટ રાજકારણી વચ્ચેની હતી. બાકી, એ જ અરસામાં નવી દિલ્હીના ગાંધી પીસ ફાઉન્ડેશનના સમારોહમાં એકરારના અંદાજમાં એ કહી ચૂક્યા હતા કે જુવાનીના તોરમાં ને ગુસ્સામાં વિભાજન ને ગાંધીહત્યાના કાળખંડમાં અમે જે બોલતા ને લખતા તે હવે પ્યારેલાલાલ કૃત ‘લાસ્ટ ફેઝ’ના વાચન પછી હું કહેવા ન ઇચ્છું.

ગુજરાત 2002 વખતે રાજધર્મના પાલનની સાફ વાત કર્યા પછી એ રાજીનામું લઈ શક્યા નહીં. બોજ અને બોધ વચ્ચેની કશ્મકશને શાસનના અંતિમ ચરણમાં ઇતિહાસની મૂઠ વાગી ગઈ તે વાગી ગઈ. એમના અનુગામી ગણ ને ચાહકોની ખિદમતમાં – આત્મનિરીક્ષણ સાથે આગળ જવા વાસ્તે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 ડિસેમ્બર 2024

Loading

25 December 2024 Vipool Kalyani
← નવી ગાઝા એકોક્તિઓ ૨૦૨૩ – ૨૪
તાજમહાલ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved