Opinion Magazine
Number of visits: 9446516
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બધાં એટલું બધું ભલું કરવા માંગે છે કે હવે ભલું ન થાય તો સારું એમ થાય છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 May 2023

રવીન્દ્ર પારેખ

આપણે ખૂબ ભલા સમયમાં અત્યારે જીવી રહ્યાં છીએ. જે આવે છે તે આપણું ભલું કરવા જ આવે છે. કોઈ કહે છે કે તંદુરસ્તી માટે દૂધ પીઓ ને આપણે દૂધ મોઢે માંડીએ કે બીજો કહે છે દૂધ નુકસાન કરી શકે છે. કોઈ વીડિયો શેર કરે છે કે પાણી પીવાય એટલું પીઓ ને આપણે પાણી પીવા જઈએ કે બીજો વીડિયો ટપકે છે કે વધારે પડતું પાણી નુકસાનકારક છે. આખો દિવસ આવું તો એટલું ભલું થતું રહે છે કે આપણને આપણાં મગજ વિષે પ્રશ્ન થાય કે એ પોતે કોઈ નિર્ણય લેવા સક્ષમ છે કે કેમ? જો છે, તો લોકો આટલી નિસ્વાર્થ સેવા શું કામ આપતાં હશે? હવે તો નિસ્વાર્થપણું ય વાગે છે. લોકો એટલા ભલા થઈ ગયા છે કે ફોરવર્ડ થયેલો મેસેજ પોતે પછી જોશે, પણ પહેલાં મિત્રોને, ગ્રૂપમાં ફોરવર્ડ કરશે ને એ એટલું લાંબું ચાલે છે કે મેસેજ વાંચવાનું જ ચુકાઈ જાય છે. હવે તો પોતે ન વાંચીને બીજાને ફોરવર્ડ કરવાની ફરજ લોકો બજાવી રહ્યા છે. વિચાર આવે છે કે મલાઈ વગર આટલી ભલાઈ થાય છે તો ખરેખર મલાઈ હોય તો શું થાય? બને કે ભલાઈ કરીને થાકેલા મિત્રો મલાઈ મોકલવામાં આળસ કરી જાય.

પૈસા કૈં ઝાડ પર લાગતા નથી, એમ કહેવાય છે, પણ મૈસુરમાં સુબ્રમણ્યમ્‌ રાયના આંબાના ઝાડ પર કરોડ રૂપિયા ઊગી નીકળ્યા ને તે આઈ.ટી. અધિકારીને દરોડા દરમિયાન મળી આવ્યા, એમાં દેશનું ભલું હશે, બીજી તરફ કૈં પણ ખબર પડે એ પહેલાં આપણાં ખાતામાંથી પૈસા પગ કરી જાય એમાં હેકરનું ભલું હશે, એમ જ ને?  જામનગરમાં હિંદુસેનાએ ‘ધ કેરાલા સ્ટોરી’ બહેનોને આજના શોમાં મફત બતાવવાનું આયોજન કર્યું છે. છે ને કમાલ ! સરકાર મફત અનાજ આપે છે તો હિંદુસેના મફત ફિલ્મ આપે છે. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવર્મેન્ટ દ્વારા 14,567 ટોલ ફ્રી નંબરની શરૂઆત કરવામાં આવી છે, જેનો સંપર્ક કરવાથી વડીલોની સમસ્યાઓનું સમાધાન થાય છે. સિનિયર્સને સલાહની જરૂર હોય તો શારીરિક, માનસિક, કાનૂની માર્ગદર્શન મેળવી શકે છે, પણ ગજવામાં હાથ તો સિનિયરે જ નાખવો પડે એમ છે. આટલી ભલાઈ સરકાર કરે છે, પણ સિનિયર્સને રેલવે કન્સેશન આપવાનું સરકારે બંધ કર્યું છે તે એટલે કે સિનિયર્સ દોડાદોડી ન કરે. વૃદ્ધો વ્યાજની આવક પર જીવતા હતા, એમને આવક ઓછી કરવામાં સરકારે એટલે મદદ કરી કે ખોટા ખરચા ન કરે. આવી મદદના પરપોટા ફૂટતા જ રહે છે, પણ ખરી મદદ તો વૃદ્ધોએ પોતાને કરવાની રહે. એમ કરીને બધાં જ સિનિયર્સને સ્વાવલંબી રાખવા માંગે છે, એવું નહીં?

રહી વાત યુવાનોની તો એનું ભલું કરવા એક્ટરો ને ક્રિકેટરો સાગમટે મેદાનમાં ઊતર્યા છે. ભારત વસ્તીમાં અને યુવા વર્ગમાં મોખરે છે, તો દેશના યુવાનોનું ભલું કરવા હિન્દી ફિલ્મ જગતના કલાકારો એલચી, પાનમસાલાની જાહેરાતો લઈને યુવકોને આકર્ષી રહ્યા છે. ખાવાનું મળે કે ન મળે, પણ યુવાનો પાનમસાલા સુધી પહોંચે એને માટે અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ, રીતિક રોશન જેવા અનેક કલાકારો તનતોડ મહેનત કરી રહ્યા છે, કારણ એ લોકો જાણે છે કે એલચી જ ઓક્સિજન છે. એ ઠસાવવા આ સાહેબો મોઢામાં એલચી ઓરતા પણ બતાવાયા છે, જેથી યુવાનો, વૃદ્ધોને ખ્યાલ આવે કે જીવવા માટે પાનમસાલા કે એલચી કેટલાં જરૂરી છે ! એક વખત અનાજ નહીં હોય તો ચાલશે, પણ પાનમસાલા કે એલચી વગર તો રહેવાય જ કેમ? એ ભાન આ ફિલ્મી કલાકારો રોજ જાહેરાતોમાં કરાવતા રહે છે. દેશનું યુવાધન શારીરિક, માનસિક, આર્થિક રીતે દાવમાં મૂકવાનો બધો યશ આ મહાન કલાકારોને આપવો ઘટે.

એક જાહેરાતમાં તો સ્ત્રી પણ સેશે ફાકતી બતાવાઈ છે. ખબર નહીં કેમ, પણ આવી જાહેરાતો એક્ટ્રેસો પાસે નથી કરાવાઈ. બને કે હવે પછી એનું પ્લાનિંગ થાય. એટલું થાય તો દેશની મહિલાને પણ પાનમસાલાની ટેવ પડે ને ઘરમાં રાંધવાનું બંધ થાય. પાનમસાલાથી જ પેટ ભરવાનું હોય તો રાંધીને કામ પણ શું છે? એ રીતે અનાજની બચત થશે ને તેની નિકાસ કરીને સરકાર કમાણી કરી શકશે. આ રીતે આખા દેશના યુવક-યુવતીઓને પાન-એલચી અભિયાનમાં જોડીને હિન્દી ફિલ્મી કલાકારો કેવો ભોગ દેશને ધરી રહ્યા છે એ વિચારીએ છીએ તો છાતી આપોઆપ જ 56ની થઈ ઊઠે છે. આમ તો કેટલાક ફિલ્મી કલાકારોને પદ્મશ્રીથી સરકારે નવાજ્યા છે, પણ ‘પાન’ પુરસ્કારથી થોડા વધુ કલાકારોને નવાજવા જોઈએ ને ‘પાન’ આધારિત તપાસ પણ કરવી જોઈએ, જેથી રિકવર કરવા કલાકારોએ કેટલી એવી એડ કરવી જોઈએ એનો એમને ને લોકોને ખ્યાલ આવે. આમ તો આ કલાકારો પાન-એલચીની જાહેરાતો દ્વારા સમાજ સેવા જ કરતા હોય છે, એટલે બિચારાઓ કેટલુંક કમાઈ જતા હશે તે તો તેઓ જ જાણે ! ખરેખર તો સરકારે જ આવાં આર્થિક વિકલાંગો માટે કોઈ નિધિની સ્થાપના કરવી જોઈએ જેથી કલાકારોએ ને ભવિષ્યમાં એમની વિધવાઓએ કોઇની પાસે હાથ ન લંબાવવો પડે. આફ્ટર ઓલ, આ કલાકારો કામ તો સરકારનું જ કરે છે ને !

એક તરફ સરકાર લોકોને તમાકુ ગુટખા ખાતાં રોકવા લાખો કરોડોની જાહેરાત કરે છે ને બીજી તરફ તમાકુ કે તમાકુ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ નથી મૂકતી એમાં પણ લોકસેવાનો જ મહિમા છે. તે એ રીતે કે તમાકુ ન ખાવાની જાહેરાતનો ખર્ચ તો થાય જ છે, તે ક્યાંથી કાઢવો? સિમ્પલ ! તમાકુ વેચાશે તો તમાકુ ન ખાવાની જાહેરાત થઈ શકશે ને ! એક એડ અક્ષયકુમાર સિગારેટ પીતા મિત્રને તમાકુ છોડવાની સલાહ આપતી કરે છે ને બીજી એડ ‘જુબાં કેસરી’ની કરે છે. બને કે પેલો મિત્ર અક્ષયકુમારના કહેવાથી સિગારેટ છોડે ને એના જ કહેવાથી ‘જુબાં કેસરી’ કરવા નીકળી પડે, કારણ એની જાહેરાત તો અક્ષય ઉપરાંત શાહરુખ અને અજય પણ કરે છે તો એ પ્રોડક્ટ કેટલી આરોગ્યવર્ધક હશે ! હવે યુવાનો અનાજ ખાવાને બદલે પાન-એલચીથી જ પેટ ભરે એમ બને. એવું થાય તો સરકારનું કેટલું અનાજ બચે ને એ અનાજ ગરીબોને મફત વહેંચી શકાય ને ગરીબો પણ અનાજના પૈસા બચે એમાંથી પાન-એલચી જેવી ટોનિક આઈટમ ખરીદી શકે.

એ કલાકારોને વંદન કરવા જોઈએ, જેમને એમ લાગ્યું કે પાન-એલચીની જાહેરાતમાંથી કમાવું ન જોઈએ. આ તો સેવા છે, એમાંથી હોજરી ન ભરાય. અમિતાભ બચ્ચને અને અક્ષયકુમારે કંપનીને રકમ પાછી વાળી. જો કે, યુવકોને પાન-એલચીની ટેવ છૂટી ન જાય ને એ ન ખાઈને આરોગ્યને જોખમમાં ન મૂકે એટલે જાહેરાતો ચાલુ રાખીને બંને કલાકારોએ લોકસેવાનું કામ ચાલુ રાખ્યું છે, એ માટે એમને મન મૂકીને ‘થાબડીએ’. કાર્તિક આર્યન જેવા એક્ટર પર તો જાહેરાતોનો એવો પ્રભાવ પડ્યો કે જાહેરાતથી થતી નવ કરોડની આવક જતી કરી. જો કે, એણે પૈસા છોડીને નવયુવકોને પાન-એલચી ખાવા પ્રોત્સાહિત કર્યાં હોત તો સેવા થઈ હોત, પણ એ તો જેવી જેની મરજી !

આમ તો સુનિલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ કરોડોમાં રાચનારા જીવો છે, પણ તેમને ય થાય કે યુવાનો ક્રિકેટ જુએ છે તો એ પણ જુએ કે કેવી રીતે પાન-એલચી ખાઈને પોતે આમ ક્રિકેટના ગ્રાઉન્ડ સુધી પહોંચ્યા ને મહાન ક્રિકેટર બન્યા ! એટલે એ બંને એડમાં ફટકાબાજીની વાત કરતાં કરતાં સેશે મોઢામાં ઓરતા દેખાય છે. હવે આટલા મોટા ક્રિકેટરો સેશે ફાકવા માત્રથી ક્રિકેટર થઈ શકતા હોય તો યુવાનો પાન-એલચી ખાવાથી દૂર રહે? એ ખાવાના જ ! એટલે માત્ર એક્ટરો જ નહીં, ક્રિકેટરો પણ લાઈફ સેવિંગ પાન-એલચી ખવડાવવા જીવ રેડી રહ્યા છે. એમને યુવાનોની ચિંતા છે એટલે એમને જાહેરાતો દ્વારા પાન-એલચી ખાવા ખેંચે છે. આજ સુધી એલચીની જાહેરાત આવતી ન હતી, એની જાહેરાત હવે એક્ટરો ને ક્રિકેટરો ભેગા મળીને કરે છે જેથી યુવા વર્ગ ટાર્ગેટ થઈ શકે.

આમ તો યુવાનોને કામકાજ ખાસ રહ્યાં નથી એટલે આઇ.પી.એલ.ની મેચ સ્ટેડિયમમાં જઈને જોવાનો સમય મળી રહે છે. કમાલ એ છે કે એક્ટરો ને ક્રિકેટરો હવે સરખા લોકપ્રિય છે. એટલે બંને એડમાં પણ સાથે આવતા થયા છે. ધોની ને તેંડુલકર ને બીજા પણ ક્રિકેટરો મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં કેમ રોકવા ને એના ’ફટકા’ કેમ ખાવા તે લોકોને શીખવે છે. કેટલાક તો રમી, વાઇલ્ડ રમી કેમ રમવી એ પણ જાહેરાતોમાં શીખવતા હતા. એ પછી ગેમનો વિકાસ થયો ને ક્રિકેટ પર વાત આવી. ડ્રીમ-11. એમાં પૈસા લગાવીને કેમ કમાવી શકાય એની જાહેરાત ધોની, હાર્દિક પંડયા અને રોહિત શર્મા જેવા ક્રિકેટરોએ કરી. આ બધા કરોડોમાં વેચાયા હોય એટલે રમનારને સ્વાભાવિક જ કમાણીનું મન થાય. યુવાનો હવે ક્રિકેટ જોતાં જ નહીં, પણ પૈસા લગાવીને ક્રિકેટ રમતા પણ થયા છે. આખી યુવાનીનો એક્ટરોએ અને ક્રિકેટરોએ આ રીતે જેટલો ઉપયોગ ભારતમાં કર્યો છે એટલો જગત આખામાં ક્યાં ય થયો નથી. દેશની યુવાનીને ધંધે લગાડવા બદલ એક્ટરોને અને ક્રિકેટરોને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.

શું કહો છો?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 મે 2023

Loading

5 May 2023 Vipool Kalyani
← ગાંધીવિચારનો પ્રકાશ : ચંડીપ્રસાદજી ભટ્ટ
આલમ આરા : પહેલી બોલતી ફિલ્મનો ખોવાઈ ગયેલો અવાજ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved