Opinion Magazine
Number of visits: 9449065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાબરી ધ્વંસ અને તત્કાલીન વડાપ્રધાન નરસિંહરાવનું આત્મમંથન …

કિરણ કાપૂરે|Opinion - Opinion|30 July 2020

બાબરી ધ્વંસમાં તત્કાલીન વડા પ્રધાન નરસિંહરાવની ભૂમિકા પર પ્રશ્નો થતા રહ્યા છે. અગાઉથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવા છતાં નરસિંહરાવ બાબરી ધ્વંસને અટકાવવાના પૂરતા પ્રયાસ કર્યા નહોતા, તેવા આરોપ તેમની પર થાય છે. આ ઘટના અંગે જાણીતા પત્રકાર પ્રભાષ જોશીની જીવની ‘લોક કા પ્રભાષ’માં નરસિંહરાવે પોતાના મત વ્યક્ત કર્યો છે. અને કહ્યું હતું કે તેમણે જે કર્યું હતું તે ‘સમજી વિચારીને કર્યું હતું’. આગળ આ અંગે પ્રભાષ જોશીની જીવનીને શબ્દમાં મૂકનાર રામાશંકર કુશવાહા લખે છે કે : “બાબરી ધ્વંસ બાદ નિખિલ ચક્રવર્તી નામના પત્રકાર સાથે તેઓ [પ્રભાષ જોશી] નરસિંહરાવને મળ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે, 6 ડિસેમ્બરે તમે જે વલણ રાખ્યું હતું તેનાથી બાબરી ધ્વંસને અટકાવી ન શકાયો. આવું તમે શું વિચારીને કર્યું?” નરસિંહરાવ પાસેથી મળેલો જવાબ : “તમે શું સમજો છો કે મને રાજનીતિ નથી આવડતી? મેં જે કર્યું, તે સમજી-વિચારીને કર્યું છે. મારે ભા.જ.પ.ની મંદિરની રાજનીતિને ખતમ કરવી હતી, જે મેં કરી દીધી.” નરસિંહરાવે પોતાના લાભ માટે જે વિચાર્યું તે ન થયું. ભા.જ.પ. ત્યાર બાદ વધુને વધુ મજબૂત પક્ષ બનતો ગયો અને વર્તમાન સમય ભા.જ.પ.નો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ઉપરની ઘટના પરથી એવું ફલિત થાય છે કે નરસિંહરાવે ભા.જ.પ.ની મંદિર રાજનીતિને ખતમ કરવા બાબરી મસ્જીદની સુરક્ષા ને સાંપ્રદાયિક સૌહાર્દને હોડમાં મૂક્યા. ત્યાર પછી દેશમાં જે કોમી દાવાનળ ફાટી નીકળ્યો તેનો ક્યાસ તો અલગથી કાઢવો રહ્યો.

પ્રભાષ જોશીની વાત સાચી માનીએ તો નરસિંહરાવ આ ઘટનામાં ગુનેગાર બને છે. પરંતુ ખુદ નરસિંહરાવે ‘અયોધ્યા : 6 દિસંબર 1992’ નામનું જે પુસ્તક લખ્યું છે તેમાં નરસિંહરાવનું વલણ બાબરી મસ્જીદને સુરક્ષિત રાખવાનુ જણાઈ આવે છે. અને તે માટે તેમણે ખાસ્સી તડજોડ કરી હતી તેવા પુરાવા પણ તેઓ આપે છે. બાબરી ધ્વંસ થયાના બીજા દિવસે સંસદમાં આપેલા વક્તવ્યમાં તેમણે આ અંગે પૂરતી સ્પષ્ટતા કરી હતી. તે ભાષણના અંશો :

“રામજન્મભૂમિ-બાબરી મસ્જિદને લઈને કેન્દ્ર સરકાર સતત ચિંતિત હતી. ગૃહમંત્રી[એસ.બી.ચવ્હાણ]એ અગણિત બેઠકોમાં, ચર્ચાઓમાં અને પત્રો વગેરે દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી [કલ્યાણસિંહ] સમક્ષ આ મુદ્દો ઊઠાવ્યો. તેમણે મુખ્યમંત્રીને સલાહ આપી હતી કે તેના બાંધણીની પૂરતી સમીક્ષા કરવામાં આવે, જેમાં કેન્દ્રીય સંગઠનોના પ્રતિનિધિ પણ સામેલ હોય. પરંતુ અમારા તરફથી થયેલાં વારંવાર નિવેદનો છતાં ય રાજ્ય સરકારે તે સૂચનાનો અસ્વીકાર કર્યો. તે સિવાય રાજ્ય સરકારે સુરક્ષાની જે વ્યવસ્થા કરી હતી તેની મર્યાદા તરફ પણ અમે ધ્યાન ખેંચ્યું હતું. મુખ્યમંત્રીને અમે એ પણ જાણકારી આપી હતી કે અમારા મતે અયોધ્યામાં તૈનાત કરવામાં આવેલા સુરક્ષાદળો સુરક્ષાની જરૂરિયાતને પૂરી નહીં કરી શકે. ખાસ કરીને કોઈ દુર્ઘટનાની સ્થિતિમા કે ધાર્મિક ઉન્માદમાં હિંસા ભડકે ત્યારે.”

“કેન્દ્ર સરકારે સાવચેત થઈને 24 નવેમ્બર, 1992ના દિવસે જ અયોધ્યા નજીક અનેક સ્થાનો પર અર્ધસૈનિક દળોને તૈનાત કરી દીધા હતા, જેથી વિવાદિત બાંધણીની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને જાળવી રાખવા રાજ્ય સરકારને જરૂરી લાગે, તો ઓછામાં ઓછા સમયમાં જ સુરક્ષા દળ ઉપલબ્ધ થઈ શકે. કેન્દ્રીય અર્ધસૈનિક બળોની અંદાજે 195 ટુકડી તૈનાત કરવામાં આવી હતી અને આકસ્મિક સ્થિતિને થાળે પાડવા માટે જરૂરી તમામ સુવિધાઓ જેમ કે ટીઅર ગેસ, રબરની ગોળીઓ, પ્લાસ્ટિકના છરા અને અંદાજે 900 વાહન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ દળોમાં મહિલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની ટુકડીઓ, સુરક્ષા ગાર્ડ કમાન્ડો, બોમ્બ નિરોધક દળ અને સ્નિફર ડોગ સામેલ હતા. અમારો વિચાર હતો કે રાજ્ય સરકાર સમય વેડફ્યા વિના આ દળોનો ઉપયોગ કરી શકે. ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું કે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાના સંબંધમાં સુરક્ષા દળોને તૈનાત કરવા વિશે વિચાર કરવો જોઈએ. પરંતુ સુરક્ષા દળોના ઉપયોગને બદલે મુખ્યમંત્રીએ તેઓની તૈનાતી લઈને અમારી ટીકા કરી અને સુરક્ષા દળોને પાછા બોલાવાની માંગ કરી હતી.”

“6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યાથી મળનારી પ્રાથમિક સૂચના હતી કે સ્થિતિ શાંતિપૂર્ણ છે. રામ કથા અને કુંજમાં જાહેર સભા માટે અંદાજે 70,000 કારસેવક એકઠા થયા હતા, જેને સંઘ પરિવારના વરિષ્ઠ નેતા સંબોધિત કરવાના હતા. ચબૂતરા પર અંદાજે પાંચસો સાધુ-સંત ભેગા થયા હતા અને પૂજાની તૈયારી થઈ કરી હતી. 11.45થી 11.50ના વચ્ચે, અંદાજે 150 કારસેવક વાડો તોડીને ચબૂતરા પર જઈ પહોંચ્યા અને પોલીસ દળ પર પથ્થરમારો કરવા લાગ્યા. અંદાજે 1000 કાર સેવક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદમાં પ્રવેશી ચૂક્યા હતા. અંદાજે 80 કાર સેવક મસ્જીદના ગુંબજ પર ચઢવામાં સફળ થયા અને તેને તોડવા લાગ્યા. આ દરમિયાન કારસેવકોએ બાંધણીની બહારની દિવાલ તોડી નાંખી. 2.20 વાગ્યે 75,000 લોકોની ભીડે પૂરા મસ્જીદના ભાગને ઘેરી લીધો, જેમાંથી ઘણાં તેને તોડવા મચી પડ્યા. 6 ડિસેમ્બર, 1992 સાંજ પડતા સુધીમાં તે ક્ષેત્રને પૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો.”

“અયોધ્યાના ઘટનાચક્રના પરિણામસ્વરૂપ થયેલા વિવાદિત બાંધણીની ધ્વંસથી અમને સૌને ખૂબ પીડા થઈ અને ઊંડો આઘાત લાગ્યો. એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે કોઈ જવાબદાર રાજ્ય સરકાર આ રીતે પણ કાર્ય કરી શકે. આપણું સંઘીય સંગઠન છે અને આ તથ્યને સ્વીકાર કરીને આપણે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા વચન અને આશ્વાસનો પર વિશ્વાસ કર્યો. મને દુઃખ છે કે રાજ્ય સરકારે ન માત્ર આપણા, બલકે પૂરા રાષ્ટ્રનો વિશ્વાસ તોડ્યો છે. તેણે દેશના સર્વોચ્ચ ન્યાયાલયના સાથે રાષ્ટ્રીય એકતા પરિષદ જેવા સંગઠનના સમક્ષ લીધેલા વચનનો અનાદર કર્યો છે. મારી જાણકારી મુજબ 6 ડિસેમ્બર, 1992ની સાંજે એક વિશેષ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયના માનનીય ન્યાયાધીશોએ પણ રાજ્ય સરકાર દ્વારા ન્યાયાલય સમક્ષ આપવામાં આવેલા પોતાના આશ્વાસનને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવાથી પોતાના દુઃખ અને પીડા વ્યક્ત કરી છે.”

“અનેક મૂક બલિદાનો દ્વારા પ્રાપ્ત આઝાદી બાદ રાષ્ટ્ર આ ક્રૂરતમ ઘટનાનો સાક્ષી બન્યો. જેમણે થોડા સમયથી આ દેશના લોકોના દિલોદિમાગ પર કાબૂ બનાવી રાખ્યો છે, તેમના અંતિમ હુમલામાં ભાગ લઈને અયોધ્યામાં બાબરી મસ્જીદને ધ્વસ્ત કરી દીધી. આપણા પ્રાચીન દેશમાં સદીઓથી અનેક મત અને સંપ્રદાયો વસે છે, જેમણે વિવિધ ધર્મો અને માન્યતાઓના અસંખ્ય લોકોને પ્રેરિત કર્યા છે એટલે ધર્મો, માન્યતાઓ અને સંપ્રદાયો પ્રત્યેની ઉદારતા ભારતની ઓળખ રહી છે. દરેક મંદિર પવિત્ર છે, દરેક મસ્જિદ પાક છે, દરેક ગુરુદ્વારા પ્રેરણાનો સ્રોત છે અને દરેક ચર્ચ ઈશ્વર સાથે સંવાદ કરવાનું સ્થાન છે. સાંપ્રદાયિક તાકતોએ આ મુદ્દે ભા.જ.પ.-વિ.હિ.પ.-આર.એસ.એસ., સંયુક્ત રીતે આ પવિત્ર વિશ્વાસનું ખંડન કર્યું છે. વિનાશના આ ગાંડપણભર્યા દોટને અટકાવવાની દરેક સંભવ ઉપાય કરવામાં આવ્યો. દરેક રાજકીય અને બંધારણીય ઉપાયને સ્વીકારવામાં આવ્યો જેથી વિવેક અને બુદ્ધિથી આ અસાધ્યને સાધી શકાય. ”

“રાષ્ટ્રીય સંકટના આ સમયે હું સંસદગૃહના તમામ સભ્યોને એક થવાની અપીલ કરું છું કારણ કે ત્યારે જ આપણે બંધારણની બલકે આપણા દેશના ભવિષ્યની રક્ષા કરી શકીશું. આ પવિત્ર ભૂમિના ખૂણે-ખૂણે રહેનારા લઘુમતિઓને કહેવા ઇચ્છું છું કે કૉંગ્રેસ પક્ષ તેમના અધિકારો, જીવન અને સ્વતંત્રતાની રક્ષા કરવામાં ક્યારે ય પીછેહઠ નહીં કરે. તેમની સાથે કરવામાં આવેલા આ વાયદાઓનું અનુમોદન ન માત્ર બંધારણમાં કરવામાં આવ્યું છે બલકે દેશના આપણા મહાન નેતાઓ ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ કર્યું છે. તેને પૂર્ણ કરવાનો અમે દરેક જરૂરી ઉપાય કરીશું. કોઈ પણ સ્થિતિમાં અમારા ઉદ્દેશ્યનો ખોટા ન સમજવા જોઈએ. મસ્જીદને તોડી પાડવી તે બર્બર કૃત્ય હતું. સરકાર તેનું પુન:નિર્માણ કરાવશે.”

Loading

25 January 2025 admin
← ખાનગીકરણ અને સરકારીકરણની વાર્તા
Rate Race — →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved