Opinion Magazine
Number of visits: 9449049
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાળકની પજવણી વિશેનું એક પુસ્તક, અને પર્યાવરણ વિશેનું બીજું 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|17 September 2023

પુસ્તક પરિચય 

‘પરીકથામાં પંક્ચર’ અત્યારના સાયબરસમયમાં બધી ઉંમરના વાચકોને મજા પડે, તેમને જાણવા અને શીખવા મળે તેવી કિશોરકથા છે. લેખિકાઓ તેજલ શાહ  અને અર્ચિતા પંડ્યાને નવા ડિજિટલ જમાનાનાં પાત્રો અને વર્ચ્યુઅલ વર્લ્ડની સામગ્રી લઈને વાર્તા કહેવાનું સરસ ફાવ્યું છે. તેમણે સાયન્સ ફૅન્ટસી અને ઇન્ટરનેટના સમયમાં ઉછરી રહેલાં ઉપલા મધ્યમવર્ગના બાળપણની વાસ્તવિકતાનો તાજગીસભર સુમેળ સાધ્યો છે. એટલે તેમાં મોબાઈલ, ચૅટિન્ગ, ગેમિંગ, ક્લિપ્સ, યુ-ટ્યુબ ચૅનલ્સ, ફૅનફૉલોઇંગ, લાઇક્સ, ટ્રોલ્સ, વેબપેજ ડિઝાઇનિંગ, મૉર્ફિંગ ને એ બધાની આખી દુનિયાનો ‘ઓમ ઇગ્નોરાય નમ:’ મંત્ર સાથે, સહજ રીતે સમાવેશ થયો છે.

સ્કૂલ બસમાં બેસીને એક ઢબૂડી પહેલાં દિવસે ખુશીથી નિશાળે બેસે છે ત્યારથી લઈને તે મિડલ સ્કૂલમાં એથિકલ હૅકિંગથી સોશ્યલ મીડિયા બુલિને પકડી પાડતી કિશોરી તરીકે આગળ આવે છે ત્યાં સુધીની સ્ટોરી વાચક છેક સુધી વાંચતા રહે તે રીતે કહેવાઈ છે. વળી, નવા જમાનાની, સમજદાર માતાની ભાવનાશાળી છતાં ય ચાલાક એવી આ દીકરીના મુખે વાર્તા કહેવાઈ છે. આ નાનકડી અને સરસ રીતે વિકાસ પામતી નૅરેટરની જિંદગીના એક અંશ(a slice of life)ના કેટલાં ય પાસાં લેખિકાઓએ રમણીય અને પ્રતીતિજનક રીતે નિરૂપ્યાં છે. કથકનાં મા-બાપ, મિત્રો, શિક્ષકો, શાળાના કર્મચારીઓ એવા કેટલાં ય પાત્રો મળે છે. તેમાં છોકરા-છોકરીઓની મિત્રમંડળી અને તેમની નાનકડી દુનિયા, શાળા અને રૅન્કિ-ફ્રૅન્કિ ફૂડ કૉર્નર સહિત, સરસ રીતે ઊભી કરવામાં આવી છે. મા-બાપ અને શિક્ષકોની ખૂબીઓ અને ખામીઓ તરફ ઇશારો છે. સહુથી નોખું પાત્ર તે પરગ્રહવાસી-એલિયન વિન્સી. તેનાં કુળમૂળ જ નહીં પણ તેનાં દેખાવ-સ્વભાવ-પ્રભાવનું પણ આકર્ષક ચિત્રણ છે. પુસ્તકની ભાષામાં કહેવતો સહિતની બોલચાલની સુઘડ ગુજરાતી અને અનિવાર્યપણે ડિજિટલ વત્તા સોશ્યલ મિડિયાના શબ્દોનું નોંધપાત્ર સંતુલન છે. વાર્તાના દરેક પાનાના બંને હાંસિયામાં તે પાનાંમાં જેનો ઉલ્લેખ તેમાંથી એકાદ-બે પાત્રો અને વસ્તુઓના અનામી કલાકારે કરેલાં ચિત્રો પુસ્તકને અનોખી જીવંતતા આપે છે.

 ‘એક ચુલબુલી કથા’ એવું પુસ્તકના પેટા-નામ પુસ્તકનો વિષય સૂચવે છે. શાળામાં બાળકનું ‘બુલિંગ’ એટલે કે તેની થતી પજવણીની સમસ્યા પુસ્તકનો વિષય છે. પ્રસ્તાવનામાં બુલિંગની ઘાતક અસરોનો ઉલ્લેખ કરીને લેખિકાઓ તેની સાથે સોશ્યલ મીડિયાના શાળાજીવન સંદર્ભે લેખાંજોખાંને પણ સમાવે છે. અંતે તેઓ લખે છે : અમે સહાયના આશયથી ‘બુલી’ જેવા ભારેખમ વિષયને વાર્તામાં ઢાળીને લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ હાથ ધર્યો છે.’

•••

‘પર્યાવરણ અને તેનું રક્ષણ’ પુસ્તકમાં લોકવિજ્ઞાન(પૉપ્યુલર સાયન્સ)ના જાણીતા લેખક કિશોર પંડ્યાએ ખૂબ સરળ અને લાઘવપૂર્ણ ભાષામાં વિષયની સમજ આપી છે. પુસ્તકના પહેલાં ત્રણ પ્રકરણમાં પર્યાવરણની વ્યાખ્યાઓ આપીને તેના ઘટકોને આકૃતિ સાથે વિશદ કરવામાં આવ્યા છે. પર્યાવરણ અને નિવસનતંત્ર વચ્ચેની ટૂંકમાં સમજ ત્રીજા પ્રકરણમાં છે. ત્યાર બાદ પર્યાવરણ પરિવર્તન અને તેની અસરો તેમ જ ભારતના સંદર્ભે તેના પડકારો વિશે વાંચવા મળે છે. પર્યાવરણ અભ્યાસશાખા અંગેના બે પ્રકરણો બાદ ચાર પ્રકરણો સંરક્ષણ પ્રદૂષણ સહિતની પર્યાવરણ સમસ્યાઓ અને તેના ઉકેલ તરીકે પર્યાવરણ સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યાં છે. લેખકે કુદરતને જાળવવા અને ફેલાવવા માટેના રોજબરોજના વ્યવહારુ સૂચનો પણ આપ્યાં છે. કવિ ઝીણાભાઈ દેસાઈએ લખેલું  ‘વૃક્ષારોપણ ગીત’ અને પુસ્તકને અંતે મળતું ‘પર્યાવરણ પ્રમાણપત્ર’ હૃદયસ્પર્શી છે.

પુસ્તકમાંથી મળતી વિશિષ્ટ માહિતીના ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. ફિલિપાઇન્સમાં દરેક વિદ્યાર્થીએ શાળા કે કૉલેજનું પ્રમાણપત્ર મેળવતાં પહેલાં દસ સ્થાનિક વૃક્ષો રોપીને તેની સંભાળ રાખવાની હોય છે. પર્યાવરણનો અભ્યાસ કર્યો હોય તેવા ‘ઇકોલૉજિસ્ટ’, વૃક્ષોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પુન:સ્થાપિત કરનાર ‘રિસ્ટોરેશન ઇકોલૉજિસ્ટ’ અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે આવી પડનાર જોખમોથી લોકોને માહિતગાર કરનાર ‘એન્વાયર્નમેન્ટલ બાયોલોજિસ્ટ’ની વ્યાવસાયિક કારકિર્દી માટેના અભ્યાસક્રમો ભારતમાં ચાલે છે. વાયુપ્રદૂષણને કારણે દેશના 36 શહેરોમાં દર વર્ષે 51,779 લોકો અકાળે મૃત્યુ પામે છે. એક અંદાજ મુજબ પ્રદૂષણને કારણે દરરોજ લગભગ 150 લોકો મૃત્યુ પામે છે. ભારતમાં 20 હજારથી વધુ પ્લાસ્ટિક રિસાયકલિન્ગ એકમો છે. દિલ્હીની નંદનગરી પડોશમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે  એશિયાનું  સૌથી મોટું કેન્દ્ર છે. અહીં દરરોજ દસ લાખ કિલો (એક હજાર ટન) પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવામાં આવે છે. એક વૃક્ષ વર્ષમાં 20 કિલો ધૂળ શોષે છે. એક વૃક્ષ દર વર્ષે આશરે 700 કિલો ઑક્સિજન ઉત્સર્જન કરે છે, બજારમાં 2.5 કિલોગ્રામ ઑક્સિજનની કિંમત અંદાજે 6,500 રૂપિયા છે. તે દર વર્ષે 20 હજાર કિલો (20 ટન) કાર્બન ડાયોક્સાઈડ શોષે છે અને દરરોજ રાત્રે આશરે 10 ગ્રામ પ્રમાણે વર્ષમાં પોણા ચાર કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.

[820 શબ્દો]

—‌‌‌———————————————————————–

● પરીકથામાં પંક્ચર : એક ચુલબુલી કથા 

પ્રકાશક : Zen Opus, અમદાવાદ, પાનાં 103, કિ. 225/- સંપર્ક 079 2656112, 400081112 contact@zenopus.in  / www.zenopus.in 

●પર્યાવરણ અને તેનું રક્ષણ

પ્રકાશક : અવનિકા પ્રકાશન, અમદાવાદ, પાનાં 96, કિ. 160/- 

સંપર્ક : 9879001081

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

17 September 2023 Vipool Kalyani
← ચાલો, હરારી પાસે – 22 : ડેટાસૅટ અને ગુજરાતી ભાષા
ભારત ઇન્ડિયા તરીકે ન ઓળખાય એવું મહમ્મદઅલી ઝીણા ઈચ્છતા હતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved