Opinion Magazine
Number of visits: 9446804
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થઘટનપરક વિવેચનાત્મક વિધાનો (4) : ઇન્ટરપ્રીટેટિવ સ્ટેટમૅન્ટ્સ :

સુમન શાહ|Opinion - Literature|23 October 2021

(સંભવ છે કે આ લેખ સહેલો ન લાગે. સહેલો લાગે તેણે જ આગળ ધપવું. એમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે.)

ધારો કે તમે મને સરસ મજાનું પરફ્યુમ ભેટ આપો છો. હું જોઈ રહું છું ને મલકાઈને થૅન્કસ કહું છું. ત્યારે મેં એ પરફ્યુમનો અર્થ ઘટાવ્યો હોય છે – તમારો મારા માટેનો, ‘સ્નેહાદર’. મેં ત્યારે ‘પ્રેમ’ કે ‘મૈત્રી’ અર્થ પણ ઘટાવ્યો હોત. મેં ત્યારે ‘વ્હાલ’ કે ‘વાત્સલ્ય’ અર્થ પણ ઘટાવ્યો હોત – આપનાર કોણ છે એ પર આધારિત છે.

પરફ્યુમમાં આમાંનો એકે ય અર્થ સંભરવામાં નથી આવ્યો, એમાં તો પરફ્યુમને શક્ય બનાવનારાં માત્ર કૅમિકલ્સ છે ! પણ મેં એ અર્થ કર્યો, ઘટાવ્યો. ભેટરૂપ પરફ્યુમનું મેં અર્થઘટન કર્યું.

પરફ્યુમ ઉપરાન્ત, લૉ ગાર્ડન, કમાઠી બાગ, કીર્તિમન્દિર, લક્ષ્મીવિલાસ પૅલેસ, યુનિવર્સિટી ટાવર, તાજમહાલ, વગેરે બિલ્ડિન્ગોનાં કે સ્થાનોનાં આપણે – કેટલું રળિયામણું છે – કેટલું કલાત્મક છે, એમ અર્થઘટન કરતા હોઈએ છીએ.

સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી, સ્ટૅચ્યુ ઑફ યુનિટી, ખજૂરાહોની કામરત નર-નારી મૂર્તિઓ, શિવલિન્ગ, શિવનો નાન્દી, રાધા-કૃષ્ણ અને સીતા-રામની કે મહાવીર અને બુદ્ધની મૂર્તિઓનાં – જુઓ ને, કેવાં આબેહૂબ છે, કેટલાં ભવ્ય છે – જુઓ ને, કેવો ભક્તિભાવ જગાડે છે – જુઓ ને, કેટલી શાતા આપે છે, એમ અર્થઘટન કરતા હોઈએ છીએ.

ફળિયામાં ભેગી થયેલી બધી જ સ્ત્રીઓ સફેદ સાલ્લામાં દેખાય તો આપણે એ દૃશ્યનો અર્થ ઘટાવીએ છીએ. ખોપરીની નીચે ક્રૉસમાં બે હાડકાંનું ચિત્ર જોવા મળે તો એનો અર્થ ઘટાવીએ છીએ. કહો કે, આપણને જોવા મળતાં દૃશ્યોનાં, ચિત્રોનાં, અર્થઘટન કરતા હોઈએ છીએ.

રાગ મલ્હાર, દીપક કે શિવરંજનીનાં ગાયન અને શ્રવણ મનુષ્યચિત્તને અમુક અર્થભાવમાં દોરી જાય છે. કહો કે ત્યારે આપણે એ સંગીતી ગાયનના અર્થસંકેત પકડતા હોઈએ છીએ, અર્થ ઘટાવતા હોઈએ છીએ.

અરે, આપણે આંસુ પરસેવો નિસાસો હાસ્ય ગુસ્સો વગેરેના પણ અર્થ ઘટાવતા હોઈએ છીએ.

પરન્તુ ‘મારું ઘર રસ્તા પર છે’ એવું વાક્ય સાંભળીએ કે વાંચીએ ત્યારે વાત ૪ બાબતે થોડી બદલાય છે :

૧ :

ત્યારે આપણી સામે પરફ્યુમ સ્ટૅચ્યુ શિવલિન્ગ ખોપરી કે રાગ મલ્હાર નહીં પણ ભાષાના શબ્દો આવે છે.

૨ :

પરફ્યુમ વગેરે વસ્તુસંજ્ઞાઓ બિનભાષિક છે. ‘મારું ઘર રસ્તા પર છે’-માંની બધી જ સંજ્ઞાઓ શાબ્દિક છે, ભાષિક છે.

૩ :

પરફ્યુમ વગેરેના અર્થ આપણે ઝાઝું વિચાર્યા વિના મરજી પડે એમ ઘટાવેલા. જેમ કે, રાધા-કૃષ્ણ, સીતા-રામ, મહાવીર કે બુદ્ધની મૂર્તિઓ ભક્તિભાવ જગાડે છે એવું અર્થઘટન આપણે વગર વિચાર્યે જ કરેલું, આપણાથી ટેવવશ થઈ ગયેલું.

૪ :

પણ ‘મારું ઘર રસ્તા પર છે’ એ વાક્યનો અર્થ મરજી પડે એમ નથી ઘટાવી શકાતો. પ્રશ્ન જાગે છે કે ઘર રસ્તા પર શી રીતે હોઈ શકે. તાત્પર્ય, બિનભાષિક સંજ્ઞાઓની સરખામણીમાં ભાષિક સંજ્ઞાઓ આપણને બાંધે છે, રોકે છે, વિચારવા કહે છે, ઊંડે ઊતરવા કહે છે.

સમજવાનું એ છે કે બિનભાષિક અને ભાષિક, તમામ સંજ્ઞાઓ, હકીકતો છે અને તે મનુષ્યજીવન સાથે જોડાયેલી છે અથવા મનુષ્યજીવન સંજ્ઞાઓ સાથે જોડાયેલું છે. ફિલસૂફો જ્યારે એમ કહે છે કે આખું વિશ્વ એક ટૅક્સ્ટ છે, એથીયે આગળ વધીને એમ કહે છે કે શબ્દ બ્રહ્મ છે, ત્યારે તેઓ આ જ હકીકતને ફિલોસોફાઇઝ કરે છે.

પરન્તુ નૉંધો કે સાહિત્ય-વિવેચનમાં અર્થઘટનો અભાનપણે ન કરાય, ઊલટું, એ માટે એકદમના સાવધ રહેવું પડે. કૃતિના એકમ એકમને જાણવો રહે, એકમ એકમ વચ્ચે રચાયેલા સમ્બન્ધને જાણવો રહે – જેમ કે, ‘રસ્તા પર ઘર’-માં ‘રસ્તો’ ‘પર’ અને ‘ઘર’ એ ત્રણ એકમો વચ્ચેનો વ્યાકરણી સમ્બન્ધ બરાબર છે, પણ એનો અર્થ પકડવા જઈએ છીએ તો એ શબ્દો એકબીજા જોડે અથડાતા લાગે છે. એ વાક્યનો સીધો અર્થ નથી કરી શકાતો. આપણું ચિત્ત એ પર કામ કરે છે, એ અથડામણને ખસેડી નાખે છે, અને અર્થ ઘટાવે છે કે ‘રસ્તા પર ઘર’ એટલે ‘રસ્તાની સામે ઘર, પાસે ઘર’.

Pic Courtesy : Spanish Solutions Language Services

આપણે શી રીતે સમજી લીધું કે ઘર રસ્તા પર છે એટલે રસ્તાની સામે કે પાસે છે? જવાબ એ છે કે ‘રસ્તા પર’ – એ બે શબ્દોના મૂળ અર્થ પર આપણે ઊંડો વિચાર કર્યો અને ‘રસ્તાની બિલકુલ પાસે’ એવો એક નવો અર્થ કર્યો. અર્થ હતો જ પણ આપણે એક બીજો અર્થ ઘટાવ્યો.

આ એટલી બધી ત્વરાથી થયું કે શી રીતે થયું તેની આપણને ખબર ન પડી. પણ એ રીતનું નામ છે, અર્થઘટન. હોશિયાર લોકો તો એ નવા અર્થને પણ વિકસાવતા હોય છે – રસ્તા પર એટલે તરત મળી જાય એવું – રસ્તા પર એટલે ગલીકૂંચીમાં નહીં – રસ્તા પર એટલે માણસને આમન્ત્રણ આપતું ઘર. વગેરે.

સાહિત્યકૃતિ તો ભાષિક શબ્દોની બનેલી છે. છતાં એમાં પરફ્યુમ, સફેદ સાલ્લો, રાગ મલ્હાર, આંસુ, પરસેવો, નિસાસો, હાસ્ય, વગેરે બિનભાષિક વસ્તુઓ આપોઆપ ‘સરજાય’ છે. એ રૂપે શબ્દ ખૂબ શક્તિશાળી છે.

આમેય ભાષામાત્ર પરિદૃશ્યમાન વાસ્તવનું એક પ્રકારનું સંહિતાકરણ છે – કોડિફિકેશન. કહો કે, ભાષામાં વાસ્તવનું નિસ્યંદન થઈ ગયું હોય છે. ભાષિક સંજ્ઞાઓ નિશ્ચિત અર્થો તો આપે જ છે પણ ન-નિશ્ચિત સંકેતો પણ કરે છે. ભાષા એવી સંદિગ્ધ છે તેથી સંદિગ્ધતાને જુદી જુદી રીતે ઘટાવી શકાય છે. વિલિયમ ઍમ્પસને સાત સંદિગ્ધતાઓની વાત કરેલી, એ સુવિદિત છે.

સાદી રીતે એમ કહેવાય કે એ શક્તિને કારણે એક અર્થ લેવા જતાં બીજા અનેક અર્થ ખૅંચાઈ આવે છે. દાખલા તરીકે, ‘ગુલાબ સરસ છે’ એમ કહીએ એટલે મોગરો વગેરે બીજાં ફૂલ તેમ જ ‘ગુલાબ’ નામનો ઑફિસ-પ્યૂન, ‘ગુલાબ-બા’ અને ‘ગુલાબદાસ’-નો સંકેત થઈ જાય છે. સંકેતકનો એક સંકેતિત અર્થ નિશ્ચિત પણ બીજા સંકેતિતોની શક્યતા ઘણી.

પણ શબ્દની એવી શક્તિને લીધે જ સાહિત્યકૃતિનું અર્થઘટન કરવું પડે છે. ક્યારે આપણે કૃતિના મૂળ શબ્દાર્થ સ્વીકાર્યા, ક્યારે એ અર્થોને અમુક અર્થમાં ઘટાવ્યા, કેમ ઘટાવ્યા, એથી શી પ્રાપ્તિ થઈ, એ બધું સમજવું પડે છે. એટલું પાયાનું સમજીએ એટલે અર્થઘટનની પ્રક્રિયાને સમજવાની શરૂઆત થઈ કહેવાય.

ઍમ્પસને ભલે સાત સંદિગ્ધતાઓ શોધી આપી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ તો સદીઓ પૂર્વે ભાષાની વાચિક અને બહુવ્યંજક પ્રકૃતિને ઓળખીને બેઠા છે. તેઓ આ સમજને ૪ પ્રકારની શબ્દશક્તિઓનું પરિણામ કહે છે – અભિધા – લક્ષણા – વ્યંજના – તાત્પર્ય.

તેઓ વાચ્યાર્થ, વાચ્યાર્થનો બાધ, લક્ષ્યાર્થ, લક્ષણા-પ્રયોજન, અને વ્યંગ્યાર્થ દર્શાવીને આખી વાતને નિરાંતે સમજાવે છે. ‘મારું ઘર રસ્તા પર છે’ એમ હું જ્યારે કહું છું ત્યારે મારું ‘તાત્પર્ય’ એ હોય છે કે હું રસ્તાની સામે, બિલકુલ પાસે, રહું છું ને હું એકદમનો સરળ માણસ છું, તમને આમન્ત્રણ આપું છે કે ખુશીથી પધારો, મળી જશે.

મારા એટલા સરખા વાક્યમાં વાચ્યાર્થ, વાચ્યાર્થનો બાધ, લક્ષણા, લક્ષણાનું પ્રયોજન અને વ્યંગ્યાર્થ આવી જાય છે. એ વાતને અહીં રમતી મૂકીને અટકું કેમ કે આટલી સાદી રીતે કહેવા જતાં મને ડર લાગે છે હું કશોક શાસ્ત્રદોષ કરી બેસીશ. 

’તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’ એ પંક્તિનું આગામી લેખમાં અર્થઘટન કરીશું અને સમજૂતીપરક વિધાનોની વાત કરીશું …

= = =

(October 23, 2021: USA)

સૂચનાઓ :

• સંભવ છે કે આ લેખ સહેલો ન લાગે. સહેલો લાગે તેણે જ આગળ ધપવું.

• એમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે.

• આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી સુરક્ષિત છે.

Loading

23 October 2021 admin
← દલિત સાહિત્ય – પ્રતિબદ્ધ સર્જક : દલપત ચૌહાણ
જિંદગીને માત્ર અને માત્ર વર્તમાન જ સાર્થક કરી શકે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved