Opinion Magazine
Number of visits: 9449613
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અને હવે ક્રાન્તિમાર્તંડ સરદારસિંહ રાણા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 April 2018

અવસર

વાતની શરૂઆત અલબત્ત રાજીપાથી કરીશું : દસમી એપ્રિલે ક્રાન્તિમાર્તંડ સરદારસિંહ રાણાની વેબસાઈટ રમતી મુકાઈ એ રૂડું થયું; કેમ કે સ્વતંત્રતા સંગ્રામના ખૂટતા ઇતિહાસઅંકોડાની રીતે તેમ પ્રજાકીય કૃતજ્ઞતાથી અભિવ્યક્તિની રીતે આવા ઉપક્રમોની એક ભૂમિકા ખસૂસ છે.

અંગત પણ બિનંગત, બે શબ્દો ટપકાવું છું ત્યારે થઈ આવતું પહેલું સ્મરણ, સરદારસિંહનું નામ ક્યારે સાંભળ્યું એનું છે. નિમિત્ત ઘણું કરીને ઇન્દુલાલ યાજ્ઞિકના એ ઉદ્‌ગારોનું હતું કે સરદારસિંહને અંતિમ દિવસોમાં મળવા જવાયું નહીં. વિદેશવાસ દરમિયાન ઇન્દુચાચા એમના સંપર્કમાં આવ્યા હતા, અને પાછળથી હમણેનાં વરસોમાં – વીરાંજલિ યાત્રા અને એવાં આયોજનોથી જેમનું નામ અતિગાજ્યું એ શ્યામજી કૃષ્ણવર્માનું પહેલું અને અદ્યાપિ અધિકૃત ચરિત્ર એમણે લખ્યું એનો પ્રમુખ સ્રોત સરદારસિંહે સાચવેલા દફતરનો હતો. સંયોગવશ આ ગ્રંથ મોડો પ્રકાશિત થયો, સ્વરાજનાં બે-ત્રણ વરસે, પણ વીરાંજલિ યાત્રાનાં તો ખાસા પાંચેક દાયકા પૂર્વે.

સરદારસિંહ પૅરિસ રહ્યે સ્વાતંત્ર્યલક્ષી પ્રવૃત્તિઓની જોડકડી સમા હતા. સ્ટુટગાર્ટની આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં, છેક ૧૯૦૭માં, માદામ કામા સંગાથે એ પણ હતા અને પહેલો ધ્વજ જે ત્યારે બન્યો એમાં સહભાગી હતા.

વેબસાઈટ જોવાનું બનશે ત્યારે વિગતે લખીશું, પણ હમણાં તો એ નિમિત્તે બે’ક સહવિચારના કે ઊહ-અને-અપોહ-મુદ્દા માત્ર કરીશું. હમણાં કૃતજ્ઞતાપૂર્વકના સ્મરણની જિકર કરી, અને એ ઠીક જ છે. સ્વાતંત્ર્ય ચળવળના પ્રધાનરૂપે વિશ્વસ્તરે ઊભરી રહેલ અને નવી ભોં ભાંગતું, રાષ્ટ્રવાદના દાયરામાં નહીં પુરાતું વ્યક્તિત્વ ને કૃતિત્વ ગાંધી ધારાનું છે. પણ તે સિવાયની રીતે સમર્પિત પ્રયાસો એથી વણગાયા રહે એ વાત ન તો ઇતિહાસવસ્તુ તરીકે, ન તો સહૃદય સમીક્ષાવસ્તુ તરીકે ઇષ્ટ છે. ૧૮૫૭નાં પચાસ વરસ બ્રિટિશ સામ્રાજ્યધાની લંડનમાં સાવરકરની પહેલથી ઉજવાયાં અને રાણાજીએ અધ્યક્ષતા કરી, એ જરૂર રોમહર્ષ જગવતી બીના છે.

પણ ક્રાંતિકારી ચળવળનો આદર એક વાત છે, અને તે વિશે મૂલ્યાંકનવિવેક કેળવવો તે બીજી વાત છે. જે ભાવનાપ્રવણ બલિદાની સમર્પણો આવ્યાં, એ આખી ધારામાં ‘વંદે માતરમ્‌’થી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ (કહો કે ભગતસિંહ) સુધી પહોંચતાં આર્થિક-સામાજિક કાર્યક્રમને ધોરણે આવેલ ગુણાત્મક પરિવર્તનને જોવાસમજવાની જરૂર છે.

જેમ સ્વતંત્રપણે તેમ સાપેક્ષપણે આ ચિંતવન જરૂરી છે; કેમ કે ઝિંદાદિલ જાનફેસાની માત્રમાં ક્રાન્તિની સમજ સમેટાઈને રહી જાય એ બેહદ બેહદ અપૂરતું લેખાશે. બીજું, સંઘ પરિવાર સહિત કોઈ કોઈ વર્તુળોમાં જે એક વલણ છે કે ગાંધી ધારાને મુકાબલે કથિત ક્રાંતિ ધારાનું વિશેષ મહિમામંડન કરવું, એમાં પ્રધાનતયા કોઈ બૉંબપિસ્તોલગત ખેંચાણ હોય તો તે આર્થિક-સામાજિક કાર્યક્રમની સુધબુધ વગર નકરું ખંડદર્શન બની રહેશે.

અહીં સંઘ પરિવારનો વિશેષોલ્લેખ કરવાનું એક કારણ અલબત્ત એ છે કે વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાન એક સમૂળા જુદા ઇતિહાસ અને વૈકલ્પિક વિમર્શ વાસ્તે લાલાયિત ને પ્રવૃત્ત છે. નહીં કે હાલની ઇતિહાસસમજ કે વિમર્શબોધ બાબતે જુદેસર ન જ વિચારી શકાય કે એમાં દુરસ્તીને અવકાશ નથી. જેમ સાતત્ય તેમ શોધન ન હોય તો કહોવાઈ મરીએ. પણ આ આખી પ્રક્રિયા જે સમ્યક્ ‌વિવેક માગી લે છે એને સારુ હુકમરાનોને નથી હોતી ફુરસદ, કે નથી હોતી ફિકરપરવા.

સવિશેષ સહવિચારધક્કો જો કે વાતે લાગેલો છે કે સરદારસિંહ રાણાનું પ્રતિમા-પ્રક્ષેપણ કંઈક સાયાસ, કંઈક અનાયાસ જુદી દિશામાં થઈ રહ્યું છે. એક અંગ્રેજી અખબારે એમને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સિદ્ધાંતકોવિદ કહ્યા તે આનું જ એક અધવધરું નિદર્શન છે. ભાઈ, વાત સીધીસાદી એટલી જ છે કે રાણા પરિવારના હમણેના વંશવારસો સંઘ-જનસંઘ-ભાજપમાં સક્રિય છે. કટોકટીના મહિનાઓમાં સહજેલવાસી દિલાવરસિંહ રાણા આ ક્ષણે જેમ સાંભરે છે, તેમ હમણાં પ્રધાનપણે ઊપસી રહેતું નામ જેમણે ઋષિઋણ ને પિતૃતર્પણની ભાવનાથી આ વેબસાઈટ બનાવડાવવામાં પૂરી શક્તિ કામે લગાડી તે રાજેન્દ્રસિંહ રાણાનું છે. રાજેન્દ્રસિંહ લાંબો સમય ગુજરાત ભાજપના પ્રમુખ હતા તે સુવિદિત છે. આ સૌને પોતાના વિચારધારાકીય પરિવારવડા સરસંઘચાલક મોહને ભાગવતને આવે પ્રસંગે અગ્રતાક્રમે સંયોજવાનું મન થાય તે પણ સહજ છે.

મુદ્દે, આ બધો જોગાનુજોગ જો સંઘવિચાર અને સરદારસિંહ વગેરે સૌ ક્રાંતિકારીઓને સમીકૃત કરી મેલશે તો આપણી ઇતિહાસપ્રૌઢિ બચાડી શીંકે ચડશે. બે સાદા દાખલા આપીને વાત ઊંચી મૂકું. રાણાજીએ પરદેશ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓ જોગ જાહેર કરેલી સ્કૉલરશીપ સાથે જેમ શિવાજી અને પ્રતાપનું તેમ અકબરનું પણ નામ જોડ્યું હતું. સ્ટુટગાર્ટની ગૌરવઘટનારૂપ ધ્વજમાં ચાંદનો સમાવેશ કરવામાં એમણે ઔચિત્ય જોયું હતું. એમનાં વિચારવલણોમાં ઉદ્દામ સમાજવાદી ખયાલાત ખાસી હતી.

દરમિયાન, હમણાં તો વેબસાઈટકારોને દિલી અભિનંદન સાથે અહીં અટકું. બાકી વાત, યથાવકાશ યથાસંભવ વેબવિહાર પછી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2018; પૃ. 16

Loading

17 April 2018 admin
← પ્રશ્ન પ્રબંધનનો જ નહીં, વજૂદનો પણ
શિકારીની માનસિકતા: હેમિંગ્વે, સલમાન અને ટ્રમ્પ →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved