Opinion Magazine
Number of visits: 9504092
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમે દેશના દુશ્મન નથી

અરુણા રોય|Opinion - Opinion|15 December 2021

૧૯૬૮માં અજિત ડોવાલ પોલીસ સર્વિસ(I.P.S.)માં જોડાયા. એ જ વર્ષે હું ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(I.A.S.)માં જોડાઈ. તાલીમ અગત્યની હતી અને અમે લાલબહાદુર શાસ્ત્રી નૅશનલ ઍકેડમીમાં સૌ તાલીમાર્થી એકસરખા પાયાના શિક્ષણમાંથી પસાર થયાં. તાલીમાર્થી નાગરિક સેવકોને પોતાના અલગ વિચારો હોઇ શકે, પણ કોઈ અપવાદ વગર, જે કોઈ એમાં જોડાય તે ભારતીય સંવિધાનના શપથથી બંધાયેલા રહે છે. એ શપથને ફરી યાદ કરવા જરૂરી છે : “હું … પૂરી ગંભીરતા સાથે દૃઢપણે શપથ લઉં છું કે ભારત પ્રત્યે અને ભારતના સંવિધાન આધારિત ઘડાયેલા કાનૂનો પ્રત્યે વફાદારી અને નિષ્ઠા સાથે દેશની સાર્વભૌમિકતા અને અખંડતા જાળવી રાખીશ અને મારા કામની ફરજો વફાદારી, પ્રામાણિકતા અને નિષ્પક્ષતા સાથે અદા કરીશ.(એ માટે ઈશ્વર મને મદદ કરે).”

મારી તાલીમમાં એવી ઘણી બાબતો હતી જેના વિષે હું ટીકા કરતી, પણ નાગરિકસેવાનો સ્પષ્ટ આદેશ છે કે સંવિધાનનાં મૂલ્યોને જાળવી રાખવાનાં. અને તે સાથે સરકારની સૌથી નબળા વર્ગો પ્રત્યેની નીતિનું મહત્ત્વ, તે એક બાબત એવી હતી, જેનો મેં હૃદયથી સ્વીકાર કર્યો અને તે બાબત મારા I.A.S.માં સાત વર્ષના ટૂંકા ગાળા દરમિયાન સદા ય મારી સાથે રહી. ઍકેડમીમાં તેમ જ નોકરી દરમિયાન અમારી તાલીમમાં એના પર ભાર મુકાતો કે નીતિમયતા, પ્રામાણિકતા અને નિષ્પક્ષતાના સિદ્ધાંતો સંવિધાનના સંદર્ભ વગર પૂરેપૂરા નહીં સમજાય. તેણે એ સ્પષ્ટ કરેલું કે ચૂંટાયેલી સત્તાધારી વ્યક્તિઓ એ આદેશોને ઉવેખી ન શકે. અને દરેક નાગરિક સેવક એ ચોક્કસ કરશે કે તેનું ઉલ્લંઘન ન થાય.

આમ છતાં, રાષ્ટ્રિય સુરક્ષા-સલાહકારે, ૧૧મી નવેમ્બરે હૈદ્રાબાદની પોલીસ-ઍકેડમીમાં નવા પાસ થયેલા પોલીસ-અફસરોની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે મનસ્વીપણે યુદ્ધ અને રાષ્ટ્રની સુરક્ષાનો નવો રાજકીય સિદ્ધાંત મૂક્યો, જે ભારત માટે ખતરનાક પરિણામો આપી શકે.

તેમણે નવા ઉત્તીર્ણ થયેલા પોલીસ-અમલદારોને કહ્યું : “જેને તમે યુદ્ધની પરિસ્થિતિની ચોથી પેઢી કહી શકો તેવી યુદ્ધની નવી સરહદો હવે નાગરિક સમાજ (સિવિલ સોસાયટી) છે. રાજકીય અને મિલિટરી ઉદ્દેશોને પામવા માટે હવે યુદ્ધ એ અસરકારક સાધન નથી રહ્યું. તે હવે અતિ ખર્ચાળ થઈ ગયું છે એ કોઈને પોસાતું નથી અને તેનાં પરિણામો પણ અનિશ્ચિત છે. પણ એ નાગરિક સમાજ છે, જે દેશનાં હિતોને બરબાદ કરી શકે છે, લાંચ આપી શકે છે, ભેદભાવો ઊભા કરી શકે છે, ચાલાકી કરી શકે છે. તમે તેનું ધ્યાન રાખવા ત્યાં છો કે જેથી રાષ્ટ્રહિતોનું પૂરું રક્ષણ થાય.”

જેની સામે તેના ઑફિસરોએ યુદ્ધ છેડવાનું છે, તેવા નાગરિક સમાજની ડોવાલે ના તો વ્યાખ્યા કરવાની તસ્દી લીધી કે ના તો એ ચોખવટ કરી કે તેમને આ યુદ્ધપરિસ્થિતિની ચોથી પેઢી સામે યુદ્ધ જાહેર કરવાનો, દેશના પોતાના લોકો સામે યુદ્ધ કરવાનો અધિકાર કોણે આપ્યો. તેમણે પોતાની આ વાત વધુ વિસ્તારથી સમજાવવી જોઈતી હતી, પણ એ તો સિદ્ધાંત છે જ કે સત્તાધારી સાહેબો અને ખાનગી ઉદ્યોગગૃહો દેશનું ઘડતર કરવાનો પોતાનો કાયદેસર અધિકાર માને છે, અને વિરોધપક્ષો અથવા વિરોધી વિચાર ધરાવતા સંગઠિત નાગરિક સમૂહો(નાગરિક સમાજ)ને વિકાસ અને રાષ્ટ્રિયતાના વિરોધી માને છે. તે બહુ સ્પષ્ટ રીતે લોકશાહી માર્ગોને, સંવિધાને સૂચવેલી સામાજિક અને વિકાસની બાંયધરીને બાજુએ કરી દે છે.

મેં ૧૯૭૫માં સાત વર્ષની I.A.S. તરીકેની સેવા છોડી. ત્યાર પછી હું સામાજિક કર્મશીલ બની ગઈ. હું એ શીખવા લાગી કે કેવી રીતે ન્યાય અને સમાનતા જેવાં સંવિધાનનાં મૂલ્યો ભારતીય, સામાજિક અને રાજકીય જીવનની વિવિધ બાબતોમાં પ્રગટે. મારા સાથીદારો, તેમનાં પ્રચાર અને ચળવળોને હું વખાણું છું, કારણ કે તેણે સ્વતંત્ર ભારતને અખંડિત રાખવાની સાથે તેનો પાયો  મજબૂત બનાવવા ફાળો આપ્યો છે. તે માટે તેઓએ ક્યારે ય હોદ્દાની કે કોઈ પ્રકારના ફાયદાની અપેક્ષા નથી રાખી. સ્વતંત્રતાની લડતમાંથી શીખીને નાગરિક સમૂહો અને કર્મશીલોએ સ્વતંત્રતા, ન્યાય, બંધુતા, સમાનતા અને ગૌરવયુક્ત વર્તન જેવા સંવિધાનનાં સિદ્ધાંતો અપનાવીને વિકાસ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે અને આ સિદ્ધાંતો પર અતિક્રમણ કરનારાઓ પર નજર રાખી છે. કદાચ આ સરકારને તેની સામે વાંધો છે.

ભારત દેશ પર સંભવિત ખતરા તરીકે અમને નિશાન બનાવીને ડોવાલે પોલીસ સર્વિસના નવા સમગ્ર જૂથને પ્રેરણા આપી છે કે તેઓ આ નાગરિક સમાજને સંભવિત દુશ્મન તરીકે જુએ, જેની સામે, આ યુદ્ધપરિસ્થિતિની ચોથી પેઢી સામે, તેમણે જંગ ખેલવાનો. આજે તે કદાચ એકલા જ અમારી બૅચના છે, જે રાષ્ટ્રિય સુરક્ષાસલાહકાર તરીકેનો જાહેર હોદ્દો સંભાળે છે, જે કૅબિનેટ પ્રધાનને સમકક્ષ છે. યુદ્ધપરિસ્થિતિની ચોથી પેઢી અને તેમના તરફથી દેખાતા ખતરાઓ વિષે તેમનાં અંગત મંતવ્યો હોઈ શકે, પણ અમારા બધાં કરતાં વધારે, એક જાહેર સેવક તરીકે તેઓ સંવિધાનની કલમોથી વધુ બંધાયેલા છે. હું સંવિધાનની એક પણ કલમ શોધી શકતી નથી જે તેમને નાગરિક સમાજ તરફ બંદૂક તાકવાની છૂટ આપતી હોય. હકીકતે, એક વરિષ્ઠ સલાહકાર તરીકે સંવિધાનના વાસ્તવિક ખ્યાલ વિરુદ્ધ કામ કરતાં જૂથોને બદલે જો તેઓ ભારતના નાગરિકસમાજ સામે આંતરિક યુદ્ધ છેડશે, તો તેઓ દેશની સુરક્ષાને બહુ મોટા પાયે હાનિ પહોંચાડશે.

રાજકીય રીતે નિમણૂક પામેલા ડોવાલે કદાચ એવું નક્કી કર્યું છે કે જે કોઈ રાજકીય સરકારની ટીકા કરે તે દેશ માટે ખતરા સમાન છે. દેશની અંદર કોઈ પણ પ્રકારનો વિરોધ ઉઠાવનારને દેશનો દુશ્મન કહેવાય છે. તેમાં એવી દલીલ કરાય છે કે લોકશાહીમાં માત્ર ચૂંટાયેલી સરકારનો જ કાયદેસર અધિકાર છે, કારણ કે તે જ કાયદાઓ પસાર કરે છે. પોતાના પ્રવચનમાં ડોવાલ આગળ કહે છે : “લોકશાહીનું સારતત્ત્વ મતપેટીમાં રહેલું નથી. તે એ કાયદાઓમાં પડેલું છે, જે એ લોકો ઘડે છે જેમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે.” અને અલબત્ત, ‘રાષ્ટ્ર’ અને ‘રાષ્ટ્રવાદ’ની  જેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓની રાજકીય વિચારસરણી કાયદાના શાસનની મુખ્ય બાબત બને છે.

આ વિચારધારાની એક ચોક્કસ ભાત છે. રાષ્ટ્રિય માનવ અધિકાર આયોગ (N.H.R.C.), જેણે તાજેતરમાં ‘ટાઇમ્સ નાવ’ ટેલિવિઝન ચૅનલ પર એક ચર્ચાસભા કેન્દ્રિય પોલીસદળ સાથે ગોઠવી, જેમાં તેમણે પૂછ્યું કે “શું આતંકવાદ અને નક્સલવાદ સામે લડવા માટે માનવ-અધિકારો અડચણરૂપ છે ?” કાયદાકીય રીતે સદ્‌વિવેકબુદ્ધિના રખેવાળ એક ચર્ચા ગોઠવે છે કે શું ‘માનવ-અધિકારો’ કાયદેસરનો અધિકૃત આદેશ અને માનવ-અધિકાર આયોગના અસ્તિત્વનો મૂળભૂત આશય) ‘અડચણરૂપ’ છે ?

આ બધું એ બતાવે છે કે આપણા પોતાના લોકો પર આ ખતરનાક હિંસક હુમલો છે. તે આપણને સંવિધાન, લોકશાહી અને નાગરિકતાને બાજુએ રાખી જેનું નિવારણ ન થયું હોય તેવા અન્યાયની આગામી ઘટનાનો ભવિષ્યમાં હલ કેવી રીતે લાવવો તેનો અંદેશો આપે છે. આ બધાં કારણોસર, તે ભારતના મૂળ વિચારને હાનિ પહોંચાડે છે. આ અથવા કોઈ પણ ચૂંટાયેલી સરકારો, લોકશાહી કરારોને અવગણી ન શકે. તે સંવિધાનથી બંધાયેલી છે, જેને તે ના તો બાજુએ મૂકી શકે કે ના તો ગ્રીક લોકોની જૂની પ્રણાલી મુજબ દેવતાને પૂછીને જવાબ માગી શકે.

લેખિકા સામાજિક કર્મશીલ છે (જેમના કારણે Right to Informationનો કાયદો આવ્યો) અને ભૂતપૂર્વ નાગરિક સેવક છે.

અનુવાદક –  મુનિ દવે

(૧૮મી નવેમ્બર ૨૦૨૧ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માંથી, ટુંકાવીને)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 01-02

“ઇન્ડિયન એક્સપ્રેસ” માંહેનો મૂળ લેખ આ કડી પરે :

https://indianexpress.com/article/opinion/columns/ajit-doval-nsa-fourth-generation-warfare-constitution-7628080/

Loading

15 December 2021 admin
← બંધારણના ઘડતરમાં ડૉ. આંબેડકરનું અનન્ય પ્રદાન
ધનંજય કીર 1966 સુધી ચૂપ રહ્યા ! →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved