Opinion Magazine
Number of visits: 9633847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અબજોપતિ ફિલ્મી કલાકારો એટલા જ ગરીબ હોય તો તેમને ફાળો ઉઘરાવીને મોકલી આપવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 April 2022

મોટે ભાગે ફિલ્મની શરૂઆતમાં અક્ષય કુમાર, એક જાહેરાતમાં, એના સિગારેટ પીતા મિત્રને કહે છે કે જેટલા પૈસામાં એ સિગારેટ ખરીદે છે એટલામાં તો એની પત્નીને સેનેટરી પેડ ખરીદીને આપી શકે, જેથી ગંદુ કપડું વાપરવાથી થતી બીમારીથી તે બચી શકે. અક્ષય કુમાર તો ‘પેડમેન’માં પણ દેખાયો ને એણે સ્ત્રીઓનાં  આરોગ્યની સુરક્ષાનો પ્રચાર પણ કર્યો. સ્વચ્છતા સંદર્ભે તેણે ‘ટોયલેટ : એક પ્રેમકથા’ ફિલ્મ કરી જેમાં ટોયલેટની જરૂરિયાતનું મહત્ત્વ સમજાવ્યું. એટલે એક સારા આરોગ્ય સંવર્ધક તરીકેની અક્ષયની છાપ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે પ્રોડક્ટની મળતી જાહેરાતની ઓફરો અંગે કહ્યું કે જાહેરાત કરવાથી ઘણા પૈસા મળે એમ છે, પણ જે ખોટું છે તે ખોટું જ છે ને તેવી નબળી વસ્તુઓની જાહેરાતોમાં તે નહીં જ પડે. એ અક્ષય કુમાર હવે ‘વિમલ’ની ‘જુબાં કેસરી’ જાહેરાતમાં જોડાયો છે. એ જાહેરાતમાં, શરૂઆતમાં અજય દેવગણ આવતો હતો. એક તરફ અજય નશીલા પદાર્થોથી દૂર રહેવાનું લોકોને કહે છે ને બીજી તરફ પાન મસાલાની જાહેરાત કરવાથી પણ નથી ચૂકતો. તેની સાથે શાહરુખ ખાન પણ જોડાયો ને તે ઓછું હોય તેમ હવે અક્ષય કુમાર ઉમેરાયો છે. આ ત્રણ ત્રણ જણા ‘વિમલ’ની જાહેરાતમાં જોડાય તો લોકો વધારે ખેંચાય ને વસ્તુ વધુ ઊપડે એમ બનવાનું. અક્ષય કુમાર તો અગાઉ સિગારેટની જાહેરાત પણ કરી ચૂક્યો છે. એ સ્વસ્થ ભારતની વાત કરે છે ને એમ કરીને પોતે તો સ્વસ્થ રહે છે પણ, પાન મસાલાની જાહેરાત કરીને ભારત અસ્વસ્થ થાય એવું પણ કરે છે. ‘વિમલ’ની જાહેરાતમાં અક્ષય કુમારથી પત્તો ન લાગે તો બીજા ફિલ્મી કલાકારો પણ જોડાય ને એમ કરતાં આખું ભારત ‘જુબાં કેસરી’ થઈ જાય તો નવાઈ નહીં ! ફિલ્મી કલાકારો એટલો સઘન પ્રચાર કરી રહ્યા છે કે હવેનું બાળક ‘વિમલ’ના સેશે સાથે જન્મે તો આશ્ચર્ય ન થવું જોઇએ.

આમ તો કોઈ પણ વસ્તુની જાહેરાત થોડું વધારીને જ થતી હોય છે. એ રીતે તે ગ્રાહકો સાથેની છેતરપિંડી જ છે, છતાં કેટલીક સારી કંપનીઓ પણ છે જે નફાનું વાજબી ધોરણ જાળવીને ગુણવત્તા પણ જાળવે છે, પણ ઘણી કંપનીઓ તો લોકોને છેતરીને, તેમને માથે જીવનું જોખમ ઊભું કરીને અમર્યાદ નફો રળે છે. જે કંપની માત્ર જાહેરાત કરનાર કલાકારને કરોડો રૂપિયા ખુશીથી આપતી હોય તે કેટલું કમાતી હશે તેની તો કલ્પના જ કરવાની રહે. એ કમાણી તે લોકોના જીવ પર જ કરે છે. હવે જે કમાણી કરાવે તેને જ ગરદન તો ન મરાયને ! પણ, મરાય છે.

લોકો જીવે કે ન જીવે, પણ ફિલ્મી કલાકારો આવી જાહેરાતો પર જીવે છે. હિન્દી ફિલ્મ જગતમાં આ કલાકારોનું નામ છે. એમના અભિનય પર લોકો આફરીન છે. એમની એક ઝલક પામવા હજારો લોકો સદા ઉત્સુક હોય છે, તેમના અભિનયને બિરદાવીને લાખો લોકોએ તેમને કરોડોની કમાણી કરાવી છે ને એ કલાકારો લોકોને પાન મસાલા ખાવાનો આકર્ષક ઉપદેશ આપીને લોકોને નાદુરસ્તી તરફ ધકેલે છે તે શરમજનક છે. પાન મસાલાનું સેશે એ લોકો મોઢામાં ઓરતા દેખાય તો છે, પણ ખરેખર પછી એ કેટલું ખાતાં હશે તે નથી ખબર. જો એ સારી જ પ્રોડક્ટ છે તો તેની પોતાનાં કુટુંબથી શરૂઆત કરવી જોઈએ, પણ ખાવામાં કુટુંબ દેખાતું નથી. આવી ઉત્તમ પ્રોડક્ટથી પોતાનું કુટુંબ વંચિત રહે એ તો ચાલે જ કેમ? પણ, આ કલાકારો ઘરમાં ખાલી સેશે પણ ઘૂસવા નથી દેતા ને અનેક નિર્દોષ લોકોને લલચાવીને મોતને રસ્તે વાળે છે. આ કોઈ રીતે યોગ્ય નથી.

મનોજ બાજપાયી પાન વિલાસની જાહેરાત કરે છે, સની દેઓલ સંતૂર મીઠા / સાદા પાન મસાલાની જાહેરાત કરે છે અને તેમાં તો મહિલાઓને પણ ખાતી બતાવાઈ છે. હવેની પાન મસાલાની જાહેરાતો અભિનેત્રીઓ કરે તો આઘાત નહીં લાગે. એટલું જ બાકી રહ્યું છે. ટાઈગર શ્રોફ પાનબહારની જાહેરાત કરે છે, તેમાં એલચીની જાહેરાત છે પણ તે એલચીને નામે નહીં, પાનને નામે થાય છે. રિતિક રોશન દિલબાગ પાન મસાલા ખપાવે છે, પણ એ પોતે ખાતો દેખાતો નથી, માત્ર ઘોડાને પંપાળતો દેખાય છે, એ કદાચ ઘોડાને ગધેડો બનાવતો હોય તો નવાઈ નહીં. સલમાન ખાન ‘રાજશ્રી’ એલચીની જાહેરાતની આડમાં, પાન મસાલાની જાહેરાત કરતાં કહે છે, ’સબ બનેંગે ફોલઅર્સ, સબ બનેંગે ફેન.’ એમાં પોતાનાં ફોલોઅર્સ કે ફેન બનાવવા કરતાં પાન મસાલાનાં વ્યસની બનાવવાની ચાલ વધારે છે. અમિતાભ બચ્ચન જેવા મહાનાયકને પણ પાનમસાલાની જાહેરાત કર્યા વગર ચાલ્યું નથી. એણે કમલાપસંદ પાન મસાલાની જાહેરાત એલચીની આડમાં કરી. પછી ખબર પડી કે જાહેરાત પાનમસાલાની જ છે તો પીછેહઠ કરી ને કોન્ટ્રાક્ટના પૈસા પાછા આપી દીધા. બચાવ એવો કર્યો કે એ તો એલચીની જાહેરાત હતી. સાથે જ એવી દલીલ પણ કરી કે થોડા પૈસા કમાઈ લઉં તો તેનો ચાહકોએ વાંધો શું કામ લેવો જોઈએ ! એ અત્યંત લોભી માનસિકતા સૂચવે છે. બચ્ચને ફરી પાન મસાલાની જાહેરાત શરૂ કરી હોય એવું લાગે છે એ પરથી એણે કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો છે એ વાતમાં ગરબડ લાગે છે. આ ઉપરાંત ગોવિંદા, સંજય દત્ત, શમ્મી કપૂર, અરબાઝ ખાન ને બીજા પણ ઘણા આવી જાહેરાતોમાં પડ્યા છે અથવા તો પડી ચૂક્યા છે. આટલા બધા કલાકારો માત્ર પાન મસાલાની જાહેરાત જ કરે છે એ પણ કેવું? એ પરથી પણ જાહેરાત કરનાર ને કરાવનાર કેટલાં પ્રમાણિક હશે તે સમજી શકાય એવું છે.

જો કે, સરકાર તંબાકુના જોખમોની ઘણી જાહેરાતો ટી.વી., ફિલ્મમાં કરે છે ને તમાકુને કારણે થતાં કેન્સરની ભયાનકતા પણ બતાવે છે ને તેની સમાંતરે જ પાન મસાલાની લોભામણી જાહેરાતો પણ આવે છે. આમ તો ગુટખા, પાનમસાલા (જેમાં તમાકુ હોય), દારૂ પર પ્રતિબંધ છે, પણ તે કોઈને કોઈ રીતે પ્રચારમાં છે. જાહેરાતો એવી યુક્તિથી બતાવાય છે કે કાયદો કૈં બગાડી ન શકે. દારૂ બનાવતી કંપનીઓ સોડા વોટર પણ બનાવે છે. પાન મસાલા બનાવતી કંપનીઓ એલચી કે મુખવાસ પણ બનાવે છે. એટલે એલચી કે મુખવાસ ખાનાર પણ મોડો વહેલો પાન મસાલા તરફ વળે એમ બને. ઇરાદો પ્રતિબંધિત મસાલા તરફ વાળવાનો હોય જ છે. જેની એલચી સારી લાગે તેનો પાન મસાલો કેવો હશે એ જોવા કોઈ પણ ખેંચાય ને તે જ હેતુ જાહેરાતમાં હોય છે. એવી જ રીતે સોડાને નામે, દારૂ તરફ વળવાનું પણ બને જ છે. તે એટલે કે બંનેને બનાવનાર કંપનીઓ એક જ છે. એક કંપનીની એક જ નામની બે પ્રોડક્ટ ગ્રાહકને ગૂંચવે છે. એ રીતે  ગૂંચવવાનો હેતુ એ છે કે એકને નામે બીજું ખરીદવાની ભૂલ થાય. ખરેખર તો એક કંપની, કોઈ છેતરાય તેવી બીજી પ્રોડક્ટ્સ ન બનાવે એવી કાનૂની જોગવાઈ હોવી જોઈએ, પણ એવું નથી.

સરકાર તમાકુ ન ખાવાની જાહેરાત બનાવીને છૂટી પડે છે, પણ તે પોતે જ ઈચ્છે છે કે ગુટખા, સિગારેટ, દારૂનું વેચાણ ન ઘટે, કારણ તેમાંથી તેને સૌથી વધુ ડ્યૂટી મળે છે. સૌથી વધુ કમાણી સરકાર દારૂ, સિગારેટ, તમાકુમાંથી કરતી હોય તો નવાઈ નહીં. એની આવકમાં વધારો કરી આપે છે ફિલ્મી કલાકારો, જે તેનાં ચાહકોને પાન મસાલા ને બીજી નશીલી વસ્તુઓ ખરીદવા લલચાવે છે ને તેને આદર્શ માનતા ચાહકો તે હોંશે હોંશે ખરીદે છે ને નશીલી વસ્તુઓ પેટમાં પધરાવી મોતને નજીક તેડી લે છે. તે એટલે ખાય છે કારણ તેનો હીરો ખાય છે. હીરોને એ ખાવાથી કરોડો રૂપિયા મળે છે ને એ ખાવાથી ચાહકોના તો ગજવાં ને તબિયત, બંને ખંખેરાય છે. આ ફિલ્મી કલાકારો ગરીબ નથી. ફિલ્મોમાં અભિનય કરવાથી તેમને લાખો, કરોડો રૂપિયા મળે છે. અભિનેતા તરીકે આ બધાં જ ખૂબ માન ભર્યું સ્થાન, ચાહકોમાં ધરાવે છે, પણ  કલાકારો ફાલતુ ચીજ વસ્તુઓની જાહેરાત કરીને ચાહકોને છેતરે છે ને તેમની જિંદગી જોડે રમત રમે છે. અમિતાભ બચ્ચન જેવો કલાકાર એવી કઈ ખોટ છે કે પાન મસાલાની જાહેરાત કરે છે ને ઉપરથી બચાવ કરે છે કે આ બધું તે પૈસા માટે કરે છે. આ શરમજનક છે. એવા તમામ કલાકારો કે જેમણે આવી ચીપ પ્રોડક્ટની જાહેરાત કરવાની જરૂર જ નથી, તેઓ આવી વસ્તુઓની જાહેરાત કરીને હજારો જિંદગીને દાવ પર લગાવે છે તે દુ:ખદ છે. એ હત્યા કરતાં નથી, પણ જે કરે છે તે હત્યાથી ઓછું નથી. એક વાત બહુ સ્પષ્ટ છે કે આ બધાંનું મૂળ તમાકુ છે. તમાકુનું ઉત્પાદન જ સરકાર બંધ કરી દે તો તેને લગતી પ્રોડક્ટ્સ જ બંધ થઈ જાય, પણ સરકારની દાનત ખોરી છે. સરકાર કાઁગ્રેસની હોય કે ભા.જ.પ.ની, કોઈએ નશીલા પદાર્થોનાં ઉત્પાદન પર રોક લગાવી નથી. તેનું કારણ એ છે કે એ પદાર્થોનાં વેચાણમાંથી તેની હોજરી ભરાય છે. તે ગરીબોને અનાજ મફત આપે છે, પણ તેને ખબર છે કે આજ ગરીબો નશીલા પદાર્થો ખરીદીને અનેક ઘણી રકમ પરત કરવાના છે. સરકાર પેટનો ખાડો પૂરે છે ને લોકોને ખાડામાં પૂરવાની વ્યવસ્થા પણ તે જ કરી આપે છે.

– ને એ ગરીબ કલાકારોને શું કહેવું, જે લોકોને ટેકે ઊભા થાય છે ને એમને જ ખભો આપવાનું હલકું કામ કરે છે. એ જો ખરેખર જ એટલા ગરીબ હોય તો લોકોએ ફાળો ઉઘરાવી થોડા કરોડ એમને મોંએ નાખવા જોઈએ જેથી આવી ભદ્દી જાહેરાતો કરતાં તો અટકે, શું કહો છો?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઍપ્રિલ 2022

Loading

18 April 2022 admin
← ઋષિ સુનકઃ આંખોના તારામાંથી ખૂંચતો કણો બની ગયેલા રાજકારણીની વાત
प्रधानमंत्री संग्रहालय →

Search by

Opinion

  • શિક્ષણનું પરચુરણ …
  • ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન
  • સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • जो कार्नी नहीं कह सके …

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved