Opinion Magazine
Number of visits: 9449322
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવો, માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોનું પણ એક સ્મારક બનાવીએ

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|3 December 2019

સર્વોચ્ચ અદાલતે અયોધ્યાવિવાદ પર ચુકાદો આપ્યા પછી મારી ઉંમરના અનેક ભારતીયોનાં મનમાં ઘણી યાદો તાજી થઈ ગઈ, પણ તેમાંથી બધાં સ્મરણો ખુશ થવાય કે રાજી થવાય એવાં નહોતાં. અયોધ્યામાં બાબરી-મસ્જિદ તોડીને એના સ્થાને ભગવાન રામનું મંદિર બનાવવા ઇચ્છતા લોકોએ શરૂ કરેલી રક્તરંજિત હિંસક ઘટનાઓ મારી નજર સામે તરવા લાગી. આ ઘટનાઓ બરોબર ૩૦ વર્ષ અગાઉ નવેમ્બર, ૧૯૮૯માં ભાગલપુર શહેરમાં અને એની આસપાસના વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન ઘટી હતી.

આ રથયાત્રાના એક વર્ષ અગાઉ જ મંદિર માટે આંદોલન શરૂ થઈ ગયું હતું. એક ધર્મના સ્થાનને તોડીને બીજા ધર્મનું સ્થાન બનાવવાની તૈયારી વિશ્વ હિંદુ પરિષદ(વિ.હિ.પ.)એ સપ્ટેમ્બર, ૧૯૮૯માં રામશિલાપૂજન સાથે શરૂ કરી હતી. વિશ્વહિંદુ પરિષદે શિલાપૂજનના ઉત્સવનું આયોજન આખા દેશનાં શહેરો અને ગામડાંઓમાં કર્યું હતું. દેશભરમાં વિવિધ જગ્યાએ રાખેલી ઈંટોને એક કેન્દ્રીય ભંડારમાં મોકલવાની હતી, જેથી જે દિવસે અયોધ્યામાં મંદિરનું નિર્માણ થાય, ત્યારે એનો ઉપયોગ થઈ શકે.

ઈંટ કે શિલાપૂજનના ઉત્સવનાં માધ્યમથી આશા હતી કે બહુમતી સમુદાયના લોકો દરેક જગ્યાએ મંદિરનું નિર્માણ કરવાના કાર્યક્રમ સાથે જોડાઈ જાય. પણ દેશમાં ભગવાન રામના એવા ભક્તો પણ હતા, જેઓ પોતાની ધાર્મિક આસ્થા કે રાજકીય વિચારસરણીને કારણે આ કાર્યક્રમથી અળગા રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમને સમર્થન આપ્યું નહોતું. આ લોકો એવું સ્વીકારવા જ તૈયાર નહોતા કે, જે સ્થાને એક અન્ય ધર્મસ્થળ અગાઉથી અસ્તિત્વમાં છે, એને તોડીને મંદિર કેવી રીતે બનાવી શકાય!

આ શિલાપૂજન કાર્યક્રમોએ ઝડપથી દેશના નાગરિકોના વિચારોનું ધ્રુવીકરણ કરી દીધું. ઑક્ટોબર, ૧૯૮૯માં બિહારના ભાગલપુર શહેરમાં કોમી તોફાનો થયાં. શિલાપૂજન અને શિયા મુસ્લિમોના તહેવાર મુહર્રમ દરમિયાન હિંસક ઘટનાઓ ઘટી. બંનેનાં સરઘસોમાં સામેલ લોકો માર્ગો પર જ આમનેસામને આવી ગયા. શરૂઆત જીભાજોડીથી થઈ, પછી પથ્થરો અને તલવારોથી ….

ભાગલપુરનું કોમી તોફાન હિંદુ-મુસ્લિમ વચ્ચેનું સૌથી લોહિયાળ તોફાન છે. હકીકતમાં વર્ષ ૧૯૪૭માં વિભાજન સમયે થયેલી હિંસા પછી સૌથી ખરાબ. એક હજારથી વધુ લોકો માર્યા ગયા. તોફાનો થયાના થોડા મહિના પછી દિલ્હી યુનિવર્સિટીના શિક્ષણવિદોના એક જૂથે તથ્યોની ચકાસણી કરવા અને સાચી હકીકતની જાણકારી મેળવવા માટે જવાનો નિર્ણય લીધો. તેમણે મને સામેલ થવા માટે કહ્યું અને હું તૈયાર થઈ ગયો.

અત્યારે ભાગલપુરની મારી મુલાકાતને ૩૦ વર્ષ થઈ ગયાં છે. એ સમયે મેં જે જોયું હતું, એની નોંધ કરી નહોતી. છતાં કેટલીક યાદો તાજી થઈ રહી છે. ભાગલપુરની આસપાસ વણકરોનું એક ગામ હતું. ગામમાં લગભગ અડધાં ઘરો આગમાં હોમાઈ ગયાં હતાં. તમામ હાથસાળો સળગી ગઈ હતી. બિહારપોલીસ પર ભરોસો કરી શકાય એવું નહોતું, એટલે ગામના રક્ષણ માટે સૈન્યને મોકલવામાં આવ્યું હતું. ગામમાંથી મોટા ભાગના લોકો નાસી ગયા હતા અને કેટલાક લોકો વધેલો સામાન સમેટી રહી રહ્યા હતા.

એના એક વર્ષ પછી રથયાત્રા નીકળી અને બે વર્ષ પછી બાબરી મસ્જિદ તોડવામાં આવી. પરિણામે અયોધ્યાથી મુંબઈ સુધી હિંસા પ્રસરી હતી. બાબરીપતનનાં થોડાં અઠવાડિયાં પછી હું નવી દિલ્હીમાં કોમી સદ્‌ભાવ માટે આયોજિત એક શાંતિયાત્રામાં સામેલ થયો  હતો. મારી સાથે સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથન પણ ચાલી રહ્યા હતા. આ શાંતિયાત્રાની આગેવાની બે બૌદ્ધ ભિક્ષુઓએ લીધી હતી. તેઓ વિશેષ મંત્રો સાથે મંગળધ્વનિ કરી રહ્યા હતા. આ યાત્રામાં ન કોઈ પોસ્ટર હતું, ન કોઈ સૂત્રોચ્ચારો. જ્યારે અમે પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોનાં સ્મારક ઇન્ડિયા ગેટ પર પહોંચ્યા હતા, ત્યારે શિવ વિશ્વનાથને મને કહ્યું હતું કે, ‘આપણે અત્યારે સૌથી વધુ જરૂર અજ્ઞાત લોકોનું એક સ્મારક બનાવવાની છે.’

ઇન્ડિયા ગેટ પર શહીદ સૈનિકોનાં નામ જડેલાં છે. આવું જ સ્મારક યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ છે. છતાં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા અનેક લોકોનાં નામ અજ્ઞાત રહી ગયાં, ત્યારે એમને સન્માનિત કરવા માટે અજ્ઞાત સૈનિકોને સમર્પિત એક સ્મારકની સ્થાપના થઈ. આ સ્મારકનું ઉદ્‌ઘાટન વર્ષ ૧૯૨૧માં વૉશિંગ્ટન ડી.સી.ની નજીક અર્લિંગટનમાં થયું હતું. આ સ્મારક દ્વારા કોઈનું નામ લીધા વિના પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા તમામ લોકોને યાદ કરવાનો પ્રયાસ થયો છે.

શિવ વિશ્વનાથનના કહેવાનો અર્થ એ હતો કે ભારત સરકારે પણ અનામી લોકોનું એક સ્મારક બનાવવાની જરૂર છે. જેમ વિવશ સૈનિક પોતાના રાજકીય નેતાઓની લાલચ અને એમનાં ષડ્યંત્રને કારણે યુદ્ધમાં શહીદ થાય છે, તેમ સાંપ્રદાયિક ઘર્ષણોમાં પણ અનેક નિર્દોષ નાગરિકો માર્યા જાય છે.

વર્ષ ૧૯૮૯થી વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં કોમી તોફાનો સુધી હજારો ભારતીયો માર્યા ગયા છે. આ હજારો ભારતીયોનો અયોધ્યાવિવાદ સાથે સ્નાનસૂતકનો સંબંધ નહોતો. ભારત કે વિશ્વના ઇતિહાસમાં કોઈ પણ સંપત્તિ માટેનો વિવાદ મનુષ્યનાં જીવન અને રોજીરોટી માટે આટલો ત્રાસદાયક નહીં હોય. સર્વોચ્ચ અદાલતનો હજારથી વધારે પૃષ્ઠોનો ચુકાદો ઇતિહાસ અને પુરાતત્ત્વના ઊંડાણમાં લઈ જાય છે, પણ એમાં આ વિવાદને કારણે છેલ્લા ત્રણ દાયકામાં થયેલાં શ્રેણીબદ્ધ કોમી તોફાનોનો વિચાર કરતો નથી.

માનનીય ન્યાયમૂર્તિ ઘણી વાર ‘ન્યાય, વિવેક અને સમાનતા’ની જરૂરિયાતનો ઉલ્લેખ કરે છે, પણ શું આ ચુકાદો ન્યાયની જરૂરિયાત પૂરી કરે છે અને સમાનતા સ્થાપિત કરે છે? આ નિર્ણય હું ભણેણા અને સાથે ગણેલા (જો કૉમનસેન્સ હોય તો ગણેલા) વિદ્વાનો પર છોડું છું. ગણતંત્રનો અંતરાત્મા આપણને એ હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને યાદ કરવા અને એમનું સન્માન કરવાની ફરજ પાડે છે, જેનો આ વિવાદ સાથે કોઈ સંબંધ નહોતો, છતાં તેઓ હિંસાનો ભોગ બન્યા હતા. આપણે એમના માટે શું કરી શકીએ? કદાચ શિવ વિશ્વનાથનના એ સૂચનને સાકાર કરવા આપણે સારું કામ કરી શકીએ.

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કરવા દો, મુસ્લિમોને અયોધ્યા કે એની બહાર શાનદાર મસ્જિદ બનાવવા દો. પણ આ ધાર્મિક ઇમારતોનાં નિર્માણ ઉપરાંત અત્યારે ન્યાય અને માનવતા ખાતર અજ્ઞાત લોકોને સમર્પિત સ્મારક બનાવવાની જરૂર છે. કાશ, સર્વોચ્ચ અદાલતે એના ચુકાદામાં ભલમાનસાઈ દાખવીને આવું સ્મારક બનાવવાનો આદેશ પણ આપ્યો હોત.

[અનુવાદ : કેયૂર કોટક]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 06-07

Loading

3 December 2019 admin
← Bengal Bypoll
કાર્ટૂનિસ્ટોની નજરે ડો. બાબાસાહેબ આંબેડકર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved