Opinion Magazine
Number of visits: 9446818
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે નાગરિકો છીએ, ચિયરલીડર નહીં!

બીરેન કોઠારી|Opinion - Opinion|7 May 2020

આફત આવતી-જતી રહે છે, ચાહે એ કુદરતી હોય કે કૃત્રિમ. આપણે તેમાંથી શો ધડો લઈએ છીએ એ અગત્યનું છે.

હાલની વિશ્વવ્યાપી આફતનો ભોગ આપણો દેશ પણ બન્યો છે. જો કે, આ આફતનો મુકાબલો કરવાની આપણી રીત આગવી છે. વૈશ્વિક સ્તરે ભલે આપણા દેશના વડાપ્રધાનની કામગીરીની પ્રશંસા થઈ હોય, એ હકીકત છે કે હજી આપણે આ આફત દરમિયાન લેવાઈ રહેલાં પગલાંને સરકારતરફી કે સરકારવિરોધી તરીકે જ મૂલવીએ છીએ. ઉપાય તરીકે તે કેટલા અસરકારક છે કે અસરહીન છે તેની ભાગ્યે જ કશી ચર્ચા થાય છે.

આ સંજોગો અભૂતપૂર્વ છે, અને તેનો સામનો કરવાનો અનુભવ નથી નાગરિકોને કે નથી સરકારને. આ સંજોગોમાં ભૂલ સરકારથી પણ થઈ શકે. સવાલ ભૂલ થવાનો નથી, પણ પગલાંની દિશાનો કે તેની પાછળના ઈરાદાનો છે. સરકાર વતી નાગરિકો જ તેની તરફેણ કરીને બચાવ કરતા જવાબો આપવા લાગે એ ખરેખર વક્રતા કહેવાય. કેમ કે, સરકારના કોઈ પણ કામની આલોચના કરવાનો નાગરિકોનો મૂળભૂત હક, ફરજ અને જવાબદારી છે, અને તેમની ભૂમિકા એ કક્ષાની જ હોવી જોઈએ. આના માટે ચૂંટણીટાણા સુધી રાહ જોવાની જરૂર નથી.

ચૂંટણી વખતના ખેલ આપણી શિક્ષણપદ્ધતિ અંતર્ગત લેવાતી પરીક્ષા જેવા હોય છે. પરીક્ષામાં એવું હોય છે કે આખું વરસ ગમે એ કરો, પણ પરીક્ષાના ત્રણ કલાકમાં લખો એ જ ખરું. એમ બાકીનાં ચાર-સાડા ચાર વર્ષ રાજકીય પક્ષ ગમે એ કામ કરે, ચૂંટણીના સમયે તે જે ખેલ ખેલે એ જ આખરી ગણાય છે. એક નાગરિક તરીકે એવો ભ્રમ પાળવાનું મન થાય કે છેવટે જે તે રાજકીય પક્ષ લોકો દ્વારા ચૂંટાયેલો હોવાથી એ આખરે લોકપસંદગી ગણાય. આવો ભ્રમ સુખદ અહેસાસ કરાવે છે, પણ વાસ્તવિકતા ભાગ્યે જ બદલાય છે.

આવા ગંભીર માહોલમાં પણ કોમવાદ, ધ્રુવીકરણ કે અફવાને પગલે ટોળાં દ્વારા હત્યાના ખેલ ખેલાય, સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલા થાય અને આ મુદ્દે નાગરિકો જ સામસામા બે પક્ષમાં વિભાજીત થઈ જાય એ પરિસ્થિતિ કોઈ પણ રીતે ઈચ્છનીય નથી એટલું જ નહીં, એ શરમજનક છે. આ વિભાજન માત્ર સરકારતરફી કે સરકારવિરોધી જ નહીં, એમાં ય નાત, જાત, ધર્મ, આર્થિક સ્થિતિ, પ્રાંત જેવી કેટલી ય બાબતો પર આધરિત પેટાવિભાજનો હોય છે. આવા માહોલમાં નાગરિકોને પોતાની મૂળભૂત ભૂમિકા શી રીતે યાદ રહી શકે? હકીકતમાં નાગરિકોએ પોતાની આલોચનાત્મક ભૂમિકા સરકાર પૂરતી જ નહીં, પ્રસારમાધ્યમ બાબતે પણ દાખવવાની છે. પરિપક્વતા અને સજાગતાના ગુણ કેળવવા અત્યંત જરૂરી છે. પણ આમ બનતું જણાતું નથી.

પોતાના ઘરમાં સલામતીથી રહી શકે છે એવા અનેક નાગરિકો સરકારનાં કોઈ પણ પગલાંને આંખ મીંચીને સમર્થન આપતાં કહેતા જોવા મળે છે કે સરકાર આટલું તો કરે છે, આનાથી વધીને એ શું કરે? સરકારનાં પગલાંની ટીકા કરનારાને બીજું કોઈ નહીં, આવા બોલકા નાગરિકો જ બારોબાર પૂછે છે કે તમારી પાસે કોઈ બહેતર ઉકેલ હોય તો જણાવો. આ લક્ષણ સૂચવે છે કે આ પ્રકારના નાગરિકો સરકારની જેમ વિચારે છે, કે સરકાર વતી તેના તરફી વિચારે છે. નાગરિકોના માનસનું કઈ હદે પક્ષીયકરણ થઈ ગયું છે એનું આ સૂચક છે. આપણા દેશની લોકશાહીની વક્રતા એ રહી છે કે સત્તાધારી પક્ષ કોઈ પણ હોય, નાગરિકોના આવા માનસમાં ખાસ ફરક પડતો જણાયો નથી. પોતાના પ્રિય નેતામાં તે એ હદે વિશ્વાસ મૂકે કે છેવટે જે તે નેતાને પણ લાગે કે પોતે અવતારથી જરા ય કમ નથી.

આ મહાઆફતમાં એક મુખ્ય લક્ષણ એ જોવા મળી રહ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટે ભાગે બારણા પાછળ છે, અને અગ્રહરોળમાં વહીવટી અધિકારીઓ છે. અલબત્ત, વખતોવખત આ અધિકારીઓને તેમણે લીધેલા નિર્ણયોને આમૂલ બદલાવીને લોકપ્રતિનિધિઓ પોતાના સત્તાધિકારની યાદ અપાવતા રહે છે. આવા નિર્ણયોની વિસંગતિનું કારણ અણઆવડત કે અનુભવનો અભાવ નહીં, પણ રાજકારણના ખેલનો ભાગ હોવાથી એ વધુ ખતરનાક છે. આ વિસંગતિને કારણે જ નિર્ણયો અને યોજનાઓના સરકારી દાવા જાહેરખબર પૂરતા જ રહી જાય છે.

નાગરિકોએ ભલે મત આપીને પ્રતિનિધિઓ ચૂંટ્યા હોય, પણ પોતે તેમના ચિયરલીડર નથી એ યાદ રાખવું જોઈએ. પોતાના ચૂંટેલા પ્રતિનિધિઓ પોતાને ઉત્તરદાયી રહે એ અહેસાસ પ્રતિનિધિઓને કરાવતા રહેવાની જવાબદારી આપણી છે. ફિલ્મસ્ટાર, રમતવીર કે પોપસ્ટાર અને રાષ્ટ્રના વડાપ્રધાનમાં ફરક હોય છે એ હજી ઘણા નાગરિકો તો ઠીક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સમજી શકતા નથી. લોકનિસ્બત અને લોકરંજન વચ્ચેનો ભેદ સમજી શકીએ એવી આપણી માનસિકતા હજી કદાચ કેળવાઈ નથી. આખો ખેલ જોતાં એમ લાગે કે ઘણા બધા નાગરિકો જાણે કે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે, તો ઘણા બધા ગાંધારીનો પાઠ ભજવી રહ્યા છે.

આ સમય એવો છે કે તે પસાર થઈ ગયા પછી સામાજિક, આર્થિક સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવશે. અનેક સુવિધાઓ કે વ્યવસ્થાઓ ફેરવિચાર માગશે. વ્યક્તિગતથી લઈને સામૂહિક, સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય વ્યવહારો બદલાશે એમ અત્યારે લાગી રહ્યું છે. બદલાયેલી પરિસ્થિતિની અસર અનેક ક્ષેત્રે થશે એ જણાઈ રહ્યું છે. આર્થિક રીતે દેશ પાછળ જશે તો એ ગમે ત્યારે આગળ આવી શકશે, પણ નાગરિક તરીકે આગળ વધવાને બદલે આપણે પાછળ ને પાછળ ધકેલાતા જઈ રહ્યા છીએ એ વધુ ચિંતાજનક બાબત છે.

પ્રગટ : ‘ફિર દેખો યારોં’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2020 

Loading

7 May 2020 admin
← કોરોના સામેની લડતમાં સફળ કેરળ મૉડેલ અને નિષ્ફળ ગુજરાત મૉડેલ
રડતી સૂરત’ હોય તો પણ ,’સુરત સોનાની મૂરત ‘ છે અને રહેશે… →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved