Opinion Magazine
Number of visits: 9449858
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણા સમયના ફાઉસ્ટ

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|5 January 2016

બ્રિટિશ રેનેસાં ટ્રેજેડીનાં મહાકવિ ક્રિસ્ટોફર માર્લોનું ‘ટે્રજિકલ હિસ્ટ્રી આફ ડાક્ટર ફાઉસ્ટ્સ’ અને એના પરથી જર્મન મહાકવિ યોહાન  વુલ્ફગેંગ વોન ગથે(૧૭૪૯-૧૮૩૨)એ લખેલું ‘ફાઉસ્ટ’ આજે  યાદ આવે છે. યાદ આવે છે એટલું જ નહીં પણ નવા અર્થઘટનો પણ આપે છે અને એના અજવાસમાં આજની સ્થિતિમાંથી પાર ઉતરવાનો ઝાંખો પાંખો માર્ગ પણ બતાવે છે. આ  ફાઉસ્ટ અત્યંત વિદ્વાન છે અને અતિ મહત્ત્વાકાંક્ષી પણ છે. એની મહત્ત્વાકાંક્ષાઓ હીન નથી. એને તો પહેલાં કોઈએ ય ન કર્યા હોય એવાં અને એટલા સારાં કામ કરવાં છે. આયખું પૂરું થાય તે પહેલાં પોતાના ક્ષેત્રમાં ઘણે આગળ નીકળી જવું છે. સીમાચિહ્નરૂપ બનવું છે. ધ્રુવતારક જેવું સ્થાન પામવું છે. અને આ બધામાં ખોટું શું છે? આ તો આપણે સહુ કરવા ઇચ્છીએ છીએ. આ તો સહુએ કરવું જોઈએ. પણ ફાઉસ્ટ આપણી સામે જે પ્રશ્ન લઈને આવે છે તે એ છે કે આ મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે શું મેફિસ્ટોફેલિસ જેવા શેતાનને શરણે જવાય? એની શેતાની શક્તિના સહારે પોતાનો રસ્તો બનાવાય? એની સાથે આ મહાત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની અવેજમાં અંતરાત્મા ગિરવે મૂકાય?

અંતરાત્મા … દરેક સાહિત્યકાર પાસે જાગૃત અંતરાત્મા તો હોય જ છે. એટલે જ તો જ્યારે કોઈ પણ શાસનધુરા પોતાની મક્કમ (નિર્દયી) ઇચ્છાશક્તિથી  વર્તમાન દુનિયાનો પોતાની દૃષ્ટિએ સુંદર એવો નકશો તૈયાર કરતી હોય છે ત્યારે એને આવનારી દુનિયાના નકશાની આછી પાતળી રેખાઓ દેખાતી હોય છે અને એ આછી પાતળી રેખાઓમાં જો એને શાસન દ્વારા ખોટો રસ્તો પકડાઈ રહ્યો છે એવું લાગે તો એ શાસન સાથે અસહમત થતો હોય છે. ક્યારેક ક્યારેક તો બહારવટે ચડતો હોય છે. આ બધામાં ય ખોટું શું છે? આ તો આપણે સહુ કરવા ઇચ્છીએ છીએ. સહુએ કરવું જોઈએ. પણ તો ય થતું કેમ નથી?

હિંદીના એક યુવાન કવિ છે બદ્રીનારાયણ. એ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં ભણાવે છે. એમની એક કવિતામાં એક રાજાને લોકકથાના નાયકની જેમ લોકોના હૃદયમાં કાયમ માટે સ્થાન પામીને અમર થવાની ઇચ્છા થાય છે. રાજા પોતાની ઇચ્છા દરબારીઓને જણાવે છે અને દરબારીઓ અનેક નૂસખાઓ બતાવે છે. પણ અંતે કહે છે કે એ માટે તો કોઈક સારાં કામ માટે મરવું પડે! અમર થવા માટે આવી રીતે મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં છે? હોત તો ફાઉસ્ટની પહેલાં એ રસ્તો ઝેર પીને અમર થયેલા સોક્રેટિસને ન દેખાત? આપણી મુશ્કેલી એ છે કે આપણે વાત સોક્રેટિસની જરૂર કરી શકીએ છીએ પણ રસ્તો તો ફાઉસ્ટનો જ પસંદ કરીએ છીએ. આપણે સત્યને સાથ આપવાનો નિર્ધાર જરૂર કરીએ છીએ પણ જ્યારે આપણું એ સત્ય આપણને સોક્રેટિસને મળ્યું એવું અમરત્વ આપવા આપણી સામે આવે છે ત્યારે આપણે એ અમૃતરસનો પ્યાલો છોડીને ભાગી છૂટીએ છીએ. આપણે સાહિત્યકાર છીએ એટલે એથિક્સમાંથી એસ્થેિટક્સ જન્મે છે એ આપણે જાણીએ છીએ, એટલે એથિક્સ માટેની લડત માટે ના પાડવાનો તો આપણી પાસે વિકલ્પ જ નથી. પણ આ લડત માટે ય આપણી શરત એ હોય છે કે ઉઝરડા જેટલું ય નુકસાન ન થવું જોઈએ! આવું કેવી રીતે બને?

પણ તમે સહુ જાણો છો કે આવું બની રહ્યું છે. આપણે એના સાક્ષી પણ બની રહ્યા છીએ. કેટલાક તો નર્યા સાક્ષીભાવે આ બધું જોઈ રહ્યા છે. એમનું રૂંવાડું ય ફરકતું નથી. કશી જ અવઢવ નથી.

ફાઉસ્ટને અવઢવ હતી. એને જે જોઈએ તે મળશે એવું વચન જ્યારે શેતાન તરફથી એને મળ્યું ત્યારે એક બાજુથી એ ખુશ થયો. એ મેળવવા માટે મેફિસ્ટોફેલિસે એક નિશ્ચિત સમય પછી એનો અંતરાત્મા શેતાનના કબજામાં આવી જશે એવું કહ્યું ત્યારે એને થોડી ચિંતા પણ થઈ. અને અંતે જ્યારે શેતાન સાથેની સહમતીના કરારમાં એને સહી કરવાની આવી તો કલમ ન ચાલી. શેતાને એની આંગળીમાં સોય ભોંકીને લોહીનું ટીપું કાઢી આપ્યું તો એ પણ થીજી ગયું. અંતે શેતાને એ થીજી ગયેલાં લોહીના ટીપાં સામે મીણબત્તી ધરી એને ઓગાળ્યું અને એમ કરારમાં સહી થઈ. ફાઉસ્ટને અવઢવ હતી. એક જ જન્મમાં ઘણું બધું કરી લેવાની મહત્ત્વાકાંક્ષાએ એના અસ્તિત્વ પર કબજો કર્યો હતો અને તો ય એના અંતરાત્મામાં ઊંડે ઊંડે અસહમતી હતી. આપણા સમયના એકે ય ફાઉસ્ટમાં ઊંડે ઊંડે પણ આવી અંતરાત્માની અસહમતી નથી. અથવા તો એમ કહો કે અંતરાત્મા જ ….

મૂળ ફાઉસ્ટની વાત કરતાં આપણા સમયના ફાઉસ્ટની વાત ઘણે બધે અંશે જૂદી છે. એનો પણ વિકાસ થાયને! જુદી એ રીતે છે કે ત્યાં બાઈબલના સંદર્ભ પ્રમાણે એક શેતાન છે તો પ્રભુ પણ છે. પણ અહીં લોકશાહી વ્યવસ્થામાં તો બાઈબલનું સ્થાન બંધારણે લીધું છે અને એ પણ છાશવારે બાજુ પર મૂકાય છે. પ્રભુ તો છે જ નહીં અથવા તો ભગવાનોની એટલી ભીડ ઊભી થઈ છે કે ભક્તોની ખોટ પડે. ખોટું કરનારાઓની વચ્ચે હોડ લાગી છે. આપણા સમયના ફાઉસ્ટ અંતરાત્માના ઊંડાણમાં પણ આંગળી પર આવીને થીજી ગયેલાં લોહીનાં ટીપાં જેટલી ય અવઢવ નથી અનુભવતા એ વાત તો બાજુ પર રહી પણ ન્યાયાલયમાં મેફિસ્ટોફેલિસની વકીલાત કરતા પણ અચકાતા નથી. પેલાઓએ પોતાના સમયમાં કેટલું ખોટું કર્યું હતું, એમને કેવા ઠેર ઠેર, સાયન્સ હોય કે ટેક્નોલોજી, સાહિત્ય હોય કે શિક્ષણ પોતપોતાના ફાઉસ્ટ બેસાડ્યા જ હતાને! અને હવે અમે બેસાડીએ એટલે વિરોધ કરો છો? પેલાઓ ક્યાં બધું સીધું કરતા હતા તે અમે કરીએ.

‘આ’ અને ‘પેલા’ એવી બે કે એથી પણ વધુ છાવણીઓ તણાઈ છે અને સહુએ પોતપોતાના ફાઉસ્ટ ઊભા કર્યા છે. રેનેસાં ટ્રેજેડીમાં ફાઉસ્ટ એક પાત્ર હતું પણ આપણા સમયમાં આવતાઆવતા એનો એટલો વિકાસ થયો કે હવે તેઓ જુદા જુદા ઝંડા હેઠળ બેઠેલા સત્તાધારી સમૂહો છે. એમના ઝંડાઓમાં જ્યારે ઝંઝાવાતી હવા નથી હોતી ત્યારે તેઓ એકબીજા સાથે બહુ કમ્ફર્ટેબલી ડાયલોગ કરતા હોય છે. સત્તાધારી સમૂહો હોવાને નાતે એમની છાવણીઓ ભલે જુદી જુદી હોય પણ એમને એકમેકની જરૂર પડતી હોય છે એટલે એમની વચ્ચે આપ-લેના વહેવારો પણ થતા હોય છે. આ વહેવારો પણ કેવા હોય છે? અમારા ગામની ગોવાલણોના સમૂહ જેવા. દૂધ દેવા ઘેર આવે ત્યારે તમે તમારી નીરક્ષીર તારવવાની સમજના આધારે ચોક્કસ એમ કહો કે આમાં તમે પાણી ભેળવ્યું છે અને એ જવાબ આપે –
‘મેં મારા હાથે પાણી નાખ્યું હોય તો મારા છોકરા ફાટી પડે.’

તમને ખબર હોય પણ તમે લાચાર. કેમ કે તમને એ પણ ખબર છે કે એ બધી ગોવાલણો આ જુદી જુદી છાવણીના સત્તાધારી ફાઉસ્ટ સમૂહની જેમ સાથે બેસતી હોય એટલું જ નહીં પણ એકબીજાની મટુકીઓમાં એકબીજાના હાથેથી સરકારી નળનું પાણી ભેળવતી હોય જેથી ‘ક્લીન ચીટ’ મળવાની વેતરણ તો પહેલેથી જ થઈ હોય અને હવે દૂધને નામે તમને પાણી મળ્યું એ તમારા ભાગ્ય. તો સ્થિતિ એ છે કે આપણે અનેક ફાઉસ્ટ સમૂહો વડે ઘેરાયેલા છીએ. એમની મહત્ત્વાકાંક્ષાઓની કોઈ સીમા નથી એમ મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે કોઈ પણ હદે જવામાં શરમ કે સંકોચ પણ નથી. ક્યારેક તેઓ એકમેક સામે જીવલેણ લડાઈ લડતા દેખાય અને અને તમને દેખતાવેંત જ બંને એક થઈને તમારા પર પ્રહાર કરે. એમને તો આમ જ એકમેકની સામે લડવાનું નાટક કરતા કરતા એકમેકને ટેકે ટકવાનું છે અને આપણે આપણા  ક્ષેત્રમાં પગદંડો જમાવી રહેલી આ અટપટી, અનએથિકલ અને વરવી વ્યવસ્થા બદલવા મથવાનું છે. અંતે આ વર્ષ પૂરું થયું. આશા છે આવતા વર્ષે કંઈક સારી સ્થિતિ નિર્માય અને આપણા સમયના ફાઉસ્ટની પણ ઉત્ક્રાંતિ થાય.

એક તથ્ય આધારિત નોંધ : જર્મનીના હુક્મરાન એડોલ્ફ હિટલર (૧૮૮૯-૧૯૪૫) અને જર્મન મહાકવિ યોહાન વુલ્ફગેંગ વોન ગથે (૧૭૪૯-૧૮૩૨) વચ્ચે એક સો ચાલીસ વર્ષનો ફર્ક છે. હિટલર જનમ્યા તે પહેલાં ગથે આ ફાની દુનિયામાં પોતાની બહુચર્ચિત સુપ્રસિદ્ધ નાટ્યકૃતિ ફાઉસ્ટ મૂકીને વિદાય પણ થઈ ગયા હતા. ફાઉસ્ટના પાત્રમાં રહેલી મર્યાદિત સમયમાં બહુ બધું સીમાચિહ્નરૂપ કામ કરવાની મહત્ત્વાકાંક્ષામાં અને એડોલ્ફ હિટલરમાં રહેલી વિશ્વમાં પોતાને અને જર્મનીને શ્રેષ્ઠ પૂરવાર કરવાની મહેચ્છા વચ્ચે મને સામ્ય દેખાય છે. મહાકવિઓ ભવિષ્યમાં કેટલે દૂર સુધી જોઈ શકતા હોય છે!

e.mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 23 & 22

Loading

5 January 2016 admin
← Travails of being a Muslim in India
પુરાણ કાળના ત્રણ જ્યોતિર્ધરો બુદ્ધ, સોક્રેટીસ અને કન્ફ્યુશિયસ →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved