ગંગાસતી અને શબનમ વિરમાણી વિશે થોડુંક કહેવું છે. ગંગાસતી(1846 – 15 માર્ચ, 1894)નાં માતાપિતા હતાં રૂપાળીબા અને ભાઈજીભા જેસાજી સરવૈયા. પિતા ગરાસદાર હતા. ગરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબાનાં લગ્ન પછી પાનબાઇ નામની કન્યાને વડારણ / સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી હતી. તેમના લગ્ના 1864માં, 18 વર્ષની વયે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા જંકશનથી 9 કિલોમીટર દૂર સમઢિયાળા ગામના ગરાસદાર કહળસંગ કલભા ગોહિલ સાથે થયા હતા. કહળસંગ અત્યંત ધાર્મિક હતા. એમને બે દીકરીઓ હતી.
ગંગાસતીનાં ભજનો માણસને માણસ થવાનું કહે છે : “જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વર્ણ વિકાર રે, જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં એવી રીતે રહેવું નિર્માન રે !” માણસે કેવી રીતે જીવવું તે “વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !” ભજનમાં કહ્યું છે. વીજળીને ચમકારે મોતી પરોવવું એટલે અપરંપાર જાગૃતિ રાખવી. મોતી પરોવવા ઘણી એકાગ્રતા અને સ્થિરતા જોઈએ. ક્ષણભરમાં કાર્ય સિદ્ધ કરી લેવાનું હોવાથી અધ્યાત્મ પથ પર અનંત સાવધાની અને જાગૃતિ જોઈએ. પક્ષીઓને આકાશમાં જવાનો કોઈ નિશ્ચિત રસ્તો ન હોય એમ મનુષ્યે પણ ક્ષણે ક્ષણે રસ્તો કંડારતા જવાનું છે. સતત સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કેવી સાવધાની? વીજળીને ચમકારે મોતી પરોવવા જેવી સાવધાની ! બીજો અર્થ એ છે કે જીવન બહુ ટૂંકું છે, વીજળીના ચમકાર જેવડું. તેથી જે સમય મળ્યો છે એમાં મોતી પરોવી લો ! એક ક્ષણ પછી અંધારું થઈ જશે. મૃત્યુ આવી પહોંચશે. તેથી અંધકાર થઈ જાય તે પહેલા ભગવદ્ પ્રાપ્તિનું મોતી પરોવી લો !
જ્ઞાતિ / જાતિ / ધર્મની સંકુચિતતા મનમાં ન હોય તો જ ગંગાસતી સમજાય. આ વાત કબીરનાં ભજનિક શબનમ વિરમાણી કહે છે. શબનમે ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !’ ભજન ખૂબ સુંદર રીતે સમજાવ્યું અને ગાયું છે. ભજનની શરૂઆતમાં શબનમ સદ્દભાવની વાત કરે છે, નફરત છોડવાનું કહે છે. એટલે અમુક સંકુચિત માનસિકતા-વાળાએ કોમેન્ટ કરી કે ‘શબનમે ભજનની પથારી ફેરવી નાખી ! આ ભજન સાંભળવું હોય તો ગુજરાતી ભજનિકોને સાંભળો !’ તમે સદ્દભાવની વાત કરો એટલે ટ્રોલ સેના ઊતરી પડે ! ધર્મ માણસ માણસને જોડવાને બદલે વિભાજીત કરવા લાગ્યો છે. એટલે જ ગંગાસતીએ બિલકુલ પરફેક્ટ કહ્યું છે : ‘આંટી મેલો તો સમજાય જી.’
હું ભજન / સંગીતનો નિષ્ણાત નથી, પરંતુ મને કબીરનાં ભજનો ગમે છે. મધ્ય પ્રદેશના પ્રહ્લાદ ટિપનિયા તથા શબનમ વિરમાણી જે શૈલીમાં ભજન ગાય છે, તે ગમે છે. તેમાં વાજિંત્રોનો બહુ ઘોંઘાટ હોતો નથી. સરળતા અને સહજતા હોય છે. શબનમ કબીરજીનું ભજન સરસ રીતે ગાય છે : ‘સકલ હંસ મેં રામ બિરાજે; રામ બિના કોઈ ધામ નહીં !’ ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે’ આ ભજન ગુજરાતી ગાયકોએ ગાયું છે તે બધાં સાંભળ્યાં; પરંતુ શબનમની તોલે કોઈ ગાયક આવી શકે તેમ નથી ! ગુજરાતી ગાયકો ગંગાસતીની આ રચના રજૂ કરતી વખતે તબલા / વાજિંત્રો / મંજીરાના અવાજમાં મૂળ રચના દબાઈ જાય છે અને સ્પષ્ટ રીતે સમજી શકાતી નથી. જ્યારે શબનમે આ રચના જરૂરિયાત પૂરતાં સંગીત સાથે એ રીતે ગાઈ છે જેથી ભજનના શબ્દો ઊંડાણપૂર્વક સમજી શકાય છે.
અહીં ભજન અને ભાવાર્થ આપું છું. પછી શબનમ વિરમાણીને સાંભળો અને ભજનનો આનંદ લો ! લિન્ક ઉપર આપી છે.
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે, પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે, પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી.
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ, પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી.
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં, પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી.
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી.
ભાવાર્થ : જે પળ બચી છે તેનો સદ્દઉપયોગ કરો. મોતી પોરવવાની જે પળ છે તે ગુમાવવાની નથી. આપણે ચોવીસ કલાકમાં 21,600 શ્વાસ ઉચ્છવાસની ક્રિયા કરીએ છીએ તેને ગુમાવવાની નથી. વિષયોમાં ડૂબ્યા રહેવાનું નથી. મનુષ્ય દેહ મળ્યો છે તો પરમ તત્ત્વને પામો. ગુપ્ત છે પણ પ્રગટ પણ છે. આને ખૂબ જ સૂક્ષ્મતાથી સમજી શકાય. અહમ્ ભાવ આંટી છૂટે તો અટપટી વાત ઝટપટ સમજાય જાય; પણ અહમ્ને મારવો પડે. અભિમાન ત્યાગવું પડે. આત્મસાધનાનું રહસ્ય અધૂરિયાંને અપાય નહીં. જો સંપૂર્ણ શરણાગતિ હોય, ભેદદૃષ્ટિ ટળી ગઈ હોય, અને તમામ દ્વિધાઓની આંટી ટળી ગઈ હોય તો જ એની સમજણ પડે. અભેદ દર્શનથી નાનાં-મોટાં, ગરીબ-શ્રીમંત, નાત-જાત, ધર્મ-પંથ, નારી-પુરુષ, ઠાકર-ચાકર, સજાતિ-વિજાતિના ભેદ મટી ગયા હોય એને જ આ ક્ષેત્રમાં પ્રવેશ મળી શકે. વિજાતી એટલે બીજથી વૃક્ષ જેમ જુદું નથી તેમ જ પરમ તત્ત્વ અને આતમ તત્ત્વ બંને એક જ છે. દેહ તો નાશવંત છે જેનો ગર્વ ન કરાય, માયલામાં જે બેઠો છે તેનો ગર્વ કરવો ! બીબે બીજી ભાત પડી એટલે નિજનું ભાન થવું. પિંડ એટલે આપણું શરીર. આપણું શરીર એ પણ બ્રહ્માંડ જ છે. પરંત ગુરુજી બ્રહ્માંડથી પર છે. જેને દેહભાન ન હોય, માયા ન હોય એ ગુરુ સાચા. જીવાત્મા અને પરમાત્માની પિછાણ કરવાની જુગતિ / યુક્તિ ગંગાસતીએ પાનબાઈને સમજાવી છે. ટૂંકમાં, આંટી મેલો તો સમજાય જી !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર