![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2022/07/Ravindra.Parekh-300x234.jpg)
રવીન્દ્ર પારેખ
આખા દેશમાં શિક્ષણ સડી ગયું છે.
2020થી નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે, તેમાં સૈદ્ધાંતિક રીતે ઘણું સારું હશે, પણ વ્યવહારમાં તો તમામ સ્તરે ભ્રષ્ટતા જ દેખાય છે. પરીક્ષા જ શિક્ષણ હોય, તેમ આખું વર્ષ ઠેર ઠેર પરીક્ષાઓ જ ચાલ્યા કરે છે ને એમ લાગે છે કે ભણવા કે ભણાવવાને નામે ખાસ કૈં કરવાનું રહ્યું નથી. પ્રાઈમરીથી માંડીને પીએચ.ડી. સુધી પરીક્ષા જ સર્વોપરી રહી છે. ભણતું કોઈ નથી, પણ પાસ બધાં જ થાય છે. ખરી કમબખ્તી તો બોર્ડની પરીક્ષાઓ પાસ કરો પછી શરૂ થાય છે. મેડિકલમાં કે અન્ય કોઈ વિદ્યાશાખામાં પ્રવેશ જોઈતો હોય તો એન્ટ્રન્સ એક્ઝામ આપવાની થાય છે. એમાં પાસ થાવ તો જ મેડિકલમાં પ્રવેશ મળે. એ સિવાય અન્ય વિદ્યાશાખાની પરીક્ષાઓ પાસ કરો કે નોકરી માટેની પરીક્ષાઓ આપવાની. એ પાસ થાવ પછી કામચલાઉ ધોરણે નોકરી મળે. માસ્તર થવું હોય તો વિદ્યાસહાયકની ફિક્સ પગારની અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટવાળી નોકરી મળે ને કોન્ટ્રાક્ટ પૂરો થાય કે વળી અરજી કરવાની ને પછી નોકરી મળે કે ના પણ મળે. ન પગાર વધારો, ન પેન્શન કે ન નોકરીના કોઈ લાભો. માસ્તરોને પણ કૈં ચચરતું નથી એટલે ચાલે છે. જેમાં મહેનત ને મગજ ને મનીની જરૂર પડે છે તે મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગે. એક વાર એમાં પ્રવેશ મળ્યો કે પછીનું તો ‘ફોડી’ લેવાય છે ને મની હોય તો બધું ‘મેનેજ’ પણ થઈ જાય છે.
હવે મેડિકલમાં એડમિશન લેવું હોય તો નીટ(નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડર ગ્રેજ્યુએટ)ની એક્ઝામ આપવી પડે. એનું આયોજન 2017થી એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) કરે છે ને તે મેડિકલની ખાનગી અને સરકારી સંસ્થાઓ માટેની પરીક્ષાઓ લે છે. જો કે, આ વખતે એન.ટી.એ. નીટની એક્ઝામ લેવામાં ધરાર નિષ્ફળ નીવડી છે ને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમમાં ફરી પરીક્ષા લેવાની અરજીઓ થઈ છે, તેમાંથી હરિયાણાનાં ઝજ્જર કેન્દ્રમાં વિદ્યાર્થીઓનો સમય બગડવાને બહાને ગ્રેસ માર્કસ એન.ટી.એ. દ્વારા અપાયેલા જે યોગ્ય ન હતા, કારણ સ્કૂલની પ્રિન્સિપાલ અંશુ યાદવનું કહેવું છે કે એમનાં કેન્દ્ર પર કોઈનો એક મિનિટનો સમય પણ બગડ્યો નથી. એ ગ્રેસ માર્ક્સને કારણે જ ઝજ્જર કેન્દ્રમાંથી એક સાથે છ વિદ્યાર્થીઓ 720માંથી 720 માર્કસ લાવવામાં સફળ થયા. આ અંગે ફરિયાદ થતાં 1,563 વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનો ચુકાદો સુપ્રીમે આપ્યો છે ને જે ફરી પરીક્ષા આપવા તૈયાર ન હોય તેમણે પરિણામ ગ્રેસ માર્કસ વગરનું સ્વીકારવાનું રહેશે એવી ચેતવણી પણ અપાઈ છે. નીટની 2024ની પરીક્ષાએ તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે ને તે ગેરરીતિનું અને હરામની કમાણીનું કેન્દ્ર બની ગઈ છે, બીજી તરફ સરકાર અને એન.ટી.એ. ટેવ મુજબ ‘સબ સલામત’ની ઘંટીઓ વગાડ્યાં કરે છે. પરીક્ષાનાં પેપરો લીક થયા છે ને પોલીસે તે સંદર્ભે કેટલાકની ધરપકડ કરી છે, તો ય કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને એન.ટી.એ.એ એવું કૈં થયું હોવાનો ઇન્કાર કર્યો છે. એની સામે, પોલીસે અર્ધ બળેલ પેપરનાં 74 સવાલો સરખાવવા એન.ટી.એ. પાસેથી મૂળ પેપર માંગ્યું છે, તો જવાબમાં બેવકૂફી ભર્યા ખુલાસાઓ કરવામાં આવ્યા છે.
નીટની પરીક્ષા આ વખતે 5 મેએ 4,750 કેન્દ્રો પર યોજાઇ હતી ને તેમાં દેશભરમાંથી 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એનું પરિણામ 14 જૂને જાહેર થવાનું હતું, પણ ચૂંટણીનું પરિણામ હતું એ જ દિવસે 4 જૂને જાહેર કરી દેવાયું, તે એ કારણે કે ચૂંટણીની હોહામાં બહુ ઊહાપોહ ન થાય. બન્યું એવું કે નીટમાં 67 વિદ્યાર્થીઓ 720માંથી 720 માર્કસ મેળવી પ્રથમ આવ્યા. આવું અગાઉ બન્યું ન હતું. 720માંથી 720 તો 2020માં બે, 2021માં ત્રણ, 2022માં એક પણ નહીં, 2023માં બે જણનાં જ આવ્યા હતા ને આ વખતે 67ના આવ્યા, તેમાં પણ એક જ કેંદ્ર ફરીદાબાદમાંથી એક સાથે 6 વિદ્યાર્થીઓના 720માંથી 720 આવ્યા. આ મામલે સી.બી.આઇ. કે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થાય એવી માંગ ઊઠી છે ને બિહારમાં તો પરીક્ષા જ રદ્દ કરવાની માંગ છે. નીટને મામલે પટણામાં આગજનીની ને સામે પોલીસના બળપ્રયોગની ઘટનાઓ પણ બની છે. અહીં પોલીસે પેપર ફૂટવાને મામલે 13 જણની ધરપકડ કરી છે ને તેમાં જુનિયર એન્જિનિયર સિકંદર કુમારે કબૂલ્યું છે કે 4 મેએ નીટનું પેપર ફૂટ્યું હતું અને ઉમેદવારોને ‘સેફ હાઉસ’માં ભેગા કરીને જવાબો ગોખાવવામાં આવ્યા હતા. આ સ્થિતિ હોય ને શિક્ષણ મંત્રી અને એન.ટી.એ. એ સ્વીકારવા તૈયાર ન થાય એ શરમજનક છે.
એ છે કે પટણા, ગોધરા અને ઝજજરની જે ઘટનાઓ સામે આવી છે તેણે એન.ટી.એ. પરનો ભરોસો ખતમ કરી દીધો છે. ગોધરામાં જલારામ સ્કૂલમાં નીટનું કેન્દ્ર હતું. અહીં પૈસા લઈને વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે જે આવડે તે સવાલના જવાબો ઓ.એમ.આર. શીટમાં લખવા, બાકીનાને એટેન્ડ ન કરવા. એ પાછળથી ભરી દેવાશે. ગોધરામાં આવું થયું હોય, તો બીજે ન જ થયું હોય એવું કેમ માનવું? જો કે, ગોધરામાં દરોડો પડતાં વાત આગળ વધી નહીં. દરોડા દરમિયાન વડોદરાના કોચિંગ સંચાલક પરશુરામ રૉય, ગોધરાની જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્મા ને તેના શિક્ષક તુષાર ભટ્ટ વગેરેની ધરપકડ કરવામાં આવી ને પરશુરામ રૉય પાસેથી બે કરોડ ત્રીસ લાખના ચેક અને તુષાર ભટ્ટની કારમાંથી સાત લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા. તપાસમાં એ પણ બહાર આવ્યું કે કોચિંગ સંચાલકે પ્રિન્સિપાલ સાથે મળીને બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યમાંથી આવેલા ત્રીસ વિદ્યાર્થીઓને પાસ કરાવવાનો ઠેકો લીધો હતો. અન્ય રાજયોમાંથી કોઈ ગોધરાની સ્કૂલ કેન્દ્ર તરીકે પસંદ ન જ કરે, પણ અહીંનું આખું કેન્દ્ર જ પૈસા લઈને પાસ કરાવવાનું હતું. કમાલ તો એ છે કે ગુજરાતની એક વિદ્યાર્થિનીનાં 720માંથી 705 માર્કસ નીટમાં આવ્યા છે ને ધોરણ બારની પરીક્ષામાં એ વિદ્યાર્થિની ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પરીક્ષામાં નાપાસ થઈ છે.
આ પરીક્ષા પાંચ મે-એ હતી, પણ પટણાના એક કેન્દ્રમાં આયુષ નામના એક વિદ્યાર્થી પાસે તે પહેલાં પેપર આવી ગયું હતું. આયુષ સાથે બીજા 25 વિદ્યાર્થીઓ હતા જેમની પાસે પેપર અને જવાબો તૈયાર હતા અને તે દરેક પાસેથી વીસ વીસ લાખ વસૂલવામાં આવ્યા હતા.
સવાલ એ છે કે નીટની પરીક્ષામાં લાખો રૂપિયા આ રીતે વાલીઓ ખર્ચે છે કેમ? એનો જવાબ એ છે કે દેશની મેડિકલ કોલેજમાં લાખ-સવા લાખ સીટ છે. તેમાંથી પચાસેક હજાર સરકારી કોલેજોમાં અને બાકીની ખાનગી કોલેજોમાં છે. હવે જો પહેલાં પચાસેક હજારમાં વિદ્યાર્થીનો નંબર લાગે તો સરકારી કોલેજોમાં એડમિશન મળે ને તેની પાંચેક વર્ષની પાંચેક લાખની ફીમાં વિદ્યાર્થી ડૉક્ટર થઈને બહાર પડે. જો, તે પછી નંબર લાગે તો ખાનગી મેડિકલ કોલેજમાં જવું પડે અને તેની પાંચ વર્ષની ફી કરોડથી સવા કરોડ થાય. એ ન ખર્ચવા પડે ને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી રહે એટલે આ રીતે પેપર ફોડીને, દલાલોને પૈસા ખટાવીને મેડિકલમાં પ્રવેશ મેળવાય છે. આ બધાંમાં જે ખરેખર સિન્સિયર છે ને તેની પાસે હરામના પૈસા નથી તેનો મરો થાય છે. એ પણ છે કે આ રીતે પૈસા વેરીને વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશે છે. જે પ્રવેશ જ ગેરરીતિથી મેળવે છે તે ડૉક્ટર કેવો થશે તે કલ્પવાનું અઘરું નથી ને વધારે શરમજનક તો એ છે કે પોતાનાં સંતાનોને વાલીઓ જ ખોટી રીતે આગળ વધવાનું ઉત્તેજન આપે છે.
નીટની આ પરીક્ષાનું ધોરણ એ હદે કથળ્યું છે કે આ આખી પરીક્ષા અને એનું સંચાલન કરતી એન.ટી.એ. તાત્કાલિક અસરથી બંધ કરી દેવી જોઈએ. મેડિકલમાં એડમિશન માટે આવી ઘાલમેલ થતી હોય એવી પરીક્ષાથી સિદ્ધ તો ભ્રષ્ટાચાર જ થાય છે, તો મેડિકલ માટે આવી ભ્રષ્ટ પદ્ધતિઓને જ પ્રમાણભૂત ગણવાની છે? એ ખરું કે દેશનાં લોહીમાં પારદર્શિતા ને વ્યવહાર શુદ્ધિ લગભગ નથી, પણ આવી રીતની પરીક્ષાઓથી તો એને જ ઉત્તેજન આપવા જેવું થાય છે. તો, એવું થવા દેવાનું છે? એક સમયે બોર્ડની પરીક્ષાઓને આધારે પ્રવેશ અપાતો હતો ને એ રીતે જે ડોકટરો કે એન્જિનિયરો થયા તે ફાલતુ હતા એવું કહી શકાય એમ નથી અને આટલી ખર્ચાળ રીતે લેવાતી નીટની પરીક્ષાઓ વિશ્વસનીય જ છે એવું આવા ભવાડા પરથી તો લાગતું નથી. વળી અમુક નિશાનીઓ કરાવીને માર્કસ આપી દેવામાં વિદ્યાર્થીઓની વર્ણનશક્તિ કે સમજશક્તિનો અંદાજ મળતો નથી. કોઈ પણ ખાલી જગ્યાઓ ભરીને કે ભરાવીને આવી પરીક્ષામાં પાસ થઈ જવાની આ રીત જ ફેર વિચારણા માંગે છે. સાચું તો એ છે કે તમામ સ્તરે એન્ટ્રન્સ એક્ઝામ્સ પૂરેપૂરી બંધ કરી દેવી જોઈએ. જ્યાં પણ પ્રવેશની જરૂર પડે ત્યાં બોર્ડની છેલ્લી પરીક્ષાનું પરિણામ જ પ્રમાણભૂત ગણાવું જોઈએ. એન્ટ્રન્સ એક્ઝામ્સ સમયનો બગાડ છે અને વાલીઓને લૂંટવાનો કારસો છે. આટલે મોટે પાયે થતો નીટની પરીક્ષાનો વેપલો એનો જીવંત પુરાવો છે. બહુ પરીક્ષાઓ લેવાથી જ વિદ્યાર્થી હોંશિયાર પુરવાર થાય એવું ક્યાંય લખેલું નથી. સાફ વાત તો એ છે કે આવી પરીક્ષાથી વિદ્યાર્થિની ગુણવત્તા પુરવાર થતી હશે કે કેમ તે નથી ખબર, પણ પરીક્ષા લેનાર સંસ્થાઓની હોજરી તો ભરાય જ છે.
અપ્રમાણિકતા અને ભ્રષ્ટતાથી જ હવે ગુણવત્તા નક્કી કરવાના દિવસો આવ્યા છે તે દુ:ખદ છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જૂન 2024