Opinion Magazine
Number of visits: 9448691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજે ગાંધી હોત તો તેમણે શું કર્યું હોત?

ગોપાલકૃષ્ણ ગાંધી|Opinion - Opinion|18 April 2020

ગાંધીએ ‘પૅન્ડેમિક’ શબ્દ સાંભળ્યો હોય એવી શક્યતા નથી. એટલું જ નહીં, તેમણે કદી ‘ઈકોલૉજી’ શબ્દનો પ્રયોગ પણ કર્યો નહોતો. છતાં, બહુ ઓછા લોકો એવા છે જે આ શબ્દોને, તેના હાર્દને ગાંધી કરતાં વધારે સારી રીતે જાણતા હશે.

ગાંધીને રોગચાળાના પ્રતિકારનું કામ કરવાનો અનુભવ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તે નોંધે છે કે ફેબ્રુઆરી 1904માં જોહાનિસબર્ગમાં જ્યાં ખાણ મજૂરો રહેતા હતા એવા વિસ્તારમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. તેમણે આત્મકથામાં લખ્યું છે કે  એક સાંજે ત્રેવીસ મજૂરો “ભયંકર મરકીના ભોગ થઈને લોકેશનમાં પોતાના રહેઠાણે આવ્યા”. ગાંધીના એક સાથી, મદનજીત ત્યાં હતા. “મદનજીતે ખાલી મકાન પડ્યું હતું તેનું તાળું નીડરપણે તોડી તેનો કબજો લઈ તેમાં આ માંદાઓને રાખ્યા હતા.” ગાંધીને જ્યારે જાણ થઈ ત્યારે તે સાઇકલ લઈને સ્થળ પર પહોંચી ગયા અને પછી ટાઉન ક્લર્કને (એટલે કે શહેરના કમિશનર સ્તરના અધિકારીને) મદનજીતે ક્યા સંજોગોમાં ખાનગી મિલકતનો કબજો લીધો તેની જાણ કરી. પછી બંનેએ ડૉ. વિલિયમ ગૉડફ્રે નામના જોહાનિસબર્ગમાં પ્રેક્ટિસ કરતા એક તમિળ ડૉક્ટરને જાણ કરી.

ગૉડફ્રેએ પડકારને ઘણી સારી રીતે ઉપાડી લીધો. તેમણે નર્સ અને ડોક્ટર બંને ભૂમિકાઓ ભજવી અને જેટલી એક માણસ ઉપાડી શકે તેટલી જવાબદારી ઉપાડી લીધી. પણ વધુ મદદની જરૂર હતી. ગાંધીએ તેમની વકીલાતની કચેરીમાંના ચાર યુવાન સાથીઓને બોલાવી લીધા, જેમણે કોઈ વાંધાવચકા વિના કામ ઉપાડી લીધું. ગાંધી લખે છે કે, “શુશ્રૂષાની આ રાત્રિ ભયાનક હતી.” માંદાઓની સારવાર કરવાનો ગાંધીને ઘણો અનુભવ હતો, પણ મરકીના દરદીની સારવાર કરવાનો તેમને અવસર પ્રાપ્ત થયો નહોતો. ડૉ. ગૉડફ્રેના માર્ગદર્શન હેઠળ તેમણે કામ શરૂ કર્યું અને દરદીઓને “દવા આપવી, આશ્વાસન આપવું, પાણીછાણી આપવાં તથા તેમનું મેલું વગેરે સાફ કરવું એ ઉપરાંત વિશેષ કરવાપણું નહોતું જ”.

ગાંધી આગળ લખે છે, “ચાર જુવાનિયાઓની તનતોડ મહેનતથી ને નીડરતાથી મારા હર્ષનો પાર ન રહ્યો.”

જો ગાંધીએ પ્લેગના પ્રસંગમાં અપવાદરૂપ સારસંભાળનો દાખલો બેસાડ્યો, તો બીજા પ્રસંગે તેમણે અપવાદરૂપ સખતીનો પણ દાખલો બતાવ્યો. 1926માં જ્યારે અમદાવાદમાં હડકાયાં કૂતરાંની ગંભીર સમસ્યા સર્જાઈ ત્યારે તેમણે ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું: “જંતુનાશક દવા વાપરીને સૂક્ષ્મ જીવાણુઓને મારી નાખવા જોઈએ તે ફરજ આપણે સમજીએ છીએ. તેમાં હિંસા થાય છે અને છતાં તે ફરજ છે … હડકાયાં કૂતરાંનો નાશ કરવામાં ઓછામાં ઓછી હિંસા થાય છે. જે શહેરવાસી બાકીના લોકોના જીવનની સુરક્ષા માટે જવાબદાર છે, તે કૂતરાંને મારશે તો તેને પાપ લાગશે, પણ જો તે કૂતરાંને નહિ મારે તો તેને વધારે મોટું પાપ લાગશે.” ગાંધીએ હડકાયાં કૂતરાંનો સફાયો કરવાને સ્પષ્ટ અને ભારપૂર્વક ટેકો આપ્યો.

તેમના આ બે પ્રસંગો એ સવાલનો જવાબ આપે છે જે ઘણાના મનમાં છે: જો ગાંધી આજે આપણી વચ્ચે હોત તો એમણે શું કર્યું હોત?

ગાંધીની જેમ આપણને પણ અપાર હર્ષ થાય કે દુનિયાભરમાં જે રીતે કોરોના વાઇરસનો સામનો થઈ રહ્યો છે તેમાં આપણને 1904માં જોહાનિસબર્ગમાં નાગરિકોએ જે રીતે પ્લેગનો પ્રતિકાર કર્યો હતો તેના મુખ્ય મુદ્દા જોવા મળી રહ્યા છે. આપણી સામે ડો. પ્રકાશ ગત્તા જેવાના પ્રશંસનીય દાખલા છે. અમેરિકાના વૉશિંગ્ટન સ્ટેટના ટેકોમામાં ભારતીય મૂળના આ સર્જનને ચેપ લાગ્યો તો ખરો, પણ તેઓ વાઈરસને હંફાવીને સાજા થઈને ફરી હોસ્પિટલમાં સેવા આપવા હાજર થઈ ગયા.

દુનિયાભરમાં આવાં અસંખ્ય ઉદાહરણો છે. ભારતમાં આપણી પાસે અતિ-અસામાન્ય રાજકીય નેતાઓ, વહીવટદારો, ડોક્ટરો, નર્સ, હોસ્પિટલ કર્મચારીઓ, લૅબ આસિસ્ટન્ટ, પોલીસ, સફાઈ કર્મચારીઓ અને બીજાઓના દાખલા છે, જેમને આપણે વીર નાયક જેવા કહી શકીએ. આપણે નાગરિકોએ વેપાર-વાણિજ્યનાં મોટાં નામો અને રાજકારણ-સમાજ-સંસ્કૃતિમાં આપણી પસંદગીઓ નક્કી કરનારાઓને રૂખસદ આપી દેવી જોઈએ, જે બધાં ઠાલાં દેવ-દેવી નીવડ્યાં, અને તેમના સ્થાને આપણે વાઈરસને રોકવામાં પોતાની જિંદગી હોડમાં મૂકનારાં ખરાં હિંમતવાનોને મૂકવાં જોઈએ.

આપણને એ વાતે પણ આનંદ થવો જોઈએ કે એક પ્રજા તરીકે આપણે આપણા પર લાદવામાં આવેલાં નિયંત્રણોને વિના વિરોધે સ્વીકારી લીધાં છે. લૉક ડાઉન થોડો વખત તો રહેશે, આશા રાખીએ કે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે તેમાં સંવેદનશીલ છૂટછાટો આપવામાં આવશે. આપણે મર્યાદાનું પાલન કરીશું. કારણ કે આપણે સરકારમાં ઊંડેઊંડે નેકીપણું છે એવો વિશ્વાસ રાખીએ છીએ. આપણે આ અનુભવમાંથી અંગત અને જાહેર સ્થાનમાં સ્વચ્છતાની નવી આદતો કેળવીશું, જેમાં જાત પ્રત્યે અને આસપાસના વાતાવરણ પ્રત્યે સખતી વરતવાની રહેશે.

ગાંધીની પર્યાવરણને લગતી સમજે આપણને વસ્તુવાદ(મટિરિયાલિઝ્મ)ની પાછળ ઘેલા થવા સામે ચેતવણી આપી હતી, જેમાં આપણે જેનો ઉપભોગ કરીએ છીએ તે અંતે આપણો જ કોળિયો કરી જાય છે. એ હકીકત આજે આપણી સામે તાકી રહી છે. તે આપણને તેનો તર્ક સમજવાનો અને તેને અપનાવવાનો પડકાર આપી રહી છે. બજારે સર્જેલા અને બજારે પોષેલા લોભને હાઈજિનની પડી નથી. તેને શ્રીનાથ રેડ્ડી જેવા નિષ્ણાતો જેની સામે વર્ષોથી ચેતવણી આપી રહ્યા હતા તેવી પ્રાણીજન્ય બીમારીની પણ પડી નથી. એ લોભે હવે આપણી બોચી પકડી છે.

વુહાનનું બજાર તો જ્યાં છે ત્યાં છે. બાકીનો સંદર્ભ જોયા વિના તેને દોષ આપવાનો અર્થ નથી, કારણ કે વુહાનનું બજાર ખરેખર તો દરેક શહેરમાં છે. આપણા દરેકની અંદર પણ વુહાનનું બજાર વસેલું છે.

અનુવાદઃ આશિષ ઉપેન્દ્રરાય મહેતા

e.mail : ashishupendramehta @gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 ઍપ્રિલ 2020

Loading

18 April 2020 admin
← ઇમ્યૂનિટી બૂસ્ટિંગઃ આધી હકીકત, આધા ફસાના
અમેરિકન પ્રમુખ ટ્રમ્પને પત્રકારોએ પાણીપાણી કરી નાખ્યા, કેમ ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved