Opinion Magazine
Number of visits: 9446695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજના સંબંધો લાગણીના નહીં, પણ માગણીના છે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 January 2022

જ્યારથી આ દુનિયામાં સ્ત્રી અને પુરુષ અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી બંનેને એકબીજા સાથે રહેવાનું બન્યું છે. સ્ત્રી અલગ ચોકો કરીને રહી હોય કે પુરુષ જુદા જ આકાશમાં વિહરતો હોય એવું બન્યું નથી. જેણે પણ સ્ત્રી કે પુરુષને ધરતી પર મૂક્યાં તેનો હેતુ જ એ હતો કે સ્ત્રી અને પુરુષ સાથે રહે. સાથે જ રહે. કુદરતનો હેતુ એ હતો કે પૃથ્વી ખાલી ન રહે. તેનો ખૂણેખૂણો પ્રકૃતિ, પશુપંખી અને મનુષ્યોથી કિલ્લોલતો રહે. મનુષ્ય આ બધાંમાં વિચાર – વાણીથી જુદો પડતો હતો. અભિવ્યક્તિ તો પશુપંખી અને પ્રકૃતિમાં પણ હતી. ઋતુ પ્રમાણે પ્રકૃતિ ખીલતી, કરમાતી હતી, પશુપંખી પણ હરખશોક પ્રગટ કરતાં હતાં, પણ મનુષ્ય પાસે વાણી, વર્તનની વિશિષ્ટ અભિવ્યક્તિ હતી. શરૂઆતમાં તો મનુષ્ય પાસે ભાષા નહીં આવી ગઈ હોય, પણ વૈચારિક સમૃદ્ધિએ વિશિષ્ટ ધ્વનિ-ઉદ્ગારોને શબ્દો આપ્યા હશે, ભાષા આપી હશે ને એમ વાણીનો વ્યવહાર શરૂ થયો હોય એમ બને. આ વ્યવહારે જ હૃદયની લાગણીનું ભાન પ્રગટાવ્યું હોય ને એને જ પ્રેમની અભિવ્યક્તિ ગણવાનું શરૂ થયું હોય એ શક્ય છે. એ સમયે લાગણી જ હશે, માગણી ખાસ નહીં હોય. આ લાગણી પિતા-પુત્રની, માતા-પુત્રીની ને એમ સામાજિક સંબંધોની હોય એવી જ, પ્રેમી-પ્રેમિકાની કે પતિ-પત્નીની પણ હોય એવું નથી. એ જુદી જ લાગણી છે. એ પણ કહેવાય તો છે પ્રેમ જ, પણ એ પિતા-પુત્રની કે માતા-દીકરીની કે પિતા-પુત્રી કે માતા-દીકરાની લાગણી કરતાં જુદી છે. પ્રેમીઓમાં એકબીજાને પામવાનો, એકબીજાના થવાનો જે તીવ્ર તલસાટ છે તે અન્ય લાગણીથી જુદો પડે છે. અન્ય સંબંધોમાં એવી તીવ્રતા કદાચ નથી. બીજા બધા સંબંધોમાં સંબંધ યાદ રહે છે જ્યારે પ્રેમમાં સંબંધ કે સમાજ કૈં જ યાદ નથી આવતું.

સ્ત્રી-પુરુષનું એકબીજાને ચાહવું એ પિતા-પુત્રીની કે મા-દીકરાની ચાહત કરતાં જુદી બાબત છે. એ ચાહત છે તે વિજાતીય આકર્ષણને કારણે. મા-દીકરા કે પિતા-પુત્રીમાં પણ વિજાતીય તત્ત્વ તો પડેલું છે જ, પણ એમાં વાત્સલ્ય ભળે છે જે પેલાં વિજાતીય તત્ત્વને મોળું પાડે છે, જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેનાં પ્રેમમાં વિજાતીય આકર્ષણ જ કેન્દ્રમાં રહે છે ને એ જ એકબીજાને પામવાની વૃત્તિ તીવ્ર બનાવે છે. છોકરીને છોકરો ગમી જાય કે પુરુષને સ્ત્રીનું ખેંચાણ થાય ત્યારે તે એટલું પ્રબળ હોય છે કે એ પાત્ર સિવાય બીજી કોઈ વાત મહત્ત્વની લાગતી નથી. એમાં જો બંને પાત્રો એકબીજાનો સ્વીકાર કરવા રાજી હોય તો કોઈ પણ રીતે તે એક થવા આકાશપાતાળ એક કરીને રહેશે. ન સમાજ, ન જાતિ, ન ધર્મ, ન શિક્ષણ કે કૈં કરતાં કૈં જ પ્રેમીઓને નડતું નથી. તે એટલે કે એ લાગણી જ કુદરતી રીતે પ્રગટતી હોય છે ને સમાજ, ધર્મ કે જાતિ એ કુદરતી નથી, એ વાત મનુષ્યે વિકસાવી છે. એ વ્યવસ્થા છે. જ્યારે પ્રેમ અવ્યવસ્થામાંથી પણ પ્રગટતો હોય છે. કુદરતે તો સ્ત્રી અને પુરુષ એ બે જ જાતિને પ્રમાણી છે એટલે એ જે લાગણી સ્ત્રી કે પુરુષમાં પ્રગટાવે તે મૂળભૂત હોય છે ને સમજ અને સમાજ તે પછી આવે. એ જ કારણ છે કે સમાજને સ્ત્રી-પુરુષ પ્રેમના વાંધા પડે છે. સમાજ ઈચ્છે છે કે પ્રેમ પણ તે કહે ત્યાં ને તે રીતે જ થાય ને પ્રેમનું એવું છે કે એ થઈ જાય છે ને પછી જ્ઞાન અને ભાન પ્રગટે છે. એ જ કારણ છે કે પ્રેમ બહુ ઓછો સફળ થાય છે. મોટે ભાગે તો ત્યાં કુટુંબ, સમાજ સખતાઈ બતાવીને પ્રેમીઓને લોહીના આંસુ રડવા છૂટાં પાડી જ દે છે. એ ખરું કે પ્રેમીઓ નાદાન પુરવાર થાય, પણ ઘણું ખરું તો સમાજ કે કુટુંબ જ વધારે નાદાન પુરવાર થાય છે.

એટલું છે કે પ્રેમ કુદરત કરાવે કે સમાજ, એ થઈને રહે છે. કોઈ સ્ત્રી કે પુરુષ પ્રેમથી વંચિત રહે એવું બનતું નથી. કોઈ ઉંમરે એ લાગણી અનુભવાય તો છે જ. એ સફળ થાય કે નિષ્ફળ જાય એ જુદી વાત છે. પણ અદ્ભુત હોય છે એ લાગણી. જમીનમાંથી પહેલું પહેલું તૃણ ફૂટતું હોય તેમ હૃદયમાં પહેલી પહેલી ફૂટતી કોમળ લાગણી કોઈને જોવાની, કોઈને મળવાની થાય એ રોમાંચક ઘટના છે ! કોઇની પહેલી જ વાર ઝંખના થાય ને એની રાહ જોવાય, એની સામે મન મોકળું કરવાની અધીરાઈ જાગે, એની સાથે જીવવાની ઈચ્છા થાય ને ઝીણી ઝીણી લખોટી જેવી ક્ષણો કેવી રીતે ધબકાર થવા લાગે એ અનુભવે જ સમજાય. સપના બદલાય અને રાતદિવસ એક જ ચહેરો સપનામાં ય પ્રગટવા લાગે, એ જ પ્રગટે એવું હૈયે થવા લાગે ને આપણું હૈયું એ આપણું ન રહે ને એ પરાયાની વેદના ઝીલવા લાગે એને તો શું કહેવું? કોઈને ખભે માથું મૂકીને રડી લેવાથી હળવાશ અનુભવાય એ પણ કેવું? કોઈ આપણું થાય ને આપણે કોઈના થઈએ એમાં જ ઘણા જીવોને સાર્થકતા અનુભવાય છે, તો કેટલાકને આવું કૈં થતું નથી. એ નિર્લેપ રહી શકે છે, પણ ભીતરે એને ય કોઇની ઝંખના તો રહે જ છે. ઝંખના વગરનું કોઈ માણસ જ નથી.

એમાં જો કુટુંબને કે સમાજને વાંધો પડે છે તો બધી ભીની ભીની લાગણીઓ સાથે છૂટા પડવાનું ને જાતને બીજે જોડવાનું પણ થાય છે. કોઈ સાહસી હોય તો સમાજને કે કુટુંબને ફગાવીને પ્રેમ પામે પણ છે ને એવું નથી થતું તો સિલકમાં આંસુ રહે છે. જીવનમાં નવી વ્યક્તિ પ્રવેશે છે ને તે ભલી હોય તો પીડામાં થોડી રાહત થાય છે, પણ પહેલો પ્રેમ કાયમને માટે દેહમાં વહેતું લોહી થઈ જાય છે ને દુનિયા બદલાઈ જાય તો પણ એ બદલી શકાતો નથી. કોઈ ઘા નથી પડતા, પણ વિરહ જેવી બીજી પીડા નથી. યાદનું એવું છે કે એને આવવાનો જ માર્ગ છે એટલે પાછા ફરવાનું બનતું જ નથી. આપણે પાછા થઈ જઈએ છીએ, પણ યાદ પાછી થતી નથી.

પણ, આજે સંજોગો બદલાયા છે. લાગણીનું મહત્ત્વ ઘટ્યું છે. નાની નાની વાતોમાં પ્રેમીઓ વચ્ચે બ્રેકઅપ થાય છે. બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ બદલાઈ જાય છે. પતિ-પત્ની છૂટાં થઈ જાય છે ને બીજા જીવનસાથી સાથે ગોઠવાઈ પણ જાય છે. એ ન ફાવે તો ત્રીજા, ચોથા સુધી પણ વાત આગળ જાય છે. એ બધું ધીમે ધીમે જાણે કોઠે પડી જાય છે. રાચરચીલું બદલાય એટલી સહેલાઈથી વ્યક્તિ બદલી કઢાય છે. એ બદલી પછી ફરિયાદો મટી જાય છે? એવું તો બહુ થતું નથી. નથી ફાવતું તો પ્રેમી કે પતિ-પત્ની બદલી કઢાય છે, પણ પછી ફાવે જ એવું નક્કી નથી. ઘણુંખરું તો ફાવતું હોતું જ નથી. થોડા દિવસ ઠીક ચાલે છે ને પછી ફરિયાદો ચાલુ થઈ જાય છે. વ્યક્તિ બદલાય છે, પણ ફરિયાદો એની એ જ રહે છે.

આપણા સંબંધો હવે અપેક્ષાના, માગણીના સંબંધો છે. અપેક્ષા કે માગણી સંતોષાય ત્યાં સુધી સંબંધો ટકે છે ને એ પછી ફરિયાદો શરૂ થઈ જાય છે. પછી ફરિયાદો સાથે સંબંધો નભે છે ને એમાં જ જન્મારો પૂરો પણ થઈ જાય છે, પણ એમાં જીવ નથી હોતો. ઉમંગ નથી હોતો. ઉત્સાહ નથી હોતો. હોય છે તો કેવળ એક રૂટિન ! એમાં જે સંવેદનશીલ હોય છે એ વેઠે છે. ઘણીવાર તો એટલું વેઠે છે કે અનેક માનસિક સમસ્યાઓનો એ ભોગ થઈ પડે છે. એમાં બંને લાગણીશીલ હોય કે બંને જડ હોય તો બહુ વાંધો નથી આવતો, પણ એક લાગણીશીલ હોય ને બીજી વ્યક્તિ જડ હોય ત્યાં મુશ્કેલીઓ વધે છે. કોઈ, કોઈને સમજી શકતું નથી ને પછી જીવન વેંઢારવાનું જ થાય છે. એવી વ્યક્તિઓ સાથે રહેવા છતાં એક પ્રકારનો ખાલીપો, વિરહ અનુભવે છે.

આજની મોટા ભાગની સમસ્યાઓ એકબીજાને સમજી ન શકવાની છે. એમ થવાનું કારણ પણ છે. આજે સંબંધો લાગણીના નથી, માગણીના છે. લાગણીનું ખાસ મહત્ત્વ જ નથી રહ્યું. ઘણાંને એમાં રોતલપણું લાગે છે. સાચું તો એ છે કે એકબીજા તરફ લાગણીનું હોવું હવે આઉટડેટેડ ગણાય છે. કોઈને માટે પ્રેમ હોવો એ અદ્ભુત વાત છે એ વાત જ હવે બહુ મહત્ત્વ ધરાવતી નથી. કોઇની ઝંખના થવી, કોઇની પ્રતીક્ષા કરવી, કોઇની યાદ બનવું એ હવે દુર્લભ બાબત છે. કોઇની યાદમાં આંસુ સારવાં એ રમત કે ગમ્મત નથી. આંસુ વહેવાથી પણ હળવા થવાય છે એ બહુ સમજાતું નથી હવે. આંસુ પાડવા ને પડાવવા એ બે વચ્ચે ફરક છે. એમાં જ કોઈ ન કહે ને કોઈને માટે સહજ રીતે આંખો ભીની થાય એ લાગણી છે ને કોઈને રડાવવામાં તો ઊંડે ઊંડે કોઈ માગણી પડી હોય છે એ ભૂલવા જેવું નથી. આપણે ગમે એટલા સુધરી જઈએ તો પણ જ્યાં સુધી આંસુ છે ત્યાં સુધી લાગણી રહેવાની છે ને એ ઈચ્છવા જેવુ છે કે આંસુ રહે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

12 January 2022 admin
← કલારૂપી પ્રાચીન વારસો પાછો મેળવવાની કવાયત …
ઓગણીસમી સદીની બહુરૂપી પ્રતિભા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved