Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (22)

સુમન શાહ|Opinion - Opinion|12 June 2020

= = = = આપણા સૌનો અનુભવ છે કે જિવાતા જીવનની સમતુલા જ્યારે પણ, દિવસ દરમ્યાન કે ક્યારે ય પણ, તોડીએ છીએ ત્યારે કંઈ ને કંઈ નાનું કે મોટું અઘટિત ઘટે છે. જીવન અને જેની વચ્ચે જીવન છે એ પ્રકૃતિ તેમ જ પર્યાવરણ સાથેનું સંતુલન માનવજાતે છેલ્લા કેટલાયે સમયથી તોડ્યું છે, ગુમાવ્યું છે. = = = =

= = = = વિજ્ઞાનીય મિજાજ માટે તેમ જ સ્વચ્છતા અને ટાપટીપ બાબતે પોતાને સર્વશ્રેષ્ઠ ગણાવતું USA કચરા બાબતે પણ સર્વશ્રેષ્ઠ છે ! વર્લ્ડ બૅન્કના સંશોધકો જણાવે છે કે USA દર વર્ષે 250 મિલિયન ટન કચરો પેદા કરે છે. એટલે કે રોજ્જે અમેરિકન વ્યક્તિ આશરે 4.4 પાઉણ્ડ કચરો પેદા કરે છે = = = =

= = = = હવેના સમયમાં જાગ્રત વ્યક્તિ એમ પૂછે છે કે તમારા શહેરમાં કચરાનો ડુંગર કેટલો મોટો અને કેટલો ઊંચો છે – જેમ એ પૂછતો હતો કે પાવાગઢ પર્વત કેટલો ઊંચો છે = = = =

કહે છે કે કોરોના માનવભક્ષી છે. એને કશો વિવેક નથી. એ ઘાતકી છે. એ હિંસક છે. કોરોના વિશે સુજ્ઞજનોને એવા વિચારો આવે તે બરાબર છે.

પણ આપણે માણસો શેનો શેનો ભક્ષ કરીએ છીએ, અન્ય જીવો સાથે કેમ વર્તીએ છીએ, પ્રકૃતિએ અર્પેલાં હવા પાણી અને ખોરાકના ઉપયોગ વિશે કેટલા વિવેકી છીએ, એ દિશામાં વિચારવાની પણ એટલી જ જરૂર છે. અને, આપણે શું ઓછા હિંસક છીએ? ઓછા ઘાતકી છીએ? રોજ કેટલાંયે પ્રાણીઓને હણી નાખીએ છીએ. મનુષ્યપ્રાણી રૂપે શ્રેષ્ઠ છીએ છતાં યેન કેન કારણેન્ મનુષ્યોનાં ખૂન કરીએ છીએ. આતંક ફેલાવીને કેટલાંયે નિર્દોષોને મરણશરણ કરીએ છીએ, એ ઘટનાના સમાચાર તો હવે રોજિંદા થઈ પડ્યા છે. અનેકો આપઘાત કરે છે. સ્વજનોની અણછાજતી વર્તણુકોને કારણે પણ કેટલાંકોને આપઘાતની ફરજ પડે છે.

કોરોના તો સ્વયંભૂ છે પણ આપણે તો સંસ્કૃતિ અને સભ્યતા ઊભી કરી છે, વિકસાવી છે. પણ એમાં આપણે ગમે તે ઘડીએ અવિવેકી અને ભ્રષ્ટાચારી બની બેસીએ છીએ, કોઈપણ પ્રકારનું હીન કૃત્ય કરતાં ડરતા નથી, અસંસ્કારી અને અસભ્ય વર્તનો કરતાં ખંચકાતા નથી.

આલ્બેર કામૂરચિત નવલકથા ‘આઉટસાઇડર’-નો નાયક મ્યરસૉં આરબને ગોળી મારે છે પણ પહેલી ગોળી પછી બીજી ચાર મારે છે. જરૂરી જરાયે ન્હૉતું. મૅજિસ્ટ્રેટ કારણ પૂછે છે, તો કહે છે : પાંચ સાથે ન્હૉતી છોડી અને પછીથી ચાર સાથે ન્હૉતી છોડી : પછી મ્યરસૉં આપણને કહે છે : હું જાણતો હતો કે આ દિવસની સમતુલાનો મેં ભંગ કર્યો હતો. આ કાંઠા પરની વિશાળ શાન્તિમાં હું સુખી હતો તે શાન્તિનો મેં ભંગ કર્યો હતો.

આપણા સૌનો અનુભવ છે કે જિવાતા જીવનની સમતુલા જ્યારે પણ, દિવસ દરમ્યાન કે ક્યારે  ય પણ, તોડીએ છીએ ત્યારે કંઈ ને કંઈ નાનું કે મોટું અઘટિત ઘટે છે. મારે આજે એ કહેવું છે કે જીવન અને જેની વચ્ચે જીવન છે એ પ્રકૃતિ તેમજ પર્યાવરણ સાથેનું સંતુલન માનવજાતે છેલ્લા કેટલાયે સમયથી તોડ્યું છે, ગુમાવ્યું છે.

Picture Courtesy: MEDIUM

હું આજે એ અસંતુલનની વાત આંકડા આપીને કરું.

વર્તમાન જીવનમાં માણસે હવા પાણી ખોરાક સ્વચ્છતા વગેરે અનેક બાબતે બેપરવાઈ દાખવી છે. શિસ્ત અને શરતો નથી પાળી. યમનિયમસંયમ નથી પાળ્યા. અંચઈઓ અને આડોડાઈઓ કરીને બધું પ્રદૂષિત કરી મૂક્યું છે. ઉપર ઉપરથી લાગે કે આપણે કેટલી બધી પ્રગતિ કરી, ચન્દ્ર પર પગ મૂકી આવ્યા, પણ એ હકીકત ધ્યાન પર નથી આવતી કે જિવાતું જીવન આખું આપણે કેટલું ગંદુંગોબરું કરી મૂક્યું છે.

મોટામાં મોટું પ્રવર્તમાન દૂષણ તો પ્રદૂષણ છે. જેમાં આપણે શ્વસીએ છીએ એ આબોહવાને પ્રદૂષિત કરવામાં આપણે કશી કમી નથી રાખી. દર વર્ષે સાદાં પૅસેન્જર-વાહનો 4.6 ટન કાર્બન ડાયોક્સાઈડ વહેતો કરે છે. WHO ભલે અડસટ્ટે કહે છે, પણ ચૉંકાવનારું કહે છે કે હવાના પ્રદૂષણને કારણે દર વરસે 4.6 મિલિયન લોકો મરે છે. 2017-માં વિશ્વમાં 7,34,56,531 કાર અને 2,38,46,003 કૉમર્સિયલ વાહનો હતાં; ભારતમાં 39,52,550 અને 83,03,46 હતાં. ત્રણ વર્ષમાં આમાં કેટલો વધારો થયો હશે તે કલ્પી શકાય છે.

વિશ્વમાં ભારત પાંચમા ક્રમે અતિ પ્રદૂષિત દેશ છે. May 2020-ના અપડેટ અનુસાર, અમદાવાદનું ઍર પોલ્યુશન હાઈ છે – 66.09. વૉટર પોલ્યુશન હાઈ છે – 65.62. કચરાના નિકાલ પરત્વે હાઈ છે – 62.30. એનું અવાજ અને પ્રકાશનું પોલ્યુશન હાઈ છે – 63.73.

પાણી જીવન છે. પણ એની સાથેનો આપણો વ્યવહાય કેટલો તો આપમતલબી છે ! દર વર્ષે ઘરોમાંથી રાષ્ટ્રદીઠ 900 બિલિયન ગૅલન પાણી લિક થાય છે. એટલું પાણી તો 11 મિલિયન જેટલાં ઘરોને કામ આવે ! (સર્વસામાન્યપણે, 1 મિલિયન = 10,00,000 લાખ અને 1 બિલિયન = 1,00,00,00,000).

પાણીનો બગાડ અને કચરાની વૃદ્ધિ -બન્નેનું મિશ્રણ થતાં રોગો દોડ્યા આવે છે. ભારતમાં સ્વચ્છતા અભિયાન સરકારી રાહે ચાલુ છે પણ પ્રજાનો દિલથી સહયોગ નથી એટલે સાથોસાથ કચરો વધવાનું પણ ચાલુ છે. માણસને ઘર ચોખ્ખું રાખવું ગમે છે પણ આંગણું? શેરી? ગામ? આ પરત્વે શ્હૅરોની તો વાત જ નહીં થાય ! આ અમદાવાદમાં અમારા વસ્ત્રાપુરમાં શાળાની ફૅન્સિન્ગ અને વૃક્ષની આડમાં અડબંગો મૂતરે છે. મેં એક વાર એક જણાને આઠમા માળેથી બૂમ પાડેલી, તો દાંતિયું કરીને ચાલી ગયેલો … લાજશરમ વિનાની એવી ઉઘાડી મૂતરડીઓ મેગા-સિટી લેખાયેલાં શ્હૅરોમાં કેટલીયે હોય છે.

હવેના સમયમાં જાગ્રત વ્યક્તિ એમ પૂછે છે કે તમારા શહેરમાં કચરાનો ડુંગર કેટલો મોટો અને કેટલો ઊંચો છે – જેમ એ પૂછતો હતો કે પાવાગઢ પર્વત કેટલો ઊંચો છે. વિશ્વમાં દર રોજ 3.5 મિલિયન ટન પ્લાસ્ટિક અને અન્ય નક્કર કચરો એકઠો થાય છે. વિજ્ઞાનીય મિજાજ માટે તેમ જ સ્વચ્છતા અને ટાપટીપ બાબતે પોતાને સર્વશ્રેષ્ઠ ગણાવતું USA કચરા બાબતે પણ સર્વશ્રેષ્ઠ છે ! વર્લ્ડ બૅન્કના સંશોધકો જણાવે છે કે USA દર વર્ષે 250 મિલિયન ટન કચરો પેદા કરે છે. એટલે કે રોજ્જે અમેરિકન વ્યક્તિ આશરે 4.4 પાઉણ્ડ કચરો પેદા કરે છે.

પિઝ્ઝા વગેરે ફાસ્ટ ફૂડ છે – કચરો – છતાં હું તમે અને આપણે સૌ હસી હસીને ખાઈએ છીએ. દુનિયાભરના ફાસ્ટ ફૂડ ઈટર્સમાં નમ્બર વન, USA છે.

માંસાહાર સ્વાભાવિક છે છતાં એના પૂર્વાપર સમ્બન્ધો ચિન્તાજનક છે. દર વર્ષે 72 બિલિયન પ્રાણીઓની ખોરાક માટે કતલ કરાય છે. 2011-12માં વિશ્વમાં 7 મિલિયન લોકો માંસાહારી હતા. એક ગણતરી પ્રમાણે ત્યારે દર રોજ 260 મિલિયન કિલોગ્રામ ચિકન ખવાતી હતી. USA-માં દર વર્ષે 9 બિલિયન ‘બ્રૉઇલર’ એટલે કે બેબી ચિકન – નર અને માદા – ઉછેરાય છે અને પછી ખાવા માટે વધેરાય છે. વિશ્વમાં દર વર્ષે 50 બિલિયન ચિકનનો સંહાર કરાય છે. એક ચિકન આશરે 5 lb-ની હોય તો એનો અર્થ એ થયો કે દર રોજ 55 મિલિયન ચિકન આરોગાય છે. મચ્છી વગેરે સી-ફૂડની વર્ષવાર માંગ ત્યારે 143.8 ટન હતી. આજે આ દરેક આંકડા એકદમ મોટા થઈ ગયા છે.

વિશ્વના 50-થી 60 ટકા લોકો બકરાંનું માંસ ખાય છે. વિશ્વભરનાં બકરાંની વસતીનો પૉણો ભાગ વિકાસશીલ દેશોમાં સમાયો છે.

કોઈ માણસ શાક ખાય કે માંસ મને કોઈ ફર્ક નથી પડતો. કેમ કે હું શાકાહારનો પ્રચારક નથી તેમ માંસાહારનો નિન્દક પણ નથી. કોઇ ગુજરાતી મિત્ર કોઈ બંગાળી બાબુની સંગતમાં માછભાત ખાતો થાય તો મને ન ગમે એવું નથી. કોઈ અહિંસાધર્મવાદી ચિકન ખાતો થાય કે કોઈ એવો જ બીજો મિત્ર મટન ખાતો થાય તો પણ મને ન ગમે એવું નથી. કેમ કે મારી પાસે ડહાપણભરી હકીકત એ છે કે વિશ્વમાં માંસાહારીઓ ન હોત તો શાકાહારીઓને દાળભાતના ય સાંસા પડી જાત.

ખૅર. આ બધી ના-લાયકીઓ તો ખરી જ માણસો માણસોને હણી નાખે એથી ઘૃણાજનક દુષ્કૃત્ય કયું? 2016-માં વર્લ્ડ બૅન્કના સંશોધકોએ નૉંધેલું કે વિશ્વમાં રોજ 1,130 ખૂન થાય છે. વરસે દા’ડે આશરે એક લાખે 5.5 ખૂન. 2018માં USA-માં 15,498 ખૂન થયાં હતાં. ત્યાંસુધીના 33,341 ખૂનીઓ દફતરે નૉંધાયા હતા. આની તુલનામાં આપઘાતના આંકડા મૂકો. દર વર્ષે ૮૦ લાખ મનુષ્યો આપઘાતથી મરે છે. WHO અનુસાર, દર 40 સૅકન્ડે 1 માણસ આપઘાત કરે છે. સાઉથ-ઇસ્ટ ઍશિયામાં સૌથી ઊંચો આપઘાત-દર ભારત ધરાવે છે. દર વર્ષે 8 લાખ ભારતીયો જાતે મૉતને વરે છે.

આ આંકડાઓ મારી કલ્પનાશક્તિથી નથી જન્મ્યા. મારી શોધવૃત્તિનું ફળ છે. એના આધારસ્રોત ન રાખું એમ તો કેમ બને? પણ વાચનસારલ્ય ખાતર અહીં દાખલ નથી કર્યા. આ આંકડાઓનું સત્ય એ છે કે હંમેશાં તમારે મોટા બોલવાના, કદી ખોટા નહીં પડો, કેમ કે એ નિત્યવર્ધમાન છે. કોઇક હોય જે મનુષ્યજાતિના સદ્ભાગ્યબળે ઘટવા લાગ્યો હોય.

બસ, બહુ થયું.

નથી લાગતું કે પ્રકૃતિ અને પર્યાવરણ સાથેની આ બધી માનવીય ગેરવર્તણૂકોએ કોરોનાને નિમન્ત્રણ આપ્યું હોય? કોરોના જશે પછી માનવજાત સુધરશે ખરી? ન જાને – એટલે કે મને એની જાણ નથી.

= = =

(June 12, 2010: Ahmedabad)

Loading

12 June 2020 admin
← Savarkar, Two Nation Theory and Hindutva
અસમાનતા દૂર કરવાનો એક ઉપાય, યુનિવર્સલ બેઝિક ઇન્કમ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved