Opinion Magazine
Number of visits: 9449026
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવા અણસરખા વાતાવરણમાં વિવાદો, મતમતાન્તરો, આવેશો કે પક્ષાપક્ષી સંભવે જ શી રીતે?

સુમન શાહ|Opinion - Literature|2 November 2019

નિષ્ઠાવાન અધ્યાપકો જૂજ છે ખરા પરન્તુ તેઓ પોતાના કશા જ વાંકગુના વિના ડીમૉરાલાઈઝ્ડ થઈ રહ્યા છે…

આપણે ત્યાં ગુજરાતીમાં આધુનિકતાવાદી સાહિત્ય રચાયું અને તેનો વાંકો વિસ્તાર થયો એ છઠ્ઠા અને સાતમા દાયકાનો સમયગાળો યાદ આવે છે. સાહિત્યપરક મતમતાન્તરો સિદ્ધ કરવા માટેની કડવી-મીઠી તકરારોનો સમય હતો. પક્ષાપક્ષી અને તડાતડીભરી પત્રચર્ચાઓથી વાતાવરણ ગરમ રહેતું. જો કે વિચારો ચોખ્ખા થતા. સ્વમતના આગ્રહને કારણે અને તેના પ્રસારની પુષ્ટિ માટે ખાસ્સી જકાજકી થતી. તેની પાછળ ઊભેલી અહમ્-અહમિકાને કારણે ક્યારેક ગાળાગાળીના બનાવો બનેલા. કોઈના નામ પર ભરી-સભામાં થૂંકવાની ઘટના બનેલી. ક્યારેક રીતસરની મારામારી પણ થયેલી. એક વાર મુમ્બઈમાં મારું વ્યાખ્યાન ચાલતું’તું એ દરમ્યાન હૉલની નીચે મૅદાનમાં મિત્રોએ કેટલાક લેખકોનાં નકામાં પુસ્તકોની હોળી કરેલી. જૂઠી સાહિત્યિક સ્થાપનાઓની બરાબરની ખબર લેવાતી. જીર્ણ પરમ્પરાઓ સામે ખાનગીમાં જે રોષ ભભૂકતો, ન પૂછો-ની વાત. દમ્ભી પોતડીદાસોની પોતડી ખૅંચી કાઢવા માટેની યુક્તિઓ વિચારાયેલી. સાહિત્ય માટે આધુનિકો જાનફિશાની કરતા – જાણે પ્રાણ આપી દેવાને થનગનતા હતા.

એ પૂર્વેના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે અનેક મુદ્દાઓ માટે જબરજસ્ત ઝઘડા થયેલા. જેમ કે, કાવ્ય ગાવાની વસ્તુ છે કે પાઠ કરવાની? કવિતા ઊર્મિપ્રધાન હોવી જોઈએ કે અર્થપ્રધાન? ‘સરસ્વતીચંદ્ર’-માં આકારનો પ્રશ્ન છે કે કેમ? કાવ્યમાં છન્દ અનિવાર્ય છે કે નહીં? નાટક ભજવવા માટે છે કે વાંચવા માટે? લગ્નસ્નેહ યોગ્ય કહેવાય કે સ્નેહલગ્ન? એક મજાનો વિવાદ સ્મરણીય છે. મધ્યકાલીન કવિ પ્રેમાનંદે તો આખ્યાનો જ લખેલાં. પણ દલીલો સાથે કહેવાયેલું કે પ્રેમાનંદે નાટકો પણ લખ્યાં છે. ખટલો કહી શકાય એટલી હદે વિવાદ વકરેલો. ચુકાદો એ આવેલો કે ના, પ્રેમાનંદે નાટકો નથી જ લખ્યાં …

આધુનિક સાહિત્યમાં, બે પ્રશ્ન જાગેલા : સર્જનમાં રૂપ – ફૉર્મ – અનિવાર્ય છે કે કેમ? ટૂંકીવાર્તામાં ઘટનાને ઘટાડી નાખવી તે ઉપકારક છે કે કેમ? વાતને ત્રણ-ચાર દાયકા થઈ ગયા. બન્ને પ્રશ્નો માટે તાત્ત્વિક ચર્ચાઓ ચાલેલી. પરન્તુ એ પછી કોઈ મુદ્દા માટે એમ બન્યું હોય એવું મેં તો નથી જાણ્યું.

આમ તો ‘સાહિત્ય સાહિત્ય’-માં હું આ વિષય ન છેડત પણ ‘ગાર્ડિયને’ એક લેખ મોકલ્યો, જેમાં વિદેશી સાહિત્યકારો વચ્ચે થયેલા ૨૫ ઝઘડાઓના વીગતે અહેવાલ આપ્યા છે. જેમની વચ્ચે થયા તેમાં મુખ્ય તો વિશ્વખ્યાત સાહિત્યકારો છે : હૅમિન્ગ્વે અને વિલિયમ ફૉકનર. હૅમિન્ગ્વે અને ફિત્ઝરાલ્ડ. કીટ્સ અને બાયરન. જૉહ્ન અપ્ડાઈક અને સલમાન રશદી. ડૅરેક વૉલ્પોલ અને વી.ઍસ. નાયપોલ. સાર્ત્ર અને કામૂ. માર્ક્વેઝ અને મારિયો વર્ગાસ લૉસા. એ ઝઘડાઓ સાહિત્યકલાને માટેની ઊંડી નિસબત, ખેવના અને સંવેદનશીલતા સૂચવે છે. કીટ્સનું ટીબીને કારણે ૨૫-ની વયે અવસાન થયેલું. શૅલિ અને એના બીજા મિત્રોએ કહેલું – કીટ્સના અવસાનનું કારણ એની કૃતિઓનાં નકારાત્મક અવલોકનો પણ છે. વગેરે. મારે બધી વીગતોમાં નથી ઊતરવું. ઘર બળતું હોય ત્યારે પારકી પંચાત કેટલી કરવી …

વર્તમાનમાં આપણે કશી સાહિત્યિક બાબતે ગાળાગાળી નથી જ કરતા, મારામારી તો નહીં જ. સૌ શાણા થઈ ગયા છીએ. એને કહેવાય, એકબીજાનું ચલાવી લેવાની માંહોમાંહ્ય હમજી રાખેલી હમજણ. જેવા છીએ બરાબર છીએ, બધું જેમ છે બરાબર છે, પ્રકારની ઠાવકાઈ. મૂંગારો સૌને કોઠે પડી ગયો છે. આમ તો એક-બે મુદ્દા માટે નહીં, આજકાલના આખેઆખા સાહિત્યિક પરિદૃશ્ય માટે લડી લેવું પડે એમ છે. પણ આ નુક્તેચિની એટલા માટે કરું છું કે થોડું જે સારું છે એ જળવાય ને વિકસે …

એક મહત્તાપૂર્ણ મુદ્દો આપણી પાસે હતો અને હજી છે. એ કે સાહિત્યિક સંસ્થાઓ સ્વાયત્ત હોવી જોઈએ અને તે લોકશાહીય પદ્ધતિથી ચાલવી જોઈએ. બહુ જ મૉડાં, અચાનક, ગુજરાતી સાહિત્ય પરિષદને એમ જોવા મળ્યું કે ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત નથી; હોવી જોઈએ. મથામણ ખાસ્સી થઈ પણ નીવેડો ન આવ્યો. જો કે એ મુદ્દો હવે મન્દપ્રાણ થઈ ગયો છે. એ કાજે કોઈ સાહિત્યકારે ધરણાં ન કર્યાં. કેટલાક અંદરનાઓએ જ અસહકારના ફતવાને ફગાવી દીધો. પહેલાંના બેયે બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે. બને કે એમનો હૃદયભાવ કરમાઈ ગયો હોય …

પરન્તુ અકાદમી તો લ્હૅરમાં છે. ત્યાં રીતિનીતિનું નિયમન કરનારી કાર્યવાહક સમિતિ છે જ નહીં. માર્ગદર્શક સમિતિમાં કેટલા બચ્યા છે એ સવાલ છે. અને જો અમુક છે તો તેમની સાથે કઈ મીટિન્ગમાં કેવુંક માર્ગદર્શન મેળવાયેલું તે ઝટ જડે એવું નથી. હાલ અકાદમીમાં બે જ છે – મહામાત્ર અને અધ્યક્ષ ! બન્નેની સહિયારી મતિથી બધું હાલે છે. મબલક પૈસા સાહિત્ય માટે ખરચાય છે એ સારી વાત છે પણ કયા નિષ્ણાતોની રાહબરી હેઠળ? નિ ર્ણાયક બુદ્ધિમતિ કોની? ધોરણો કયાં? સમ્મતિ કોની? આ આપખુદી ન કહેવાય તો શું કહેવાય?

મેં એક-દોઢ વર્ષ પહેલાં પરિષદ પ્રતિ આ જ કૉલમમાં લખેલું કે લડત ચાલુ રાખો પણ ફતવો પાછો ખૅંચી લો. અકાદમીને લખેલું કે કાર્યવાહક અને માર્ગદર્શક બન્ને સમિતિઓની નવરચના કરો, નહીં તો આપખુદ લાગશો. આજે તો, લાગી જ રહ્યા છે ! આમાં કઈ લોકશાહી છે ને કયું બંધારણ? આ હકીકતની મુખ્યમન્ત્રીશ્રીને ખબર છે ખરી? સરકારને પ્રજાજીવનના સૅંકડો પ્રશ્નો ઉકેલવામાં રસ છે, તો આ ગમ્ભીર અને અત્યન્ત સંવેદનશીલ બાબતે તે અક્રિય કેમ છે? શું માતૃભાષાના સાહિત્યકારોની વેદનાની કોઇ જ વિસાત નથી?

આવા અણસરખા વાતાવરણમાં વિવાદો, મતમતાન્તરો, આવેશો કે પક્ષાપક્ષી સંભવે જ શી રીતે? આમાં, કયા આગ્રહ-દુરાગ્રહ માટે ઝઘડો કરવાનું જોમ આવે? આજે સરજાતું સારું સાહિત્ય સ્વલ્પ છે, એની સમુપકારક ટીકાને માટેનો અવાજ જાગે શી રીતે? સાહિત્યસિદ્ધાન્તોનો પરામર્શ બચ્યો જ નથી; શું થવાનું? કઈ પીઠિકાએ સાહિત્યપદાર્થનાં લેખાંજોખાં કરીશું? ગુજરાતી સાહિત્ય કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. એ પરમ આશા-સ્થાન છે. પણ એના વર્ગોમાં શું ચાલે છે? એ વર્ગને મેં વીસેક વર્ષ પૂર્વે ‘માંદો’ કહેલો. કહેલું ‘અવર ક્લાસરૂમ ઇઝ સીક’. ત્યાં નિયત પુસ્તકો કોઈ લાવતું જ ન્હૉતું ને માત્ર નૉટો ઉતરાવાતી’તી. આજે તો, અપવાદો બાદ કરતાં, એના હાલ એથી પણ બૂરા છે. વર્ગ મરણશરણ છે. વિદ્યાર્થીઓ દિગ્ભ્રાન્ત છે. વિદ્યાવૃત્તિ ધોવાઈ ગઈ છે. રસવૃત્તિવાળું કોઇ મળે તો મળે. અમુકો તો વર્ગમાં આવીને અધ્યાપકનું મૉં જોતા બેસી રહે છે ! અધીત ઑસરતું ચાલ્યું છે. નિષ્ઠાવાન અધ્યાપકો જૂજ છે ખરા, પરન્તુ તેઓ પોતાના કશા જ વાંકગુના વિના ડીમૉરાલાઈઝ્ડ થઈ રહ્યા છે …

અમુક સાહિત્યકારો અકાદમીને, અમુક પરિષદને, તો કેટલાક બન્નેને, સહકાર આપે છે. પણ સ્વાયત્તતાની વાતે સર્વસામાન્યપણે સૌ દુ:ખી છે. નીવડેલા સાહિત્યકારો કારકિર્દીને માંડ સહીસલામત રાખી રહ્યા છે. ‘યુવા સાહિત્યકાર’-થી પુરસ્કૃત નવલોહિયાઓ નિરાશવદન છે. કેટલાક સારું કાવ્ય કે સારી વાર્તા લખીને મનને ખુશ રાખી રહ્યા છે. પણ સવાલોનો સવાલ એ છે કે વાચકો છે ખરા. સવાલ લાજવાબ છે.

જોવા જઈએ તો જાનફિશાની માટેનો આ સર્વોત્તમ સમય છે, પણ કોઈ તૈયાર નથી. હા, તો પછી આગળ શું કહેવું? ઇતિશ્રી !

= = =

[૦૨/૧૧/૨૦૧૯ના રોજ “નવગુજરાત સમય”માં, ‘સાહિત્ય સાહિત્ય’ કટારમાં, પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે]

Loading

2 November 2019 admin
← બોણીની લાગણી એટલે મહેનતકશો માટે આદર અને આભાર, સહુ માટે પ્રેમ અને પ્રસન્નતા, પોતાના માટે આનંદ અને અજવાસ
કહત કબીર સુનો ભાઈ સાધો … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved