Opinion Magazine
Number of visits: 9446518
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શબ્દ : મારો શત્રુ

કનુ સૂચક|Opinion - Literature|25 March 2019

ઢળતી સાંજે, ક્યારેક ઊંચાં ગાઢાં વૃક્ષોમાંથી સરી પવન પર્ણોમાં મર્મરધ્વનિ કરે છે અને ફરી શાંત થઇ જાય છે. નિરભ્ર નભ નીચે હજુ પક્ષીઓ માળે જવાં આવ્યાં નથી. કોઈ પક્ષી પરિવાર પાછાં ફરવાની રાહમાં ક્યારેક ટહુકો કરી લે છે. પ્રકૃતિ સદંતર નિ:શબ્દ અને બહારથી હું પણ. મારા વિચારોને રોકી રાખવા અથાગ પ્રયત્નો છતાં અશાંત અબ્ધિના પથ્થર પર અથડાતાં મોજાંની જેમ વિચારો તો આવ્યાં જ કરે છે. થાય છે કે મન નિ:શબ્દ કરી શકાય તો !! શબ્દના કોલાહલથી મુક્તિ શક્ય ખરી? मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः। બોધને કાર્યાન્વિત કરવાના વિચારને ધક્કો મારતાં માળે આવતાં પક્ષીઓ અને ઘેર પાછા ફરતાં માણસોના વાહનોની ઘરઘરાટી મને અવાજોની દુનિયામાં ઘસડી જાય છે. વિચાર આવે છે નિ:શબ્દતા જ શાંતિનો પર્યાય હશે! વિચારનો વિસ્તાર થાય છે અને નિષ્કર્ષ પર અવાય છે કે જેની પર મારો અનહદ પ્રેમ રહ્યો છે, અસ્તિત્વ અને જીવનને અનેક તાણાવાણામાં જે સદાય આપણને ગૂંથે છે, બાંધે છે તે શબ્દ જ મારો મિત્ર અને મોટો દુ:શ્મન પણ! તે કાળની ગતિ સાથે સમાંતરે જ નહીં તેનાથી પણ તેજ ચાલે છે.

કામ, ક્રોધ અને લોભ મનુષ્યના મહા શત્રુ માનવામાં આવ્યા છે. કામવાસના રાગમાંથી નીપજતો રોગ છે. રાગનું મૂળ લૈંગિક આવેગ અને મગજમાં ચાલતા વિચારોમાં છે. તેજ રીતે ક્રોધના દરેક કારણ પૂર્વગ્રહો કે વિચારોમાંથી ઉત્પન્ન થાય છે. લોભ પણ વૈચારિક આધાર ધરાવે છે. પ્રાણીમાત્રમાં આ પ્રકારની વૃત્તિનું આલેખન વૈજ્ઞાનિક કારણો દ્વારા કરી શકાય, પરંતુ અહીં મારે માનવમનમાં ચાલતી પ્રક્રિયાની વાત કરવી છે. શત્રુઓને શસ્ત્રસજ્જ કરનાર અને વેગપૂર્વક શત્રુકર્મ તરફ પ્રવૃત્ત કરનાર વિચારો તો શબ્દની શક્તિ જ છે. શમનનો બોધ પણ એ જ આપે પરંતુ તેની શરતો અત્યંત આકરી. વિગ્રહબીજનાં મૂળિયાં સ્મૃતિ સ્વરૂપે ઉર્ધ્વ, અધો અને ચોપાસ એવા વેરીને રાખે કે સતત અને સનાતન રહે. શબ્દને નાદબ્રહ્મ પણ કહેવાય છે. બ્રહ્મ તો સત્ય અને માત્ર સત્યને કહેવાય, પરંતુ શબ્દ તો અસત્યની પણ સત્ય જેવી જ જાળવણી કરે. અભિવ્યક્તિનો ઉપયોગ અને પ્રયોગ શબ્દ સિવાય અન્યત્ર સહજ નથી. ભાવવિસ્તાર, ઊર્મિઓનું આંદોલન, રસરસાયણમાં નિતનવા ઉમેરણ, મૂલ્યો અને અવમૂલ્યન કે તેના માપદંડોના સ્વસર્જિત વિશ્વ અને બહાર અને ભીતરમાં ખાવાના અને દેખાડવાના હાથીદાંત સમાન કામ શબ્દ કરતો જ રહે.

શબ્દ અને સ્મૃતિ વચ્ચે પ્રગાઢ મૈત્રી છે. યુદ્ધ હોય કે શાંતિ સ્મૃતિ શબ્દને જગાડતી રહે છે. યુદ્ધ હોય ત્યારે ઇંધણ બની અગ્નિ પ્રજ્વલિત રાખે છે અને શાંતિમાં ખલેલના ખેલ પણ ખેલતી રહે છે. અર્જુનને જેમ કૃષ્ણ કહેતા હોય કે : “હે પરંતપ! (શત્રુને મૂંઝવી દે તેવા) આગળ વધ તારી પાસે રિપુઓ હંફાવતી અમોઘ શક્તિ છે.” સ્મૃતિ પણ શબ્દને પોરસાવતી રહે છે અને જરૂર પડે ઉકસાવતી પણ રહે છે. શબ્દને પોતાનું વજન હોય છે. આ વજન જાણવું ખૂબ જ જરૂરી હોય છે. શબ્દ પોતાની સાથે અનેક વજનનું વહન કરે છે. વ્યક્ત થતી વખતે તેના આરોહ-અવરોહ વિવિધ રીતના હોય છે. એ જ રીતે તેના સ્થાનપ્રયોજન પણ યોગ્ય હોવા જોઈએ. સ્મૃતિ સહજતાથી તે ગોઠવી આપી શકે પરંતુ તે શબ્દની સજગતાની કસોટી પણ કરે છે. શબ્દ અને સ્મૃતિ બન્ને રમતિયાળ છે, સર્જકપ્રતિભાને કસોટીએ ચઢાવે છે અને પરિમાણ પણ આપે છે. લાઘવને વ્યાપ અને રાઈનો પહાડ બનાવવાનું કામ આ બન્ને સાથે મળીને કરે છે. શબ્દનું ડહાપણ અને ગાંડપણ અસીમિત છે. તેને મર્યાદાની પાળ કોઈ બાંધી શકે તો તે પણ સ્મૃતિ જ. અને તે મર્યાદા વિસ્મૃતિની ગર્તામાં સરી પડવાની પ્રક્રિયા. શૂન્યમાં કે નિ:શબ્દ સ્થિતિ પામવાનો પુરુષાર્થ. આ શબ્દ અને સ્મૃતિના પ્રગાઢ મૈત્રીપૂર્ણ દ્વૈત અને ઐક્યની વાતનો અંત ન આવે. શબ્દ,સ્મૃતિ અને પરિણામ શ્રુતિ અંગે થોડું વિચારીએ તે પહેલાં કવિ,લેખક શ્રી રવીન્દ્ર પારેખની એક ગઝલની બે પંક્તિઓ મૂકવા મન થયું છે.

કોઈ કારીગર ચણે છે ભીતરે દીવાલ કૈ,
એટલે તો ચૂપ છતાં પડઘા સતત પડતા રહે.             

ધર્મ, અધર્મની વિભાવના અને વ્યાખ્યા કોણ કરે છે ? શ્રદ્ધેય, વિચારસમૃદ્ધો અને ગુણીજનો પરંતુ તેવા શબ્દોની સ્વાનુકુલ અર્થભંગી દ્વારા પ્રતારણા પણ શબ્દો જ કરે. શબ્દ, શબ્દનું ઉચ્ચારણ કરતી જીભ જેવો જ કૂણો છે. વાળો, મરોડો, મસળો, તોડો અને ફાવે ત્યાં અને મનફાવે તેમ ફેંકો. આવું કરનારાઓ અભિમાનપૂર્વક શબ્દ ઉપર તેમનો કેટલો કાબૂ છે તેવી ફૂલનફાળકી આપવડાઈ કરે પરંતુ તેઓ ભૂલી જાય છે કે અંતે તો એ શક્તિ શબ્દની જ છે. શબ્દની શક્તિનું વર્ણન કરતી જીભોનો મેરુ પર્વત રચાય. મહાશક્તિપુંજ શબ્દની રચના ક્યારે અને કેમ થઇ તેના ઇતિહાસની પિષ્ટપેષણ કરવા જઈશું તો શબ્દમાં જ અટવાઈ જઈશું. નાનકડી વાત માનીને આગળ ચાલીએ કે શબ્દ અને માનવ ઉત્ક્રાંતિનો ઇતિહાસ સરખો અને સમાંતર છે. શબ્દ ત્યારે મદદનીશ હતો. વેદ, ઉપનિષદ, વાલ્મીકિ , વ્યાસ, કાલિદાસ, ઉમાશંકર, સુન્દરમ્‌ શબ્દસ્વામીઓ અને તેવા અનેકે શબ્દની સેવા લીધી છે. સમય જતાં શબ્દાળું ધાડું આવ્યું અને શબ્દ સેવ્ય બની ગયો. વ્યાપાર અને વ્યવહારની જેમ અનેક સ્વરૂપ અને વિવિધ પરિવેશ ધારણ કરી. બોમ્બના ધૂંવાધાર ધોધની જેમ વરસી રહ્યો.  સેવકમાંથી તે પછી સત્તાધીશ બની કરચોની જેમ મન, મસ્તકમાં ઘૂસી ગયો. અત્ર તત્ર સર્વત્ર.

કહેવાય છે કે વિશ્વના વધુ માણસો જેનું કહેવાતું અનુસરણ કરે છે તેવા ત્રણ મોટા ધર્મો. ક્રિશ્ચિયન, ઇસ્લામ અને હિંદુ. બાઈબલ, કુરાન અને વેદ તેના ગ્રંથો. તે દરેક શ્રુતિ સ્વરૂપે-કહેવાયા, સ્મૃતિમાં સચવાયા અને લખાયા. આ કહેનારા, સાંભળનારા અને લખનારા અનેક. વિવાદ નિવારવા કહેવું કે માની લેવું કે તે ઈશ્વરે કહ્યા. આચરી અને અનુસરી શકાય તેવાં સત્ય અને સિદ્ધાંતોના ગ્રંથો. સત્ય તો એ જ હોય કે તે એક માત્ર અને સનાતન હોય. પરંતુ અંતે તો શબ્દ જ ને ! અગણિત અર્થગર્ભને ધારણ કરવાને સમર્થ શબ્દને લોકોએ માણ્યો તેમ પ્રમાણવાની પ્રક્રિયા શરૂ કરી. ધર્મ ધુરંધરો પરમ પૂજ્યની જમાતોની જમાત ઊભી કરી શબ્દને રમત રમવાની મજા પડી ગઈ. આંગણાઓ તો અઢળક હતાં જ અને વધતાં જ રહ્યાં. નવા નામે અને પરિવેશમાં નવા સ્થાનો ઉદ્દભવ્યા અને શબ્દોને રમવાની, નાચવાની અપરિમેય છૂટ મળી. વાંદરાને દારુ પાનારા અને પછી તેના તોફાનો ઝીલનારા મળ્યાં. વાહ વાહની ભીડમાં આળોટવા અને ઉલળવાની આ રમતોને જ્ઞાનીઓ અને શબ્દને જાણનારા નિસ્પૃહ ભાવે નિષ્ક્રિય બની જોઈ રહ્યાં. સત્યો કરતાં અર્ધસત્યોના વાઘાઓ શબ્દને ફાવવા માંડ્યા. કોલાહલમાં સત્યનો અવાજ જાણે ઓગળી જતો હોય તેવું લાગે. જેને આપણે સત્યો તરીકે સ્વીકાર્યા છે, તેનો મહિમા શબ્દની ઓળખ છે પરંતુ અંતે શબ્દ તો સાધન છે, વહેવું તેનો સ્વભાવ છે એટલે મળ્યાં વાહનની સવારી તે કરી લે છે.

વર્ષો પહેલાં શબ્દ વિષે લખ્યું હતું :

આંસુ, કદી ફૂલ, કદી ઠાલા શબ્દો,
મમતા, કદી શૂળ, કદી ભાલા શબ્દો.
ખીલા, કદી ઝેર, કદી અગ્નિપરીક્ષા,
અર્થના અનર્થ કદી ઢીલા શબ્દો,
શોક, કદી સુખ, કદી સર્પદંશ,
રંગ, કદી રૂપ, કદી ઘેલા શબ્દો.
વાણી, કદી મૌન, કદી આદર, અવહેલા,
ઠારે, કદી બાળે, કદી છાલા શબ્દો.
ભાવ, કદી ભક્તિ, કદી પ્રેમનું રટણ,
લોહી, કદી પાણી, કદી વ્હાલા શબ્દો.
લીલા, કદી લાલ, કદી મોરપિચ્છ રંગ,
‘શીલ’ને ઝબકોળે છે રંગરેલા શબ્દો. 

શબ્દ જ જેનો શ્વાસ હતો તે નરસિંહ મહેતાએ તેમના એક પ્રસિદ્ધ ભજનમાં પ્રભુને આરત કરી છે તે અહીં હું શબ્દ માટે ઉપયોગ કરું છું:

અડધાં પહેર્યા અડધાં પાથર્યાં અડધાં ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ .. હો રામ ..
ઊંચી મેડી તે મારા સંતની રે ..

શબ્દ બ્રહ્મ છે તેની આરાધના થાય, તેને પ્રેમ થાય પરંતુ તેને બદલે શબ્દની અરધી સમજની ખરબચડી જમીન પર ચાલી ઘણાં લોકોએ અર્થની અર્થી ઉપાડવાનું કામ કર્યું છે. શબ્દ હવે ખૂંચે છે. જ્ઞાનીઓએ ઊંચી મેડી પર બેસાડેલા શબ્દને આપણે જમીનદોસ્ત કરી દીધો છે. સૂરનો કલરવ હવે આરડતી વસ્તીમાં ખોવાઈ ગયો છે. શબ્દ શત્રુ બની ગયો છે. આતંક ફેલાવી રહ્યો છે. દ્વિધાઓનાં જંગલો બનાવી રહ્યો છે. વિવાદોની તીણી ચીસો સત્યને સાંભળવા-જાણવાની શક્તિ હરી રહ્યો છે. સંવાદ અને યોગને વિખવાદોની ગર્તામાં ધકેલી રહ્યો છે. શબ્દ બંધક બની ગયો છે. રવિ બાબુ! મુક્તિનું ગાન ગાવા ફરી એકવાર આવો! મને ખબર છે કે શત્રુ જીતવાનો છે. જેને સતત પ્રેમ કર્યો છે તેને મિત્ર બનાવવાથી જ જીત સાચી. આ માટે શબ્દની પાસે તો જવું જ પડે. ઉપાય વિસ્મૃતિ હોઈ શકે પરંતુ તે માટે વિસ્મૃતિરોગ નહીં પરંતુ વિસ્મૃતિ પ્રયોજકશક્તિ જોઈએ. તે માગી લીધેલા વરદાનથી નહીં સ્વયંને કેળવવાથી મળે.       

કહેવાય છે કે મૃત્યુ દબાયેલા પગે આવે છે. તેની પદચાપ પણ સંભળાતી નથી. એ નિ:શબ્દને આવકારતી વખતે શબ્દની એ શક્તિની મને ઓળખ હોય, શબ્દ કોલાહલ નહીં શાંતિનો સૂર રેલાવતો હોય અને મારા  નિ:શબ્દ અસ્તિત્વના દ્વાર આપમેળે જ ખૂલી જાય. નિ:શબ્દમાં હું ઓગળી શકું.

અસ્તુ.             

Email:  kanubhai.suchak@gmail.com

Loading

25 March 2019 admin
← ચૂંટણી પ્રચારઃ લાઉડ સ્પીકરનો ઘોંઘાટ નહીં લાઇક્સ અને શેરનાં વરવાં ગિમિક્સ
વેદોઃ સાંસ્કૃતિક ગંગાની ગંગોત્રી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved