Opinion Magazine
Number of visits: 9455563
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીના ગુરુ કોણ ?

ચિત્તરંજન વોરા|Gandhiana|11 December 2018

મહાત્મા ગાંધીના ગુરુ તરીકે રસ્કિન [08 ફેબ્રુઆરી1819 – 20 જાન્યુઆરી 1900], ટૉલ્સ્ટૉય [09 સપ્ટેમ્બર 1828 – 20 નવેમ્બર 1910], થૉરો [12 જુલાઈ 1817 – 06 મે 1862] અને શ્રીમદ્દ[11 નવેમ્બર 1867 – 09 ઍપ્રિલ 1901]ને ગણાવનારા જાણે તો છે કે મહાત્મા ગાંધીએ પોતે જ કહ્યું હતું કે, પોતાને કોઈ ગુરુસ્થાને મૂકવાલાયક વ્યક્તિ મળેલ નથી અને તેની શોધ પૂરી થઈ નથી. તો પછી આવી ચેષ્ટા પાછળનું કંઈક કારણ હોવું જોઈએ. અમને તે સાંસ્કૃતિક ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિ લાગે છે. જેમને સ્વયં માટે ભારતીય હોવાનું આત્મસન્માન છે જ નહીં અને જે વિદેશી સંસ્કૃતિની માનસિક ગુલામીને નખશિખ પચાવી શકવામાં ધન્યતા માને છે, તે જ કેવળ મહાત્મા ગાંધીની લીટીની ઉપર પોતાના મિથ્યાભિમાન વડે અન્ય મહાત્માની લીટીને ખેંચીને તેને મોટી ચીતરે છે. જ્યારે કોઈ ભારતીય લેખકો આવી ચેષ્ટા કરે ત્યારે તેમાં તેમની લઘુતાગ્રંથિની માનસિકતા છે. અને તે સૌ એવું કરવાની પ્રેરણા તો પશ્ચિમી લેખકોનાં, એમની પોતાની જન્મદત્ત ગુરુતાગ્રંથિ વડે લખાયેલ વિધાનમાંથી જ મેળવેલી હોય છે, પોતાની સ્વતંત્ર બુદ્ધિની તો એવી ગુંજાઈશ જ નથી હોતી. જેનામાં સ્વતંત્ર બુદ્ધિની કંઈક ગુંજાઈશ હોય તે કોણ કોનો ગુરુ અને કોણ કોનો શિષ્ય, એ ઠરાવની કસરતમાં પડે જ નહીં. કમ સે કમ ભારતીયતાના આત્મગૌરવમાં ઉન્નત મસ્તકે વિચારનાર તો એક ભારતીયને કોઈના, વિદેશના કે અન્ય ધર્મના શિષ્યપણાં નીચે ન જ ધકેલે. મહાત્મા ગાંધી માટે આવું કરનારા ખરે જ પોતે કોનું શિષ્યપણું સાબિત કરે છે, તે જ શોધે તો તે પૂરતું છે. ખાસ કરીને મહાત્મા ગાંધી કેવળ ભારતીય હોવાને લીધે જ તેમના સાધ્યસાધન સંબંધના મૌલિક સિદ્ધાંતની બેઠી ઉઠાંતરી એક પાશ્ચાત્ય વિદ્વાન એ જ ગ્રંથ નામે કરે છે અને તેના પ્રકાશનના કાલાનુક્રમને જોતાં, મહાત્મા ગાંધીના કામના અને પ્રકાશનનો ઉલ્લેખ કે સંદર્ભ પણ બતાવવાની તેઓશ્રી દરકાર કરતા નથી; એવું અમારા ધ્યાન પર આવ્યું, ત્યારે અમને પશ્ચિમી માનસમાં રહેલ જન્મદત્ત ગુરુતાગ્રંથિનો વાસ્તવિક પરિચય થયો. તાત્પર્ય એ કે આ કંઈ અમારો કાલ્પનિક ખ્યાલ નથી.

કાર્લ માર્ક્સ શોષણમુક્તિની ક્રાંતિના યુગપ્રવર્તક મહાન વિચારક અને સંગઠક ક્રાંતિકારી હતા. તેમની મહાનતાની લીટીને નાની દેખાડવા માટે કેમ કોઈ ગુરુની મોટી લીટી એમના નામની ઉપર ખેંચવામાં આવી નથી? એ ભારતીય હોત તો? એ જો ભારતીય હોત તો એમના નામની ઉપર પાશ્ચાત્ય ફિલૉસૉફીના મહાન ચિંતક જર્મન વિદ્વાન શ્રી હેગલની લાંબી લીટી શું ન ખેંચાઈ હોત? માર્ક્સનો દ્વંદ્વાત્મક ભૌતિકવાદ તે મૂળમાં તત્ત્વજ્ઞાનમાં શ્રી હેગલનો એ જ સિદ્ધાંત છે, તેનો માર્ક્સે સામાજિક નિરીક્ષણમાં પ્રયોગ કર્યો. આ આટલું ગુરુપદ સ્થાપવા યોગ્ય કારણ છતાં કદી કોઈને શ્રી હેગલને માર્ક્સના ગુરુસ્થાને સ્થાપનારાં પુસ્તકો શું કદી લખ્યાં, જેમ મહાત્મા ગાંધી માટે કેટલાક બુદ્ધિમાનોએ લખ્યાં છે, તેમ? કોઈ કહેશે શ્રી હેગલ ફિલૉસૉફીમાં ઈશ્વર, આત્મા જેવા અભૌતિક, તત્ત્વજ્ઞાનને લગતાં ક્ષેત્રના ચિંતક હતા; જ્યારે માર્ક્સ તો પીડિત માનવતાનાં આંસુ લૂછનાર, શોષણમુક્તિ માટે રાજ્યક્રાંતિ, અર્થક્રાંતિ, સામાજિ ક અને સાંસ્કૃતિક ક્રાંતિના જ્યોતિર્ધર હતા. બંને એક જ સમાન કાર્યક્ષેત્રની ભૂમિકાના પ્રવર્તક ન હતા, ભિન્ન ભિન્ન ભૂમિકા ધરાવનારા હતા. ત્યારે જે ભૂમિકામાં પોતાનું પ્રદાન હોય તેમાં અન્ય એ સિવાયની ભૂમિકાના કોઈ ગુરુ સંભવી શકે નહીં. તત્ત્વજ્ઞાનના ચિંતક કંઈ શોષણમુક્તિની સામાજિક ક્રાંતિના સિદ્ધાંત શીખવી શકે નહીં. તેથી માર્ક્સની વિચારધારના ગુરુ તરીકે શ્રી હેગલ પર ગ્રંથો લખવામાં આવે નહીં, તે દેખીતું છે; ત્યારે શું આ જ વાત મહાત્મા ગાંધીની પ્રતિભાની ભિન્ન ભૂમિકાને માટે પણ સાચી નથી? શુદ્ધ સાધ્ય માટે સાધનશુદ્ધિની એમની મૌલિક સૈદ્ધાંતિક વિચારણા, અહિંસા વડે સાધનશુદ્ધિની એમની ભૂમિકા, સ્વરાજ્યના સર્વોચ્ચ, અનંત, શુદ્ધ સાધ્યની એમની સંકલ્પના, સાધન એ બીજ છે તે કાર્ય કારણ સંબંધની મૌલિક પ્રસ્થાપના અને સાધ્યસાધન વચ્ચે કાર્યકારણ સંબંધની એવી અનિવાર્યતા બતાવનાર મહાત્મા ગાંધીએ સર્વોદય વડે સ્વરાજનો સિદ્ધાંત આપીને જગતને બતાવ્યું કે, અન ટુ ધિસ લાસ્ટમાં નર્યો અંત્યોદય છે તે પર્યાપ્ત નથી. તે તો ગરીબી સામે રાહતના ઉપાય વડે, મૂડીવાદને ટકાવનાર શોષણની વ્યવસ્થાને  મજબૂત કરે છે. તેમાં ‘હેતુ’ની ખામી મહાત્મા ગાંધીએ બતાવી. જે ખામી ફ્રેંચ – ક્રાંતિનાં મૂલ્યોમાં રહેવાને પરિણામે જગતમાં પછી મૂડીવાદી શોષણ પેદા થાય છે. તેનું નિવારણ નિરસન ‘સ્વરાજ્ય’ના સાધ્યનો ‘હેતુ’ મૂકવાથી થાય, તેમ મહાત્મા ગાંધીએ સર્વોદય ગ્રંથમાં 1904માં બતાવ્યું અને તેની ‘સ્વરાજ્ય’ના સાધ્ય તરીકે સૈદ્ધાંતિક પ્રસ્થાપના 1908 માં હિંદ સ્વરાજમાં કરી. પછીનો દક્ષિણ આફ્રિકામાં એક કોમ પૂરતો અને ભારતમાં કરોડો લોકોના ઉપખંડની રાષ્ટ્રીય આઝાદીના નવજાગરણને માટે નેતૃત્વનો ઇતિહાસ અહિંસામાં નવા યુગની પ્રસ્થાપનાનો ઇતિહાસ છે, તે સૌ જાણે છે. તેમની આ ભૂમિકા પ્રયોગશાળાના એકાંતમાં ગ્રંથલેખન વડે તારવેલા સત્ય સમાન સંશોધક પ્રતિભાની જ ભૂમિકા છે કે તે ઉપરાંત કરોડોનાં જીવનને આવરી લેનાર સંપૂર્ણ મૂલ્યક્રાંતિની ભૂમિકા પણ છે? શું આ મૂલ્યક્રાંતિની ભૂમિકાના સિદ્ધાંત કોઈ ગુરુએ તેમને શિષ્ય બનાવીને શીખવાડેલા છે? શું એ ટૉલ્સ્ટૉયે ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ ગ્રંથમાં બતાવેલા છે? સત્યાગ્રહ વડે અહિંસામય સંઘર્ષની કાર્ય પદ્ધતિ પણ અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી ગ્રામોદ્યોગમૂલક અહિંસક સમાજ-પરિવર્ત ન વડે લોકશક્તિ નિર્માણ કરે છે તે કોણે તેમને શીખવ્યું, ‘રસ્કિને, ટૉલ્સ્ટૉયે, શ્રીમદ્દ કે થૉરોએ?’

સત્યાગ્રહ માટે ધનિકોની ટ્રસ્ટીશિપ વડે ત્યાગ અને આત્મભોગને અનિવાર્ય બતાવીને, એ જ ટ્રસ્ટીશિપ વડે દૂબળાં, બાપડાં, ગરીબ, કંગાળ કે ભૂખ્યાંને એક ટંક રોટલો ને મીઠાની કાંકરી પણ મળે તે માટે રચનાત્કમ કાર્યક્રમોને દેશવ્યાપી બનાવવાનું કોણે શીખવ્યું? મહાત્માની પોતાની પ્રતિભાનો જ એ પરિપાક છે, કોઈ ગુરુના શિષ્યપણાની પ્રસાદી નહીં. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ તો, મહાત્મા ટૉલ્સ્ટૉય સાથે તેમનો પત્રવ્યવહારથી પ્રથમ પરિચય થયો તે અગાઉથી જ શરૂ થઈ ચૂક્યો હતો. એટલે સત્યાગ્રહની શોધના પાયા તો નખાઈ ચૂક્યા હતા અને એ પાયા પર જે નિર્માણયજ્ઞ થઈ રહ્યો હતો તે કાળે મહાત્મા ટૉલ્સ્ટૉય તરફથી તેમને સમર્થન અને પ્રોત્સાહન વડે શક્તિ સાંપડે છે, એવી કોઈ શક્તિ મળવાની ધારણા કે અપેક્ષા સિવાય જ દક્ષિણ આફ્રિકામાં હિંદી કોમના સંઘર્ષનો, નેતૃત્વનો આરંભ અને ખેડાણ થઈ ચૂક્યાં હતાં, તેથી ગુરુ-શિષ્ય સંબંધની કોઈ ભૂમિકાનો એ સંદર્ભમાં કોઈ સવાલ આવતો નથી. તેવું જ રસ્કિન—વિચાર અનટુ ધિસ લાસ્ટ અંગે પણ છે. યોગ્ય સંદર્ભમાં બંનેના સંબંધનું નિરુપણ ઘટિત છે. ટૂકંમાં જોઈએ તો અનટુ ધિસ લાસ્ટ અંત્યોદય વિચાર છે. હિંદ સ્વરાજ અને આઝાદી સંગ્રામના સત્યાગ્રહના સંદર્ભ તેનું સ્વરૂપ મહાત્મા ગાંધીની મૌલિક પ્રતિભાનો પરિચય આપે છે. મૂળ ખ્યાલ તરીકે અંત્યોદય એટલે અનટુ ધિસ લાસ્ટ એ જ ગાંધીવિચાર છે એવો ભ્રમ ફેલાવનારા જ રસ્કિનને ગાંધીના ગુરુ કહે છે. વિચાર કરતાં જણાશે કે તે બેહૂદું છે, કેમ કે, અનટુ ધિસ લાસ્ટ ગરીબ શ્રમિકને રાહત આપવા માટે મૂડીવાદી સમાજના સંદર્ભમાં કરેલો વિચાર છે, તે મૂડીવાદી શોષણની વ્યવસ્થાને મિટાવીને વિકલ્પે નવીન રચનાનો વિચાર નથી. તે મૂડીવાદને ટકાવીને શ્રમિકને શોષણથી બચાવવાની રાહત આપવાનો અથવા શ્રમિક મજૂર તે પેઢી દર પેઢી મજૂર જ રહે તેવી વ્યવસ્થાના સંદર્ભમાં રાહતલક્ષી વિચાર છે. ગાંધી મૂડીવાદને ખતમ કરીને સર્વોદયના માર્ગે સ્વરાજની ક્રાંતિ વડે નવીન અહિંસક સમાજરચનાના યુગનું ઉદ્ઘાટન કરનાર પ્રતિભા છે. મજૂર તે મજૂર મટીને સૌ સમાન સ્વાવલંબી સમાજના સભ્ય બને તે ગાંધીના રચનાત્મક કાર્યક્રમનો આશય છે. હવે ભારતના સ્વતંત્રતા સંઘર્ષના સત્યાગ્રહમાં, ત્યાગ-બલિદાન, આત્મભોગ માટે મહાત્મા ગાંધીએ ભારતીય સમાજના વંચિત-ગરીબને જ નહીં પણ ધનિક વ્યાપારી, વકીલ વ્યાવસાયિક અને રાજાઓ તથા રાજવી નબીરાઓને નેતાગીરી લેવાની ફરજ પાડી હતી. ગરીબ-દૂબળાં-બાપડાંને જીવન જીવવામાં ટેકો આપવા માટે અસ્પૃશ્યતાનિવારણ, ખાદી ગ્રાદ્યોગમૂલક અહિંસક ક્રાંતિના દેશવ્યાપી રચનાત્મક કામનું સંગઠન મહાત્મા ગાંધીએ કરાવ્યું, તે માટેની રાષ્ટ્રીય સંસ્થાઓ પણ બનાવી. એ ‘સ્વરાજ’ની દિશામાં રચનાત્મક પ્રયાસનું પહેલું પગલું હતું. શ્રમિકને કાયમ મજૂરની પરવશતામાંથી મુક્ત કરીને તેને એક ઉદ્યોગ સાહસિકના દરજ્જે ખાદી ગ્રામોદ્યોગના સ્વાવલંબી એકમનો સંચાલક બનાવનારી એ ક્રાંતિની શરૂઆત રાષ્ટ્ર આખામાં વ્યાપક ફલક પર હાથ ધરવામાં આવી. આઝાદીના સંગ્રામની સળગતી આગ વચ્ચે રાષ્ટ્રને આર્થિક સ્વરાજની દિશામાં લઈ જવાનો એ મહાપ્રયાસ હતો. તે નેતૃત્વનું શ્રેય એટલે ગુરુપદ રસ્કિનને આપનાર રસ્કિનને ગાંધીજીના ગુરુ કહેનાર પછી અનટુ ધિસ લાસ્ટ એટલે ગાંધીવિચાર એમ કહે, એમાં સત્યનો અંશ પણ નથી. તે સાથે એ પણ ખરું કે આ ક્રાંતિલક્ષી અને સ્વરાજલક્ષી રચનાત્મક કાર્યક્રમ મહાત્મા ગાંધીના સ્વર્ગવાસ પછી પ્રાયોગિક દશાથી આગળ ચાલ્યા પણ નહીં. અનટુ ધિસ લાસ્ટના જ વિચારની આવી નિષ્ફળતાના આઘાત છતાં અનટુ ધિસ લાસ્ટ એટલે જ ગાંધીવિચાર એવા ભ્રમનો ભોગ બનેલા લેખકો રસ્કિનને હજુ પણ તેમના ગુરુસ્થાને બતાવીને શો આત્મસંતોષ પામે છે તે સમજી શકાય તેમ નથી. આ મુજબ થૉરોનાં ‘સિવિલ ડિસોબીડિઅન્સ’ વિશે પણ ચર્ચાનો વિસ્તાર કરી શકાય; પણ સ્થળ- સંકોચની મર્યાદા લક્ષમાં લઈ એટલું સુજ્ઞ વાચકની વિવેકક્ષમ સમજશક્તિને સહજ ગમ્ય હોવાથી તે વિશે આટલો નિર્દેશ જ ઠીક ગણાશે.

શ્રીમદ્દ રાજચંદ્ર

શ્રીમદ્દ અને ગાંધીજીના સંબંધ વિશે, તેમની વચ્ચેના પ્રશ્નોત્તર વિશે સાહિત્ય સર્વસુલભ છે. તેમાં કોઈ સ્થળે શ્રીમદ્દ તરફથી ગુરુપણાનો કોઈ ભાવ કે વ્યવહારનો અંશ પણ જણાય તેમ નથી. તો ગાંધીજીએ તેમને જ્ઞાની તરીકે પૂજ્યભાવે નાનામાં નાના ગણાય તેવા સામાન્યથી ગહન પ્રશ્ન પૂછવામાં સંકોચ રાખ્યો ન હતો. શ્રીમદ્દ સાથેનો સંબંધ મૂલત: જ્ઞાનનિષ્ઠાના ઘડતરની પગદંડી બને છે. એ જીવનપુષ્ટિને પરિપક્વ કરનાર આચાર અને ધર્મની સૂક્ષ્મતામાં લઈ જનારી સમજ કેળવે છે. એ વિવેક મહાત્મા ગાંધીના સ્વરાજનિર્માણના સામાજિક અને મોક્ષની આકાંક્ષાનાં આંતરિક જીવનના મૂલ્યોની ઉપાસનાને જ્ઞાનમય બનાવે છે. શ્રીમદ્દની જ્ઞાનનિષ્ઠા ધ્યાનમાર્ગે સમાધિ દશાને સમર્પિત છે, મહાત્માની સ્વરાજનિષ્ઠા નિષ્કામ કર્મ માર્ગે સમર્પિત છે. તેથી એ પોતે શ્રીમદ્દના ધ્યાનમાર્ગે સાધક બન્યા પણ નથી. અને શ્રીમદ્દ જેવા સમાધિ – દશાના જ્ઞાની સાક્ષાત્કારી ભગવંત કંઈ ગાંધીવિચારની રચનાત્મક અહિંસક સામાજિક ક્રાંતિના સર્વોદય વિચારક તરીકે સ્વપ્ને પણ ગાંધીજીના ગુરુ ન હોઈ શકે, તેમાં શક નથી.

તો પછી ગાંધીજીના ગુરુ કોણ? શો છે જવાબ? એ જ, સ્વયં પરમાત્મા ! અને જેમનો અવાજ એ સાંભળતા અને અનુસરતા. ઉપવાસ વખતે એ જ એમને આદેશ આપતા, પ્રેરણા આપતા! અને એવું એમણે જાતે જ કહ્યું છે!

સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, વર્ષ – 6; અંક – 10-11; ઑક્ટોબર – નવેમ્બર 2018; પૃષ્ઠ – 358 – 361 

Loading

11 December 2018 admin
← મારી માનો વાંક
કૉન્ગ્રેસ માટે નથી ઢાળ કે નથી કપરાં ચઢાણ →

Search by

Opinion

  • દાદાનો ડંગોરો
  • સોક્રેટિસ ઉવાચ-૧૨  : ભારતીય દેશભક્ત અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ
  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved