Opinion Magazine
Number of visits: 9449388
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમયની માંગ છે કે સર્વ કલાઓ સાથે જોડાઈએ; એ માટે બદ્ધચિત્ત સાહિત્યકારોના સાહિત્યથી વહેલી તકે છૂટા થઈ જઈએ

સુમન શાહ|Opinion - Literature|13 January 2018

ફિલ્મ ‘ધાડ’ આવકાર્ય છે. એક સારી વાર્તા પરથી બનેલી ફિલ્મ ૧૮ વર્ષના સમયગાળા પછી સૂર્યપ્રકાશમાં મુકાઈ છે

ફિલ્મ ‘ધાડ’-ને આવકાર

અહીં અમેરિકામાં જાણ્યું કે આ ૨૦૧૮-ના વર્ષમાં સાહિત્યકૃતિઓ પર આધારિત ઓછામાં ઓછી ૩૫ ફિલ્મો રજૂ થવાની છે. બીજે દિવસે જાણ્યું કે પાંચ જાન્યુઆરીએ જયન્ત ખત્રીની ‘ધાડ’ નવલિકા પરથી બનેલી ફિલ્મ ગુજરાતમાં અનેક થીએટરોમાં રજૂ થવાની છે. (હવે રજૂ થઈ ગઈ છે). આ શુભારમ્ભથી લાગે છે કે સાહિત્ય અને ફિલ્મના રસિયાઓને અમેરિકામાં અને આ નરવી ગુજરાતી ફિલ્મથી ગુજરાતમાં સાહિત્યકારોને તેમ જ ફિલ્મ-મેકરોને જરૂર આનન્દ થવાનો. કેટલાક, સાહિત્યને ગ્રેટ ગણશે; કેટલાક, ફિલ્મને. જો કે અમુકો, બન્નેમાં રહેલી કલાને ગ્રેટ ગણશે.

૧૯૯૯-માં શરૂ થયેલી ફિલ્મ ‘ધાડ’-નું અનેક વિટંબણાઓ પછી થયેલું અવતરણ આવકાર્ય છે કેમ કે એ એક સારી વાર્તા પરથી બની છે અને ૧૮ વર્ષના લાંબા સમયગાળા પછી સૂર્યપ્રકાશમાં મુકાઈ છે. નિર્માતા કીર્તિ ખત્રી અને દિગ્દર્શક પરેશ નાયકની ખુશીમાં ગુજરાતને અભિનન્દનપૂર્વક સહભાગી થવાનો અવસર સાંપડ્યો છે.

જયન્ત ખત્રીએ ‘ધાડ’ ૧૯૫૩-માં ‘આરસી’ સામયિકમાં બે હપતે છપાવેલી. ખાસ ફેરફાર વગર ૧૯૬૮-માં ગ્રન્થસ્થ કરેલી. એ પરથી પરેશે ફિલ્મ બનાવી. વીનેશ અંતાણીએ પટકથા લખી. વીનેશે નવલકથા પણ લખી. એ દરેકનું શીર્ષક, ‘ધાડ’ ! સાહિત્યકારો આમે ય ધાડપાડુ તો ખરા જ ! એકબીજામાંથી શુંયે લૂંટી લેતા હોય. પણ જોનારા કહેશે કે વીનેશે અને પરેશે જે લૂંટ્યું એને સવાયું કરીને પાછું વાળ્યું છે. ખત્રીને ભણાવતી વખતે મેં હમેશાં ‘ધાડ’ વિશે ચર્ચા કરી છે. વીનેશની નવલકથા વિશે વ્યાખ્યાન કર્યું છે, લેખ કર્યો છે. ફિલ્મ જોવી બાકી છે. ખત્રી (1909-1968) કચ્છના. વ્યવસાયે ડૉક્ટર. પેઇન્ટિન્ગ પણ કરતા. પોતાની વાર્તાઓ માટે ચિત્રો કરેલાં. વીનેશ પણ મૂળે કચ્છના; નવલકથાકાર, નવલિકાકાર. પરેશ અમદાવાદના; નવલકથાકાર, નવલિકાકાર, દિગ્દર્શક; જરૂર પડ્યે અભિનય પણ કરી જાણે. મેં જોયું છે કે એમની પાસે આગવી કલાસૂઝ છે. આ ફિલ્મ ઘાંચમાં પડેલી એની વ્યથા અમે શૅઅર કરી છે અને સાહિત્ય, ફિલ્મ કે કલામાત્ર બાબતે આપણે કેટલા તો ઊણા ઊતરીએ છીએ એવા બળાપા કર્યા છે.

નવલકથા, પટકથા અને મૂળાધાર નવલિકા, ત્રણેયને સર્જન કહેવાય. એ-ને-એ કથાવસ્તુ પરનાં આ કામને સર્જનાન્તર કહેવાય. ફિલ્મમાં તો અભિનેતાઓની સર્જકતા પણ દાખલ થવાની. આમાં, કે.કે. મૅનન, ઘૅલો છે. નંદિતા દાસ, મૉંઘી. સંદીપ કુલકર્ણી, પ્રાણજીવન. સુજાતા મહેતા, ધનબાઈ. રઘુવીર યાદવ, જુસબ. સિનેમૅટોગ્રાફી કોની હશે? મને ખબર નથી. સંગીત વનરાજ ભાટિયાનું છે. આ બધાં સો-કૉલ્ડ સ્ટાર નથી, સીઝન્ડ આર્ટિસ્ટ છે. પોતપોતાની સર્જકતા સાથે એ સૌ અને બીજાં સહયોગીઓ ‘ધાડ’-માં ભાગીદાર બન્યાં છે. ખત્રી હયાત હોત તો એમને અ-કલ્પ્ય આનન્દ થયો હોત. ૪૧ વાર્તાઓના વાર્તાકાર. બીજી આઠેક વાર્તાઓ સામયિકોમાં પ્રગટેલી. એક ધારાવાહી નવલકથા લખેલી. મંગલ પાંડે પર એકાંકી લખેલું. પહેલો વાર્તાસંગ્રહ ‘ફોરાં’ ૧૯૪૪-માં પ્રકાશિત થયેલો. બીજો, ’ખરા બપોર’ ૧૯૬૮-માં. પોતાની સૃષ્ટિમાં એમણે મુખ્યત્વે કચ્છના રણપ્રદેશની પાર્શ્વભૂ પરથી માનવીય સુખદુ:ખની રાગિણીઓ પ્રગટાવી છે. એમની કલમમાં દૃશ્યો ઊભાં કરવાની ક્ષમતા છે. આ નવલિકા પણ એ ગુણે શોભે છે. ફિલ્મસર્જનને પ્રેરનારો મુખ્ય ગુણ પણ એ જ છે.

કથાનાયક ઘૅલો ધાડપાડુ છે. એની જિન્દગીનો પરિવેશ પણ એ જ છે, કચ્છ. ‘વાંઝણી નિર્વીર્ય અને જેને ધાવણ નથી આવતું એવી ધરતી’. ધાડનો ધંધો એને વારસામાં મળેલો. માણસ માથાભારે છે. માને છે કે માથાભારે હોઇએ તો જ જીવતરનો ભેદ અને એના ઉકેલનો માર્ગ મળી આવે. માણસજાત જુલમને સહેલાઈથી વશ થાય છે, સમજાવટને નહીં. આવી ફિલસૂફી ધરાવતો ઘૅલો દાજી શેઠને ત્યાં ધાડ પાડે છે. ખત્રીનો કથાકસબ, નવલિકાની એ મુખ્ય ઘટના લગી પ્હૉંચવામાં અને પ્હૉંચ્યા પછી તેના જરૂરી નિર્વહણમાં ખરચાયો છે. ઘટના ખાસ્સી નાટ્યાત્મક પણ છે. ઘૅલો પક્ષાઘાતના હુમલાથી પછડાય છે. મ્હાત્ થાય છે. કારકિર્દીને હારી જાય છે. ધાડને ત્રીજે દિવસે એનું મૃત્યુ થયું હોય છે. એનો સાથી પ્રાણજીવન લૂંટેલી વસ્તુઓ શેઠના લાભમાં પાછી ફૅંકી દે છે. પ્રાણજીવનને ઘૅલાએ બૅળેબૅળે સાથમાં લીધેલો. છતાં એ જ સાથી અને એ જ ધાડી-ઊંટ ઘેલાના ભાંગી પડેલા શરીરને લઈ, ગામ-ઘરે પાછાં ફરે છે. એ બધું વિપરીત જોઈને ઘૅલાની પત્ની મૉંઘી બઘવઈ જાય છે. એક ઝુઝારુ, ખૂંખાર અને ઝિંદાદિલ પુરુષના આપોપા જીવન-તન્તનું આમ કરુણ પરિણામ આવે છે.

વિષમ પરિવેશ અને પરિસ્થતિ પર માણસ ગુમાનથી ઝનૂનપૂર્વક વર્તીને કદાચે ય વિજય મેળવી શકે પણ કુદરત બીજી રીતે ય વીફરે છે. પરિણામમાં ઘોર પરાજય મળે છે. જો કે વાર્તાને ખત્રીએ એવા સ્પષ્ટ પૉઇન્ટ ઑફ વ્યૂ-થી નથી ચલાવી. છતાં એક અન્ડરટોન પકડાય તો એ પકડાય કે પ્રકૃતિ અને મનુષ્યપ્રકૃતિ પાસે માણસ લાચાર સ-મર્યાદ પ્રાણી છે. અગાઉના પાઠમાં ખત્રીએ મૉંઘીને ત્રીજી વારની પત્ની કહેલી. એટલે પહેલી પત્ની રૂપે ધનબાઈ અને બીજી રૂપે રતની, વીનેશનાં ઉમેરણ છે. જુસબ પણ ઉમેરણ છે. એ ઘૅલાનું પૂરક-પાત્ર છે. ઘૅલો રંજાડમાં માને, જુસબ હળવાશમાં. વેરાન પટ વચ્ચે મોરચંગનો સ્થિર સૂર, ચામડી બાળી નાખે એવો તડકો, ખારાપાટની ગન્ધ, વગેરે સંકેતો વચ્ચે, મૉંઢે ઢાંકેલું ફાળિયું ખસેડીને ઘૅલો આપણને સમક્ષ થાય છે. પરેશની ફિલ્મમાં ઘૅલાની ઍન્ટ્રી કેવી હશે અને સમગ્ર ફિલ્મ કેવી બની હશે, જોયા પછી કહેવાય; માટે, અટકું.

આ પ્રસંગે મને અધ્યાપકમિત્રો માટે કેટલાંક બીજાં સર્જનાન્તરોનો ઉલ્લેખ કરવો ઉચિત સમજાય છે : મહાભારત’-ના ‘નલોપાખ્યાન’-ને આધારે શ્રીહર્ષે મહાકાવ્ય કર્યું, ‘નૈષધીયચરિતમ્’. પ્રેમાનન્દ વગેરે ગુજરાતી આખ્યાનકારોએ કર્યાં, ‘નળાખ્યાન’. સુરેશ જોષીએ રચી ટૂંકીવાર્તા, ‘નળદમયન્તી’. ચિનુ મોદીએ રચ્યું ‘બાહુક’. મધુ રાયે પોતાના ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો’ નાટક પરથી નવલકથા કરી, ‘કામિની’. મણિલાલ હ. પટેલે રાવજીની રચનાને ‘લલિતા’ રૂપે અવતારી. અધ્યાપકો આ રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરે તો સમજાય કે સાહિત્યજાળ જુદા જુદા સર્જકો વડે કેવી ગુંથાતી આવે છે અને સાહિત્યપદાર્થનો અવનવી રીતે ને ભાતે કેવો તો ઉછેર થતો હોય છે.

સાહિત્ય અને ફિલ્મનો સંગમ કરવા માગતા સાહસિકોને જણાવું કે એ માટે રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’ કે ચન્દ્રકાન્ત બક્ષીની ‘આકાર’ સક્ષમ છે. અનેક આધુનિક નવલિકાઓ પરથી કલાકેકની લઘુ ફિલ્મો બની શકે એમ છે. આગળ આવો અને આપણા સાચકલા કથાસાહિત્યને જાણો. એના દૈવતને ઓળખો, અને પ્રસરાવો.

વાચકોને ખાસ કહું કે ‘ધાડ’ વાર્તા વાંચીને ફિલ્મ જોવા જજો અથવા જોયા પછી વાર્તા જરૂર વાંચી લેજો. સમજાશે કે કલાનો જાદુ પ્રગટે એ માટે શબ્દની તાકાતને અને ચલચિત્રની વિશેષતાને, બેયને સાચવવા દિગ્દર્શકને કેવાં કેવાં સરવાળા-બાદબાકી કરવાં પડ્યાં છે. ૨૧-મી સદીનો બીજો દાયકો પૂરજોશમાં પ્રગતિશીલતા તરફ ધપી રહ્યો છે. સમયની માંગ એ છે કે સર્વ કલાઓ સાથે જોડાઈએ અને એ માટે બદ્ધચિત્ત સાહિત્યકારોના સાહિત્યથી વહેલી તકે છૂટા થઈ જઈએ. ક્યાં લગી બીજી કલાઓથી છેટા રહીને બંધિયાર સાહિત્યથી ખુશ રહેવું છે? મૉડું થઈ રહ્યું છે, યાર…

= = =

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 13 જાન્યુઆરી 2018

Loading

13 January 2018 admin
← ટ્રિપલ તલાકના વિરોધમાં છેક ૧૯૬૬માં સરઘસ કાઢનાર સેક્યુલર સમાજ સુધારક હમીદ દલવાઈ
DARKEST HOUR →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved