Opinion Magazine
Number of visits: 9448851
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુષમા સ્વરાજને ચીનનો હવાલો સોંપી દેવો જોઈએ, ડોકલામમાંથી તેઓ કદાચ ચીનનાં ગાડાં પાછાં વાળી શકશે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 July 2017

વડા પ્રધાનને ભડવીરની ઇમેજ નડતી હોય તો વિદેશપ્રધાનને કાગારોળ કરતાં આવડે છે. તેઓ લાંબું વિચારી શકે છે, પરિપક્વ વિવેકી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહેલી મુદતના ૧૭ મહિના બચ્યા છે. આ વરસના પાંચ મહિના અને આવતા વરસના ૧૨ મહિના. ૨૦૧૯ના જાન્યુઆરી મહિનાથી લોકસભાની ચૂંટણીનાં વાદળો ઘેરાવા લાગશે અને એપ્રિલ મહિનાથી ચૂંટણી યોજાવાનું શરૂ થશે. આ પણ દેશનું દુર્ભાગ્ય છે કે ચૂંટણીના છ મહિલા પહેલાંથી શાસકો શાસક મટીને પ્રચારક બની જાય છે. આવું પહેલાં નહોતું બનતું. પહેલાં ચૂંટણીપ્રચાર રસ્તા પર થતો હતો જે હવે મીડિયાના માધ્યમ દ્વારા કરવામાં આવી રહ્યો છે, એટલે એમાં નાટકીયતા અને ઘોંઘાટ વધ્યાં છે. નાગરિક સાથે સીધો સંપર્ક રહ્યો નથી એટલે નાગરિકને ભરમાવવાનું તત્વ વધ્યું છે. એ તો દેખીતી વાત છે કે કોઈને ભરમાવવા માટેની તૈયારી ઘણી વહેલાસર કરવી પડતી હોય છે.

રહી વાત બીજી મુદતની તો બીજી મુદત પોસ્ટડેટેડ ચેક છે. ગમે એટલો ભરોસો હોય તો પણ અંતે તો એ ભાવિ મુદતનો ચેક છે, જે વટાવવા મળશે કે કેમ એની ખાતરી તો વડા પ્રધાન પોતે પણ ન આપી શકે. હા, નગદ ૧૭ મહિના વડા પ્રધાનના ખિસ્સામાં છે અને એ કોઈ ઝૂંટવી શકે એમ નથી સિવાય કે કોઈ અણધારી ઘટના બને. બીજું, વડા પ્રધાન આ ૧૭ મહિના કઈ રીતે વાપરે છે અને હવે પછીના ૧૭ મહિનામાં શું બનશે અને સરકાર એનો કઈ રીતે સામનો કરશે એના પર પણ બીજી મુદત નિર્ભર કરે છે. આમ કાળના ગર્ભમાં શું છે એની ખાતરી કોઈ આપી શકે નહીં, પરંતુ વર્તમાન વડા પ્રધાનના હાથમાં પાકા ૧૭ મહિના છે અને વીતેલા ૩૮ મહિનાનો અનુભવ ગજવામાં છે.

મારી સમજ મુજબ વડા પ્રધાન સામે અત્યારે ચાર મુખ્ય પડકારો છે. પહેલો પડકાર ચીનનો છે. બીજો પડકાર આતંકવાદ, જમ્મુ અને કાશ્મીર અને ઈશાન ભારતનો છે. એ પડકાર જેટલો કાયદો અને વ્યવસ્થાનો છે એટલો રાજકીય છે. આમ આંતર-બાહ્ય અશાંતિ બીજો પડકાર છે. ત્રીજો પડકાર આર્થિક મોરચે છે અને એમાં પણ રોજગારીના ઘટતા પ્રમાણનો છે. ચોથો પડકાર ઇમેજનો છે. નરેન્દ્ર મોદી વિકાસની નાવમાં બેસીને દિલ્હી આવ્યા હતા અને ગાય જેવા હિન્દુત્વના વમળમાં અટવાઈ રહ્યા છે. આ બધું તેમની સંમતિ સાથે ભાયાતો કરી રહ્યા છે કે તેમની મરજી વિરુદ્ધ માથાભારે કરી રહ્યા છે એનો ખુલાસો હવે વહેલી તકે વડા પ્રધાને કરવો પડશે. બે નાવની સવારી અનંત સમય સુધી ન થઈ શકે. આમ ધૂંધળી અને ઈમાનદારી વિશે શંકા પેદા કરે એવી ઇમેજ એ ચોથો પ્રશ્ન છે.

પહેલો સૌથી મોટો પડકાર ચીનનો છે. ચીને ભારતની છાતી પર બેસીને વડા પ્રધાનનું ગૌરવખંડન કરી રહ્યું છે. ભોંઠપમાં મુકાઈ જવું પડે એ હદે ભડવીર હોવાની ઇમેજના ભાંગીને ભુક્કા થઈ રહ્યા છે. લાર્જર ધૅન લાઇફ ઇમેજ ડેવલપ કરવાના આ ગેરફાયદા છે. અહીં ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં ફરક છે. ઇન્દિરા ગાંધી પણ તાનાશાહી વલણ ધરાવતાં હતાં, પરંતુ જો લાચાર બનવાથી મગ પાકતા હોય તો તેમને લાચારીનો દેખાવ કરવામાં શરમ નહોતી આવતી.

૧૯૭૦-’૭૧ના બંગલા દેશ સંકટ વખતે તેમણે શરૂઆતમાં લાચારીનું સૉન્ગ રચ્યું હતું. જગતભરના નેતાઓ સમક્ષ તેઓ ખોળો પાથરતાં હતાં કે જુઓને અમારી પડોશમાં શું બની રહ્યું છે. કતલેઆમ થઈ રહી છે, નિર્દોષ લોકોનું લોહી રેડાઈ રહ્યું છે, અમારાથી જોવાતું નથી, નિરાશ્રિતો અમારે ત્યાં ઠલવાઈ રહ્યા છે, માનવતાનો સાદ સાંભળીને અમે નિરાશ્રિતોને આવતા રોકી શકતા નથી અને તેમનો બોજો અમારાથી સહન થતો નથી, ભારત વિકાસશીલ ગરીબ દેશ છે વગેરે. મુસ્લિમ દેશો સુધી ભારતની લાચારી પહોંચાડવા માટે તેમણે મુસ્લિમ નેતાઓનો ઉપયોગ કર્યો હતો અને જગતભરના યુદ્ધવિરોધી શાંતિવાદીઓ સમક્ષ ભારતની લાચારી પહોંચાડવા માટે તેમણે સર્વોદયી નેતા જયપ્રકાશ નારાયણનો ઉપયોગ કર્યો હતો. જેઓ સત્તામાં નહોતા, પરંતુ વિશ્વસમાજમાં કૉન્શિયસકીપર તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા હતા એ લોકો સુધી પણ ભારતની લાચારી પહોંચાડવાનું અને રડવાનું ઇન્દિરા ગાંધી ચૂક્યાં નહોતાં. અમે સંકટમાં મુકાઈ ગયાં છીએ અને તમે તારણહાર બનીને અમને ઉગારી શકો છો એમ કહેવામાં ઇન્દિરા ગાંધી ભોંઠપ નહોતાં અનુભવતાં.

ઇન્દિરા ગાંધીને દુર્ગાની ઇમેજ બંગલા દેશનું યુદ્ધ જીત્યા પછી મળી હતી, મીડિયા દ્વારા દુર્ગાની ઇમેજ સ્થાપીને તેઓ વડાં પ્રધાન નહોતાં બન્યાં. ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં મોટો ફરક આ છે. સંકટ ૧૯૭૧ જેવું જ છે, પણ ભડવીર હોવાની ઇમેજ આડી આવે છે. ઇન્દિરા ગાંધીથી ઊલટું ચીનના પ્રશ્ને ભારતની ભૂમિકાથી જગતને વાકેફ કરવા માટે નરેન્દ્ર મોદીની સરકારે હજી સુધી કોઈ પ્રયતïનો કર્યા હોય એવું જોવા મળ્યું નથી. વડા પ્રધાનને ભડવીરની ઇમેજ નડતી હોય તો વિદેશપ્રધાન સુષમા સ્વરાજને કાગારોળ કરતાં આવડે છે. તેઓ લાંબું વિચારી શકે છે, પરિપક્વ વિવેકી છે એટલે ચીનનો હવાલો તેમને સોંપી દેવો જોઈએ. ગલઢા ગાડાં વાળે એ ન્યાયે વિવેકવૃદ્ધ સુષમા સ્વરાજ સિક્કિમની સરહદેથી કદાચ ચીનનાં ગાડાં વાળી શકે એમ છે.

એક પ્રસંગ યાદ આવે છે. ૨૦૧૪માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સેક્રેટરી-લેવલે ચર્ચા નક્કી થઈ હતી. ચર્ચા પહેલાં પાકિસ્તાનના ભારત ખાતેના એલચીએ કાશ્મીરના હુર્રિયતના નેતાઓને મળવા બોલાવ્યા હતા. ભારતે એનો વિરોધ કર્યો અને મંત્રણા રદ કરી નાખી. અત્યારે ચીનના ભારત ખાતેના એલચી ભારતના નેતાઓને તો મળે છે, પણ વિશ્વદેશોના એલચીઓને પણ મળે છે અને હદ તો એ વાતની છે કે તેઓ ભુતાનના રાજાને મળવા થિમ્પુ ગયા હતા અને નેપાલના વડા પ્રધાનને મળવા કાઠમાંડુ પણ ગયા હતા. એક તરફ ઓવર-રીઍક્ટ કરવાનું અને બીજી તરફ અપમાન સહન કરી લેવાનું એ નીતિ બરોબર નથી.

જાગ્યા ત્યાંથી સવાર એ ન્યાયે વડા પ્રધાને માફકસરની મુત્સદ્દીગીરી અપનાવવી જોઈએ. પાકિસ્તાનને ધમકાવવાની જરૂર નથી અને ચીનથી ડરવાની જરૂર નથી. મુત્સદ્દી વાપરીને ચીનની નીચેથી ફસાયેલો હાથ હળવેકથી કાઢી લેવાનો છે. એને માટે કાગારોળ કરવી પડે તો એ પણ મુત્સદ્દીગીરીનો ભાગ છે. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. આ જગતમાં કોઈ રુસ્તમ હોતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો વડા પ્રધાને ભડવીર હોવાની ઇમેજની કેદમાંથી બહાર આવવાની જરૂર છે અને એ જો અઘરું લાગતું હોય તો આગળ કહ્યું એમ વિવેકવૃદ્ધ સુષમા સ્વરાજને ચીનનો હવાલો સોંપી દેવો જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2017

Loading

24 July 2017 admin
← રમણ સોનીનું અવલોકન-વિશ્વ
जेएनयू में टैंक तो कॉलेजों में? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved