(વસંતતિલકા)
આજે પથારીવશ તું પડી, ક્ષીણ કાય,
ભાંગી પડી તનથી, ત્રસ્ત હતાશ હૈયે,
ઉલ્લાસહીન, દુ:ખિની, ગણતી, વિચારે:
“રે કેટલા દિવસ માસ ને વર્ષ મારે
બાકી રહ્યા કઠણ છે હજી જીવવાના?
મેં પાપ તો જરૂર કૈંક કર્યા હશેને,
જેની સજા કપરી આજ હું ભોગવું છું.
હે નાથ, માફ કર તું બસ લે ઉપાડી.”
“આજે ભલે વિવશ તું, સખી, યાદ કિન્તુ
છે ને તને? દિવસ, માસ, અનેક વર્ષો–
દામ્પત્ય રમ્ય ઉજવ્યું ઉરને ઉછાળે!
ઉલ્લાસથી, પ્રણયથી, વળી ઉજવીશું
જે બાકી છે જીવન તે હજી ધન્ય ઝાઝું,
આ પ્રેમને દિવસ ના સખી ભૂલતી તે.”
– નટવર ગાંધી
આસ્વાદઃ
બકુલા ઘાસવાલા પન્નાને દરેક જન્મદિને અને વેલેન્ટાઈન ડે પર જીવનસાથી નટવર ગાંધી તરફથી એક સોનેટ અને ગુલાબગુચ્છની સદાબહાર કાવ્યકૃતિ ભેટ મળે છે. આ ઘટના નેબર્સ એન્વી ઓનર્સ પ્રાઈડ જેવી છે. આ વખતનું સોનેટ પન્નાબહેનની ત્રસ્ત, માનસિક અને શારીરિક રીતે ગ્રસ્ત, નિરાશાજનક અને હતાશાની લાગણીઓમાંથી એમને મુક્ત કરવામાં સફળ થાય એવી રચના દ્વારા નટવરભાઈએ સપ્રેમ ભેટ આપ્યું છે.
પન્નાબહેન અને નટવરભાઈ ભારત આવેલાં ત્યારે પન્નાબહેન પડી ગયેલાં અને એમને વ્હીલચેરને વ્હાલી કરવી પડી. આવું પરાવલંબી જીવન પન્નાબહેન માટે અસહ્ય બની રહ્યું અને એમનો બળાપો Self guilt સુધી પહોંચ્યો, એમને લાગ્યું કે મેં શું પાપ કર્યા હશે કે આ સજા? એક વાત કહું? આ ઉપરવાળાને આપણે પરમપિતા-માતા કહીએ છીએ તે શું સજા કરવા જ બેઠાં છે? નટવરભાઈ કહે છે કે ભલે આજે તું વિવશ છે પરંતુ ઉરને ઉછાળે સદાબહાર જિંદગી આપણે જીવ્યાં છીએ. હજી જીવીશું પ્રેમ અને ઉમંગથી બાકીની જિંદગી. આ મિજાજ નટવરભાઈનો છે જેમની પ્રેમભરી માવજત.
એમની સખીને ઉત્સાહિત કરશે જ. પ્રેમાળ વ્યક્તિનો નાનકડો વહાલભર્યો સ્પર્શ પણ ચેતનવંત રહેવા માટે ખૂબ ઉપયોગી છે. જિંદગીને માણવાની તક ન ચૂકવી એ નટવરભાઈનો તકિયાકલામ છે અને એમનું આવું વલણ જ પન્નાને પ્રસન્નતાની લહેરે ઝુલાવશે. પન્નાબહેન, તમે તો અમારાં જેવાં કેટલાં ય મિત્રો અને સખીઓનાં આદર્શ છો. પ્રેમની સાચી વિભાવના તમારી પાસે જડી છે ત્યારે તમારી હતાશા ન પરવડે. પ્રેમ હોવો અને પ્રેમની લાગણી વ્યક્ત કરવી એ મારે માટે તો ખૂબ જ અનોખી બાબત છે.
તમે વહેલાં સારાં થઈ જાઓ એવી આશા સહ પન્નાને સોનેટ દ્વારા જીવવાની જડીબુટ્ટીની ભેટ આપનાર આ જીવનસાથી અને કવિને દિલથી સલામ.
*******
![]()

