Opinion Magazine
Number of visits: 9674753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—328

દીપક મહેતા|Opinion - Opinion|14 February 2026

વેલેન્ટાઇન ડેના સપરમા દિવસે : હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમનાં જ્ઞાન ઓછાં છે    

૧૯૨૪ના વરસની એક સાંજ. મુંબઈનો ‘પિલા (પ્લે) હાઉસ’ તરીકે ઓળખાતો વિસ્તાર. ત્યાં આવેલું વિક્ટોરિયા થિયેટર. શેર બજારના શેઠિયાઓથી માંડીને ઘોડા ગાડીવાળા સુધીનાની ભીડ સાંજથી વધતી જાય છે. કારણ? કારણ આજે લક્ષ્મીકાન્ત નાટક સમાજનું એક નવું ગુજરાતી નાટક ભજવાવાનું છે : માલવપતિ મુંજ. રાતના સાડા નવે પોટાશનો ધડાકો થાય છે, અને ધીમે ધીમે પડદો ખૂલે છે. મુંજના પાત્રમાં છે ગાયક – નટ માસ્ટર અશરફખાન. રાજા તૈલપ, તેની બહેન મૃણાલવતી, અને રાજા મુંજ – એ ત્રણની આસપાસ ફરતું આ નાટક કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત નવલકથા ‘પૃથિવીવલ્લભ’ને આધારે લખ્યું છે પ્રભુલાલ દ્વિવેદીએ. અને માસ્ટર અશરફખાનના પહાડી અવાજમાં એક ગીત વહેતું થાય છે :

હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમનાં જ્ઞાન ઓછાં છે,

ન પરવા માનની તોયે, બધાં સન્માન ઓછાં છે. 

તરી જાવું બહુ સહેલું છે, મુશકીલ ડૂબવું જેમાં,

એ નિર્મળ રસ સરિતાથી, ગંગાસ્નાન ઓછાં છે.

પ્રણય કલહે વહે આંસુ, ચૂમે ચાંપી હૃદય સ્વામિન્,

અરે, એ એક પળ માટે, જીવનનાં દાન ઓછાં છે.

ગીતોને વન્સ મોર પર વન્સ મોર. ઇન્ટરવલમાં શેઠ, શેઠાણી અને ‘બાબા શેઠ’ ફેરિયાનાં ખારાં બદામ-પિસ્તાંનાં ‘ઊડ ઊડ’ પડીકાં ઝીલી તેમાંનાં ખારાં પિસ્તાં ફોલીને ખાય છે. એક અંક પછી બીજો, પછી, ત્રીજો, પછી … સવારે સાડા ચારે નાટક પૂરું થાય છે. 

આજે નથી રહ્યું એ ૧૮૬૯માં બંધાયેલું વિક્ટોરિયા થિયેટર. પછીથી ફિલ્મોનો જમાનો આવ્યો ત્યારે એ બન્યું ‘તાજ ટોકીઝ’. પછી એય ગયું અને તેની જગ્યાએ ઊભું થયું એક શોપિંગ સેન્ટર. પણ આજે ૧૪મી ફેબ્રુઆરીએ ત્યાંથી પસાર થશો, અને તમારા કાન સરવા અને નરવા હશે, ગરવાં ગીતો સાંભળવા ટેવાયેલા હશે, તો તમને સંભળાશે એ શબ્દો, માસ્ટર અશરફખાનના ગળામાંથી નીકળતા : ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે’.

માસ્ટર અશરફખાન 

હા, જી. અમે જાણીએ છીએ કે વાચકમિત્રો વિમાસણમાં પડ્યા હશે કે ક્યાં ગયા પેલા પોલીસ કમિશનર ફોર્જેટ, ક્યાં ગયા ૧૮૫૭ના ‘બળવા’ના એ દિવસો? અને ક્યાંથી આવી ચડ્યા કે પડ્યા આ માસ્ટર અશરફખાન! પણ આજે કઈ તારીખ છે એ યાદ કરશો તો સમજાઈ જશે આ બધું. કારણ આજનો દિવસ એટલે ફોર્જેટની બંદૂકનો દિવસ નહિ, પણ કટારીનો દિવસ. અને એ કટારી પણ પાછી સોનાની : ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની, રે, મને લાગી કટારી પ્રેમની.’ 

મુંબઈ શહેરમાં જ નહિ, આખા મુંબઈ ઇલાકામાં (જેમાં આજના ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થતો હતો) ગુજરાતી નાટકની શરૂઆત કરી પારસી બિરાદરોએ. મુંબઈમાં. દાદાભાઈ નવરોજીની પ્રેરણાથી સ્થપાયેલી ‘પારસી નાટક મંડળી’એ ૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯મી તારીખે, ગ્રાન્ટ રોડ પર જગન્નાથ શંકરશેઠે બંધાવેલા થિયેટરમાં ‘રુસ્તમ અને શોરાબ’ નામનું નાટક ભજવ્યું અને સાથે ભજવ્યું ‘ધનજી ગરકનું ફારસ.’ 

પારસી નાટક મંડળીએ પહેલેથી જ નાટક સાથે સંગીતને પણ જોડ્યું. હા, શરૂઆતમાં નાટક પૂરું થયા પછી ચાર-પાંચ ‘પોરિયાઓ’ (એ વખતે ‘પોરીઓ’ સ્ટેજ પર આવતી જ નહિ) સ્ટેજ પર આવી થોડાં ગીતો ગાઈ જતા. પણ પછી થોડા જ વખતમાં ગીત-સંગીતને નાટકની અંદર સમાવી લીધાં. એ ગીતોમાં એક બાજુ પશ્ચિમી સંગીતના સૂરો હતા, તેમ બીજી બાજુ આપણા શાસ્ત્રીય સંગીતના સૂરો પણ હતા. ૧૮૭૧માં ભજવાયું એદલજી ખોરી(૧૮૪૭-૧૯૧૭)નું નાટક ‘સોનાના મૂલની ખોરશેદ.’ એ નાટકનું એક ગીત :

બિન પિયા ઘટા નહિ ભાવે,

રેહ રેહ દેખકુ ગભરાવે,

બીજલી કી ચમક તરપાવે, ડરાવે,

બિન પિયા ઘટા નહિ ભાવે.

આમાં છે ક્યાં ય પારસી બોલી? શાસ્ત્રીય સંગીતની ‘ચીજ’ ગવાતી હોય એવું જ લાગે, આજે ૧૪મી ફેબ્રુઆરીએ સાંભળીએ તો પણ. તો આ જ એદલજી ખોરી ઉર્દૂ જબાનમાં ગઝલ પણ લખે, પ્રેમની જ તો!

આંખ ક્યૂં તૂને ભલા, હમસે મિલાઈ પ્યારે!

બૂઝ ગયીથી સો ફેર અબ, આગ લગાઈ પ્યારે!

મૈ સિવા તેરે કિસિકું ભી ન દેખું હરગીઝ,

સામને અપને અગર હોવે ખુદાઈ પ્યારે!

ખુરશેદજી બાલીવાલા 

તો વિક્ટોરિયા થિએટરના છેલ્લા માલિક, નટ, નાટ્યલેખક ખુરશેદજી બાલીવાલા, ‘રોશન’ શુદ્ધ ગુજરાતીમાં દોહરા લખે છે :

ચંદા તુજ ચમકાટ પર, ચકોર બની ગઈ હું,

ચાતક સમ તુજ પ્રીતની, હું પ્યાસી બહુ થઈ છું.

હરદમ તુજના નામની, હું જાપ કરું દિલદાર,

તન બદન કુરબાન કરી, પૂજું સનમ સરદાર.

૧૯૦૭માં બાલીવાલાએ પીલાહાઉસ વિસ્તારમાં ‘બાલીવાલા ગ્રાન્ડ થિયેટર’ બંધાવ્યું જે એ વખતના મુંબઈના પોલીસ કમિશનર એચ.જી. ગેલ દ્વારા ખુલ્લું મૂકાયું હતું. આ ગેલસાહેબ મુંબઈના પહેલા પોલીસ કમિશનર હતા જેમને સરકારે મોટર ફાળવી હતી. તે પહેલાંના બધા પોલીસ કમિશનર ઘોડાનો ઉપયોગ કરતા. ૧૯૪૭ પછી આ થિયેટર સિનેમા ઘર બન્યું ત્યારે તેનું નામ પડ્યું ‘દોલત ટોકીઝ.’

આજે આપણે જેને ‘ધંધાદારી રંગભૂમિ’નું લેબલ લગાડી દીધું છે એ જ રંગભૂમિ પર કવીશ્વર દલપતરામ, નર્મદ, મણિલાલ નભુભાઈ જેવા પ્રતિષ્ઠિત લેખકોનાં નાટકો પણ ભજવાતાં. મણિલાલનું ‘નૃસિંહાવતાર’ નાટક ૧૮૯૯માં ગુજરાતી નાટક મંડળી દ્વારા ભજવાયું હતું. તેમાંનું એક ગીત :

રસબસ ભીની હો રાજ, લગન મારી રસિયા સંગે,

તનમનથી લાગી લગન મારી રસિયા સંગે.

પ્રેમે ભીની પોયણી, ચંદા નભમાં દૂર,

જે જેની નજરે વસે તે તો નિશદિન તેની હજૂર. 

વસંતવિજય, ચક્રવાકમિથુન, દેવયાની જેવાં ખંડકાવ્યોને પ્રતાપે ગુજરાતી કવિતામાં અનોખું સ્થાન ધરાવતા કવિ કાન્તે પણ નાટકો લખેલાં, અને એ રંગભૂમિ પર ભજવાયેલાં પણ ખરાં. તેમનું જાલિમ ટુલિયા નાટક દેશી નાટક સમાજે ૧૯૦૯માં ભજવેલું. તેમાંનું એક અલ્લડ પ્રણયગીત :

વાંકડિયા વાળ પર મોહી, 

છબીલા હું તો વાંકડિયા વાળ પર મોહી, 

વાંકડિયા વાળ, તારો વાંકડિયા ફેંટો, 

ભ્રમર કમાન વાંકી જોઈ.   

વાંકી વાંકી ચાલ તારી, ગરદનની ઢાલ વાંકી,

રાખી છેલ બાંકા વાંકુ જોઈ,

વાંકલડી નજરે શું ચોર ચોરી લીધું તે એ,

હું તો બેઠી મારું સર્વ ખોઈ.

રમણલાલ વસંતલાલ દેસાઈ 

ગાંધીયુગના ગુજરાતની આબેહૂબ છબી ઝીલતી નવલકથાઓને કારણે ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ જેમને મળ્યું તે રમણલાલ વસંતલાલ દેસાઈની લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત નાટકકાર તરીકે થયેલી. તે એટલે સુધી કે ગુજરાતી લેખકો વિશેનો ૧૧ ભાગમાં પ્રગટ થયેલો માહિતીકોશ ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ ૧૯૩૦માં પ્રગટ થયો ત્યારે તેમાં રમણલાલનો પરિચય એક આગળ પડતા નાટકકાર તરીકે અપાયો છે, અગ્રણી નવલકથાકાર તરીકે નહિ. એ જમાનામાં રમણલાલનાં નાટકો રંગભૂમિ પર સફળતાથી ભજવાતાં. તેમનું શંકિત હૃદય નાટક વડોદરાના ‘રસમંડળ’ દ્વારા ૧૯૨૫માં ભજવાયેલું. તેમાંનું એક પ્રેમગીત :

મારી મદભર આંખ ઘેરાણી, ઝુલાવો ધીમે હજી ધીમે પ્રાણ,

નીંદભર્યા અમ પાસે પ્રિયતમ રાખીએ ચિત્ત ચકોર,

જો જો સલૂણા ફાટે નહિ, મારા નવરંગ સાળુની કોર.

કુળી કુળી ચૂંટી મેંદી મૂકયો મેં પાનીએ કુમકુમ રંગ,

આછો ઉઘાડ ઝૂલાવતા બળથી, ઊડશે લહરી સંગ.

વેગળાં લ્યો જરી નયનો બ્હીતાં, નાસતાં ખંજન લોલ,

કીકી તણો પડછાયો પડી, મારા કાળા થાય કપોલ.

૧૯૯૨માં રમણલાલની જન્મશતાબ્દીની ઉજવણીના એક ભાગ તરીકે ‘શમણાં’ નામની એક કેસેટ બહાર પડી હતી. (જી, હા. એ જમાનો કેસેટનો હતો, સી.ડી .હજી આવી નહોતી.) તેમાં કૌમુદી મુનશીએ આ ગીત અત્યંત માધુર્યસભર કંઠે ગાયું હતું. અને ઓછી જાણીતી વાત એ કે આ ગીતનું સ્વરાંકન કૌમુદીબહેને પોતે જ કર્યું હતું.

ભાંગતી ભાંગવાડી

અને હવે જઈએ ‘જૂની’ ગુજરાતી રંગભૂમિના પિયર જેવી ભાંગવાડી. આજે તો ત્યાં પણ શોપિંગ સેન્ટર ઊભું છે. પણ એક જમાનો હતો જ્યારે વહેલી સવાર સુધી અહીં નાટકના સંવાદોના અને ગાયનોના પડઘા ફેલાયા કરતા. અને એ સેંકડો, બલકે હજારો ગાયનોમાંથી કોઈ એક જ પસંદ કરવાનું હોય તો? સ્વયંવરમાં પતિ પસંદ કરવા કરતાં ય વધુ અઘરું કામ. આ લખનારના જન્મ પહેલાં એક વરસે, ૧૯૩૮માં પહેલી વાર ભજવાયેલું નાટક, વડીલોના વાંકે. લેખક પ્રભુલાલ દ્વિવેદી. પણ એ નાટક કાકા (પિતાને અમે કાકા કહેતા), મા, ભાઈદાદા અને બીજાં કુટુંબીજનો સાથે ભાંગવાડીમાં જોયાનું બરાબર યાદ છે. અને એના કરતાં ય વધુ યાદ છે, ના, ના, યાદ નહિ, અવારનવાર કાનમાં જ નહિ, મનમાં ગુંજ્યા કરે છે તે તો માસ્ટર કાસમભાઈએ બેસાડેલી તરજ પર એ વખતની રંગભૂમિ પર મહારાણીની જેમ છવાઈ ગયેલાં મોતીબાઈ અદ્ભુત અભિનય અને અદ્ભુત કંઠે ગાતાં એ ગીત :

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા.

જોતી’તી વહાલાની વાટ રે, 

અલબેલા કાજે ઉજાગરા. 

પગલે પગલે એના ભણકારા વાગતા, 

અંતરમાં અમથા ઉચાટ રે। … અલબેલા કાજે 

બાંધી મેં હોડ આજ નિંદરડી સાથ ત્યાં 

વેરણ હિંડોળા ખાટ રે … અલબેલા કાજે 

ઘેરાતી આંખડીને દીધા સોગન મેં 

મટકું માર્યું તો તારી વાત રે … અલબેલા કાજે 

આજના તો જાગરણે આતમા જગાડ્યો 

જાણે ઊભી હું ગંગાને ઘાટ રે … અલબેલા કાજે 

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા. 

મોતીબાઈ

આ મીઠા ઉજાગરા ગુજરાતી રંગભૂમિને ફળ્યા એવા આજે, વેલેન્ટાઇન ડેના સપરમા દિવસે સૌ પ્રેમીઓને ફળજો.

e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 ફેબ્રુઆરી 2026

Loading

14 February 2026 Vipool Kalyani
← આનંદ તેલતુંબડેની જેલડાયરી

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved