Opinion Magazine
Number of visits: 9666242
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 February 2026

ચાર્લ્સ ડાર્વિન

ર્જાતાં સાહિત્યનું આત્મકથા સ્વરૂપ મોટેભાગે આપવીતી, સ્મરણો કે બચાવનામા માટે આલેખાતું હોય છે. ઓશો રજનીશ આત્મકથાને અહંકાર કથા કહેતા હતા. પરંતુ માનવ ઉત્ક્રાંતિના સત્યના શોધક ચાર્લ્સ ડાર્વિન (જન્મ : 12મી ફેબ્રુઆરી,1809, અવસાન : 19મી એપ્રિલ, 1882)ની આત્મકથા જરા જુદા ઉદ્દેશથી લખાયેલી છે. ડાર્વિન લિખિત પચાસ કરતાં વધુ પુસ્તકો તેમની હયાતીમાં જ પ્રકાશિત થયાં છે. પરંતુ તેમણે આત્મકથા પોતાના સંતાનો માટે જ લખી હતી અને પ્રગટ કરી નહોતી. વ્યક્તિગત અને અંતરંગ પ્રકારનું આ આત્મકથ્ય તેમના પુત્ર ફ્રાન્સિસ  ડાર્વિને  તેમના અવસાન પછી સંપાદિત કરી પ્રગટ કર્યું હતું. અવસાનના છ વરસો પૂર્વે 1876માં આ આત્મકથા લખાઈ હતી. તેમાં ડાર્વિનના મન અને વ્યક્તિત્વ વિકાસનું એટલું સરસ આલેખન છે કે ‘જે વ્યક્તિને ડાર્વિનની આત્મકથાની ખબર નથી તે ડાર્વિન વિશે કશું જાણતો નથી’ એમ કહેવાય છે. મૂળે રી-કલેક્શન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ માય માઈન્ડ શીર્ષકે લખાયેલી અને CHARLES DARWIN’S AUTOBIOGRAPHY (હિંદી અનુવાદ – ચાલ્સ ડાર્વિન કી આત્મકથા) નામે છ પ્રકરણો અને ૧૦૪ પૃષ્ઠમાં સંપાદિત ડાર્વિનની આત્મકથા સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ છે.

ડાર્વિને આત્મકથામાં લખ્યું છે તે પ્રમાણે ભણવામાં તેઓ નાની બહેન કરતાં પણ નબળા હતા અને બીજા અનેક બાળકોની જેમ તોફાની હતા. આઠ વરસની વયે તેમણે માતા ગુમાવ્યા હતાં. તેમના પિતા એટલા ધનાઢ્ય હતા કે તેમને ક્યારે ય જીવનનિર્વાહ માટે કોઈ કામ-ધંધો કરવો પડ્યો નથી. શાળા શિક્ષણમાં ઠોઠ ડાર્વિનની રુચિ પ્રકૃતિને જાણવામાં તેજ હતી. જીવ-જંતુ, વનસ્પતિ, પશુ-પંખી અને જમીનનાં સૂક્ષ્મ અવલોકનો કરવા અને તેની નોંધો કરવી, નિશાનેબાજી અને શિકાર તેમના પ્રિય કામો હતાં. પરંતુ પિતાને આ ગમતું નહીં.એટલે પિતાએ એક વાર કહ્યું હતું, “તું ખુદના માટે અને પરિવાર માટે એક કલંક બની રહેશે. “

1828 થી 1831 સુધી ડાર્વિન કેમ્બ્રિજ-એડિનબર્ગમાં ભણતા હતા. પિતા તેમને ડોકટર બનાવવા માંગતા હતા પરંતુ તેમનું ચિત્ત બીજી દિશામાં હતું. એટલે તેમને ધાર્મિક શિક્ષણ અપાવી પાદરી બનાવવા વિચાર્યું. આ માટે ડાર્વિન પણ તૈયાર થઈ ગયા. કોઈ ગ્રામીણ વિસ્તારમાં પાદરીનું કામ કરવાનો વિચાર તેમને ગમ્યો હતો એટલે તેમણે ધર્મશાસ્ત્રો સંબંધી પુસ્તકો વાંચવા માંડ્યા. આત્મકથામાં ડાર્વિન લખે છે, “પછીથી કટ્ટરપંથીઓએ (જે રીતે મારા ઊત્ક્રાંતિવાદના સિદ્ધાંતની)  ટીકા કરી તેને જોઈને મને એ વાત ભારે વિચિત્ર લાગી કે મેં કદી પાદરી બનવાનું વિચાર્યું હતું.” 

ભૂસ્તરશાસ્ત્ર, પ્રકૃતિ વિજ્ઞાન, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને સાહિત્યમાં ડાર્વિનની રુચિ હતી. તેઓ તેમના રસ-રુચિના વિષયના અભ્યાસ માટે કઠોર પરિશ્રમ કરતા હતા. તેમણે લખ્યું છે કે, “કોઈ વ્યક્તિ જેટલો કઠોર પરિશ્રમ કરી શકે છે, મેં એટલો પરિશ્રમ કર્યો છે. આનાથી વધુ પરિશ્રમ કોઈ ન કરી શકે.” દુનિયાના સર્વેક્ષણ માટે દરિયાઈ સફરે જતા બીગલ જહાજમાં એક પ્રકૃતિ વિજ્ઞાનના ચાહક તરીકે ડાર્વિનને જગ્યા મળી. અતિ જોખમી અને સાહસપૂર્ણ એવી સમુદ્રી જ્ઞાનયાત્રા લગભગ પાંચ વરસ (27 ડિસેમ્બર, 1831 થી બીજી ઓકટોબર 1836) ચાલી હતી. સંશોધક ડાર્વિને આ યાત્રામાં ભરપુર કામ કર્યું. સવા મહિનો ગાલાપાગોસના નિર્જન ટાપુ પર ગાળ્યો. હજારો નમૂના એકઠા કર્યા અને તેથી પણ વધુ હજારો પાનાંની નોંધો તથા ટિપ્પણીઓ તેમણે પ્રવાસ દરમિયાન કરી હતી. 

આત્મકથાના અંતિમ પ્રકરણમાં ડાર્વિને તેમનાં વિવિધ પુસ્તકો વિશે લખ્યું છે. “ઓરિજિન ઓફ સ્પીસીઝ” તેમનું કીર્તિદા પુસ્તક છે. પુસ્તકનું આખું નામ તો લગભગ ૨૫ શબ્દોનું છે. ડાર્વિનને ઉત્ક્રાંતિવાદનો વિચાર કોઈ તેજ ઝબકારની રીતે આવ્યો નહોતો .. પરંતુ તેની પાછળ તેમની 20 વરસોની જ્ઞાન અને સંશોધન સાધના  હતી. 1859માં “ઓરિજિન ઓફ સ્પીસીઝ” પ્રગટ થયું ત્યારે ભારે ખળભળાટ મચ્યો હતો. માનવ ઉત્ક્રાંતિ અંગેની ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ કરતાં તે જુદા વિચારો ધરાવતું હતું. આ પુસ્તકના લઘુ સંસ્કરણની 1250 નકલો પ્રકાશનના દિવસે જ વેચાઈ ગયાનું ડાર્વિને નોંધ્યું છે. જેમાં ડાર્વિને મનુષ્યના વંશજ તરીકે વાનરને દર્શાવ્યા છે તે પુસ્તક “ડિસેન્ટ ઓફ મેન” છે. જે 1871માં પ્રગટ થયું હતું. તે પછીના વરસે “એક્સ્પ્રેશન ઓફ ધ ઈમોશન્સ ઈન મેન એન્ડ એનિમલ” પ્રકાશિત થયું હતું. કોઈ સામાન્ય લેખકની જેમ ડાર્વિન પણ પોતાના પુસ્તકોની કેટલી નકલો વેચાઈ અને તેની કેટલી સમીક્ષાઓ પ્રગટ થઈ તેની નોંધ રાખતા હતા અને આત્મકથામાં તે હરખ –શોક સાથે જણાવે પણ છે. 

ડાર્વિનની તસવીરોમાં તેઓ લાંબી દાઢીધારી અને ગંભીર પ્રકૃતિના જણાય છે. પરંતુ આત્મકથામાંથી પસાર થતાં તેમની ભીતર રહેલું સંવેદનશીલ માનવ હ્રદય દેખાઈ આવે છે. એડિનબર્ગમાં એક સંશોધકના સહાયક તરીકે કામ કરતા બ્લેકનો ઉલ્લેખ તે આદર સાથે કરે છે. આ શ્યામવર્ણી વ્યક્તિ પક્ષીઓની ખાલ ભરીને તેને જીવિત પક્ષીનો આકાર આપી વેચવાનું કામ કરતો હતો. ડાર્વિન તેને પૈસા આપીને તેના જ્ઞાનનો લાભ લેતા હતા. 

જે બીગલ જહાજના કપ્તાન ફિટ્જ-રોયની કૃપાથી ડાર્વિનને તેમની કેબિનના એક ભાગમાં યાત્રા કરવાનો મોકો મળ્યો હતો તેમણે બીગલ બ્રાઝિલમાં હતું ત્યારે એક વાર વાતચીતમાં ગુલામી પ્રથાની સરાહના અને સમર્થન કર્યુ. ડાર્વિનને ગુલામી પ્રથા સામે વિરોધ અને ઘૃણા હતી. એટલે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને કેપ્ટને ગુલામીના વિરોધની દલીલો કરવા બદલ ડાર્વિનને લાફો મારી કાઢી મૂક્યા હતા. બાવીસ વરસના યુવાન ડાર્વિને આ અપમાન સહી લીધું પણ ગુલામીનું સમર્થન ન કર્યું. એક મહાન વૈજ્ઞાનિકની આ સામાજિક નિસબત સલામલાયક છે. 

સાહિત્ય, સંગીત, નાટક, કવિતા, વાચન વગેરે તેમના જીવનના ભાગ હતા. જો કે સમય બદલાતાં તેમની રસરુચિ પણ બદલાઈ હતી. આત્મકથામાં ડાર્વિન પોતાનો મત કે અભિપ્રાય બેઝિઝક આપે છે. જેમ કે સ્કૂલી છાત્ર તરીકે શેક્સપિયરનાં નાટકો તેમને વાંચવા ગમતાં અને આનંદ આપતા હતા પણ ઉમરના પાછલા પડાવે તેમને શેક્સપિયર વાંચવા અસહ્ય, નિરસ અને ઉબાઉ લાગ્યા હતા. નવલકથાના સુખાંતના તેઓ તરફદાર હતા એટલું જ નહીં નવલકથાના દુખાંત વિરુદ્ધ કાયદો બનાવવો જોઈએ તેમ માને છે. શિકારને તેઓ એક પ્રકારનું બૌદ્ધિક કાર્ય ગણે છે. શિક્ષણ અને શિક્ષકો વિશે પણ તેમણે આકરી ટીકાઓ કરી છે. 

“વિજ્ઞાન પ્રત્યે પ્રેમ, કોઈ વિષય પર લાંબા સમય સુધી ચિંતન કરવાનું અસીમ ધૈર્ય, તથ્યોને સંકલિત કરી પ્રેક્ષિત કરવા માટેનો પરિશ્રમ, પર્યાપ્ત કલ્પનાશીલતા અને સહજ બુદ્ધિ”ને ડાર્વિન અતિ નમ્રતા સાથે પોતાની સાધારણ વિશેષતાઓ જણાવે છે. તેમને એ વાતનું  આશ્ચર્ય છે કે “આટલી સાધારણ વિશેષતાઓ છતાં કેટલીક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક ધારણાઓને તેમણે ઘણી હદે પ્રભાવિત કરી છે.”

ડાર્વિનના જન્મને બસો કરતાં વધુ અને ઊત્ક્રાંતિવાદના સિદ્ધાંતને દોઢસો કરતાં વધુ વરસો પસાર થઈ ગયાં છે. પરંતુ ડાર્વિન અને તેમનો ઉત્ક્રાંતિવાદ વધુને વધુ પ્રસ્તુત છે ત્યારે ગુજરાતના વિજ્ઞાનચાહકો અને અનુવાદકો માટે એ પડકાર છે કે હવે ગાંધી ગિરા ગુજરાતીને વધુ સમય માટે ડાર્વિનની આત્મકથાથી વંચિત ન રાખે.

e.mail : maheriyachandu@gmail.com  

Loading

12 February 2026 Vipool Kalyani
← ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved