ગ્રંથયાત્રા – 25
એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ (૧૮૨૧-૧૮૬૫) ગુજરાત બહાર મુખ્યત્વે ‘રાસમાળા’ના કર્તા તરીકે જાણીતા છે. તેમણે ગુજરાતનાં ઇતિહાસ, કળા, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, વગેરેનો અભ્યાસ કરી તેનું ઉચિત ગૌરવ કર્યું અને ‘રાસમાળા’ના બે દળદાર ગ્રંથ દ્વારા ગુજરાતના ભૂતકાળની મહત્તા પહેલીવાર અંગ્રેજીભાષી વિદ્વાનો અને અભ્યાસીઓ આગળ રજૂ કરી. પણ ‘રાસમાળા’ એ ફાર્બસની એક માત્ર કૃતિ નથી. તેમણે કરેલા બે કૃતિઓના અંગ્રેજી અનુવાદ તરફ આજ સુધીમાં આપણે ત્યાં ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.
ફાર્બસના અવસાન પછી ‘જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી’ના ૧૮૬૭-૭૦ના અંક ૯મા ફાર્બસની બીજી એક કૃતિ પણ છપાયેલી જોવા મળે છે (પા. ૨૦ થી ૧૦૦). અલબત્ત, આ તેમની મૌલિક કૃતિ નથી, પણ રત્નમાળ નામની કૃતિનો અનુવાદ છે. આ કૃતિનું કર્તૃત્ત્વ કૃષ્ણાજી નામના કવિનું હોવાનું મનાય છે. અનુવાદ સાથેની પાદટીપમાં એ જર્નલના સંપાદકે નોંધ્યું છે :
“મને જેવો મળ્યો તેવો જ આ અનુવાદ અહીં છાપ્યો છે. ૧૮૪૯માં આ અનુવાદ કર્યા પછી ફાર્બસે તેમાં કશા સુધારા-વધારા કર્યા નથી.”

|
રત્નમાળનું પહેલું પાનું |

એટલે કે રાસમાળા લખી તે પહેલાં ફાર્બસે આ અનુવાદ કર્યો હતો અને એક વાર કર્યા પછી ફરી મઠાર્યો નહોતો. દલપતરામની મદદથી ફાર્બસે ગુજરાતના ઇતિહાસ અંગેની જે કૃતિઓ એકઠી કરી હતી તેમાં આ રત્નમાળની હસ્તપ્રતનો પણ સમાવેશ થતો હતો. વઢવાણના દેશળજી ગઢવી પાસેથી આ હસ્તપ્રત મળી હતી. એ અધૂરી હતી, છતાં તે ગુજરાતના ઇતિહાસને લગતી હતી તેથી ફાર્બસે દલપતરામ પાસે તેનો ડીંગળમાંથી ગુજરાતીમાં અનુવાદ કરાવ્યો હતો. મૂળ પદ્યમાં લખાયેલી આ કૃતિનો દલપતરામે ગદ્યમાં અનુવાદ કર્યો હતો, અને તેના પરથી ફાર્બસે અંગ્રેજી અનુવાદ કર્યો હતો. પણ ખાસ ધ્યાનપાત્ર બાબત એ છે કે ફાર્બસે પોતાના અનુવાદમાં પદ્યરચનાના બંધને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. આ કૃતિ મેળવવા પાછળ અને તેનો અનુવાદ કરવા પાછળ ફાર્બસનો હેતુ રાસમાળાના લેખનમાં મદદરૂપ થાય તેવી સામગ્રી તૈયાર કરવાનો હતો. અનુવાદ પ્રગટ કરવાનો તેમનો આશય નહિ હોય. આથી તેમણે અનુવાદ માટે પ્રસ્તાવના લખી નથી. આ કૃતિના જે આઠ રત્ન (ખંડ) બચ્યા છે તે મુખ્યત્વે સોલંકી વંશના રાજાઓને લગતા છે. આરંભ રાજા ભુવડની વાતથી થાય છે. પોતે આવાં ૧૦૮ રત્નોની રચના કરવા માગે છે અને રાજા જયસિંહ સિદ્ધરાજ સુધીના વૃત્તાન્તને આવરી લેવા માગે છે એમ તેના કર્તાએ કહ્યું છે. ચાવડા વંશ વિષે સંક્ષેપમાં વાત કર્યા પછી કર્તા રાજા ભુવડ અને ચાવડા વંશના રાજા જય શિખરી વચ્ચેની લડાઈનું વર્ણન કરે છે. ભુવડને હાથે રાજા જય શિખરી મરાય છે અને તેના પુત્ર વનરાજનો જન્મ થાય છે ત્યાં આઠમું (અને અત્યારે મળતું છેલ્લું) રત્ન પૂરું થાય છે. ફાર્બસના અવસાન પછી આ અનુવાદ જસ્ટિસ ન્યુટને ૧૮૬૮ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખે એશિયાટિક સોસાયટીના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો, અને પછીથી સોસાયટીના જર્નલમાં તે પ્રગટ થયો હતો.

| રત્નમાળની હસ્તપ્રત |

ફાર્બસના અનુવાદની વિશિષ્ટતાનો ખ્યાલ આવે તે માટે તેના અનુવાદનો થોડો ભાગ જોઈએ :
Among cows, Kamadhenu is a jewel,
Among trees, the jewel is Mandar,
Among men, the learned man is a jewel,
Among women, the faithful wife is a jewel.
A tailor, an artificer, a wanio, a Bhat,
A barber, an outcast, a potter,
A physician, a man who knows the Veds,
A watchman, a land’s lord, a Josi,
The city in which these are not
Is not a city, but a jangal;
The whole of this flourish then only
When there are good poets.
The past, the future, the present,
Many men and cities we hear of;
But they who obtain a poet,
Their name alone remains famous.
The poet’s verses are pleasing,
Men and women delight to read them,
As a pearl in the world shines,
The drop of rain in the oyster’s mouth.
Therefore Raja Bhuwad, he
Poet’s skill was examining;
Krore on krore of money spending,
He kept them to his own city bringing them.
આ કૃતિ અંગે બીજી એક વાત પણ નોંધવી જોઈએ. ફાર્બસે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ પહેલાં પ્રગટ થયો, મૂળ કૃતિ (જેટલી ઉપલબ્ધ હતી તેટલી) તો છેક ૧૯૦૩માં છપાઈ હતી. રેવાશંકર અંબારામ ભટ્ટે તે છપાવીને પ્રગટ કરી હતી. જો કે પુસ્તકના ટાઈટલ પેજ પર તેમણે આ કૃતિ દલપતરામે લખી હોવાનો ભ્રમ ઊભો થાય તે રીતે તેમનું નામ મૂક્યું છે : “આ ગ્રંથ એલેક્ઝાન્ડર કીન્લાક ફાર્બસ સાહેબે મેળવેલો અને કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ લખેલો.’ આપણે અગાઉ જોયું તેમ દલપતરામ રત્નમાળના કર્તા નથી, અનુવાદક છે. છપાયેલા પુસ્તકમાં દલપતરામે એકઠી કરેલી બીજી કેટલીક સામગ્રી પણ રેવાશંકરે સમાવી લીધી છે.
૧૮૫૬માં પ્રગટ થયેલ અંગ્રેજી રાસમાળાની પ્રસ્તાવનામાં એક વાક્ય આવું જોવા મળે છે :
“પ્રબંધ ચિંતામણીની એક નકલ મને ભેટ આપવા માટે અને તેના અનુવાદમાં અનિવાર્ય એવી મદદ કરવા માટે હું પીરચંદજી ભૂધરજીનો ખાસ આભારી છું.” તેઓ મારવાડના વતની હતા અને જૈન હતા. તેઓ હતા તો વેપારી, અને વેપારીઓ મોટે ભાગે સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોય છે. પણ પીરચંદજી પ્રશિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય બંનેના સારા જાણકાર હતા.
આનો અર્થ એ થયો કે ફાર્બસે ‘પ્રબંધ ચિંતામણી’નો અનુવાદ પણ કર્યો હતો. પણ પ્રસ્તાવનામાંના આ વાક્ય ઉપર આજ સુધી ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું છે. તેનું એક કારણ એ હોઈ શકે કે આભાર દર્શનના ફકરામાંનાં આવાં વાક્યો ઘણાખરા વાચકો વાંચતી વખતે કૂદાવી જતા હશે – એમાં તે શું વાંચવું, એમ વિચારીને. રત્નમાળાનો ફાર્બસે કરેલો અનુવાદ એશિયાટિક સોસાયટીના જર્નલમાં પ્રગટ થયો ત્યારે જસ્ટિસ ન્યૂટને સાથે એક નાની નોંધ ઉમેરી હતી. તેમાં તેમણે પણ ફાર્બસે કરેલા પ્રબંધ ચિંતામણીના અનુવાદનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહિ, ફાર્બસે પોતાના અનુવાદને અંતે મૂકેલી નોંધ પણ તેમણે શબ્દશઃ ટાંકી હતી :
“જો આ પુસ્તક બીજા કોઈના હાથમાં આવે તો મારે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ અનુવાદ સો ટકા સાચો છે એવો મારો દાવો નથી. મારા પોતાના ઉપયોગ માટે જ મેં આ અનુવાદ તૈયાર કર્યો છે.”
આનો અર્થ એ થયો કે ફાર્બસે કરેલો પ્રબંધ ચિંતામણીનો અનુવાદ જસ્ટિસ ન્યૂટને જોયો હતો. નહિતર તેમણે ફાર્બસે લખેલી નોંધ અહીં શબ્દશઃ ટાંકી હોત નહિ. પણ પ્રબંધ ચિંતામણીનો ફાર્બસે કરેલો અનુવાદ ક્યારે ય પ્રગટ થયો હતો ખરો? બ્રિટિશ લાયબ્રેરી, અમેરિકાની લાયબ્રેરી ઓફ કાઁગેસ, બીજાં કેટલાંક પુસ્તકાલયો, અને ઈન્ટરનેટ પર તપાસ કર્યા છતાં ફાર્બસનો આ અનુવાદ પ્રગટ થયાની માહિતી ક્યાંયથી આ લખનારને મળી નહિ. પણ તો પછી જસ્ટિસ ન્યૂટને અનુવાદની જે હસ્તપ્રત જોઈ હતી તે ક્યાં ગઈ? ફાર્બસે પોતાના સંગ્રહમાંનાં કેટલાંક પુસ્તકો મુંબઈની એશિયાટિક સોસાયટીને ભેટ આપ્યાં હતાં, પણ એ સોસાયટી પાસે એ હસ્તપ્રત નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યા સભા) પાસે નથી. ફાર્બસના અવસાન પછી હસ્તપ્રતો અને પુસ્તકોના તેમના સંગ્રહનો મોટો ભાગ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ ફાર્બસનાં પત્ની પાસેથી ખરીદી લીધો હતો. પછીથી મેળવેલી હસ્તપ્રતોની સાથે એ સંગ્રહ પણ આ સંસ્થાની લાયબ્રેરીમાં પ્રમાણમાં સારી રીતે આજ સુધી જળવાયો છે. આ લખનારે એ સંગ્રહમાં ખાંખાંખોળાં કરવાનું શરૂ કર્યું. અને એક દિવસ આનંદનો પાર ન રહ્યો. સાચા ચામડામાં બાંધેલો એક ચોપડો. સારા, જાડા કાગળ. અને તેમાં ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલો પ્રબંધ ચિંતામણીનો અંગ્રેજી અનુવાદ! દોઢસો વર્ષ કરતાં ય વધુ જૂનો ચોપડો, ફાર્બસના પોતાના મરોડદાર રનિંગ હેન્ડ અક્ષરો! એ પાનાંને અડતાં પણ રોમાંચ થાય! ફાર્બસના અવસાન પછી થોડા વખતમાં જ આ બધી સામગ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મેળવી હતી અને ત્યારથી આજ સુધી આ ચોપડો તેની પાસે જ રહ્યો છે, એટલે ફાર્બસના અવસાન પછી આ અનુવાદ કોઈએ છાપ્યો હોય એ સંભવિત નથી. પણ પછી એક સવાલ થયો: જસ્ટિસ ન્યૂટને જે હસ્તપ્રત જોઈ હતી તે આ જ હસ્તપ્રત? હા ચોક્કસ. પણ ખાતરીથી કેમ કહી શકાય? કારણ જસ્ટિસ ન્યૂટને ફાર્બસની જે નોંધ પોતાની પાદ ટીપમાં ટાંકી છે તે અક્ષરશઃ આ અનુવાદને અંતે જોવા મળે છે.
પ્રબંધ ચિંતામણીના અનુવાદની હસ્તપ્રતને અંતે ફાર્બસે મૂકેલી નોંધ
અનુવાદના પહેલા પાને પોતે આ અનુવાદ કરવાનું કામ ૧૮૪૯ના મે મહિનાની ૨૨મી તારીખે શરૂ કર્યું હોવાનું ફાર્બસે નોંધ્યું છે. એટલે કે રાસમાળા પ્રગટ થઇ તેના કરતાં સાત વર્ષ પહેલાં તેમણે આ અનુવાદ કર્યો હતો. હસ્તપ્રતના છેલ્લા પાનાની નીચે ફાર્બસે તારીખ નાખી છે : ૧૫ ઓગસ્ટ, ૧૮૪૯. એટલે કે ફાર્બસે આ અનુવાદ ત્રણ મહિના કરતાં ય ઓછા સમયમાં કર્યો હતો. પ્રબંધ ચિંતામણી જેવી કૃતિનો અનુવાદ આટલા ટૂંકા સમયગાળામાં કરવો એ સહેલી વાત નથી.
ઈ.સ. ૧૩૦૪માં વર્ધમાન પૂરમાં જૈન સાધુ મેરુતુંગાચાર્યે લખેલા આ પ્રબંધમાં સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ, અને કેટલીક સ્થાનિક બોલીઓનો ઉપયોગ થયો છે. આમ, એક કરતાં વધુ ભાષાને કારણે તેનો અનુવાદ કરવાનું કામ વધુ મુશ્કેલ બને છે. ગુજરાતના અને તેની આસપાસના પ્રદેશના રાજાઓ, તેમનાં જીવન, શાસન, યુદ્ધો, તેમાં મળેલા વિજયો કે પરાજયો વગેરેની વાત આ ગ્રંથમાં થઇ છે. જુદા જુદા રાજાઓને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ પણ તેમાં વણી લેવાયા છે. રાજ દરબારની રીતભાત, કવિઓ વચ્ચે યોજાતી સ્પર્ધાઓ, વગેરેની વિગતો પણ તેમાં વણી લેવાઈ છે.
આ અનુવાદ કરવા પાછળનો ફાર્બસનો હેતુ રાસમાળાના લેખનમાં ઉપયોગી થાય તેવી સામગ્રી એકઠી કરવાનો હતો. તેથી તેમણે સમગ્ર કૃતિનો અનુવાદ કર્યો નથી. તેના પાંચ ‘પ્રકાશ’માંથી પહેલા બેનો અનુવાદ ફાર્બસે કર્યો નથી. માત્ર ત્રીજા, ચોથા, અને પાંચમાં ‘પ્રકાશ’નો અનુવાદ કર્યો છે. હિસાબ માટેના ચોપડા(લેજર)ના કદના દરેક પાનાને ફાર્બસે બે કોલમમાં વહેંચ્યું છે. ડાબી બાજુની કોલમ મોટે ભાગે કોરી રાખી છે. માત્ર કેટલીક નોંધ કે સંસ્કૃત શબ્દોના અર્થ ડાબી કોલમમાં નોંધ્યા છે. અનુવાદ જમણી કોલમમાં લખ્યો છે. આમ કેમ કર્યું હશે? એક કારણ એ હોઈ શકે કે પછીથી મૂળ કૃતિનો પાઠ બીજા કોઈ પાસે ડાબી કોલમમાં લખાવી લેવાનું તેમણે વિચાર્યું હોય. પણ વધુ સંભવિત કારણ એ છે કે હાથે લખાતી હસ્તપ્રતમાં પાનાની નીચે પાદ ટીપ લખવાનું ફાવે નહિ. તેથી પાદ ટીપ જેવી નોંધો લખવા માટે તેમણે ડાબી કોલમ રાખી હોય.
આજથી ૧૭૭ વર્ષ પહેલાં એક અંગ્રેજ અમલદાર પ્રબંધ ચિંતામણી જેવી કૃતિનો અંગ્રેજી અનુવાદ કરે અને તેની હસ્તપ્રત આજ સુધી સચવાઈ રહે, અને તે પણ પ્રમાણમાં સારી હાલતમાં, એ નાનીસૂની વાત નથી. હવે આ અનુવાદ ગ્રંથ રૂપે પ્રગટ થાય તો ફાર્બસના ગુજરાત-યજ્ઞનું એક વધુ સમિધ અભ્યાસીઓ સુધી પહોચી શકે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
04 ફેબ્રુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com
![]()

