Opinion Magazine
Number of visits: 9446695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મ નિરપેક્ષતા નવો ધર્મ છે? રહને દે, તું નહીં સમઝેગા

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 May 2016

વિશ્વના એકમાત્ર મુસ્લિમ બહુમતવાળા દેશ તુર્કીમાં સંવિધાનમાંથી ધર્મનિરપેક્ષ શબ્દ (ટર્કીમાં એના માટે ‘લઇસાઇટ’ શબ્દ છે) હટાવવાનો વિવાદ થયો છે. તુર્કીની સંસદમાં અત્યારે નવા સંવિધાન પર બહસ ચાલે છે. સંસદના સ્પીકર ઇસ્માઇલ કહેરામણે માગણી કરી છે કે 97 પ્રતિશત મુસ્લિમ વસ્તીવાળા દેશના સંવિધાનમાં ‘સેક્યુલર’ શબ્દ બેમતલબ છે અને નવું સંવિધાન ધાર્મિક હોવું જોઈએ. તુર્કીના પ્રધાનમંત્રી અહેમત દાવતોગ્લુએ કહ્યું છે કે તુર્કીના સ્થાપક મુસ્તફા કમાલ અતાતુર્કે ધર્મશાસિત ઓટોમાન સામ્રાજ્યના ભંગારમાંથી આધુનિક તુર્કીને ધર્મનિરપેક્ષતાની જમીન પર ઊભું કર્યું હતું, એટલે સંવિધાનમાં અલ્લાહ કે ઇસ્લામનો ઉલ્લેખ કતઈ શક્ય નથી.

ભારત ધાર્મિક દેશ છે એવી માન્યતા એટલી વ્યાપક છે કે હિન્દુઓના પાૈરાણિક ગ્રંથ વેદમાં અને વ્યાપક સંસ્કૃત સાહિત્યમાં ઈશ્વરનો કોઈ જ સંદર્ભ નથી, એ માનવું અઘરું છે.

ધર્મસત્તા અને ધર્મનિરપેક્ષતા અથવા આસ્તિકતા અને નાસ્તિકતાની બહસ બહુ જૂની છે. ગેલોપ નામની જનમત સંગ્રહ કરતી એજન્સીના એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રમાણે 2005થી 2011 દરમિયાન 57 દેશોમાં ધર્મોમાં માનતા લોકોની સંખ્યા 77 પ્રતિશતથી ઘટીને 68 પ્રતિશત થઈ છે. જાપાન, યુનાઇટેડ કિંગ્ડમ, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, ઝેક રિપબ્લિક, ઑસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ અને ઉરૂગ્વે એક સદી પહેલાં ખૂબ જ ધાર્મિક હતા, પણ અત્યારે ત્યાં શ્રદ્ધાળુઓની સંખ્યા સૌથી ઓછી છે.

પચાસ વર્ષ પહેલાં ‘ટાઇમ’ નામની પત્રિકાએ ‘ઇઝ ગોડ ડેડ?’ (ઈશ્વર મરી ગયો છે?) શીર્ષક હેઠળ ફેમસ લેખ પ્રગટ કર્યો હતો.

જેમાં ભવિષ્યવાણી કરાઈ હતી કે વિજ્ઞાન, ટેક્નોલોજી અને સામ્યવાદના વધતાં ચલણનાં પગલે ઈશ્વરનું અસ્તિત્વ અસંગત અથવા બિનજરૂરી બની રહ્યું છે. ફ્રાન્સ, નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં ધર્મમાં માનતા ન હોય તેવા લોકોની સંખ્યા વધી ગઈ છે. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં ખ્રિસ્તી બહુમતીમાં લગાતાર ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ આફ્રિકા અને ઇસ્લામિક દેશોમાં ધર્મની ચઢતી થઈ રહી છે. બાંગ્લાદેશ મુસ્લિમ દેશ છે અને ત્યાંના કાનૂન ઇસ્લામ આધારિત છે, છતાં તેને ધર્મનિરપેક્ષ દેશ તરીકે ઓળખવામાં આવે છે.

ધર્મનિરપેક્ષ લોકોનો ધાર્મિક લોકોની કટ્ટરતા પ્રત્યેનાે ‘પુણ્યપ્રકોપ’ અને ઈશ્વરાધીન લોકોની સેક્યુલર લોકોની સંવેદનહીનતા પ્રત્યેની નફરતમાં ઝઘડો એ વાતને લઈને છે કે કોનું સત્ય સત્ય અને કોનું સત્ય જૂઠ? આ બહસમાં રસપ્રદ બાબત એ છે કે આસ્તિક અને નાસ્તિક બંનેને પોતાના સત્યમાં શ્રદ્ધા છે. બંને એ શ્રદ્ધાની તાકાતથી વિરોધી શ્રદ્ધા પર પ્રહાર કરે છે.

જો નાસ્તિકને એના મતમાં, વિચારમાં કે સત્યમાં શ્રદ્ધા હોય તો એ પણ ઈશ્વરમાં વિશ્વાસ રાખનાર જેવો જ શ્રદ્ધાળુ ન કહેવાય? ધાર્મિક વ્યક્તિ ઈશ્વરમાં માને અને નાસ્તિક માણસ ઈશ્વર સિવાયની સત્તામાં માને તો એ પણ બે ‘ધર્મો’ વચ્ચેની લડાઈ ના કહેવાય? ઉપર આ લેખનું જે શીર્ષક છે તે તમને વિરોધાભાસી લાગે, પરંતુ સેક્યુલર વિચારની પણ પોતાની જડ માન્યતાઓ અને અંધવિશ્વાસ હોય છે, જે એને સેક્યુલર ધર્મની કક્ષાએ લઈ જાય છે.

ધર્મની સાદી વ્યાખ્યા પ્રમાણે માણસથી ઉપર ઈશ્વરીય સત્તામાં શ્રદ્ધા અને એ સત્તાની ઉપાસના માટેની સંગઠિત રીતિ-વિધિ. સેક્યુલર એટલે ધાર્મિક શ્રદ્ધા અને ઉપાસનાનો ઇન્કાર. જે સેક્યુલર છે તે વાસ્તવમાં ઈશ્વરીય શક્તિ કે શાસનમાં માનતો નથી. સેક્યુલર લોકો નાસ્તિક હોય છે. સેક્યુલર લોકોની વિચારધારામાં આધ્યાત્મિક, અલૌકિક કે ધાર્મિક તત્ત્વો હોતાં નથી, પરંતુ એમના પોતાના વૈચારિક સંપ્રદાયો, વૈચારિક ગુરુઓ અને વૈચારિક રિવાજો હોય છે, જે એમને ધર્માંધતાની લગોલગ મૂકે છે. 

આને બિનસાંપ્રદાયિક ધર્મ કહેવાય. આને નાસ્તિક ધર્મ પણ કહેવાય. પશ્ચિમમાં 19મી સદી અને 20મી સદીના પ્રારંભમાં ધર્મનો પ્રભાવ ઘટવા લાગ્યો ત્યારે ‘અનાથ’ બનેલી માણસની ભાવનાએ સામ્યવાદ, ફાસીવાદ અને બીજી યુરોપિયન વિચારધારાઓમાં શરણ લીધું હતું. અમુક લોકોને ગુરુ અને ઈશ્વરના બદલે કલાકારો, સંગીતકારો અને લેખકોમાં ‘તારણહાર’ નજર આવવા લાગ્યા અને એમની વાતો અને વિચારોએ શાસ્ત્રો અને સત્યનું સ્થાન લઈ લીધું.

દ્વિતીય મહાયુદ્ધ શરૂ થયું ત્યારે માર્ક્સવાદ અને સમાજવાદે એકાધિકારવાદી મસીહાઇ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાર્લ માર્ક્સ, જેણે માનવ ઇતિહાસમાં સૌથી તાકાતવર નાસ્તિક વિચારધારા પેદા કરી હતી, એ ખુદ કરોડો લોકો માટે મસીહા બની ગયો હતો. એક સમયે અડધી પૃથ્વી પર સામ્યવાદી સમાજ અને સરકારો હતી. એ સમયે સામ્યવાદ સૌથી મોટો સેક્યુલર ધર્મ બની ગયો હતો અને એનો કમ્યુિનસ્ટ મેનિફેસ્ટો ગીતા, બાઇબલ, કુરાનની સમકક્ષ પવિત્ર ગ્રંથ બની ગયો હતો.

એક્ચ્યુઅલી નાસ્તિકતા પણ એક પ્રકારનો ધર્મ જ છે એવી સમજ ભારતીય પરંપરામાં બહુ જ સહજ અને સ્પષ્ટ છે. એના માટે સંસ્કૃતમાં નિરીશ્વરવાદ શબ્દ છે. ભારતમાં સાંખ્ય દર્શન, મિમાંસા દર્શન, ચાર્વાક, બૌદ્ધ અને જૈન દર્શન આવા નિરીશ્વરવાદી ધર્મો છે. નિરીશ્વરવાદનો મતલબ ઈશ્વરનું અનસ્તિત્વ અને શ્રદ્ધાના સ્થાને સંશયનો સ્વીકાર.

ભારત આધ્યાત્મિક અને ધાર્મિક દેશ છે એવી માન્યતા એટલી વ્યાપક છે કે હિન્દુઓના પૌરાણિક ગ્રંથ વેદમાં અને વ્યાપક સંસ્કૃત સાહિત્યમાં ઈશ્વરનો કોઈ જ સંદર્ભ નથી એ માનવું અઘરું છે. 14મી સદીના ચિંતક માધવ આચાર્યએ ‘સર્વ-દર્શન-સંગ્રહ’ નામના અદ્ભુત ગ્રંથમાં હિન્દુ ધાર્મિક વિચારધારાઓની ચર્ચા કરી હતી. એનું પ્રથમ પ્રકરણ જ નિરીશ્વરવાદ ઉપર છે. નવ હિન્દુ વિચારધારાઓમાંથી આઠમા ઈશ્વરને કોઈ સ્થાન નથી. એકમાત્ર ઉત્તર મિમાંસા(જે વેદાંત તરીકે પણ ઓળખાય છે)માં ઈશ્વરનો સંદર્ભ છે. 

આ અને પશ્ચિમના તાઓવાદ, કન્ફ્યુશિયસવાદ અને ખ્રિસ્તી તથા યહૂદી ધર્મની કેટલીક નિરીશ્વરવાદી વિચારધારાઓ ઈશ્વરના અસ્તિત્વને નકારે છે, પણ આ હઠધાર્મિકતાને કારણે તેમની ગણના ય ધર્મમાં જ થાય છે, જેને બિનસાંપ્રદાયિક ધર્મ એવું લેબલ લાગેલું છે. તર્ક એવો છે કે જે કોઈ વિચારધારા, ચાહે એ ધાર્મિક હોય કે અધાર્મિક, પોતાના આગવા સિદ્ધાંતો, પ્રતીકો, નિયમો અને સંસ્કારોનું પાલન કરતી હોય અને એવા પાલનનાે આગ્રહ કરતી હોય તે પણ કોઈ રૂઢિચુસ્ત ધર્મથી અલગ નથી. 

અમેરિકાના સ્વતંત્રતા ઘોષણાપત્રમાં માનવ અધિકાર અને ઉદારવાદનો એટલો સખત આગ્રહ કરવામાં આવ્યો છે કે 2006માં આવેલી એક વિવાદાસ્પદ કિતાબ ‘ચર્ચ ઑફ લિબરાલિઝમ’માં ઉદારતાવાદને અધિકૃત રાષ્ટ્રીય ધર્મ તરીકે ગણાવવામાં આવ્યો હતો. અમેરિકામાં સંસારની રચના કેવી રીતે થઈ તેને લઈને ખ્રિસ્તી ધર્મ અને ઉત્ક્રાંતિવાદીઓ વચ્ચે ઝઘડો ચાલે છે એટલે સુધી કે સ્કૂલ-કૉલેજમાં ઉત્પત્તિને કેવી રીતે સમજાવવી તેને લઈને પણ લડાઈ થતી રહે છે. આમાં ઉત્ક્રાંતિને ધર્મ તરીકે અને એના જનક ચાર્લ્સ ડાર્વિનને તેના ‘ભગવાન’ તરીકે પણ ગણાવવામાં આવે છે.

સાદા ઉદાહરણથી સમજવું હોય તો સ્પોર્ટ્સમાં જેવા ઝનૂની ચાહકો હોય છે તેમની અને સંગઠિત ધર્મ વચ્ચે ખાસી સમાનતા હોય છે. સ્પોર્ટ્સમાં શ્રદ્ધા અને ભક્તિ, પૂજા અને પીડા, ઉત્સવ અને બલિદાન એવાં જ હોય છે, જેવા કોઈ ધર્મમાં હોય, સ્પોર્ટ્સ, સિનેમા અને મ્યુિઝક જેવા માસ કોમ્યુિનકેશનનાં માધ્યમોનો વિકાસ થયો તે પહેલાં ધાર્મિક સમારોહ અને અનુષ્ઠાન મનોરંજનનાં સાધનો હતાં.

આજે આપણે જેમ થિયેટરો કે સ્ટેિડયમમાં જઈએ છીએ તેવી રીતે મંદિરો અને ચર્ચોમાં પણ જઈએ છીએ. સ્પોર્ટ્સમાં તો પોતપોતાની શ્રદ્ધાવાળી ટીમ કે ખેલાડીના રંગ, ધજા, પ્રતીક અને શુકનના તાવીજ પણ પહેરવામાં આવે છે. પોતાના ગમતા સ્પોર્ટ્સ હીરો પ્રત્યેનો પ્રેમ અને ઝનૂન એટલું જ હોય છે જેટલું કોઈ ગુરુ કે ઈશ્વર પ્રત્યે હોય. સ્પોર્ટ્સમાં દુનિયાભરમાં જે હિંસા થાય છે તેવી જ ધાર્મિક હિંસા પણ હોય છે.

2012માં અમેરિકાની નેશનલ ફૂટબૉલ લીગની ટીમ પીટ્સબર્ગ સ્ટીલર્સ પ્રત્યેની ‘ભક્તિ’ અંગે બ્રેન્ટ ઓસ્બોર્ન નામના એક ચાહકે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, ‘કેટલાક લોકો જેરુસલેમ જાય છે, હું પીટ્સબર્ગ જાઉં છું.’ 2014માં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ સમાચારપત્રમાં એક સર્વેમાં કહેવાયું હતું કે પાંચમાંથી એક અમેરિકન એવું માને છે કે રમતની સ્પર્ધામાં હાર-જીત ઈશ્વર નક્કી કરે છે. માર્ક્સવાદના જનક કાર્લ માર્ક્સે કહ્યું હતું કે ધર્મ લોકોનું અફીણ છે. આધુનિક જગતમાં સ્પોર્ટ્સ અફીણથી આગળ જઈને ડ્રગ્સ બની ગયું છે.

શાહરુખ ખાનની ફિલ્મ ‘ફેન’માં આર્યન ખન્ના નામના સુપરસ્ટારના ઉન્માદી ચાહક ગાૈરવ ચંદનાની સનકી આસક્તિની કહાની છે. ફિલ્મ દરમિયાન અને ફિલ્મ પૂરી થાય છે ત્યારે ગૌરવ એની ભક્તિની સફાઈ આપતાં કહે છે, રહને દે, તું નહીં સમઝેગા.

ધર્મનિરપેક્ષતા નવો ધર્મ છે? એવું શીર્ષક જો તમને હજુ ય ન સમજાતું હોય તો, રહને દે, તું નહીં સમઝેગા.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 08 મે 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5318778-NOR.html

Loading

9 May 2016 admin
← Ode To Indian Dukawala
દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓની ઓળખાણ : પત્રકારો – સંપાદકો – પ્રકાશકો – મુદ્રકો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved