Opinion Magazine
Number of visits: 9521977
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આર્ષદૃષ્ટા નેહરુનું ઇતિહાસદર્શન

દીપક મહેતા|Opinion - Literature|14 November 2025

ગ્રંથયાત્રા – 18

જવાહરલાલ નેહરુ (૧૮૮૯-૧૯૬૪) જો કોઈ જુદા સમય ગાળામાં જીવ્યા હોત તો તેમણે પોતાનું સમગ્ર જીવન કદાચ લેખનને જ અર્પણ કર્યું હોત. નેહરુએ પોતાનું જીવન પ્રવૃત્તિઓની આંધીમાં વિતાવ્યું, પણ પોતાની આસપાસ તેમણે પ્રવૃત્તિઓની આંધી કરતાં ય વધારે તો વિચારોની વધુ મોટી આંધી સર્જી. અને આ બધા કરતાં વધુ મોટી આંધી તો તેમના ચિત્તમાં ચાલી રહી હતી. આ ચિત્તની આંધીનો થોડો પરિપાક આપણને તેમના સ્મરણીય ગ્રંથોમાં મળ્યો. 

લોક સમુદાયને જોઈને જવાહરલાલ નેહરુ જેટલું નવું જોમ મેળવતા તેટલું જ નવું જોમ પુસ્તકોના સહવાસમાંથી પણ તેઓ મેળવતા. સ્વરાજ માટેની લડતનું આહ્વાન ન હોત તો પંડિતજીએ પોતાનું જીવન કદાચ લેખનને જ અર્પણ કર્યું હોત. નેહરુનું સૌથી મહત્ત્વનું અને જાણીતું પુસ્તક છે તેમની અત્મકથા. તેમનું બીજું મહત્ત્વનું પુસ્તક તે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા.’ ૧૯૪૬માં પ્રગટ થયેલા આ પુસ્તકનો મણિભાઈ નિ. દેસાઈએ ‘મારું હિંદનું દર્શન’ નામે કરેલો અનુવાદ ૧૯૫૧માં નવજીવન તરફથી પ્રગટ થયો હતો. આત્મકથાની જેવી જ વિશાળ, સ્વસ્થ અને વિવિધલક્ષી શૈલીમાં લખાયેલું આ પુસ્તક આત્મકથા કરતાં વધુ ગંભીર અને ચિંતનાત્મક છે. 

‘ક્વિટ ઇન્ડિયા ચળવળ દરમિયાન નેહરુ અહમદનગર જેલમાં હતા ત્યારે તેમણે આ પુસ્તક લખેલું. એટલે સંદર્ભ માટેનાં બહુ ટાંચાં સાધનો તેમની પાસે હતાં, અને એટલે તેમણે મુખ્યત્વે પોતાની સ્મૃતિ પર જ આધાર રાખવો પડેલો. પણ ભારતના ઇતિહાસના તેઓ કેવા તો મરમી જાણતલ હતા એનો ખ્યાલ આ પુસ્તક વાંચતાં આવ્યા વગર રહે નહીં. વિગતોમાં કશુંક ખૂટતું હોય, કે માહિતીમાં કશું થોડું આઘુંપાછું થયું હોય એવું ક્યાંક ક્યાંક લાગે, પણ ભારતના ઇતિહાસનું જે અખંડ દર્શન અહીં જોવા મળે છે તે ભલભલા ઇતિહાસકારોને પણ આશ્ચર્ય પમાડે એવું છે. 

‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’માં ભારતનો ઇતિહાસ આલેખાયો છે ખરો, પણ તે માત્ર ઇતિહાસનું પુસ્તક નથી. હકીકતમાં એ ઇતિહાસ-ચિંતનનું પુસ્તક છે. નેહરુની દૃષ્ટિ ઐતિહાસિક છે ખરી, પણ તે માત્ર ઇતિહાસકારની નથી. તેમની દૃષ્ટિ એક બહુશ્રુત વિદ્વાન, અર્વાચીન માનસ ધરાવતા પ્રતિભાશાળી વિચારકની છે. પુસ્તકમાં તેમણે અનેક વિષયો  પરના પોતાના વિચારો પ્રગટ કર્યાં છે. પણ તે બધામાં એક સૂત્ર સળંગપણે જોવા મળે છે : ભારતની સંસ્કૃતિ અને સમાજનાં વિશિષ્ટ ગુણો અને શક્તિઓ તથા ભૂત, વર્તમાન અને ભાવિમાં હિંદના વિદેશો સાથેના સંબંધો અંગેની તલસ્પર્શી અને તટસ્થ શોધ.

આ પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે : ઉપોદ્ઘાત, ભારત-દર્શન, અને ઇતિહાસ ચિંતન. તેમાં ઉપોદ્ઘાતને અને તે પછીના કમળા નેહરુ વિશેના પ્રકરણને અગાઉ પ્રગટ થયેલી આત્મકથાના અનુસંધાન રૂપે જોઈ શકાય તેમ છે. ઉપોદ્ઘાતમાં નેહરુએ પોતાનાં મનોમંથનો, વિચારો અને ઊર્મિઓ તેમની સાહજિક મનોહર શૈલીમાં પ્રગટ કર્યાં છે. ઉપોદ્ઘાત વાંચતાં સમજાય છે કે નેહરુને ઐહિક, આ પૃથ્વી પરના, જીવનમાં જ રસ છે. પારલૌકિક જીવનમાં નથી. તેઓ નાસ્તિક નથી પણ પરંપરાવાદી ધાર્મિક માન્યતાઓ અને ક્રિયાકાંડો પ્રત્યે તેમને સૂગ છે. તેમની માન્યતા અનુસાર ‘જીવંત ફિલસૂફીએ સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ.’ 

જ્યારે તેઓ ઇતિહાસ તરફ વળે છે ત્યારે તેમને ભારતની શક્તિઓ અને નબળાઈઓનું દર્શન થાય છે. દેશની અવનતિનું મુખ્ય કારણ ધર્મભાવના પર અતિશય ભાર અને વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય દૃષ્ટિનો અભાવ હોવાનું તેઓ માને છે. પણ નેહરુ ભારતના ભાવિ અંગે પૂરેપૂરા આશાવાદી છે. કહે છે : “જે રીતે હિન્દની રચના થઈ છે તે જોતાં એ જગતમાં બીજા દરજ્જાનું કે ગૌણ સ્થાન લઈ શકે નહીં. કાં તો તેની ગણના મહાન દેશોમાં થશે, નહીં તો તેની અવગણના થશે. આ બે વિકલ્પો વચ્ચેનું બીજું કોઈ સ્થાન મને આકર્ષતું નથી, તેમ જ એવું ગૌણ સ્થાન શક્ય પણ નથી.” 

ભારતના ઇતિહાસના નિરૂપણનો આરંભ મોહે-જો-દડોની સંસ્કૃતિથી કરીને નેહરુ વેદકાલીન ભારતનું ચિત્ર રજૂ કરે છે. ભારતીય તત્ત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાંતો તેઓ તપાસે છે અને લાક્ષણિક રીતે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ કઈ રીતે થઈ તે સમજાવે છે. બુદ્ધ અને મહાવીર અને તેમના ધર્મોની તથા હિંદુ ધર્મ પરની તેમની અસરની તેઓ ચર્ચા કરે છે. પુસ્તકનો આ ભાગ વાંચતાં જણાય છે કે નેહરુને ભગવાન બુદ્ધ અને બુદ્ધ ધર્મ પ્રત્યે સવિશેષ પક્ષપાત છે. આ ખંડમાં નેહરુએ દેશનાં કલા અને સાહિત્યના વિકાસની અને વારસાની આલોચના પણ કરી છે. મુસ્લિમ હકૂમત અને બ્રિટિશ શાસનને પણ તેમણે અહીં આવરી લીધાં છે. ૧૯૪૨માં ‘હિન્દ છોડો’નો ઠરાવ પસાર થયો ત્યાં સુધી આવીને આ પુસ્તકમાંનું ઇતિહાસનું નિરૂપણ અટકે છે.

ત્રીજો ખંડ ઇતિહાસ ચિંતનનો છે. નેહરુ માને છે કે પશ્ચિમના દેશો પ્રગતિશીલ દૃષ્ટિ, કાર્યદક્ષતા, અને સાહસિકતા ધરાવતા હતા અને તેમને ઇહ લોકની જ ચિંતા હતી, પરલોકની નહીં. નેહરુ માને છે કે ભારત અને ચીને પશ્ચિમના દેશો પાસેથી આ અંગે બોધપાઠ લેવો જોઈએ. આ ખંડમાં તેઓ ફરી ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના વિસંવાદનો ઉલ્લેખ કરે છે, અને વૈજ્ઞાનિક પદ્ધતિ અને જ્ઞાનને વિકસાવવાનો આગ્રહ કરે છે. નેહરુના આદર્શો બે છે : માનવતાવાદ અને વૈજ્ઞાનિક તાસીર. આ બંને વચ્ચે સમન્વય થતાં તેમાંથી વૈજ્ઞાનિક માનવતાવાદનો જન્મ થયો છે. 

આઝાદી પછી દેશના શાસનનાં સૂત્રો નેહરુ જેવી ચિંતનશીલ અને વિદ્વાન વ્યક્તિએ સંભાળ્યાં અને ૧૯૬૪ના મે મહિનાની ૨૭મી તારીખે તેમનું અવસાન થયું ત્યા સુધી સતત સાચવ્યાં એ આપણા દેશનું એક પરમ સદ્ભાગ્ય હતું. એક ગાંધીજીને બાદ કરતાં બીજા નેતાઓની નજર જ્યારે માત્ર આઝાદી મેળવવા સુધી જ પહોંચતી હતી ત્યારે નેહરુની આંખ સામે સ્વતંત્ર ભારતના ભાવિ વિકાસની બ્લુપ્રિન્ટ હતી. આઝાદી મળી તે પછી એ બ્લુપ્રિન્ટને શક્ય તેટલી હદે સાકાર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન તેમણે કર્યો. આજે દુનિયાના ઘણા દેશો માનની અને અપેક્ષાની નજરે આપણા દેશને જોતા થયા હોય તો તેના પાયામાં જવાહરલાલ નેહરુનું આર્ષદર્શન રહેલું છે. આ વાત લોકો ભૂલી જાય એ માટે દેશમાં જ અથાક પ્રયત્નો થઈ રહ્યા છે. પણ એ વાત ભૂલવા જેવી નથી. 

XXX XXX XXXX

14 નવેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

14 November 2025 Vipool Kalyani
← અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?  

Search by

Opinion

  • અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?  
  • અદનો કર્ણ
  • નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ …
  • લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે …
  • દિલ્હીની આતંકી ઘટનાનો માયનો : લડત બેલાશક લાંબી હોવાની છે 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved