Opinion Magazine
Number of visits: 9449036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—247

દીપક મહેતા|Opinion - Opinion|11 May 2024

પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્લો જીત્યા પછી અંગ્રેજોએ કેમ તોડી પાડ્યો?   

‘જે પોષતું એ મારતું,

એવો દીસે ક્રમ કુદરતી.’

કવિ કલાપીના આ શબ્દો મુંબઈ જેવા શહેરને અને તેના કિલ્લાઓને પણ લાગુ પડે છે. એક જમાનો હતો જ્યારે મુંબઈમાં બે-ચાર નહિ, અગિયાર કિલ્લા હતા. પણ કવિ કલાપીના આ શબ્દો બરાબર બંધબેસતા થાય તે તો ડુંગરી કે ડોંગરીના કિલ્લાને. આપણો ડુંગર મરાઠીમાં બની જાય ડોંગર. અને આપણી ડુંગરી બની જાય ડોંગરી. ગુજરાતીમાં તેને ટેકરી પણ કહી શકાય. આજે હવે ડોંગરી નામનો કિલ્લો રહ્યો નથી. એ કિલ્લો જેના પર બંધાયેલો તે ડોંગરી પણ રહી નથી. અને છતાં આજે પણ એ વિસ્તાર ડોંગરીના નામે ઓળખાય છે.

પણ ડોંગરીનો કિલ્લો તોડ્યો કોણે? શા માટે? વાત જરા લાંબી અને અટપટી છે. પણ રસ પડે તેવી છે. ડોંગરીનો કિલ્લો કંપની સરકારની આપકમાઈનો નહોતો. એ બાંધ્યો હતો પોર્ટુગીઝોએ, ઈ.સ. ૧૫૯૬માં. કોણ જાણે કેમ, પણ પોર્ટુગીઝોના મનમાં મુંબઈનું મહત્ત્વ ઝાઝું વસ્યું જ નહોતું. પણ મુંબઈની આસપાસની જગ્યાઓનું રક્ષણ કરવાનું કામ તેમને વધુ મહત્ત્વનું લાગેલું. એટલે તેમણે વાંદરા, ડોંગરી, અને મઢ (વરસોવા) ખાતે કિલ્લા ઊભા કર્યા. આ ત્રણે કિલ્લા દરિયા કિનારે આવેલા હતા. એટલે તેમાંથી દરિયા પર અને જમીન પર, એમ બંને બાજુ સતત નજર રાખી શકાતી.

જ્યાં સુધી મુંબઈનો કોટ કહેતાં ફોર્ટ બંધાયો નહોતો ત્યાં સુધી તો આ ડોંગરીનો કિલ્લો અંગ્રેજોનો પણ માનીતો હતો. પણ પછી ડોંગરી બની માથાનો દુખાવો. કારણ? ડોંગરીનો કિલ્લો અને ફોર્ટ કહેતાં કોટ, બંને એકદમ સીધી લીટીમાં. અને એ વખતે અંગ્રેજ સરકારને બીક માત્ર દરિયાઈ હુમલાની જ નહોતી, જમીન માર્ગે થતા હુમલાની પણ હતી. હવે જો મુંબઈના કોટ સુધી પહોંચતાં પહેલાં આ ડોંગરીનો કિલ્લો દુ:શ્મનના હાથમાં આવી ગયો તો? તો ત્યાંથી એ તોપ ફોડવા લાગે તો એના ગોળા સીધા પહોંચે ફોર્ટ કહેતાં કોટ, અને બધું જોતજોતામાં ખેદાનમેદાન થઈ જાય : બજાર ગેટ, ચર્ચ ગેટ, એપોલો ગેટ, અને તેમને જોડતી દીવાલો, કશું બચવા ન પામે!

ડોંગરીનાં કિલ્લાનો બચી ગયેલો અવશેષ

ગ્રેટ બ્રિટનથી આવતા લશ્કરી અમલદારોએ વારંવાર આ બાબત તરફ કંપનીના સાહેબોનું ધ્યાન દોર્યું. શરૂઆતમાં તો બડેખાંઓને વાતની ગંભીરતા સમજાઈ નહિ હોય. એટલે રસ્તાને બદલે તુક્કા. પહેલાં કહે : એક કામ કરો. ડોંગરીના કિલ્લામાં અને એ બાંધ્યો છે એ ડોંગરી પર ઠેર ઠેર સુરંગ પાથરી દો. દુ:શ્મન પગ મૂકતાંવેંત હતો ન હતો થઈ જશે. જવાબ : પણ સાહેબ! આ ડોંગરી પર માત્ર કિલ્લો જ નથી, લોકો પણ રહે છે. વળી આસપાસના લોકો પોતાનાં ઢોર ચરાવવા આ ડોંગરી પર લાવે છે. આપણે સુરંગ બિછાવશું તો સૌથી પહેલાં તો અહીંના લોકો અને તેમનાં ઢોરઢાંખરનું આવી બનશે. વળી કંપની સરકારનું રાજ અમ્મર તપે. પણ સુરંગો કાંઈ અમરપટ્ટો લખાવીને આવતી નથી. એટલે થોડે થોડે વખતે આપણે સુરંગો બદલતા રહેવું પડશે. એનો ખરચ …

એ વખતના લંડનના સાહેબો એક શબ્દથી બહુ ગભરાતા : ‘ખરચ.’ એટલે તરત માની ગયા મુંબઈવાળાની વાત. પણ સાથોસાથ મનમાં ગાંઠ પણ વાળી : હવે સલાહ-સૂચન નહિ, મુંબઈવાળાને તો હુકમ જ કરવો પડશે. પણ હુકમ શું કરવો? એક ફળદ્રૂપ ભેજાને મહાન વિચાર આવ્યો. આ મુંબઈવાળા જ્યારે જુઓ ત્યારે નવાં નવાં સરકારી મકાનો બાંધતા રહે છે અને તેને માટે ફદિયાં માગ્યા કરે છે. અને મકાનો બાંધવામાં સૌથી મોટો ખરચ છે પથરાનો. એ પાછા લાવવાના કુરલાથી કે છેક પોરબંદરથી. લાવવાનો ખરચ એ પાછો સોના ઉપર ઘડામણ. એટલે મુંબઈ મોકલ્યો હુકમ : જોઈએ તેટલા મજૂરો રોકો, કિલ્લો પાડો, ટેકરી ઢાળો અને વાપરો એ પથરા નવાં મકાનો બાંધવામાં, અને પથરા વધે તો વેચો પણ ખરા.

ડોંગરીની મસ્જિદ

રુક્કો પહોંચ્યો મુંબઈમાં ગોરા લશ્કરના વડાને. વાંચ્યા પછી તેને ખબર ન પડે કે હસવું કે રડવું? પણ આ કાંઈ સૂચન નહોતું, હુકમ હતો. અને ‘વસંતવિજય’ નામના ખંડકાવ્યમાં કવિ કાન્તે કહ્યું છે તેમ : ‘નહિ રાજાજીનો હુકમ પણ પાછો કદિ ફરે.’ હવે કરવું શું? મુંબઈના લશ્કરનો વડો લંડનમાં બેઠેલા ઉપરીઓની એક નબળાઈ બરાબર જાણતો હતો. પૈસા ખરચવાની વાત આવે એટલે તેમને ટાઢિયો તાવ ચડી જાય. હુકમનો અનાદર કર્યો પણ ન ગણાય અને તેની અમલબજાવણી પણ ન કરવી પડે એવો રસ્તો શોધ્યો. જવાબ લખ્યો : ડોંગરીના કિલ્લાને અને એ ટેકરીને ડાઈનેમાઇટથી ઉડાવી દેવાને બદલે મજૂરો પાસે ખોદાવવાના આપના હુકમની અમલબજાવણી કરતાં પહેલાં હું આપ સૌનું ધ્યાન એક બાબત તરફ દોરવાની રજા લઉં છું. રોજના બે હજાર મજૂરો વરસનો એકેએક દિવસ કામ કરે તો પણ આ કિલ્લા અને ટેકરીને નેસ્તનાબૂદ કરતાં પંદર વરસ લાગશે. ટેકરીના પથારા વપરાય કે વેચાય નહિ ત્યાં સુધી તેમને સંઘરવા પાછળ મોટો ખરચ થશે. આ બાબતોનો વિચાર કરીને આપ છેવટનો હુકમ આપશો પછી તરત અમે કામ શરૂ કરશું.

આ જાણીને લંડનવાળાએ તરત ગુલાંટ મારી : ના, ના. હમણાં કશું કરશો નહિ. અમને નવેસરથી વિચાર કરવા દો. થોડા દિવસ વિચાર કર્યો. પછી હુકમ મોકલ્યો : ડોંગરીનો કિલ્લો તોડી પાડવાનું અને એ ટેકરીને સમથળ કરવાનું અમે નક્કી કર્યું છે. આ કામ માટે ડાઈનેમાઇટનો ઉપયોગ કરવો અથવા ઓછામાં ઓછા ખર્ચે કામ થઈ શકે તેવો રસ્તો લેવો. પણ પછી એ જ રુક્કામાં ઉમેર્યું : લેફ્ટન્નટ કર્નલ આર્કિબાલ્ડ કેમ્પબેલ(૧૭૩૯-૧૭૯૧)ની હોશિયારી વિષે અમે ઘણું સાંભળ્યું છે. એટલે અમે તેમની નિમણૂક બંગાળના ચીફ એન્જિનિયર તરીકે કરી છે. તેમને સીધા કલકત્તા મોકલવાને બદલે પહેલાં થેમ્સ નામના જહાજ દ્વારા અમે મુંબઈ મોકલશું. લશ્કરના સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તેઓ મુંબઈના કિલ્લાઓની મુલાકાત લેશે અને ડોંગરીના કિલ્લાને ઉડાવી દેવાથી ફાયદો થશે કે તેને વધુ મજબૂત કરવાથી ફાયદો થશે તે અંગે તેઓ પોતાનો અભિપ્રાય આપશે. તેમનો અભિપ્રાય અમને મળે અને અમે તેના પર વિચાર કરીએ ત્યાં સુધી ડોંગરી અંગે તમારે કશાં પગલાં લેવાં નહિ. બનવા જોગ છે કે આ રુક્કામાં અગાઉ અમે જે નિર્ણય જણાવ્યો છે તેના કરતાં તેમનો અભિપ્રાય જૂદો હોય. જો એમ થાય તો છેવટનો નિર્ણય અમે લઈને તમને જણાવશું.

(સર કેમ્પબેલ ૧૭૭૪થી ૧૭૯૧ સુધી બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય હતા. રોયલ મિલિટરી એકેડમીની પરીક્ષામાં પાસ થયા પછી રોયલ એન્જનીયાર્સમાં જોડાયા. ૧૭૬૮માં તેમની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બંગાળ ઈલાકાના ચીફ એન્જિનીયર તરીકે થઈ. અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે ગ્રેટ બ્રિટનની ૭૧મી રેજિમેન્ટના વડા તરીકે યુદ્ધમાં ભાગ લીધો, પણ અમેરિકનોને હાથે પકડાયા અને ૧૭૭૮ સુધી જેલમાં રહ્યા. છૂટ્યા પછી ફરી લડાઈમાં જોડાયા. યુદ્ધ પૂરું થયા પછી તેમને થોડો વખત જ્યોર્જિયા રાજ્યના હંગામી ગવર્નર તરીકે અને પછી જમૈકાના ગવર્નર તરીકે પણ કામ કર્યું. મૈસૂરના યુદ્ધ પછી ત્યાંની સ્થિતિને થાળે પાડવા માટે કોઈ બાહોશ સેનાપતિની જરૂર હતી. ત્યારે કેમ્પ્બેલની નિમણૂંક મદ્રાસના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ તરીકે કરવામાં આવી. પણ નબળી તબિયતને કારણે ૧૭૮૯ના ફેબ્રુઆરીમાં તેમને સ્વદેશ પાછા જવું પડ્યું. ૧૭૯૧ના માર્ચની ૩૧મી તારીખે અવસાન થયા પછી તેમને વેસ્ટમિન્સ્ટર્સ એબીમાં દફનાવવામાં આવ્યા.)

સર આર્કિબાલ્ડ કેમ્પબેલ

થોડા વખત પછી કેમ્પબેલ મુંબઈ આવ્યા. બધા જ કિલ્લાઓની મુલાકાત લઈને અભ્યાસ કર્યો અને સુધારાવધારા સૂચવ્યા. પછી સવાલ હાથમાં લીધો ડોંગરીનો. તેમને લાગ્યું કે આ કિલ્લાને અને ડોંગરીની ટેકરીને જમીનદોસ્ત કરવા કરતાં કિલ્લાને વધુ મજબૂત બનાવવાથી વધુ લાભ થશે. પણ માણસ હતો ચાલક. લંડનમાં બેઠેલા ઉપરીઓએ જે નક્કી કર્યું હતું તેના કરતાં જૂદું સૂચન કરવું હોય તો તેમને ગળે ઊતરી જાય એ રીતે કરવું એટલું સમજતો હતો. એટલે તેણે અહેવાલમાં લખ્યું : ડોંગરીને તોડી પાડવાની દરખાસ્તનો મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો છે. એમ કરવા માટે ૫,૨૬૨,૪૯૦ ઘન ફૂટ જેટલા ખડક તોડીને દૂર કરવા પડશે. આવા કામ માટે આજે  મુંબઈમાં એક ઘન ફૂટ દીઠ પા રૂપિયો એટલે કે ચાર આના મજૂરી અપાય છે. એ દરે કિલ્લો અને ડોંગરી તોડવાનો કુલ ખરચ ૧,૬૪,૪૫૨ પાઉન્ડ જેટલો આવશે.

બીજું, એ વાત તો જગજાહેર છે કે જ્યારે કોઈ પણ દુ:શ્મન આક્રમણ કરે ત્યારે કિલ્લાની સરખામણીમાં સમથળ જગ્યા જીતવાનું તેને માટે ઘણું વધારે સહેલું હોય છે. કિલ્લા બાંધવા પાછળનો આશય જ દુ:શ્મનનું કામ બને તેટલું અઘરું બનાવવાનો હોય છે. બીજી બાજુ, અત્યારે ડોંગરીનો કિલ્લો તો છે જ. તેને સમોનમો કરીને વધુ મજબૂત બનાવવાનો ખરચ પ્રમાણમાં ઓછો આવશે અને દુ:શ્મનને ખાળવા માટે કિલ્લો વધુ ઉપયોગી સાબિત થશે. આમ કરવા પાછળ ૯૦ હજાર પાઉન્ડ જેટલો ખરચ થવાનો અંદાજ છે. આમ, ઓછા ખર્ચે મુંબઈને વધુ સલામત કરી શકાય તેમ છે. હવે સવાલ બાકી રહે છે તે આ : ન કરે નારાયણ અને ડોંગરીનો કિલ્લો દુ:શ્મનના હાથમાં જાય અને તે આ કિલ્લાની તોપો મુંબઈના કિલ્લા પર તાકે તો જે જોખમ ઊભું થાય તેનું શું? આનો જવાબ આ રીતે આપી શકાય : ડોંગરીના કિલ્લા પર અત્યારે ૩૦ તોપ છે, મુંબઈના કિલ્લા પર લગભગ ૩૦૦ તોપ છે. પરમકૃપાળુ પરમાત્મા એવો દિવસ ક્યારે ય ન બતાવે એમ ઈચ્છીએ પણ ધારો કે ડોંગરીનો કિલ્લો જીત્યા પછી દુ:શ્મન તેની તોપો વડે મુંબઈના કોટ પર ગોલંદાજી કરે તો ૩૦ તોપનો જવાબ આપવા માટે સામે ૩૦૦ તોપ ઊભી છે. વળી દુ:શ્મનને ડોંગરીના કિલ્લામાંથી ખદેડવા માટે ડોંગરી અને ફોર્ટ વચ્ચેની કોઈ યોગ્ય જગ્યાએ ૧૨ તોપ ગોઠવી શકાય. તેમાંની છ સતત ડોંગરી તરફ જ તાકેલી રહે. અને બીજી છ ડોંગરી જવાના રસ્તા તરફ. એટલે અમારી દૃષ્ટિએ ડોંગરીનો કિલ્લો મુંબઈ માટે જોખમી પુરવાર થઈ શકે એવી શક્યતા લગભગ નથી. મારી વાત મેં આપની સામે રજૂ કરી છે. હવે છેવટનો નિર્ણય તો આપના હાથમાં છે.

લંડનમાં બેઠેલા સાહેબોએ અગાઉથી કાંડાં કાપી આપેલાં એટલે હવે કેમ્પબેલની વાત સ્વીકારવી પડે તેમ હતું. પણ તેમણે હજી થોડું ઝીણું કાંત્યું. કહ્યું કે ડોંગરીના કિલ્લામાં સુધારાવધારા કરીને તેને વધુ મજબૂત બનાવતાં કેટલો ખરચ આવે તેનો અંદાજ જણાવો. જવાબ મળ્યો : ૧,૧૮,૫૦૦ પાઉન્ડ.

આ બધું બન્યું ઈ.સ. ૧૭૬૮માં. અને બીજે જ વરસે એકાએક વાજું સાવ બદલાઈ ગયું. કેમ? શાથી? એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 11 મે 2024)

Loading

11 May 2024 Vipool Kalyani
← સીબીઆઈની તપાસમાં ન  ઢંગ છે, ન ધડો : એણે નકરી વેઠ ઉતારી છે વેઠ,  સાહેબો !
આ વ્યંગ નથી. કાકલુદી છે. પ્રાર્થના છે. કહો હિંદુ રાષ્ટ્ર કેવું હશે? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved