ગુજરાતી રંગભૂમિની શરૂઆતથી જ સાહિત્યકારોએ પશ્ર્ચિમનાં સાહિત્યમાંથી પ્રેરણા મેળવી છે. દલપતરામનું ‘લક્ષ્મી’ ગ્રીક નાટકના આધારે અને નગીનદાસ મારફતિયાનું ‘ગુલાબ’ પણ અંગ્રેજી નાટકના આધારે લખાયું, ત્યારથી આજ સુધી ગુજરાતીમાં અનેક નાટકો બ્રિટિશ, અમેરિકન, ફ્રેન્ચ, રશિયન, જર્મન અને અહીં ઘર આંગણે મરાઠી, હિન્દી અને બંગાળી ભાષાઓમાંથી અનેક નાટકોના તરજૂમાઓ અને રૂપાંતર થયાં છે. આ હકીકત છે. થોડા અપવાદો સિવાય મોટા ભાગનાં પશ્ર્ચિમનાં નાટકોનું ગુજરાતીકરણ મૂળ લેખક કે તેમના સાહિત્યિક હકોનું અધિકૃત વ્યક્તિ [literary agents] અથવા મૂળ લેખકના પ્રકાશકોની જાણ અને સમ્મતિ સિવાય થયું છે, તે પણ જાણીતી હકીકત છે.
આ પરિસ્થિતિ ફક્ત ગુજરાતી નાટકો પૂરતી મર્યાદિત નથી. નૉબલ પારિતોષિક નવાજિત વિદેશી કવિતાનાં ભાષાન્તર ગુજરાતીમાં થયાં છે, એટલું જ નહીં પણ તેનું બડાઈભર પ્રકાશન કવિતાને લગતાં સામયિકોમાં અને બીજાં અનેક સામયિકોમાં થયું છે, તે ખેદથી નોંધવું પડે છે. ખેદ મૂળ કવિની સમ્મતિ નથી લેવાઈ તે બાબતનો છે.
લગભગ બે દાયકા પર ડેટનની મુલાકાતે આવેલા આપણા એક બુઝર્ગ સાહિત્યકાર સાથે ગુજરાતી નવલકથાના અંગ્રેજીમાં ભાષાંતર કરવા બાબત ચર્ચા સમયે તેમણે ખૂબ જ નિખાલસતાથી જણાવ્યું કે ગુજરાતી નવલકથાનાં અંગ્રેજી ભાષાન્તર કરવાં જેવાં નથી, કારણ કે ઘણી બધી નવલકથાઓ અંગ્રેજી નવલકથાઓના આધારે લખાઈ છે અને ગુજરાતી નવલકથાકાર અંગ્રેજીમાં ભાષાન્તર કરવાની કદાચ સમ્મતિ પણ ન આપે.
એકવીસમી સદીના પહેલા દશકામાં, વૈશ્ર્વિકરણને વાજતે ગાજતે વધાવતા અને ‘ઇન્ફરમેશન’ના ‘સુપર હાઈવે’ના આ જમાનામાં પશ્ર્ચિમમાં ખૂબ ચર્ચાતા intellectual property rightsની આપણે ત્યાં છડેચોક અવગણના થાય છે; ત્યારે આપણાં સાહિત્યકારો, પત્રકારો, તંત્રીમહાશયો અને ગુજરાતી ભાષાના રખેવાળો ગણાય તેવી આપણી સાહિત્યિક સંસ્થાઓ કેમ ઉદાસ છે, તે સમજાતું નથી.
લગભગ ત્રણેક વર્ષ અગાઉ અમેરિકાના એક ગુજરાતી કવિનો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો હતો. તે સંગ્રહમાંની ત્રણ કવિતા અંગ્રેજી કવિતાનું ભાષાન્તર હતી ! કવિનું આ બાબત મૂળ અંગ્રેજી કવિતાની નકલ મોકલી ધ્યાન દોર્યું, ત્યારે તેમણે આ હકીકતનો અસ્વીકાર કર્યો. અમેરિકાથી પ્રસિદ્ધ થતાં એક સામયિકના તંત્રીને આ બાબતથી મૂળ અંગ્રેજી કવિતાની નકલ મોકલી વાકેફ કર્યા પણ ત્યાર બાદ જ્યારે આ કાવ્યસંગ્રહનો અહેવાલ તે સામયિકમાં આવ્યો ત્યારે આ તફડંચીનો તંત્રીએ ઉલ્લેખ ન કર્યો અને મને જણાવ્યું કે ‘તમે આ બાબત જુદો પત્ર લખો’, વગેરે. ….
૨૦૦૭માં "નાટક બુટ્રેડી" ત્રિમાસિકના અંગ્રેજી અને હિન્દી ભાષામાં પ્રકાશિત વિશેષ અંકમાં અસંખ્ય મુદ્રણ, હકીકત અને સ્મૃિતદોષ તરફ જ્યારે મેં વિગતથી તંત્રીને જણાવ્યું ત્યારે તે ભૂલો તે સામયિકના બીજા અંકમાં સુધારવાને બદલે એપ્રિલ – જૂન ૨૦૦૮ના "નાટક બુટ્રડી"ના અંકમાં મારા પત્રના જવાબમાં મેં રજૂ કરેલા મુદ્દાઓના જવાબનો slip-ups, lapses, acceptable વગેરે બહાના બતાવી મેં રજૂ કરેલા મૂળ મુદ્દાઓનો જવાબ આપવાનું there is no need to continue the so-called ‘dialogue’ now લખી ટાળ્યું.
આ વિશે થોડી વિગતો :-
World Theatre Day અને Introspecting 150 Years of Gujarati Theatre વિષય પર કેન્દ્રિત આ અંકનું સંપાદન દશેક નિષ્ણાત તંત્રીમંડળની સહાયથી હસમુખભાઈ બારાડી અને એસ. ડી. દેસાઈએ કર્યું હતું. આ અંકના પ્રકાશન માટે સંગીત નાટક અકાદમી તરફથી ખાસ અનુદાન મળ્યાની મુખપૃષ્ટ પર જાહેરાત કરવામાં આવી હતી. બીજી એક હકીકત :
"નાટક બુટ્રેડી" દરેક અંકના મુખપૃષ્ટ પર ‘Natak Budredi Quarterly : An on-going dialogue on theatre’ સૂત્ર છપાય છે.
There is no need to continue the so-called ‘dialogue’ અને ઉપરનું on-going dialogueવાળું સૂત્ર વિરોધાભાસી નથી લાગતું ?
હસમુખભાઈ અને એસ.ડી. દેસાઈ લિખિત લેખોમાંની અનેક ભૂલોના જવાબમાં they have been referred to writers concerned એમ જણાવવામાં આવ્યું. પણ આ ‘writers concerned’ તો આ બે તંત્રી મહાશયો હતા, તેનું શું ? વાચકોને મારા પ્રશ્નની જાણ ન હોવાથી તે આ બાબતમાં અંધારામાં રહ્યા.
નરેન્દ્ર શ્રીમાળી ‘લિખિત’ નાટક સંગીત વિશેનો લેખ નરેન્દ્ર શ્રીમાળીએ લખ્યો ન હતો. આ લેખ નરેન્દ્રભાઈના આ વિષય ઉપરના પુસ્તકમાંથી નરેન્દ્રભાઈની પરવાનગી સિવાય ‘ઉતારવામાં’ આવ્યો હતો. આ જ પ્રમાણે એક અતિ પ્રસિદ્ધ નાટયકાર, નવલકથાકાર, કલમનિષ્ઠ [columnist] લિખિત પૂર્વે છપાઈ ગયેલ નાટય લેખન વિશેનો એક લેખ મૂળ લેખકની જાણ અથવા સમ્મતિ સિવાય છાપ્યો છે. આ બાબતના જવાબમાં તંત્રી મહાશયો મૌન રહ્યા છે.
દિવંગત ગોવર્ધન પંચાલ કૃત ત્રણ દાયકાઓ અગાઉ છપાયેલી ભવાઈ વિશેની પુસ્તિકામાંથી પુનર્મુદ્રિત અને સંક્ષિપ્ત લેખ ઉપર જણાવેલા અંકમાં છપાયો છે તે યોગ્ય જ છે. પરંતુ બિન ગુજરાતી વાચકો માટે આ અંક ફક્ત અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં છપાયેલો હોવાથી આ લેખના લેખક ગોવર્ધન પંચાલ અને તેમની ભવાઈ વિશેની પુસ્તિકા વિશે થોડી નોંધ મુકાઈ હોત, તો તે વધુ વાચકો માટે ખૂબ મદદરૂપ થાત.
જગન્નાથ શંકરશેઠ ગુજરાતી વ્યાપારી હતા તેમ હસમુખભાઈ તેમના લેખમાં નોંધે છે. જગન્નાથ શંકરશેઠ મહારાષ્ટ્રના હતા. આ બાબત બીજા અંકમાં સુધારો છાપવાનું તંત્રી હસમુખભાઈને યોગ્ય ન લાગ્યું. કદાચ શંકરશેઠ વિશે આવું જ ભૂલ ભરેલું વિધાન હસમુખભાઈ બારાડીના ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં તથા ગુજરાતી રંગભૂમિ વિશેના તેમના ‘ઑક્સફર્ડ કમ્પેિનયન ટુ ઇન્ડિયન થિયેટર’માં છપાયેલા લેખમાં હોવાથી આ બાબત સુધારો કરવાનું હસમુખભાઈએ મોકૂફ રાખ્યું હશે, તેમ અનુમાન કેમ ન કરી શકાય ?
પત્રકારત્વની સર્વમાન્ય પ્રણાલિ અનુસાર એક અંકમાં એક જ લેખકના એકથી વધુ લેખ છપાતા નથી. પણ "નાટક બુટ્રેડી"માં હસમુખભાઈ તથા એસ.ડી. દેસાઈના એકથી વધુ લેખ ન છપાયા હોત તો, તે વધુ ઉચિત ગણાત, તેવા મારા મંતવ્યના જવાબમાં તંત્રી મહાશયોએ it is acceptable એમ જવાબ છાપ્યો છે.
નાટક લખવાની પ્રક્રિયા વિશેના લેખમાં હસમુખ બારાડી પોતાને પશ્ર્ચિમી સંગીત વાદ્યવૃન્દ સંચાલક – orchestra conductor તરીકે સરખાવે છે. આ સંદર્ભમાં લખતાં મેં જણાવ્યું હતું કે નાટય લેખક તો સંગીત સર્જક – composerની જેમ પાત્રોનું નિર્માણ કરે છે અને પાત્રોનું orchestration તો નાટકના દિગ્દર્શક કરે છે. આ જ કારણથી એક જ નાટક જુદા જુદા દિગ્દર્શક જુદી જુદી રીતે રજૂ કરતા જોવામાં આવે છે. પણ આ વાત હસમુખભાઈ માનવા તૈયાર નથી. પણ તે તંત્રી હોવાથી વાચકો માટે તે માન્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
હસમુખભાઈ રચિત અને નેશનલ બૂક સેન્ટર પ્રકાશિત ‘ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ’ અને તેના અંગ્રેજી અનુવાદ History of Gujarati Theatre તો અસંખ્ય ભૂલોથી ભરપૂર છે.
થોડાં ઉદાહરણ : હસમુખભાઈના ઇતિહાસ પ્રમાણે સન્નિવેશ રચનાર છેલપરેશ એક જ વ્યક્તિ છે. હકીકતમાં છેલ અને પરેશ બે મિત્રો અને જુદી જુદી વ્યક્તિ છે. જગન્નાથ શંકરશેઠ વિશે તો આપણે આગળ વાંચી ગયા એટલે વધુ લખવાનું રહેતું નથી.
પશ્ર્ચિમી નાટયકારો ફ્રેડ્રીક દુરેમા અને ફ્રાન્ઝ કાફકા કયા દેશના વતની તે હસમુખભાઈની જાણમાં નથી, પણ તેમણે હિમ્મતભેર તે વિશે ભૂલ ભરેલી નોંધ લખી છે.
જેસલ-તોરલ નાટકનું દિગ્દર્શન કોણે કર્યું ? દિવંગત પ્રવીણ જોશી દિગ્દર્શિત સૌ પ્રથમ નાટક કયું ? જેસલ-તોરલનો સન્નિવેશ કોણે રચ્યો ? દિવંગત જયશંકર ‘સુંદરી’ સિવાય બીજા કયા ગુજરાતી અભિનેતા તેમની સ્ત્રી ભૂમિકા માટે પ્રસિદ્ધિ પામ્યા ? બાપુલાલ નાયક, મૂળચન્દ મામા, મૂળજભાઈ ખુશાલ સિવાય બીજા કયા જાણીતા દિગ્દર્શકો હતા ?
કેકશરૂ કાબરાજીને હસમુખભાઈ કે. ખુશરૂ તરીકે ઓળખાવે છે.
જૂની રંગભૂમિની ખ્યાતનામ સ્ત્રી અભિનેત્રીઓ ગુજરાતી રંગભૂમિના આ ઇતિહાસમાં ગેરહાજર છે. આ જ પ્રમાણે નવી રંગભૂમિની અભિનેત્રીઓને આ ઇતિહાસમાં સ્થાન મળ્યું નથી, તે ચિંતા અને ખેદભરી હકીકત છે.
સંસ્કૃત નાટયલેખનની પ્રણાલિ અને એરિસ્ટોટલના Poetics વિશે ઇતિહાસકાર અજાણ છે અને વારંવાર પુસ્તકિયા European conventions seemed to affect the live actor – audience relationship અને behind the proscenium arch જ્યાં ત્યાં ભભરાવે છે, પણ proscenium archની audience-actor relationship – અભિનેતા – પ્રેક્ષક વચ્ચેના સંબધ પર કેવી રીતે અસર થઈ, તે આપણા ઇતિહાસકાર જણાવતા નથી.
આલ્ફ્રેડ નાટક મંડળી, આલ્ફ્રેડ નાટક કંપની, ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની એક જ સંસ્થા હતી કે જુદી જુદી સંસ્થાઓ હતી, તે હસમુખભાઈ સ્પષ્ટ કરતા નથી.
દિવંગત અદી મર્ઝબાને કહેલી એક અતિ પ્રસિદ્ધ રમૂજી વાત – joke – હસમુખ બારાડી હકીકત તરીકે નિરૂપે છે.
લાઈટ અને બીજી ટેકનિકલ યોજનાનું સંચાલન ગ્રીનરૂમમાંથી થાય છે, તેમ હસમુખભાઈ માને છે. Stylization અને realizm શબ્દોનો અર્થ સમજ્યા સિવાય અથવા સમજતા હોય તો પણ તેમના લખાણના સંદર્ભમાં તે શબ્દોનો અનુચિત ઉપયોગ ઇતિહાસકારે કર્યો છે, તે અરુચિકર વિગત અહીં જણાવવી પડે છે.
આ ઇતિહાસ ઉપરથી અમદાવાદ સિવાય ગુજરાતની અને ખાસ કરીને મુંબઈની ગુજરાતી રંગભૂમિ પ્રવૃત્તિથી ઇતિહાસકાર તદ્દન અજ્ઞાન છે.
આઈ.એન.ટી. – ઇન્ડિયન નેશનલ થિયેટરના અધિપતિ સમા અને મુખ્ય સંચાલક દામુ ઝવેરીને થિયેટર મેનેજર તરીકે ઓળખાવ્યા છે, તે શોકજનક ન હોત તો હાસ્યાસ્પદ કહેવાત !
આવી આવી અનેક વિગતોથી ભરપૂર ત્રણ ભાગમાં લખાયેલા બે લાંબા લેખની નકલ મેં હસમુખ બારાડી તથા તેમના આમંત્રિત તંત્રી [Guest Editor] એસ.ડી. દેસાઈ તથા લગભગ ત્રીસેક સાહિત્યકારો, નાટયકારો, પત્રકારો, સામયિકોના તંત્રીઓ, નાટય સંસ્થાઓના સંચાલકો, પ્રાધ્યાપકો, સાહિત્ય સંસ્થાઓના અધિકારીઓ, ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિઓના રખેવાળ ગણાય તેવા અનેક મહાનુભાવોને મોકલાવી છે.
હસમુખભાઈએ ખરેખર આભાર, તેમના શબ્દોમાં Thanks. Really, to be incorporated in the next edition અને Noted – જણાવી આશ્વાસન આપ્યું છે.
દુનિયાભરનાં પુસ્તકાલયો, શાળા – કૉલેજોમાં તથા જાહેર પુસ્તકાલયોમાં ‘નેશનલ બૂક ટ્રસ્ટ’ પ્રકાશિત અને હસમુખભાઈ રચિત ‘ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ’ તથા History of Gujarati Theatre અને ‘ઑક્સફર્ડ કમ્પેિનયન ટુ ઇન્ડિયન થિયેટર’, જેમાં હસમુખભાઈએ ગુજરાતી રંગભૂમિ વિષય પર લાંબો નિબંધ અને ગુજરાતી રંગભૂમિની જાણીતી વ્યક્તિઓનાં શબ્દચિત્રો આલેખ્યાં છે. તેના વાચકોને આ અસંખ્ય અને અક્ષમ્ય ભૂલોની કોણ જાણ કરશે ?
સમગ્ર ઇતિહાસમાં પાદટીપ અને સંદર્ભનોંધનો તદ્દન અભાવ છે. તેથી ભૂલ ભરેલી કે લેખકે ઉપજાવી કાઢેલી વિગતો લેખકે ક્યાંથી મેળવી તે જાણવું મુશ્કેલ છે.
આ સમસ્યાના જવાબમાં લેખકે જણાવ્યું છે કે we would like to point out that leading journals do not necessary carry them (citation, references and foot notes) and they are not less dependable.
ગુજરાતી રંગભૂમિ પર આત્મનિરીક્ષણ [introspection] કરતા આપણા આ લેખક / તંત્રી / પ્રાધ્યાપક, થિયેટર મીડિયા સેન્ટરના સ્થાપક / સંચાલકે થોડું પોતાનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર હોય, એમ અમને લાગે છે.
આપણાં પત્રકારો, તંત્રી મહાશયો, વિવેચકો, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ કે ગુજરાત રાજ્ય ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ આ બાબતમાં કેમ ઉદાસી સેવે છે ? વાચકો, વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને આગામી પેઢીના નાટયરસિકોની તરફેણમાં કોણ ‘બોલશે’ ?
આ વિષય પર વિગતથી લખેલા અંગ્રેજી લેખોની નકલ જેમને મેળવવી હોય, તેવા દરેક જિજ્ઞાસુએ indiafound@earthlink.net પર ઇ.મૈલ મોકલવા વિનંતી છે.
![]()

