Opinion Magazine
Number of visits: 9446502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિનિયર્સમાં સૌથી વધારે ગરીબ કદાચ સાંસદો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 March 2023

રવીન્દ્ર પારેખ

કુદરતી કે અકુદરતી રીતે કોઈક પ્રકારની અરાજકતા અત્યારે અનુભવાતી હોય એવું નથી લાગતું? એક જ દિવસમાં છત્રી, સ્વેટર ને એસી વાપરવાં પડે એવું વાતાવરણ છે. સારું છે કે કિરણ પટેલ નામના પી.એમ.ઓ.ના કહેવાતા અધિકારીએ કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને, સુરક્ષાકર્મીઓને, સુરક્ષા કેટલી પોકળ છે એ પોતાને જોખમે ભણાવી દીધું. કાલ ઊઠીને કોઈ કાશ્મીર સરહદે વડા પ્રધાન થઈને જઇ આવે તો આપણા સુરક્ષાકર્મીઓ તેને પણ સલામી ઠોકીને ફરજ બજાવે તો નવાઈ નહીં ! આખેઆખી સાંસદોની નકલી ટોળી સંસદ ભવનમાં દેશ ચલાવી કાઢે ને ઠરાવે કે દેશને ન્યાયતંત્રની જરૂર નથી, તો એમ થાય ને આપણા 140 કરોડ ઘેટાંઓ કુરનીશ બજાવે તો ‘આનંદ મંગલ કરું આરતી …’ ગાવાની જ બાકી રહે. આમાં અતિશયોક્તિ હશે, પણ આ ન જ થાય એવું નથી. આટલું ઓછું હોય તેમ ખાલિસ્તાનીઓએ માથું ઊંચક્યું છે. અમૃતપાલ સિંહનું સંગઠન સક્રિય થયું છે. પોલીસ પકડાપકડી કરે છે, તો ખાલિસ્તાન સમર્થકો ખુલ્લી તલવાર સાથે તેનો વિરોધ પણ કરે છે જે અનેક રીતે જોખમી ને ચિંતાજનક છે. આ જ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માથે જોખમ ઊભું થયું હતું ને એમણે અડધેથી પરત થવું પડ્યું હતું એ વાતને બહુ સમય થયો નથી. ટૂંકમાં, આ લક્ષણો કહેવાતા વિકાસના છે.

જો કે, ખરો વિકાસ તો સાંસદો કરી રહ્યા છે. એ ઈચ્છે ત્યારે વિપક્ષને પણ વિશ્વાસમાં લઈને સાંસદોનાં પગાર  પેન્શન વધારી શકે છે. હવે તો કોઈ એક દિવસ માટે પણ સાંસદ થાય તો તેનું પેન્શન શરૂ થઈ જાય છે ને તે ન હોય તો તેની ફેમિલીને પણ પેન્શન મળે છે. સાંસદ થવાથી બીજું કૈં થાય કે ન થાય, પેન્શન તો પાકું થઈ જ જાય છે. તે નિવૃત્ત થાય તો ય તેને એ.સી. ટ્રેનની ફર્સ્ટ ક્લાસ સુધીની મફત સુવિધાઓ મળે છે ને બીજી તરફ આપણો સિનિયર નાગરિક ટ્રેનની 40 ટકા સુધીની રાહત મેળવતો હતો, તે, રેલવે, કોરોનામાં ગરીબ થઈ જતાં અટકી ગઈ. આપણા સિનિયર્સ ઘણી બધી રીતે અપમાનિત થવા ને દયાજનક સ્થિતિમાં રહેવા લાચાર છે. તેને ન તો ડ્રાઇવિંગ લાઇસન્સ મળે છે કે ન તો કોઈ તેનો મેડિક્લેમ ઉતારવા રાજી છે. કેટલીક બેન્કો નિવૃત્ત કર્મચારીઓનો મેડિક્લેમ ઉતારવાની યોજના ઘડે છે ને ઘાટ એવો ઘડે છે કે વર્ષોવર્ષ પ્રીમિયમ વધે ને તે એવું કે 12 મહિનાનાં પેન્શનમાંથી દોઢ મહિનાનું પેન્શન તો મેડિક્લેમ ઉતરાવવામાં જ વપરાય છે જે ક્લેઇમ ન કરનારને કદી પાછું મળતું નથી. આજે તો વૃદ્ધોને કોઈ EMI પર લોન આપવા તૈયાર નથી કે નથી તો કોઈ નોકરી આપવા ય તૈયાર. જિંદગીભર બધી જાતના ટેક્સ ભર્યા હોય, પણ રિટાયર થયા પછી, પેન્શન, પગાર હોય તેમ ઇન્કમટેક્સ અને અન્ય ટેક્સને પાત્ર ઠરે જ છે.

રાજકારણમાં એક દિવસ માટે પણ કોઈ સાંસદ થાય તો તેને પેન્શન મળે, પણ કેટલા ય સિનિયર્સ 30-35 વર્ષની સળંગ નોકરી કર્યાં પછી પણ પેન્શન વગર બીજાની દયા પર જીવવા લાચાર છે. સિનિયર્સને એક જ અધિકાર બચે છે ને તે મતાધિકાર. ન ચલાતું હોય તો પણ તે ખેંચાઈને મત આપવા દોડે છે ને એવાઓને મત આપે છે જે તેને નિવૃત્તિ પછીના કોઈ લાભ આપવા તૈયાર નથી. પેન્શનમાં પણ કેવળ અરાજકતા જ જોવા મળે છે. રાષ્ટ્રીયકૃત બેન્કનો દાખલો લઇએ તો જ્યારે પગાર માટેનું સેટલમેન્ટ કરવાનું નક્કી થયું ત્યારે જ પેન્શન અપડેશનનું પણ સમાંતરે વિચારાવું જોઈતું હતું, પણ તેવું ન થયું ને આજે એવી સ્થિતિ છે કે પટાવાળાનું પેન્શન જનરલ મેનેજર કરતાં વધારે છે. પટાવાળાને વધારે મળે તેનો વાંધો નથી, પણ મેનેજરોને ઓછું પેન્શન મળતું હોય તો એ અંગે ગંભીરતાથી વિચારાવું જોઈએ કે કેમ? રિઝર્વ બેન્કમાં આ ગરબડ થઈ ત્યારે ત્યાં પેન્શન અપડેટ થયું, પણ બીજી બેન્કો જોડેની આભડછેટ ચાલુ હોય તેમ એનો નિવેડો આવ્યો નથી, તો સીધું પૂછવાનું થાય કે રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે રિઝર્વ બેન્ક કે સરકારને ના’વા નીચોવવાનો કોઈ સંબંધ છે કે કેમ? જો છે તો રિઝર્વ બેન્કનું પેન્શન અપડેટ થાય ને બીજી રાષ્ટ્રીયકૃત બેન્કોનું ન થાય એ કેવું? નાણાં મંત્રી પોતે નિવૃત્ત બેન્ક કર્મચારીઓની પેન્શન અપડેશનની માંગણી વાજબી છે એવું સ્વીકારે છે, પણ ત્રણથી વધારે વર્ષ થઈ જવા છતાં એમણે એ દિશામાં કૈં કર્યું નથી, ત્યારે આ ચાવવાના ને બતાવવાના જુદા કેમ છે તે નથી સમજાતું.

આની સામે સાંસદો, ધારાસભ્યોને પેન્શનની કેવી સગવડો છે, તે જોઈએ. મહારાષ્ટ્રના એક કાઁગ્રેસી સાંસદ સુરેશ ધનોરકરે નાણાં મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને પૂર્વ સાંસદોનું પેન્શન બંધ કરવાની અપીલ કરી છે. અહીં પણ પૂર્વ સાંસદોનું પેન્શન બંધ કરવાની વાત છે. હાલના સાંસદો અંગે એમાં સ્પષ્ટતા નથી. ધનોરકરનો ઝોક એવા સાંસદો તરફ વધુ છે, જે બધી રીતે સાધનસંપન્ન છે. તેમણે રાહુલ બજાજ, સંજય દાલમિયા, રેખા, ચિરંજીવી જેવાં અનેક ધનિક સાંસદોનું નામ દઈને પૂછ્યું છે કે એમને પેન્શન જરૂરી છે? લાખો જરૂરિયાતમંદોને પેન્શન મળતું ન હોય ત્યારે જેમને કોઈ રીતે પેન્શન જરૂરી નથી, એમને પેન્શનની લહાણી શું કામ? એ પણ જવા દઇએ, કોઈ પણ સાંસદ ક્યારે ય પેન્શન મેળવવા જેટલો ગરીબ હોતો જ નથી ને સાંસદ કે ધારાસભ્ય હોવું એ નોકરી નથી, તો પ્રશ્ન એ થાય કે કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને પેન્શનનો લાભ શું કામ મળવો જોઈએ? ધનોરકરે પત્રમાં રોકડું કર્યું છે કે લોકસભા ને રાજ્યસભાના લગભગ 4,800 પૂર્વ સાંસદો એવા છે જેમની પાછળ દર વર્ષે 70 કરોડ ફક્ત પેન્શનનાં ચૂકવાય છે. એમાં પણ 300 એવા છે જેમનાં મૃત્યુ પછી તેમનાં કુટુંબીજનોને પેન્શન ચૂકવાય છે. અહીં સૂચવાયા તે ઉપરાંત ઘણાં સાંસદો એવા છે, જેમની આવકનો આંકડો કરોડોમાં છે. 2019ની લોકસભાની ચૂંટણી જીતનારા 539માંથી 475 સાંસદો કરોડપતિ છે, પણ કોઈ માઈનો લાલ પેન્શન જતું કરવા તૈયાર નથી. આમાં સૌથી શરમજનક તો એ છે કે લાખો સિનિયર્સને રૂપિયાનું પેન્શન નથી ને હવે તો કોઈ નોકરી પેન્શનવાળી લગભગ રહી જ નથી, ત્યાં કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદનું પેન્શન એક જ વ્યક્તિ મેળવતી હોય એવા દાખલાઓની નવાઈ નથી. એક જ વ્યક્તિ એકથી વધુ પેન્શન મેળવતી હોય એવું રાજકારણમાં જ છે. એનાં પરથી જ આ દેશસેવકો સેવા કેટલી કરતાં હશે તે સમજી શકાય એવું છે. વારુ, આ સેવકો જ્યારે પદ પર હોય છે ત્યારે તેમને પગારની, પ્રવાસની, ભથ્થાંની અનેક સુવિધાઓ હોય જ છે ને તે પણ બધી કરમુક્ત. એ પછી પેન્શનની સુવિધા તો ખરી જ. આવી રાજવી સગવડો પછી પણ અનેક બીજી આવકો તો ખરી જ, જેનો કોઈ હિસાબ નહીં, તો ય એમ લાગે છે કે દેશમાં સૌથી વધારે ગરીબ કદાચ સાંસદો જ છે. એમણે કોઈ ટેક્સ ભરવો નથી કે એમને જ એકથી વધુ પેન્શનનો વાંધો નથી. એમને એ સવાલ નથી થતો કે સાંસદ હોવામાં કોઈ નોકરી નથી થતી, તો નોકરી પછીનું પેન્શન લેવાય કેવી રીતે? તે પણ એક જ દિવસ માટે સાંસદ થયા હોય તો પણ?

એક તરફ સાંસદો રૂપિયો છોડવા તૈયાર નથી, જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવી વિભૂતિ પણ હતી જે પોતાનો અડધો પગાર રાષ્ટ્રીય ફંડમાં જમા કરાવી દેતી હતી. એ કોઈ રીતે અમીર ન હતા, તે ત્યાં સુધી કે એમના અંતિમ દિવસોમાં માંદગીનો ખર્ચ ઉપાડવાની પણ એમની સ્થિતિ ન હતી ને એ જ સ્થિતિમાં એમણે જીવન સંકેલવું પડ્યું હતું. લાલબહાદુર શાસ્ત્રી આપણા બીજા વડા પ્રધાન હતા ને તેમની સાદગી એટલી હતી કે એમના મૃત્યુ સમયે એમને માથે દેવું હતું. ગુલઝારીલાલ નંદા પણ વડા પ્રધાન હતા. નિવૃત્તિ પછી એ સરકારી આવાસમાં ન રહ્યા ને ગુમનામીની એવી જિંદગી એમણે પસંદ કરી કે મકાનનું ભાડું ચૂકવવાની પણ એમની હાલત ન હતી ને મકાન માલિકે એ કારણે એમને અપમાનિત પણ કર્યા હતા. એ તો પછી કોઈએ સરકારનું ધ્યાન દોર્યું ને મામલો થાળે પડ્યો હતો. આવા મહાનુભાવો બીજા પણ હશે જ, પણ આવી કલ્પના આજના કોઈ કોર્પોરેટર માટે થઈ શકે એમ નથી. આજનો કોઈ સાંસદ અડધો પગાર લેવા તૈયાર છે? કોઈ સાંસદ દેવાદાર ગુજરી જાય એવી તો હવે કલ્પના પણ થઈ શકે એમ નથી. એમ કોઈ ગુજરી જાય એવું કોઈ ઇચ્છતું પણ નથી, પણ જે ગણતરી ને સ્વાર્થ આજે સપાટી પર આવ્યાં છે એણે નિસ્વાર્થ ને નિષ્ઠાને આઉટડેટેડ કરી મૂક્યાં છે ને ચિંતાજનક કૈં હોય તો તે એ –

આ બધું દેશની સૌથી વિશ્વસનીય ગણાતી સંસદમાં છે. અહીં કોઈ ધારાસભ્ય કે સાંસદ પ્રત્યે કોઈ દુર્ભાવ નથી. કોઈએ કૈં બગાડયું નથી, પણ જે દેખીતો ભેદ જણાય છે તે તરફ ધ્યાન માત્ર દોરવાનું છે. દેશનો વરિષ્ઠ નાગરિક વર્ષોની સેવા પછી નિવૃત્ત થાય ને તેને જીવવાનું અઘરું થઈ પડે, જીવવા જેટલું પેન્શન પણ ન મળે, એટલું જ નહીં, પેન્શન નાબૂદ કરવાની વાતો ચાલતી હોય, બધા જ ટેક્સ ભર્યા હોય ને અંતિમ વર્ષોમાં પણ તેનો ટેક્સમાંથી છૂટકારો ન થતો હોય ને બીજી તરફ ટેક્સનો કોઈ બોજ ઉઠાવ્યા વગર લાખોનો પગાર સાંસદો, ધારાસભ્યોને નામે ચડતો હોય, એકાદ દિવસની સેવા પછી એકથી વધુ પેન્શનનો હક મળતો હોય, તો ક્યાંક તો કશુંક ખોટું થાય છે, એવું ખરું કે કેમ?

જો કશુંક, ક્યાંક પણ ખોટું હોય તો તે દૂર થાય, તે અંગે ગંભીરતાથી વિચારાય એટલું જ અહીં સૂચવવાનું છે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 માર્ચ 2023

Loading

20 March 2023 Vipool Kalyani
← મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સાહિત્યકલા
બે કટ્ટર દુ:શ્મન, ઈરાન અને સાઉદી, દોસ્ત બન્યાં : ચીનની કામિયાબ કૂટનીતિ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved