Opinion Magazine
Number of visits: 9451230
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘શાસનને નામે શૂન્ય’-ની રાજનીતિ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

માર્ચ ઊતરતે અને એપ્રિલ બેસતે લાહોર અને નવી દિલ્હી, પ્રકારાન્તરે પાકિસ્તાન અને ભારત કેવીક વિલક્ષણ સહોપસ્થિતિનાં તેમજ પરસ્પર વિરોધનાં ચિત્રો રચી રહે છે ! માર્ચ બેસતે લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટુકડી પરના આતંકી હુમલા સાથે વિશ્વક્રિકેટના સંદર્ભમાં આ ઉપખંડની જાણે કે પથારી ફરી ગઈ હતી; અને માર્ચ ઊતરતે લાહોર કને પાક પોલીસ એકેડેમી પરની આતંકવાદી કારવાઈ સાથે પાકિસ્તાનમાં હજુ કેટલું બધું સમુંનમું કરવાનું રહે છે તે અધોરેખિતપણે સમજાઈ રહે છે.

લાહોરના બંને ઘટનાક્રમ સંદર્ભે એક સરસ સચોટ ટિપ્પણી આ કલાકોમાં 'ડોન' (કરાચી)ના વરિષ્ઠ તંત્રી મુર્તઝા રઝવીએ કરી છે કે દેશમાં શાસનને નામે જે શૂન્ય (શિયર ઍબ્સન્સ ઑફ ગવર્નન્સ) પ્રવર્તે છે એની જ એક ઓર સાહેદી એમાંથી મળી રહે છે. રઝવીની ટિપ્પણીને પાકિસ્તાનના સંદર્ભમાં જેમ નજીકની તેમ દૂરના ઇતિહાસનાયે સંદર્ભમાં જોઈ શકાય. મુશર્રફને સ્થાને ઝરદારીનું બેસવું, એક રીતે લશ્કરી ઓથાર અને ઓછાયાથી સ્વતંત્ર થવા ભણીનું પગલું હતું અને છે. એક પા લાલ મસ્જિદ પર કારવાઈ કરવાનું મન બનાવી શકતા મુશર્રફ તો બીજી પા સર્વોચ્ચ અદાલત સાથેની એમના એકાધિકારવાદી ચેષ્ટા સામે રસ્તા પર ઊતરી આવતા વકીલો, આ બેઉ મળીને પાકિસ્તાનમાં બદલાઈ શકતી કરવટનું એક અચ્છું નિદર્શન આપતા હતા. પણ મુશર્રફ અને વકીલો, લોકશાહી લેબાસમાં લશ્કરશાહ અને કાળે ડગલે સજ્જ નાગરિક સમાજ, બેઉ સ્વાભાવિક જ સાથે જઈ શકે એમ નહોતા. છેવટે મુશર્રફે જવાની નોબત આવી; અને ઝરદારીએ સૂત્રો સંભાળ્યાં, પણ એમણે સર્વોચ્ચ અદાલત સાથેની તાનાશાહી ચેષ્ટામાં દુરસ્તી કરીને વાસ્તવિક સત્તાપરિવર્તનનો કોઈ સંકેત આપવાની તાકીદ ન જોઈ. છેવટે 'લૉંગ માર્ચ' અને નવાઝ શરીફની હિલચાલે ઝરદારીને દુરસ્તીની ફરજ પાડી. પણ જ્યાં સુધી ધારાધોરણસરના શાસનની રગ ન આવે અને નાગરિક સમાજ તથા શાસન વચ્ચે સાર્થક આંતરક્રિયા ન રચાય ત્યાં સુધી બધું સખળડખળ ચાલ્યા કરવાનું એ સાફ છે. લશ્કરની પકડમાંથી મુક્ત થવા ઇચ્છતી લોકશાહી માટે આ વર્ષોમાં – કેમકે પાકિસ્તાન આતંકવાદને પેદાશી પનાહ આપતું rouge state બની ગયું છે – હજુ લાંબી, ખાસી લાંબી મજલ કાપવાની રહે છે.

પાકિસ્તાન અને ભારત બેઉ, એક દિવસના ટેકનિકલ ફેરે, સાથે જ આઝાદ થયાં. ઝીણાએ પ્રારંભે પુનર્વિચારનો સંકેત આપ્યો પણ એમણે ઝનૂની વિચારધારાવાદની રાજનીતિ સાથે જે બધાં ભાગલાવાદી અને જીર્ણમતિ બળોને બાટલીમાંના જીન પેઠે બહાર કાઢ્યાં હતાં તે એમના કહ્યામાં રહે શાનાં. બીજી પાસ, ગાંધીનેહરુપટેલની છત્રછાયામાં ભારતીય નેતૃત્વે જે બંધારણીય રાહ લીધો એમાં લોકશાહી ખુલ્લાપણાની કાળજી અને સાંપ્રદાયિક ઝનૂનનો અભાવ, આ બે વાનાંની ઠીક ઠીક માવજત શક્ય હતી. પરિણામે, ચડતાંપડતાં, કટોકટીરાજનો બોગદો વટાવીને પણ આપણે આજે એક નવી લોકસભા રચવા ભણી જવાને સક્ષમ છીએ. પાકિસ્તાને પાછલા છ દાયકાનો ખાસો એવો બોજ, જે લગભગ એના અસ્તિત્વનો ભાગ થઈ ગયો છે, ઉતારવાનો છે. દેખીતી રીતે જ, આ પ્રક્રિયા લાંબી, અતિલાંબી હોવાની છે અને એમાં કોઈ ટૂંકો રસ્તો હોવાનો નથી. આમ પણ આવી બાબતોમાં શૉર્ટ કટ અંગીકારતી પ્રજાઓને લમણે અંતે લાંબા થઈ જવાનું જ રહેતું હોય છે.

હમણાં કહ્યું કે આપણે લોકશાહી રાજવટ મુજબ નવી લોકસભા ભણી જઈ રહ્યા છીએ અને કટોકટીરાજ શા બોગદાની બહાર પણ નીકળી શક્યા છીએ. પાકિસ્તાનની સરખામણીમાં આ ચિત્ર જરૂર આશ્વસ્તકારી પણ અનુભવાય છે. પણ ધોરણસરનું શાસન કહો, કાયદાનું શાસન કહો, એ કસોટીએ આપણે ક્યાં છીએ તે તપાસવામાં ગાફેલ રહેવાની જરૂર નથી. પહેલાં પણ પ્રશ્નો હતા, અને રાજકીય-શાસકીય અગ્રવર્ગ પરત્વે જો કંઈક કદર તો તો ફરિયાદમુદ્દા પણ ખાસા હતા. પરંતુ તેમ છતાં એક એકંદરમતી એવી જરૂર હતી જે નાગરિક સમાજને બાંધવામાં સહાયરૂપ હોઈ શકે. આ એકંદરમતી, અડવાણીની રથયાત્રા અને 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ'ની રાજનીતિ સાથે ખરાબ રીતે તૂટી. જે મૂલ્યો અને રસમો એમાંથી ઉભર્યાં તે બધાંમાં રહેલ દૂરિત અને અનિષ્ટને વિચારધારાનું રૂપાળું ઝભલું પહેરાવાતું રહ્યું અને આ પ્રક્રિયામાં ધોરણસરના શાસનનો 'રુલ ઑફ લૉ' ના સાંસ્થાનિક – સ્વરાજી વારસાનો) જે થોડોકે અમલ આપણે ત્યાં હતો તે ઓજપાતો ગયો.

થાઉં થાઉં વડાપ્રધાન અડવાણી આ બધું નહીં જ સમજતા હોય એમ તો નથી. લાંબા સમય લગી એમના પક્ષમાં તેઓ સુરેખ અભિવ્યક્તિ (આર્ટિક્યુલેશન) માટે જાણીતા રહ્યા છે. એનડીએ શાસનનું પહેલું કે બીજું વરસ હશે ત્યારે એમણે વિચારધારાવાદને માપમાં રાખી રાજવટ (ગવર્નન્સ) પર ભાર મૂકવાની દૃષ્ટિએ પક્ષનાં વર્તુળોમાં કંઈક ઊહપોહ પણ કરવાનું નવસંદર્ભમાં ઉચિત લેખ્યું હતું. પણ આખરે તો એ ઝીણાના હિંદુ અડધિયા રહ્યા એટલે એમણે અયોધ્યાજ્વરમાં જે બધાં તત્ત્વોને મત્ત મહાલવા વકરવાનો અવસર આપ્યો હતો તે રાજવટના ખયાલને બદે શાનાં. ઊલટું, ગુજરાતમાં‌ ૨૦૦૨માં જોવા મળ્યું તેમ રાજવટને રૂખસદ આપવામાં ગૌરવ જોવાની માનસિકતાને મોકળું મેદાન મળ્યું.

નવી દિલ્હીમાં તેઓ ભલે વડાપ્રધાનના દાવેદાર હોય (હતા), પણ ગાંધીનગરમાં તો નમોજીવી છે. નમો એમના સીઈઓ સ્વાંગની પૂંઠે ૨૦૦૨ને ભુલાવી દેવા માગતા હોય – પણ તીસ્તા સેતલવાડ જ નહીં, માયા કોડનાની સુધ્ધાં તે ભુલાવા ન દેતાં હોય – ત્યારે બાળ વરુણને પણ અંતરે એવા ઓરતા તો જાગે જ ને કે એકવાર પીલીભીતમાં ૨૦૦૨વાળી થઈ જાય તે પછી તો સીઈઓનો ખેલ ક્યાં નથી પાડી શકાતો.

અડવાણી મનમોહનસિંહને 'નબળા' ગણે છે – અને આ ક્ષણે મનમોહનસિંહની 'બ્રીફ' ઝાલવાનો કોઈ ખયાલ પણ અહીં  નથી – પરંતુ અડવાણી પોતે નબળા નેતા છે કે સબળા એની એક કસોટી ભાજપના વરુણોદય તબક્કામાં તેઓ કેવી રીતે પેશ આવે છે તે પણ છે જ. પહેલાં એમણે વરુણની વાતોને પક્ષ તરફથી નકારી કાઢી અને તેના વિચારો બાબતે હાથ ઊંચા કરી દીધા. હવે એને 'ઉમેદવાર' તરીકે ખભે ચડાવી ફરવા મળો છે. આવું જ સાધ્વી પ્રજ્ઞાના પ્રકરણમાં બન્યું હતું. ઘડીક 'ઓન' અને ઘડીક 'ડિસ્ઓન' કરવાની એમની આ નિયતિ (અગર તો નિર્બળતા) એમને નેતા તરીકે સ્થપાવા ન દે એ દેખીતું છે; કેમકે એમણે એક જીર્ણમતિ આંદોલનકારથી ધોરણસરના વહીવટકાર વચ્ચેનું અંતર કાપવું રહે છે.

સ્વરાજના છ દાયકામાં પાકિસ્તાને જે ગળથૂથી-ગોથું ખાધું છે તે ગોથું ભારતને સ્વરાજની ચાલીસી પછી અડવાણીએ ખવડાવવાની કોશિશ કરી. એનું પરિણામ આજે દેશ અને તેઓ બંને ભોગવી રહ્યા છે. ધોરણસરની રાજવટનો મુદ્દો ફેંકાતો ફંગોળાતો જાય છે. પક્ષપ્રમુખ રાજનાથસિંહની હાજરીમાં ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશના આઈએએસ એસોસિયેશને ૧૯૯૫માં જેને 'બીજા નંબરના સર્વાધિક ભ્રષ્ટ અફસર' કહ્યા હોય તેને ભાજપમાં પ્રવેશ આપવાનું આ જ કલાકોમાં બન્યું છે તે વરુણોદયની સહોપસ્થિતિમાં જોતાં બીજો શો સંદેશો આપી શકે, સિવાય કે રઝવી જેને 'શિયર ઍબ્સન્સ ઑફ ગવર્નન્સ' કહે છે તે તરફ જઈ રહ્યાનો.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved